Opinion Magazine
Number of visits: 9447280
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ સ્વતંત્રતાથી ડરે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 October 2023

રમેશ ઓઝા

વીસમી સદીના મોટા ફિલસૂફ બર્ટ્રાન્ડ રસ્સેલનું ‘અનપોપ્યુલર એસ્સેઝ’ નામનું પોપ્યુલર પુસ્તક છે. એ પોપ્યુલર એટલા માટે છે કે એ સમજવામાં અઘરું પડે એવું શુદ્ધ તત્ત્વજ્ઞાનનું પુસ્તક નથી, પણ એમાં સામાજિક પ્રશ્નો વિશેની વાત છે અને અનપોપ્યુલર એટલા માટે છે એમાં રસ્સેલે જે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે એ ચોક્કસ માન્યતાઓગ્રસ્ત લોકોને માફક ન આવે એવા છે. એમાંના એક નિબંધમાં રસ્સેલે કહ્યું છે કે ઈશુનાં ત્રણસો વર્ષ પહેલાં થયેલા ગ્રીક ફિલસૂફ એરીસ્ટૉટલ કહીને ગયો હતો કે પુરુષનાં મોઢામાં ૩૨ દાંત હોય છે અને સ્ત્રીનાં મોઢામાં ૨૮. એરીસ્ટૉટલની આ વાતને સદીઓ સુધી કોઈએ પડકારી નહોતી, કારણ કે એરીસ્ટૉટલે એમ કહ્યું હતું. અજ્ઞાનીએ જ્ઞાનીને પડકારવાની મૂર્ખતા ન કરવી જોઈએ અને એમાં જ તેની નમ્રતા છે. જો પાત્રતા હોય તો જ્ઞાનીની વાતને ગ્રહણ કરવી જોઈએ. સદીઓ સુધી નમ્રતાપૂર્વક ગ્રહણ કરવામાં આવ્યું કે પુરુષને ૩૨ દાંત હોય છે અને સ્ત્રીને ૨૮. સદીઓ સુધી કુતૂહલ ખાતર પણ કોઈને એમ ન થયું કે ચાલો એકવાર પોતાનાં અને પત્નીનાં દાંત ગણી જોઈએ. કોઈ સ્ત્રીને પણ વિચાર ન આવ્યો કે પોતાનાં દાંત ગણી જોઈએ.

અને એરીસ્ટૉટલ? એરીસ્ટૉટલે આમ કહેતા પહેલાં પોતાનાં, પોતાની પત્નીનાં અને બીજા કેટલાક લોકોનાં દાંત ગણી લેવા જોઈતા હતા. ખાતરી કર્યા વિના સાવ અદ્ધર આવી વાત કરી? પણ કરી શકે. જ્યારે તમે કોઈને અધિકારી ગણીને અધિકાર આપો, તેના અધિકારનો આદર કરો અને તેના અધિકારને તાબે થાવ ત્યારે અધિકારી પોતાનું અધિકારક્ષેત્ર વિસ્તારવા માંડે છે. આ માનવ સહજ દોષ છે અને એમાં જો કહેવાતો અધિકારી ધૂર્ત હોય તો તો પૂછવું જ શું? ધર્મગુરુ ધર્મ પર અધિકાર ધરાવે છે, સમાજના કહેવાતા શ્રેષ્ઠીઓ સમાજના હિત પર અધિકાર ધરાવે છે અને નેતાઓ દેશહિત પર અધિકાર ધરાવે છે. લોકોએ નમ્રતાપૂર્વક તેમની વાત ગ્રહણ કરવી જોઈએ અને તેમાં જ તેમનું હિત છે. શંકા અને પડકાર? અરે હોતું હશે! એ તો મહાપાતક કહેવાય.

જ્યારે અધિકારીનાં કથનને કોઈ પડકારે નહીં ત્યારે અધિકારી પોતાની સત્તા વિસ્તારવા માંડે છે લોકોને મૂર્ખ બનાવવાનું તેનું સાહસ વધવા માંડે છે તે માતેલા સાંઢ જેવો થવા લાગે છે. અતિરેકો કરવા લાગે છે. યુરોપમાં એવું જ બન્યું. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મગુરુઓ સ્વર્ગની લાલચ આપીને, પ્રજાને ડરાવીને અને રડાવીને સમગ્ર સમાજ પર કબજો જમાવવા માંડ્યા તે ત્યાં સુધી કે રાજાઓને પણ ચર્ચને તાબે કરવામાં આવ્યા. આધુનિક રાષ્ટ્રવાદે પ્રજા માટે લાલચ, ડર, રુદનનું રસાયણ મધ્યકાલીન ચર્ચ પાસેથી ઉછીનું લીધું છે જેની વાત આગળ આવશે. તેઓ ધર્મગ્રન્થનો ઉપયોગ કરતા હતા અને રાષ્ટ્રવાદીઓ ઇતિહાસનો ઉપયોગ કરે છે. ધર્મવચન ઈશ્વરનું છે કે કોઈ બીજાનું એની તમે ખાતરી ન કરી શકો અને ઇતિહાસ રાષ્ટ્રવાદીઓ કહે છે એવો જ અને એ રીતનો જ હતો એની પણ તમે ખાતરી ન કરી શકો. ટૂંકમાં જેની ખરાઈની ખાતરી જ ન  કરી શકો એના નામે ડરાવો, રડાવો, લાલચ આપો અને પોરસાવો.

પણ એમાં સમયે યુરોપમાં કરવટ બદલી. અતિરેક પરિવર્તનને જન્મ આપે છે. કોઈકના કહેલા કથનને એમ ને એમ સ્વીકારવા કરતાં ખરાઈની પ્રત્યક્ષ ખાતરી કર્યા પછી સ્વીકારવામાં આવેલું કથન વધારે ટકોરાબંધ હોય છે. પેલું કોરું કથન છે અને આ તથ્ય આધારિત છે. કથન તથ્યની જગ્યા ન લઈ શકે. વિચાર સ્ફૂર્યો અને દાદા ધર્માધિકારી કહેતા એમ વિચાર અપૌરુષેય હોય છે. પ્રજા ઘૂંટણ અનુભવતી હોય ત્યારે પ્રજા માટે શ્રેયસ્કર વિચાર એ વિચાર કરનાર વ્યક્તિનો રહેતો નથી એ હવાની જેમ ફેલાય છે. આમાંથી એક આંદોલન પેદા થયું જે નવજાગરણ (renaissance) તરીકે ઓળખાય છે.

પાંચસો વર્ષ ચાલેલા નવજાગરણ આંદોલનનાં મુખ્યત્વે બે પાસા હતા. અથવા એમ કહો કે સાર હતો. એક દરેક કથનને ચકાસો, ખરાઈની પ્રત્યક્ષ ખાતરી કરો અને પછી જ સ્વીકારો. દેખીતી રીતે આને માટે શંકા કરવી રહી, પ્રશ્નો પૂછવા રહ્યા અને વિચારવું રહ્યું. બે. ઈશ્વરે કોઈને કોઈના વતી કોઈ અધિકાર આપ્યો નથી. તમારાં જીવનનાં અધિકારી તમે સ્વયં છો. તમે સ્વયં શંકા કરો, પ્રશ્ન કરો, વિચારો, પ્રત્યેક કથનને ચકાસો, ખરાઈની ખાતરી કરો અને પછી જ સ્વીકારો અને માત્ર સ્વીકારો નહીં, હિંમતપૂર્વક અસ્વીકાર પણ કરો. આનો શું અર્થ થયો? શ્રદ્ધાની જગ્યાએ બુદ્ધિ સ્થાપિત થઇ, સમૂહની જગ્યાએ વ્યક્તિ સ્થાપિત થઈ અને કહેવાતા અધિકારીઓએ અધિકાર ગુમાવ્યો.

આ પરિવર્તન થવું અને સ્વીકારવું આસાન નહોતું. બન્ને માટે નહોતું. જેમણે અધિકાર ગુમાવ્યો એ ધર્મના, સમાજના કે પરિવારના પુરુષ ઠેકેદારો માટે પણ નહીં અને જેમણે અધિકાર મેળવ્યો એ સમૂહમાંથી આકાર પામેલી વ્યક્તિ માટે પણ નહીં. બન્નેની પોપોતાની કઠણાઈ હતી. અધિકાર ગુમાવનારા ઠેકેદારો દેખીતી રીતે અસૂયા અનુભવતા હતા. જેને સદીઓ સુધી તાબે રાખ્યા એ પ્રશ્ન કરે? સ્વતંત્ર નિર્ણય લે? અને જેઓ સ્વતંત્ર થયા એ સ્વતંત્રતાથી ડરતા હતા. આખરે પરિણામની જવાબદારી એની હોય જે નિર્ણય લે. હું મારા જીવનની દરેક બાબતે ખુદ નિર્ણય લઉં અને તે ખોટો પડ્યો તો? કોઈ અધિકારી માણસ આપણા વિષે નિર્ણય લે અને તે જો ખોટો પડે તો તેનું પરિણામ ભોગવવું સહેલું છે કારણ કે બીજા પર દોષારોપણ કરી શકાય પણ જો પોતાનો નિર્ણય પોતે લીધો હોય તો આવું બહાનું પણ ન મળે.

ટૂંકમાં યુરોપનાં પુનર્જાગરણનાં આંદોલને જેને જગાડ્યો, બેડીમુક્ત કર્યો, સ્વતંત્ર કર્યો એ અવલંબન વિના ચાલતા ડરતો હતો અને જેમનાં અધિકારો છીનવાઈ ગયા અને દબદબો ગુમાવી દીધો એ દુઃખી હતા. ઉંદર બિલાડીની રમત હતી, પણ ઊલટી. ઊંદરને બિલાડીનાં મોંમાં જવાબદારીમુક્ત જીવનનું સુખ મળતું હતું અને બિલાડીને તો ઉંદર જોઈતો જ હતો. પણ પેલા નવજાગરણનો જયઘોષ એટલો પ્રચંડ હતો, સ્વતંત્રતાનો ઉમંગ અને ઉત્સાહ એટલા પ્રચંડ હતા, સમાજમાં અને રાષ્ટ્રોમાં પરિવર્તનો એટલાં ઝડપથી થઈ રહ્યાં હતાં, વિમર્શ એટલો વ્યાપક હતો કે જેણે અધિકાર ગુમાવ્યો એ શિકારી અને જે સ્વતંત્રતાથી ડરતો હતો એ શિકાર બન્ને ખોંખારો ખાઈને કહી નહોતા શકતા કે હા અમારો અધિકાર કાયમ રહેવો જોઈએ અને જેને અધિકાર મળ્યો એ કહી નહોતા શકતા કે અમને સ્વતંત્રતાનો ડર લાગે છે.

એક પ્રકારની વિચિત્ર સ્થિતિ હતી. લેનારો લેતા ડરતો હતો, ગુમાવનારો દુઃખી હતો અને  અપાવનારાઓ ઉમંગમાં હતા. પરિવર્તનનું આંદોલન તેની પૂર્ણ કળાએ ખીલ્યું હતું.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 01 ઑક્ટોબર 2023

Loading

1 October 2023 Vipool Kalyani
← ગાંધીજી પરની કવિતાઓનો તાજગીસભર સંચય
મહાત્માને મન સત્ય જ ઈશ્વર છે … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved