Opinion Magazine
Number of visits: 9449148
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અળવીતરી નવલકથાઓનો પરિચય’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|24 December 2023

પુસ્તક પરિચય

·       અમેરિકન લેખક જોનાથન ફોઅરની On Tree of Codes ‘એક નવલકથામાંથી કોતરી કઢાયેલી બીજી નવલકથા’ છે. તે શબ્દશ: કોતરકામથી બનેલી છે. 

·       ચેક ભાષાના નવલકથાકાર બોહુમિલ હૃબાલની Dancing Nature for the Advanced in Age એ 117 પાનાંની, છેલ્લે પણ પૂર્ણવિરામ વગરની એક જ વાક્યમાં લખાયેલી એપિસોડિક નવલકથા છે. 

·       અમેરિકન લેખક વૉલ્ટર અબિશની The New Meaning નવલકથા 99 લેખકોમાંથી દરેકની કૃતિનો  એક-એક અંશ પસંદ કરીને ‘લેખકે પોતે ન લખેલી નવલકથા’ છે. 

·       કૅનેડિયન કવિ ડેરેક બૌલી ‘લેખક’ નહીં, પણ ‘ભૂંસક’ છે. તેમણે A, A Novel નામની નવલકથામાં ચિત્રકાર એન્ડી વૉરેલની એ જ નામની નવલકથામાંથી વાક્યો ભૂંસી નાખીને માત્ર વિરામચિહ્નો અને કૌંસમાંના લખાણો રાખીને નવલકથા બનાવી છે. 

બાબુ સુથાર

ઉપરોક્ત નવલકથાઓ વિશે ફિલાડેલ્ફિયા-સ્થિત સાહિત્યકાર બાબુ સુથારના ‘અન્યત્ર’ પુસ્તકમાં વાંચવા મળે છે. ગયાં પચાસેક વર્ષમાં પ્રસિદ્ધ થયેલી વિશ્વસાહિત્યની આવી ‘અળવીતરી નવલકથાઓનો પરિચય’ આપતા લેખોના આ સંગ્રહમાં બીજી પણ અરૂઢ નવલકથાઓ છે.

તેમના વિશેના લેખોના શીર્ષક સૂચક છે : ‘એક સમકાલીન પુરાણકથા’, ‘કથાનું વાસ્તવિકતામાં રૂપાંતર’, ‘એકમાં અનેક નવલકથાઓ’, ‘પ્રયોગ વડે ભાષા પરનો કાટ દૂર કરવાનો પ્રયાસ’ ‘વાચકને જ પાત્ર બનાવી દેતી નવલકથા’, ‘વિરામચિહ્નોના સૂનકારની નવલકથા’, ‘અક્ષરલોપની નવલકથા’, ‘શબ્દકોશના સ્વરૂપમાં નવલકથા’.

આવી નોખી ટેકનિક્સ ઉપરાંત, મોટા ભાગની નવલકથાઓનાં વસ્તુ અજૂગતા કપોળકલ્પિત-ફૅન્ટસી પર આધરિત છે, જેમ કે ‘જો બાળક રાજા બને તો…’, ‘કેવળ પુરુષોને લાગતો ચેપ’, ‘તૈણ ઇંચના મહારાજા’, ‘પત્ની શિયાળ બની ગઈ’, ‘મરણ માણસ બને ત્યારે’, ‘રાક્ષસ ગણિતનો શિક્ષક’, ‘હું એક બિલાડો છું’, ‘કૂતરાના માથાવાળા માણસની વાત’. 

આવાં કુતૂહલજનક મથાળાં ભાષાવિજ્ઞાનના પૂર્વ અધ્યાપક બાબુ સુથાર(બાસુ)ના લેખન-કસબની એક ખાસિયત છે. મથાળાને કારણે વાચક, બાસુએ પોતાની નોંધમાં જેને ‘પ્રયોગશીલ અને રાજકીય’ નવલકથાઓ કહી છે, તેને લગતા પરિચય / આસ્વાદ વાંચવા પ્રેરાય છે.

તેમાં પોણા ભાગની યુરોપિયન લેખકોની છે. ‘મમતા’ સામયિકમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલા લેખોનું આ પુસ્તક વાંચતા ધ્યાનમાં આવે છે કે તેમાં નિરૂપિત તમામ 54 નવલકથાઓ બિલકુલ બિનપરંપરાગત છે. મોટા ભાગના વાચકો નવલકથા આવી હોઈ શકે એવું કલ્પી પણ શકતા નથી. અનેક સ્વરૂપો અને કથનપદ્ધતિઓ મળે છે : પશુકથા, બોધકથા, કિશોરકથા, જીવનકથામૂલક નવલકથા, કાલ્પનિક જીવનકથા, પ્રતિનવલકથા, આંતરચેતનાની નવલકથા, ગ્રાફિક નૉવેલ, મૅજિક રિઆલિઝમ પર આધારિત નવલ, દ્વિતીય વ્યક્તિ કથન, લેખકે ખુદ પર લાદેલાં ભાષાકીય નિયંત્રણો હેઠળ લખાયેલી કથા અને અન્ય.

બાસુએ Dictionary of Khazars નવલકથાની બાબતમાં કહ્યું છે તે મોટાભાગની નવલકથાઓને લાગુ પડે છે : ‘આ નવલકથા પરંપરાગત નવલકથાએ ઘડેલી નવલકથા વાંચવાની આપણી રીતને પડકારે છે.’ બાસુના લેખો પરથી કૃતિઓની દુર્બોધતાનો ઠીક અંદાજ મળે છે. તેઓ એકાધિક વખત મતલબનું લખે છે કે ‘લેખનને જાણી જોઈને દુર્બોધ બનાવો’ એ અનુઆધુનિકતાનું એક પ્રમુખ લક્ષણ છે.

પુસ્તકમાં ઘણી બધી બાબતો ગળે ન ઊતરે, તેમાં ટપ્પો ન પડે. વિવરણ વાંચતાં મૂંઝાઈ જવાય, ટેકનિક ધ્યાનમાં લેતાં અંજાઈ જવાય. પણ બાસુની રજૂઆત, ભાષા અને શૈલી એવી છે કે, A School of Fools નામની રશિયન નવલકથાની બાબતમાં તેમણે લખ્યું છે તેમ – ‘સમજાય નહીં પણ વાંચવાની મજા આવે’.

અલબત્ત, લેખોની બાબતે આવું બને, પણ તે જેનો પરિચય આપે છે તેમાંની મોટાભાગની નવલકથાઓ એકંદર વાચક વર્ગ માટે દુર્બોધ હોય અને તેમના વિવિધ વિવેચકીય અર્થઘટનો વ્યક્તિસાપેક્ષ, કૃતક કે દુરાકૃષ્ટ હોય એવી સંભાવના નકારી શકાય નહીં. પુસ્તકના વસ્તુને અનુરૂપ મુખપૃષ્ઠ તરીકે રશિયન ચિત્રકાર Kazimir Malevichનું એબ્સ્ટ્રેક્ટ ચિત્ર છે.

‘અન્યત્ર’ની નવલકથાઓના વૈચારિક પ્રેરણાસ્થાનો પશ્ચિમના આધુનિક જ્ઞાનવિજ્ઞાન, કલા અને જીવનરીતિના ચિંતનપ્રવાહોમાં છે. ‘ધ ફૅક્ટરી’, ‘લાઇફ ફૉર સેલ’, ‘ઑડ જૉબ્સ’ અને ‘વેઇટિન્ગ ફૉર ધ બીસ્ટ્સ ટુ વોટ’ મુક્ત અર્થતંત્રના માનવ સંવેદનાને થતી હાનિ વિશે છે.

‘Les Gullierers’, ‘ધ એન્ડ ઓફ મેન’ અને ‘કાસાન્દ્રા’ એકંદરે નારીશક્તિ વિશે છે. ‘લોજિકોમિક્સ’ આધુનિક યુગના એક તબક્કામાં સત્યની શોધ માટે ગણિત, તત્ત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર ક્ષેત્રો વચ્ચે સત્યના શોધ માટે થયેલા સંઘર્ષનું નિરૂપણ કરે છે.

‘ધ મૅન સિટિંગ ઇન ધ કૉરિડોર’ કથામાં ‘કામેચ્છા અને મરણેચ્છા’, જ્યારે ‘ડૉલી સિટી’માં ‘ઉન્માદ અને માતૃપ્રેમ’ એકાકાર થાય છે. કેટલીક નવલકથાઓના બાસુ મૌલિક તેમ જ વિવેચકીય અર્થઘટનો આપે છે, જેમ કે ‘ટ્રી ઑફ કોડ્સ’અને ‘અ સ્કૂલ ઑફ ફૂલ્સ’.

બાસુના લેખોમાં પાને પાને સંદર્ભો / ઉલ્લેખો મળે છે. તેમાં ફ્રેન્ચ તત્ત્વજ્ઞ રેને જિરાર્ડ હોય અને ભોજો ભગત હોય, ‘યુલિસિસ’ નવલકથા માટેની વાચકમંડળો અને સરસ્વતીચન્દ્ર, દાન્તે, કાફકા, વૈષ્ણવજન – આ યાદી ખૂબ લાંબી થઈ શકે.

એક ફ્રેન્ચ નવલકથા વિશેના લેખનું મથાળું રાવજી પટેલની પંક્તિ છે. લેખકે સુરેશ જોષીની પ્રયોગશીલતાને ચાર વખત યાદ કરી છે. એક જગ્યાએ સોએક શબ્દોના ફકરામાં ત્રણ ગહન સંદર્ભો છે.

વિષયાંતરો પુસ્તકની સમૃદ્ધિમાં વધારો કરે છે. ‘આલ્ફાબેટિકલ આફ્રિકા’ પરના લેખમાં લેખકે સામે ચાલીને નિયંત્રણો વહોરી લીધા હોય એવા પુસ્તકોની યાદી છે. ગણિત અને સાહિત્યને જોડતી Oulipo ચળવળની માહિતી ચારેક નવલકથાઓ પરના લેખોમાં મળે. બીજા અનેક દાખલા આપી  શકાય. 

બાસુ પાસેથી અનેક રસપ્રદ નિરીક્ષણો મળે છે. તેમાંથી કેટલાંક આ મુજબ છે :

§  સરમુખત્યારશાહી વધી રહી હોય ત્યારે સર્જકે દેવો પાસે જવાને બદલે પશુઓ પાસે જવું જોઈએ. કેવળ પશુઓ જ આવી બોધકથાઓમાં આવીને આપણને મદદ કરી શકે. દેવો ભાગ્યે જ બોધકથાઓમાં ભાગ લેતા હોય છે. 

§  મુક્ત અર્થતંત્રના જમાનામાં વસ્તુઓનું સત્ય ઉપભોગથી નક્કી થતું હોય છે. 

§  આપણા મોટા ભાગના ગુજરાતી લેખકોને representationના સ્તર પર કોઈ કટોકટી દેખાતી નથી.

§  પૂર્વ યુરોપીય દેશોના કથાસાહિત્યમાં કદાચ સૌથી વધારે પ્રયોગો થયા છે. 

§  પશ્ચિમમાં અજ્ઞાનમુક્તિની ચળવળને પગલે લોકો ઇશ્વરની કલ્પના પર અવિશ્વાસ મૂકવા માંડેલા. બધાંને એમ હતું કે હવે ઇશ્વરની જરૂર નહીં પડે, ત્યાં જ ગ્લોબલાઇઝેશન આવ્યું; નવ્ય મુક્ત અર્થતંત્ર આવ્યું. એની સમાંતરે વિશ્વના ઘણા દેશોમાં જમણેરી સરકારો આવી. એ સાથે ઇશ્વરનું મહત્ત્વ પાછું વધી ગયું.

§  ગુજરાતી સાહિત્યમાં વાચનની બે પદ્ધતિઓ સ્થાયી થઈ છે. એમાંની એક પદ્ધતિ કૃતિને સામજિક દસ્તાવેજ તરીકે જુએ છે. બીજી પદ્ધતિ કૃતિને કલાના દસ્તાવેજ તરીકે જુએ છે. 

§  પશ્ચિમના વાચકોને આધ્યાત્મિક લેખન બહુ ગમતું હોય છે અને એશિયન લેખકો એમને જોઈએ એટલો જથ્થો પૂરો પાડતા હોય છે. 

§  ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં અમેરિકાના પ્રમુખપદે ચૂંટાઈને આવ્યા પછી સિનક્લેર લુઇસની It  Can’t Happen Here નવલકથાનો પુનર્જન્મ થયો. નવલકથાનું ફાસીવાદી નેતાગીરીવાળું અમેરિકામાં અસ્તિત્વમાં આવી ગયું.

દરિયાપારની ઓછામાં ઓછી ત્રણ રાજકીય નવલકથાઓ એવી છે કે જેમાં આપણને ભારતનું સાંપ્રત દેખાય. પુસ્તકમાંની પહેલી જ નવલકથા The Rabbit Rebellion વિશેના લેખનું મથાળું છે – ‘સરમુખત્યારોને ઉઘાડા પાડતી કથા’. 

તેનો પહેલો જ ફકરો છે : ‘સરમુખત્યારોને ત્રણ કામ ગમે – એક તો પોતાને નેતા જાહેર કરવાનું; બીજું તે પોતાના પ્રતિસ્પર્ધિઓનું નિકંદન કાઢવાનું અને ત્રીજું, તે પોતાના ફોટા પડાવી / ભાષણો કરી એ ફોટા / એ ભાષણો આખા રાજ્યમાં વહેંચતા કરવાનું.’ 

ફ્રેન્ચ નવલકથાકાર ઝાક જોયુની Mountain R નામની નવલકથામાં Republican Council નામના એક કાલ્પનિક રાષ્ટ્રની વાત છે. એ રાષ્ટ્રનો પ્રમુખ રાજધાનીમાં પંદરસો ફૂટ ઊંચો એક પોલો પર્વત બનાવવા માગે છે. એ કહે છે કે આપણું રાષ્ટ્ર સપાટ છાતીવાળી છોકરી જેવું છે. એ બહુ ખરાબ કહેવાય. આપણે એને એક સ્ત્રી જેવું બનાવવું પડશે.

રશિયન લેખક યેવગે ઝામિએતિનની We નામની નવલકથા, જ્યૉર્જ ઑરવેલની ખૂબ ચર્ચાયેલી 1984 નવલકથાની જનેતા જેવી છે. તેમાં  લેખક એક યુટોપિયા અર્થાત આદર્શ રાજ્યની કલ્પના કરે છે જેના માટે બાસુ ‘રામરાજ્ય’ શબ્દ વાપરે છે. 

આ રામરાજ્ય એક જ સિદ્ધાંત પર કામ કરે છે – સુખ અને વ્યક્તિસ્વાતંત્ર્ય એક સાથે ન રહી શકે; અને આ રાજ્યે એના નાગરિકોને કેવળ સુખ જ આપવાનું નક્કી કર્યું છે, એને કારણે આ  રાજ્યમાં કોઈને કંઈપણ સ્વતંત્રતા નથી. 

અહીં પરિવૃત્તચિહ્ન, વ્યાધિપંડિત, વિડંબના, વ્યસ્તાક્ષર, વર્ણવિપર્યય, અશ્રદ્ધેય કથક જેવા શબ્દો આવે; અને તૈણ શિયાળભાઈ, કૂંપળબહેન જેવા શબ્દો, ‘માણસ ગંધાય માણસ ખાઉં’, ‘તેરા પીછા ન છોડૂંગા’ જેવા વાક્યો પણ આવે.

અલબત્ત, વ્યાકરણની કર્તાવાચક સંજ્ઞા ‘પહેલો પુરુષ’ / ‘બીજો પુરુષ’ તેના જેન્ડર બાયસને કારણે (પ્રથમ વ્યક્તિ જેન્ડર ન્યુટ્રલ છે) અને ‘કાળિયાઓ’ શબ્દ દેખીતી રીતે જ ખટકે છે. અલબત્ત, અઘરી વાતને શક્ય એટલી સરળ અને રોચક રીતે મૂકવાનો પદાર્થપાઠ આ પુસ્તકમાંથી મળે છે. પણ પુસ્તકમાં જેનો પરિચય મળે છે તે નવલથાઓ પણ એવી હશે કે કેમ એ વાંચ્યે જ ખબર પડે. ખબર પડે પણ ખરી, અને ન પણ પડે!

‌‌‌‌‌‌‌‌‌‌‌‌———————— 

પ્રકાશક : Zen Opus, પાનાં 189, રૂ.275/-

સંપર્ક :  contact@zenopus.in  / www.zenopus.in 

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર પુસ્તક ભંડાર,  079-26587949, 9898762263

[1,150 શબ્દો] 
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 ડિસેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

24 December 2023 Vipool Kalyani
← મણિપુર હિંસા, સોમા લૈશરામ અને ફૂટબોલ : આઓ લકીરેં મિટાયેં
લોકો શું ખરેખર અબુધપણે સરળીકરણ સ્વીકારતા હોય છે? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved