Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અધિકારી પોતાના રક્ષણ માટે કોની પાસે જાય ?

રમેશ ઓઝા|Opinion - Opinion|22 February 2024

રમેશ ઓઝા

સર્વોચ્ચ અદાલતે ચંડીગઢમાં યોજાયેલી મેયરની ચૂંટણીને રદ્દ નથી કરી, પણ ચૂંટણી અધિકારી અનિલ મસીહની બદમાશીની નોંધ લઈને ચૂંટણી અધિકારીએ પરાજીત જાહેર કરેલા આમ આદમી પાર્ટી-કાઁગ્રેસના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા ઠરાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે બંધારણના આર્ટીકલ ૧૪૨નો આશરો લીધો હતો જે અદાલતને ખાસ સંજોગોમાં સરકારને સલાહ, નિર્દેશ કે આદેશ આપવાનો અધિકાર ધરાવે છે.

વાચકોને જાણ હશે કે ૩૦મી જાન્યુઆરીના રોજ ચંડીગઢમાં મેયરના પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી આમ તો ૧૮મી જાન્યુઆરીએ યોજાવાની હતી, પણ ચૂંટણી અધિકારીએ બહાનું કાઢ્યું હતું કે તેઓ બીમાર છે એટલે ચૂંટણી મુલતવી રાખવી પડે એમ છે. એ પછી તેમણે છઠ્ઠી ફેબ્રુઆરીની તારીખ આપી હતી જેને આમ આદમી પાર્ટીએ વડી અદાલતમાં પડકારી હતી અને અદાલતે ચૂંટણી અધિકારીને ૩૦મી જાન્યુઆરીએ ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. દેશ ભરમાં દરેક ચૂંટણી બી.જે.પી.ને માફક આવે એ સમયે અને એ રીતે યોજવામાં આવે છે એ હવે ક્યાં છાનું છે! મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત મહાનગરપાલિકાઓની ચૂંટણી દોઢ વરસ થવા આવ્યું હોવા છતાં યોજવામાં આવતી નથી. બી.જે.પી. માટે અનુકૂળતા નથી. હજુ અશોક ચવ્હાણ જેવા થોડા લોકોને ફોડવાના બાકી છે. આમ ચૂંટણીપંચ અને ચૂંટણી અધિકારીઓ ઉપરથી નીચે સુધી શાસક પક્ષને અનુકૂળ થઈને કામ કરે છે. અહીં ચંડીગઢમાં પણ તેને આદેશ આપવામાં આવ્યો હતો કે ચૂંટણી ટાળવામાં આવે.

અદાલતના આદેશના પરિણામે ૩૦મી જાન્યુઆરીએ ચૂંટણી યોજવી પડી જેમાં બી.જે.પી.ના ઉમેદવારને ૧૬ મત મળ્યા હતા અને આમ આદમી પાર્ટી-કાઁગ્રેસના સંયુક્ત ઉમેદવારને ૨૦ મત મળ્યા હતા. દેખીતી રીતે આમ આદમી પાર્ટી-કાઁગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો, પરંતુ ચૂંટણી અધિકારી અનિલ મસીહે બી.જે.પી.ના ઉમેદવારને વિજેતા ઘોષિત કર્યા હતા. એ ભાઈએ આપ-કાઁગ્રેસના આઠ મતપત્રકોમાં ચેડાં કર્યાં હતાં અને એ આઠ મતને અપાત્ર કે અમાન્ય જાહેર કર્યા હતા. આ રીતે આપ-કાઁગ્રેસના મત ઘટીને ૧૨ થઈ ગયા. હવે બન્યું એવું કે જે આઠ મતપત્રકો પર અનિલ મસીહ સ્યાહીથી કાંઈક લખતા હતા એ સી.સી.ટી.વી. કેમેરામાં ઝડપાઈ ગયું. 

હદ કહેવાય. આટલી હદે ભારતનું લોકતંત્ર નીચે ઊતરી ગયું છે કે ચૂંટણી અધિકારી પોતે મતપત્રકમાં ચેડાં કરે? જ્યારે પરાજિત જાહેર કરાયેલા કુલદીપ કુમારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી અને સી.સી.ટી.વી.ના ફૂટેજ બતાવ્યા ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા કે “દેશમાં આ શું ચાલી રહ્યું છે?”

જી હા, દેશમાં જે ચાલી રહ્યું છે એ તાનાશાહી નહીં, પણ ફાસીવાદ તરફની દિશા છે અને એ હિન્દુત્વવાદીઓ સહિત બધા જાણે છે. હિન્દુત્વવાદીઓ ખૂશ છે અને બાકીના ભારતીય નાગરિકો ચિંતિત છે. બુદ્ધિ વિનાના ભક્તો હવે કોઈ છે જ નહીં. જેને તમે ભક્ત કહો છો એ વાસ્તવમાં કોમવાદી હિંદુ છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ પણ આ જાણે છે અને વળી સર્વોચ્ચ અદાલતમાં પણ અનિલ મસીહો ઘણા છે. એમાંના કેટલાક ન્યાયની જગ્યાએ શાસકોની સેવા (મદદ) કરીને નિવૃત્તિ પછીના હોદ્દાઓ ભોગવે છે, એક મહાશય રાજ્યસભાનું સભ્યપદ ભોગવે છે અને બીજા કેટલાક આજે અદાલતની પીઠ પર બેસીને પોતાના અંતરાત્માનો અને દેશનાં બંધારણનો સોદો કરી રહ્યા છે. માત્ર અદાલતો નહીં, દેશની તમામ લોકતાંત્રિક સંસ્થાઓની આ જ હાલત છે. શું તમે આ નથી જાણતા?

સર્વોચ્ચ અદાલતે ફેરચૂંટણી યોજવાની જગ્યાએ ચૂંટણી માન્ય રાખી છે અને ચૂંટણી અધિકારીની બદમાશીને અપરાધ ઠરાવ્યો છે. તેની સામે ફોઝદારી કારવાઈ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ ફરક સમજવા જેવો છે. ફેરચૂંટણી ત્યારે યોજાય જ્યારે ચૂંટણીની પ્રક્રિયા અને પરિણામમાં કશુંક શંકાસ્પદ હોય. અહીં શંકાસ્પદ તો કશું હતું જ નહીં. આઠ મતને (કૂલ ૩૦ મતના ૩૦ ટકા) અવૈધ ઠેરવવા ચૂંટણી અધિકારીએ પોતે કેમેરાની સામે મતપત્રક પર કશુંક ચીતરીને ચેડાં કર્યાં હતા. બીજી બાજુ “દેશમાં આ શું ચાલી રહ્યું છે?” એવા મુખ્ય ન્યાયમૂર્તિના ઉદ્દગાર પછી બી.જે.પી.ને એટલું તો સમજાઈ ગયું હતું કે તેમનો મેયર હોદ્દા પર રહી શકશે નહીં, પરંતુ તેની ધારણા એવી હતી કે સર્વોચ્ચ અદાલત કોઈ બીજા ચૂંટણી અધિકારીના નિરીક્ષણમાં કે પછી અદાલત દ્વારા નિયુક્ત કોઈ પર્યાવેક્ષકની ઉપસ્થિતિમાં ફેરચૂંટણી યોજવાનો આદેશ આપશે. માટે ચૂંટણી જીતવાની તૈયારી રૂપે આમ આદમી પાર્ટીના બે નગરસેવકોને બી.જે.પી.એ ફોડી નાખ્યા હતા. જો સર્વોચ્ચ અદાલતે ફેરચૂંટણીનો આદેશ આપ્યો હોત તો આપ-કાઁગ્રેસનો પરાજય અને બી.જે.પી.નો વિજય નક્કી હતો. બી.જે.પી. વિરોધ પક્ષોને ખતમ કરવા કોઈ પણ સ્તરે જઈ શકે છે. લોકતંત્રનું માત્ર કલેવર બચવું જોઈએ કે જેથી દુનિયામાં કહી શકાય કે ભારત લોકશાહી દેશ છે. આવો હોય લોકશાહી દેશ?

સર્વોચ્ચ અદાલતમાં ચૂંટણી અધિકારી અનિલ મસીહ રડવા જેવા થઈ ગયા હતા. કહોને કે રડી પડ્યા હતા. પણ જો જરાક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો તેનો શું વાંક? જો સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ન્યાયમૂર્તિ વેચાઈ શકતો હોય, મુખ્ય ચૂંટણી કમિશ્નર વેચાઈ શકતો હોય, ઓડીટર જનરલ વેચાઈ શકતો હોય, જો કોઈ રાજ્યનો મુખ્ય પ્રધાન છાશવારે પલટી મારતો હોય, જો નગરસેવકથી લઈને લોકસભાનો સભ્ય વેચાઈ શકતો હોય તો અનિલ મસીહ તો બહુ નાનો માણસ છે. શક્ય છે કે એ કદાચ ડરી પણ ગયો હોય અને એણે ડરના માર્યા અપરાધિક કૃત્ય કર્યું હોય. પણ સવાલ એ છે કે જો તેણે કાયદાને અને ફરજને વફાદાર રહીને હિંમતપૂર્વક બી.જે.પી.ને મદદ કરવાની ના પાડી દીધી હોય તો તેને સંરક્ષણ મળ્યું હોત ખરું? છે કાયદાકીય વ્યવસ્થા અને ન્યાયતંત્રમાં એટલો દમ કે એક અદના અધિકારીને સંરક્ષણ પૂરું પાડે? અમેરિકન કાયદાના રાજ સામે અને તેનું રક્ષણ કરનારા ન્યાયતંત્ર સામે ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બધા ઉધામા નિરસ્ત થઈ રહ્યા છે. બે અમેરિકન રાજ્યમાં ત્યાંની ફેડરલ કોર્ટે ટ્રમ્પને ચૂંટણી લડવા માટે અપાત્ર જાહેર કરી દીધા છે. અહીં અદના સરકારી અધિકારી સામે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રનાં ઉદાહરણો છે.

જો મહારથીઓ વેચાઈ શકતા હોય અથવા શાસકોથી ડરવું પડે એવાં ખોટાં કામો કરતા હોય તો નાનો અધિકારી પોતાનાં રક્ષણ માટે કોની પાસે જાય! સંકટ લોકતાંત્રિક વ્યવસ્થાનું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 ફેબ્રુઆરી 2024

Loading

22 February 2024 Vipool Kalyani
← ગુજરાતી !!
માતૃભાષા ગુજરાતીની શુદ્ધિ – કેટલાંક વ્યવહારુ સૂચનો   →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved