Opinion Magazine
Number of visits: 9446647
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખરેખર અનોખા પાત્રોનાં શબ્દચિત્રો

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|7 January 2024

પુસ્તક પરિચય 

દેશ-વિદેશના ગુજરાતી વાચકોમાં જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા ‘અનોખાં જીવનચિત્રો’ પુસ્તકમાં ધૂળમાં પડેલા રતન સમા કેટલાક મનેખને ઉપસાવે છે.

એટલે જિંદગીના એક મકામ પર કામગીરી-કસબ-કામિયાબીને કારણે પોંખાયેલા, પછી ગુમનામ થઈ ગયેલા અને લેખક સાથેની મુલાકાતના સમયે વિપદાગ્રસ્ત વિષણ્ણ વયવૃદ્ધનું જીવન વીતાવતાં ઉપેક્ષિતો અહીં છે.

દયાનંદ દેવગાંધર્વે 1960માં આકાશવાણીની અખિલ ભારતીય શાસ્ત્રીય સંગીત હરીફાઈમાં રાષ્ટ્રપતિ સન્માન મેળવ્યું છે. પગે પદ્મ લઈને સંગીતકળાને લગતાં અનેક મોભાદાર કામ કરતાં દેશ આખામાં ભમ્યા.

ઉદેપુરમાં 1942માં જન્મેલા દયાનંદને લેખક જૂનાગઢમાં મળે છે ત્યારે તેઓ દયાદાન પર જીવતાં ચરસ-ગાંજાના બંધાણી હોય છે, ‘જાગા શરાબખાનેમેં’ એ તેમની પોતાની પંક્તિ તેમને ખુદને હરહંમેશ લાગુ પડે છે.

લૅન્ડસ્કેપ અને પોર્ટ્રેટમાં રંગોની લીલા બતાવનાર જમનાદાસ પુરોહિતે દામોદરકુંડે ગોરપદાનો બાપીકો ધંધો ધરાર ન કર્યો. મુંબઈની જે.જે. સ્કૂલ ઑફ આર્ટસમાં પ્રવેશ મેળવ્યો, નાગપુરમાં નાટકના પડદા ચીતરવાનું કામ કર્યું, કલકત્તાનું કલાજગત ગજાવ્યું, જૂનાગઢના નવાબના ચિત્રકાર બન્યા.

કલામાં ઊંચાઈ અને જિંદગીમાં ઉમદાઇના કિસ્સા તેમને ખાતે જમા બોલતા હતા. આખરે જૂનાગઢની હવેલીમાં વીસ રૂપિયા પગારે રસોઇઆની નોકરી કરે છે.

છોંતેર વર્ષે આંતરડાના કૅન્સરનો ભોગ બનનારા આ ચિતારા મરણપથારીએથી એક ચબરખીમાં માંડ લખે છે : ‘આવતા ભવે રોમમાં જનમ લેવો છે’.

‘નામશેષ થઈ ગયેલી બહુરૂપી કલાના મહર્ષિ’ સમા નાનુભાઈ પર રાજસ્થાનના પ્રતાપગઢ સ્ટેટે 1943માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. તેમના અચંબાભર્યા અનેક રૂપોથી ‘છેતરાયેલા’ રાજા તેમની પર રાજી હતા.

આઝાદ ભારતમાં પછી પોલીસને વેશપલટાની તાલીમ માટે ચન્દ્રકો મેળવેલાં. પણ સમય જતાં સિનેમા નાટકના ધોધમાંથી આ બહુરૂપીનું મોતી ફેંકાઈ ગયું.

છોંતેર વર્ષના નાનુભાઈ વતન વલસાડ જિલ્લાના વતન અમલસાડમાં એક મંદિરના પૂજારી તરીકે પચીસ રૂપિયે મહિના પગારની નોકરી કરે છે અને કલાકાર-પેન્શન માટે સરકારી કચેરીએ ધક્કા ખાય છે.

ભાવનગરના હાસ્યકલાકાર શ્યામસુંદર પુરોહિતને કાલેલકર, જ્યોતિન્દ્ર, પેટલીકરે વખાણેલા, દેશવિદેશમાં કાર્યક્રમો કરીને કમાયેલા. પાસા અવળા પડતા રહ્યા ને પૈસા ગુમાવતા રહ્યા.

દીકરા અને દીકરીના ભાંગેલાં ઘર સંભાળતા રહ્યા. સિત્તેરમા વર્ષે ય ભાડાના જીર્ણ ઘરમાં રહેતા અને કલાકાર તરીકે મળતા છસ્સો રૂપિયાના પેન્શન પર રોડવતા.

‘જનમદુખિયા’ લાભશંકર દવેએ બાળપણથી ખૂબ કષ્ટ વેઠ્યા બાદ મુંબઈના લાયબંબા ખાતામાં નોકરી દરમિયાન માઝગાવ ડૉકમાં એપ્રિલ 1944માં લાગેલી સદીની સહુથી ભીષણ આગમાં બચાવકાર્ય કર્યું હતું.

રાજકોટ ફાયરબ્રિગેડના સુપરિન્ટેડન્ટ લાભશંકરે 1955માં મોરબીમાં લાગેલી એક ભીષણ આગમાં ઓગણીસ કલાકની જહેમતથી પચાસ જીવ બચાવ્યા હતા. તે બદલ તેમને રાષ્ટ્રપતિ ચન્દ્રક એનાયત થયો હતો.

પણ પછી મોરબી હોનારત, ઘરમાં ચોરી અને થાપામાં ઇજાની લાંબી મોંઘી સારવારે તેમને કફલ્લક બનાવી દીધા. મિડવાઇફની નોકરી કરતાં પત્ની નિવૃત્ત થયાં. તેમને શબ્દશ: છાલિયું લઈને મંદિરે ઊભાં રહેવાનો અને નિરાધારોના કેન્દ્રમાં રહેવાનો વારો આવ્યો.

ભૂલાઈ ગયેલા સિદ્ધિવંતો પરના લેખોમાં સર્વોત્કૃષ્ટ તે ‘વનેચર’ અર્થાત વ્યાયામવીર, અધ્યાપક વહીવટકર્તા, જ્ઞાનવ્યાસંગી સંશોધક-લેખક, પ્રકૃતિવિદ હરિનારાયણ આચાર્યનો ચરિત્રલેખ.

એવા જ વંદનીય સાક્ષર ભગવદ્દગોમંડલ શબ્દકોશના કર્તા ચંદુલાલ બહેચરદાસ પટેલ. તેમનું ચરિત્ર સમાવેશક થાય એવી અપેક્ષા પૂરી થતી નથી.

‘શબ્દયોગી’ લેખ ચંદુલાલ પર કેન્દ્રિત થવાને બદલે કોશના રાજા ભગવતસિંહનું મહિમાગાન, કોશના પ્રકાશનની વિગતો તેમ જ વિનેશ, કે.સી.પટેલ, ગોપાલ પટેલ જેવા પાત્રોમાં વિખરાઈ જાય છે.

વિખ્યાત ગાયક-સંગીતકાર મહેન્દ્ર કપૂર પરના 36 પાનાંમાં કલાકાર માહિતીના ખડકલા વચ્ચે અને પછી મર્યાદિત વાચકોને રસ પડે તેવી દીર્ઘ મુલાકાતમાં અટવાય છે.

કવિ પ્રદીપ પરના લેખમાં જીવનચિત્ર કરતાં ‘ઐ મેરે વતન કે લોગોં’ અને બીજા એક ગીતની કથા કહેવાઈ છે. મુબારક બેગમની જિંદગીની દુ:ખની અને ‘મંગેશકર બહેનોના દબાણ’ હેઠળ થયેલી તેની ઉપેક્ષાની કથની મળે છે.

‘જૂના બૂરજનો છેલ્લો કાંગરોમાં’ લેખકે મીરાણી ખતુબાઈ અને તેનાં સાસુ નૂરબાઈનું વ્યક્તિચિત્ર આલેખવા ધાર્યું છે જે મહદંશે સામંતશાહી માહોલનું ચિત્ર બને છે. અહીં લેખકની વર્ણનકળાની જે  ઊંચાઈ છે તે અદ્દભુત માત્રામાં ‘ભગવાનની ભલામણચિઠ્ઠી’માં પણ મળે છે.

દીર્ઘ ચરિત્રો તરીકે લેખકના પિતા દેવશંકરભાઈ અને વડનગરના સેવાસમર્પિત ડૉક્ટર વસંત મિસ્ત્રી સરસ રીતે આલેખાયા છે. 

શબ્દવૈભવ, ઉપમાઓ, ઝીણવટભર્યાં નિરીક્ષણો, ચિત્તાકર્ષક વર્ણનો લેખકની ખાસિયતો છે. રજનીકુમારની રજૂઆત સુરેખ રેખાચિત્ર કે પૂરા કદના ચરિત્રલેખ કરતાં કોલાજ પ્રકારની છે. તેઓ મુલાકાતના હિસ્સા, સંભારણાં, કલ્પનો અને પ્રતીમાઓ (ઇમેજેસ અને ઇમ્પ્રેશન્સ) પોતાની ડિઝાઈન મુજબ ગોઠવે છે.

અલબત્ત, આ ચિત્રોમાં વાચક અનુભવી શકે એવો લાગણી તેમ જ માનવતાનો સતત અને સહજ સ્પર્શ શિરમોર છે. પુસ્તકની પ્રસ્તાવના તરીકે પર વિવેચક જશવંત શેખડીવાળાનો વિસ્તૃત આસ્વાદલેખ મળ્યો છે. પુસ્તકના સોળ ‘જીવનચિત્રો’ અહીં સંપાદક રતિલાલ બોરીસાગરે અહીં લેખકના આઠ પુસ્તકોમાંના 114 ‘ચરિત્રનિબંધો’માંથી પસંદ કર્યાં છે. 

‌‌—————————–

‘અનોખાં જીવનચિત્રો’(ઑક્ટોબર 2023) – આદર્શ પ્રકાશન, 1760, ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ 380 001 – રૂ. 250/- 

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર પુસ્તક ભંડાર, સંપર્ક : 79-6587949, 98797-62263   

[625 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 જાન્યુઆરી 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

7 January 2024 Vipool Kalyani
← ચૂંટણી 2024: મતદારોને છેતરી શકે છે AIના ડીપફેક્સની માયાજાળ; લોકશાહી પર નવું જોખમ
જો નવું અપનાવવું હોય તો ગળથૂથીમાં મળેલું છોડવું પડે, જે ઘડીકમાં છૂટતું નથી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved