Opinion Magazine
Number of visits: 9446114
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતનો પહેલો અને છેલ્લો ફિલોસોફર સમ્રાટ : પ્રિયદર્શી અશોક

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 January 2024

રાજ ગોસ્વામી

ગ્રીક વિચારક પ્લેટોએ કહ્યું હતું કે રાજા તત્ત્વજ્ઞાની (ફિલસૂફ) હોવો જોઈએ. ‘રીપબ્લિક’ નામના તેના પુસ્તકમાં તેણે એવા ધર્મજ્ઞાની શાસકની કલ્પના કરી હતી, જેનામાં રાજનૈતિક સત્તા અને ચિંતનાત્મક જ્ઞાન બંનેની ક્ષમતા હોય. પ્લેટોનો તર્ક એવો હતો કે ફિલસૂફો સત્તાનો ગેરઉપયોગ કરવાની વૃતિથી મુક્ત હોય છે, બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ હોય છે અને રાજ્યના કલ્યાણ માટે તેમના જ્ઞાનનો ઉપયોગ કરે છે.

ભારતમાં આવા કોઈ શાસકને જો પ્લેટોના માપદંડ પર મુકવામાં આવે તો, સમ્રાટ અશોક તેમાં ખરા ઉતરે. ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણકાંઠા, તથા મૈસૂર સુધી અને પૂર્વમાં હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલા મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોક(રાજ્યકાળ ઈ.સ. પૂર્વે ૨૬૮-૨૩૨)નાં વિચારો અને ભાવનાઓ તેમના અસંખ્ય શીલાલેખો પરથી ખબર પડે છે.

તેમાં તેમના પાંચ પ્રકારના લેખ તૈયાર કરવામાં આવ્યાં હતા અને તેમના સામ્રાજ્યમાં અલગ અલગ સ્થાનો પર શીલાઓ પર કોતરવામાં આવ્યા હતા. તેમાંથી દ્વિતીય શીલાલેખમાં અશોકનો એ વિચાર લખવામાં આવ્યો હતો, જે પ્લેટોના રાજાની કલ્પનાને મળતો આવે છે. અશોક એમાં લખે છે; “ધમ્મા સારો છે. અને ધમ્મા એટલે શું? તેમાં ઓછા દોષ અને બહુ બહુ બધાં સત્કર્મો, દયા, દાન, સચ્ચાઈ અને શુદ્ધતા છે.” અહીં ધમ્માનો અર્થ ધર્મ નથી, પણ અશોક નૈતિક સંહિતાની વાત કરે છે કે રાજાથી લઈને રંક સુધી સૌને લાગુ પડે છે. 

આ અર્થમાં, શ્રીલંકાના સંસ્કૃતના વિદ્વાન પેટ્રિક ઓલિવેલેએ, તાજેતરમાં સમ્રાટ અશોક પર લખેલા સુંદર જીવનચરિત્ર્યનું શીર્ષક ‘અશોક : પોટ્રેટ ઓફ અ ફિલોસોફર કિંગ’ આપ્યું છે. ઓલિવેલે કહે છે કે, “ઇતિહાસમાં બીજા સમ્રાટો કરતાં અશોક એટલા માટે અનોખા છે કારણ કે માત્ર પ્રાચીન નહીં, આધુનિક ઇતિહાસમાં પણ આપણને એવા રાજકારણી કે સત્તાધારી માણસો જડતા નથી, જેમણે ભૂતકાળમાં તેમણે કરેલાં કામો માટે પ્રશ્ચાતાપ કર્યો હોય. બીજું, નૈતિક ફિલસૂફી અંગે અને લોકોએ કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તેના અંગે અશોકનાં લખાણો મળે છે; પણ શાસનને લઈને તેમનું કોઈ લખાણ નથી. તે કરવેરાની વાતો નથી કરતા, તે રાજ્યમાં ધન ક્યાંથી આવે છે તેની વાત નથી કરતા. એ અર્થમાં તે અનોખા છે.”

અશોક માટે “ફિલોસોફર કિંગ” શીર્ષક એટલા માટે ઉચિત છે કારણ કે તે એક ક્રૂર વિજેતા શાસક હતા અને પછી બૌદ્ધ ફિલસૂફી અને સિદ્ધાંતોથી તેમનું હૃદય પરિવર્તન થયું હતું. ખાસ કરીને કલિંગ યુદ્ધમાં હિંસા અને બરબાદી જોઇને શાસન પ્રત્યેના તેમના અભિગમમાં ઊંડો વળાંક આવ્યો હતો. પોતાના વિજયોને કારણે થયેલી અપાર વેદના અને જાનહાનિને જોતા, અશોકે આધ્યાત્મિક અને નૈતિક જાગૃતિનો અહેસાસ કર્યો હતો. આ પરિવર્તન તેમને બૌદ્ધ ધર્મના ઉપદેશોને સ્વીકારવા તરફ દોરી ગયું, જે કરુણા, અહિંસા અને નૈતિક આચરણ પર કેન્દ્રિત ફિલસૂફી હતી.

માત્ર સમ્રાટ અશોક જ નહીં, તમે ઇતિહાસના કોઈ પણ મહાન સમ્રાટોનાં જીવન વાંચો, તેમણે રાજ્યનો વિસ્તાર કરવા માટે અને તેને સમૃદ્ધ કરવા માટે એવાં એવાં કરતૂત કર્યા છે કે લોકો આજે પણ તેમને માફ કરી શકતા નથી. અશોક કદાચ એક માત્ર સમ્રાટ છે જે, જેને ઇતિહાસે માફ કરી દીધા છે એટલું જ નહીં, તેમને જ્ઞાની પુરુષનો દરજ્જો પણ આપ્યો છે. તેનું કારણ એટલું જ છે કે અશોકને ખુદને તેમની ભૂલ બદલ પસ્તાવો થયો હતો. જે જાતે પ્રશ્ચાતાપ કરે છે તેને દુનિયા માફ કરી દે છે.

જેમ કે, ગ્રીસના સમ્રાટ એલેક્ઝાન્ડરને વિશ્વના સૌથી મહાન શૂરવીર તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ તેના નામ પાછળ “ધ ગ્રેટ એલેક્ઝાન્ડર” લાગે છે, પરંતુ સિંહાસન મેળવ્યા પછી તેણે તેના પિતાના પ્રિયજનોને મારી નાખ્યા જેમનાથી તેને સત્તા જતી રહેવાનો ડર હતો. એટલું કે તેણે તેના પિતાની અન્ય પત્નીઓને પણ છોડી ન હતી અને તેમનાં નાના બાળકોને પણ મારી નાખ્યાં હતાં, જેથી મોટા થઈને સિંહાસન માટે દાવો ના કરે ખતરો બની શકે. તે એવો રાજા હતો જેણે એકવાર દારૂના નશામાં આખા શહેરને બાળી નાખવાનો આદેશ આપ્યો હતો.

બીજું ઉદાહરણ અકબરનું છે. જ્યારે પણ મહાન મુઘલ સમ્રાટોનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે સમ્રાટ અકબરનું નામ સૌથી ઉપર આવે છે. આવે જ ને, આપણો અડધો ઇતિહાસ મુઘલોના પુસ્તકોમાંથી આવે છે. અબુલ ફઝલ નામના મુઘલ ઇતિહાસકાર અકબરને પ્રજાલક્ષી રાજા તરીકે વર્ણવે છે, પરંતુ તેની ચતુરાઈ એ હતી કે તેના હરમમાં સોથી વધુ મહિલાઓ હતી.

એવું કહેવાય છે કે રાજધાનીની આસપાસનો કોઈ પણ છોકરો કુંવારી છોકરી સાથે સંબંધ બાંધતા માંગતો હોય તો અકબરની પરવાનગી લેવી પડતી. સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે તેમણે પોતાની પુત્રી કરતાં નાની ઉંમરની રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેમાંથી અડધી રાજકુમારીઓ હરેમમાં રહેતી હતી, જ્યાં સમ્રાટ સહિત અન્ય દરબારીઓ તેનો ઉપયોગ કરતા હતા. પરંતુ ઇતિહાસે તેમને માફ કરી દીધા કારણ કે તેમણે તેમની તમામ લડાઈઓ જીતી હતી, મુઘલ સામ્રાજ્યને વિશાળ બનાવ્યું હતું અને શાસન વ્યવસ્થામાં કેટલાક સારા ફેરફારો કર્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપિયનો જેમની પૂજા કરતા થયા હતા અને ભારતીયો જેને આધુનિક યુગના મહાન નેતા માને છે તે બ્રિટિશ પ્રધાન મંત્રી વિન્સ્ટન ચર્ચિલે તેમના ઘમંડ અને તુચ્છતાના ભાવના કારણે ભારતના લાખો લોકોને ભૂખમરામાં મરવા દીધા અને બ્રિટિશ ગોદામોને ભારતીય અનાજથી ભર્યા હતાં.

સમ્રાટ અશોક આ બધાથી અલગ પડે છે. તેમનો શાસનકાળ બે ભાગમાં વહેંચાયેલો છે અને એ પ્રમાણે જ તેમનું મૂલ્યાંકન થાય છે. એક, ચાંડાશોક અને બે, બુદ્ધશોક. ચાંડાશોક તેમની ક્રુરતાનો કાળ છે. ચાંડાલ પરથી તેમના માટે ચાંડાશોક થયો હતો તેમ કહેવાય છે.

આ અશોક કલિંગ યુદ્ધ પહેલાનો છે, અને તેના માટે સિંહાસન જ બધું હતું. સિંહાસન પર બેસવા માટે પોતાને યોગ્ય બનાવવા માટે, તેમણે પાટલીપુત્રમાં પોતાની ક્રૂર તાકાત બતાવી અને વિવાદોને  ટાળવા માટે, તેણે સત્તાના અન્ય તમામ દાવેદારોને મારી નાખ્યા હતા. તે માનતો હતો કે આવું ક્રુરતા પાપ નથી, રાજધર્મ છે.

કલિંગના યુદ્ધ પછી અશોક ભગવાન બુદ્ધનો અહિંસા અને શાંતિનો માર્ગ અપનાવ્યો હતો તે તેમનો બીજો કાળ છે. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળથી, કલિંગ તેની લશ્કરી શક્તિ, સિલોન અને જાવા જેવા પ્રદેશો સાથેના વેપારી સંબંધો માટે પ્રખ્યાત હતું. કલિંગની સમૃદ્ધિના આ જ કારણોસર અશોક કલિંગ પર વિજય મેળવવા અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે પ્રેરિત થયો હતો. 

ઇતિહાસના આ ભયંકર યુદ્ધમાં, અશોક માત્ર જીત્યો જ નહીં, પરંતુ યુદ્ધમાં 1,00,000 સૈનિકો માર્યા ગયા અને કલિંગના 1,50,000 સૈનિકો મૌર્યોના કેદી બન્યા, જેઓ પાછળથી મૃત્યુ પામ્યા હતા. 

યુદ્ધમાં વિજયી થયા પછી પણ, અશોક કલિંગની બગડતી સ્થિતિ, લોહી, વેદના અને લોકોના આંસુ જોઈને દુઃખ અને નિરાશાથી ભરાઈ ગયો હતો. આ દુઃખને દૂર કરવા માટે, તે બુદ્ધના ઉપદેશોની નજીક આવ્યો અને છેવટે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. તે પછી હિમાલયથી સિલોન અને ગ્રીસથી બર્મા સુધી બૌદ્ધ ધર્મના પ્રસારમાં સમ્રાટે મહત્વની ભૂમિકા ભજવી હતી. અશોકે પોતાને વચન આપ્યું હતું કે તે ક્યારે ય હિંસાના માર્ગ પર નહીં ચાલે. તેણે સામ્રાજ્યના લશ્કરી વિસ્તરણનો અંત આણ્યો અને આ કારણોસર અશોકના રાજ્યારોહણ પછી કલિંગ યુદ્ધ પ્રથમ અને છેલ્લું યુદ્ધ બન્યું.

એટલા માટે તેને મહાન અશોક કહેવામાં આવે છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 07 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

9 January 2024 Vipool Kalyani
← મામા નાથાલાલ દવેનાં સ્મરણો  
શું ન્યાય, પીડિત કે ગુનેગારના ધર્મ / જાતિના આધારે લાગુ થાય તો તે બંધારણની હત્યા નથી? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved