Opinion Magazine
Number of visits: 9446329
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજિન્દર પુરી : લોકશાહીના પીંછીધારી ચોકીદાર

બીરેન કોઠારી|Profile|18 March 2015

એક દૃશ્યની કલ્પના કરો. વડાપ્રધાન નરસિંહરાવ અને વિરોધપક્ષના નેતા એલ.કે. અડવાણી ટેબલ પર કોણી ટેકવીને પંજા લડાવી રહ્યા છે. મુદ્દો છે અયોધ્યાનો. બન્નેના ચહેરા પર એકબીજાને પરાસ્ત કરી દેવાના ભાવ છે. પણ એ જ ટેબલની નીચે એ બંને એકબીજા સાથે બીજો હાથ મિલાવી રહેલા દેખાય છે.

બીજું દૃશ્ય. વડાપ્રધાન મનમોહનસિંહ અને વિરોધપક્ષના નેતા અડવાણી બૉક્સિંગનાં ગ્લવ (મોજાં) હાથે ચડાવીને, ચડ્ડાભેર કમરેથી ઝૂકેલા ઊભા છે. તેમનાં ગ્લવ જમીન પર ટેકવાયેલાં છે. બન્નેના બાવડાના ગોટલા ફૂલેલા છે અને તેઓ એકબીજા સામું ઘૂરકિયાં કરે છે. બન્ને એકબીજાને કહે છે, “એક વાર આ ગ્લવનું વજન ઊંચકી શકાય અને એને ઊંચાં કરી શકાય તો તમારી વાત છે!”

હજી એક દૃશ્ય. વિશ્વના વિવિધ દેશોનાં બાળકોમાં અત્યંત લોકપ્રિય પાત્ર હેરી પૉટર થોડાં મુસ્લિમ બાળકોથી વીંટળાયેલો ઊભો છે. આ જોઈને બે સશસ્ત્ર તાલીબાનો કહે છે, “(અમેરિકાના પ્રમુખ) જ્યૉર્જ બુશ સાથે કામ પાર પાડવું સહેલું હતું, પણ આ હેરી પૉટરનું શું કરીશું?”

ઉપર વર્ણવ્યાં એ દૃશ્યો કાલ્પનિક છે, પણ આ કલ્પના છે વિખ્યાત કાર્ટૂનિસ્ટ રાજિન્દર પુરીની. તીખો અને વેધક કટાક્ષ ધરાવતાં રાજકીય કાર્ટૂનો બનાવવા માટે ખ્યાતનામ આ કાર્ટૂનિસ્ટનું ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ ૮૦ વર્ષની વયે અવસાન થયું.

રાજકીય કાર્ટૂનો ચીતરવા માટે માત્ર કળાનું જ્ઞાન પૂરતું નથી. તેના માટે વિશિષ્ટ અંતઃદૃષ્ટિ અને કોઈ પણ મુદ્દાને મૂળથી પામવાની ઊંડી સમજણ જોઈએ. આ બધાની સાથે-સાથે તેનામાં ઠંડી નિષ્ઠુરતા પણ જોઈએ. કોઈ અગ્રણી અખબારના તંત્રીલેખમાં ઓછામાં ઓછા શબ્દોમાં મહત્ત્વના મુદ્દાઓને આવરી લઈને એક દૃષ્ટિકોણ આપવામાં આવે છે. બિલકુલ આવું જ કાર્ય કાર્ટૂનિસ્ટે પીંછી વડે કરવાનું હોય છે.

દેશના સ્વાતંત્ર્યોત્તર કાળમાં કે. શંકર પિલ્લાઈ જેવા કાર્ટૂનિસ્ટે આ ભૂમિકા સારી પેઠે બજાવી. આર.કે. લક્ષ્મણ કાર્ટૂનિસ્ટ તરીકે લોકપ્રિય વધુ થયા, પણ તેમની મુખ્ય ઓળખ રાજકીય કરતાં સામાજિક કાર્ટૂનિસ્ટ તરીકે બની. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના કાર્ટૂનિસ્ટ ઈ.પી. ઉન્નીએ લખ્યું છે એમ, ‘આર.કે. લક્ષ્મણ અને રાજિન્દર પુરી વચ્ચે પેડર રોડ અને પાર્લામેન્ટ્‌ સ્ટ્રીટ જેટલો ફરક હતો.’ શંકરના હાથ નીચે ઘણા કાર્ટૂનિસ્ટો તૈયાર થયા. રાજકીય કાર્ટૂન ક્ષેત્રે અબુ અબ્રાહમ, ઓ.વી. વિજયન તેમ જ રાજિન્દર પુરીની ત્રિપુટીએ ઘણી પ્રતિષ્ઠા મેળવી. ત્રણેયની શૈલી તદ્દન ભિન્ન હતી, પણ તેમનાં રાજકીય કાર્ટૂનોમાં રહેલા વ્યંગ્યની ધાર એવી તેજ હતી કે ઊંડો ઘા કર્યા વિના છોડે નહીં. આમાંથી અબુ અને વિજયન શંકરના હાથ નીચે તૈયાર થયેલા હતા, જ્યારે રાજિન્દ્ર પુરી આપસૂઝથી કાર્ટૂનિસ્ટ બન્યા હતા. તેમના એક ભાઈ ચિત્રકાર હતા, જ્યારે રાજિન્દરને ટેનિસ અને કુસ્તીમાં વધુ રસ હતો. કાર્ટૂન ચીતરતા થયા પછી તેમણે ભલભલા મહારથી નેતાઓને પોતાનાં કાર્ટૂનોમાં ધ્વસ્ત કર્યા હતા.

૧૯૩૪માં કરાંચી(હાલ પાકિસ્તાન)માં જન્મેલા રાજિન્દર પુરી ‘ધ સ્ટેટ્‌સમેન’ દ્વારા ૧૯૫૬-‘૫૭માં કારકિર્દીનો આરંભ કર્યા પછી ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાંનાં અખબાર ‘ગ્લાસગો હેરલ્ડ’ તથા ‘ધ ગાર્ડિયન’ સાથે વારા ફરતી જોડાયા. ૧૯૫૯માં ભારત પાછા આવીને તે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં જોડાયા. નહેરુનો પ્રભાવ ત્યારે દેશવ્યાપી હતો, પણ પુરીનો ઝુકાવ લોહિયાની વિચારસરણી તરફ હતો.

જવાહરલાલ પછી ઇન્દિરા ગાંધીનો યુગ શરૂ થયો ત્યારે ઇન્દિરા ગાંધીની આપખુદશાહી સામે પુરીએ વેધક કાર્ટૂનો બનાવવા માંડ્યા. તેમનાં રેખાંકનો તદ્દન સાદાં હતાં. પાત્રો સિવાયના અવકાશમાં જરૂરી બાબતો સિવાયની ઝીણવટભરી બારીકીઓ તે ભાગ્યે જ દર્શાવતા. આની સરખામણીએ મારીઓ અને લક્ષ્મણનાં ચિત્રાંકનોમાં ઝીણવટ ઘણી રહેતી. પુરીનાં ચિત્રાંકનોની રેખાઓ કોમળ અને વળાંકયુક્ત નહીં, પણ મોટે ભાગે સીધી અને જાડી રહેતી. વળાંકોમાં ગોળાઈને બદલે તે અણિયાળા ખૂણા બનાવતા હોવાને કારણે તેમનાં ચિત્રાંકનોમાં એક પ્રકારની કઠોરતા જણાતી. એવી જ નિષ્ઠુરતા અને વેધકતા આ ચિત્રાંકનો સાથે લખાયેલા શબ્દોમાં રહેતી. શાસક વિરોધી અભિગમ તેમનો સ્થાયી ભાવ હતો, જે તંદુરસ્ત લોકશાહી માટે અત્યંત આવશ્યક ગણાય.

રાજકીય કાર્ટૂનિસ્ટ, લેખક અને રાજકીય કાર્યકર્તા – એમ ત્રણેય પાસાંઓ તેમનામાં સમતોલપણે હતાં. તેમણે લખેલું પુસ્તક ‘ઇન્ડિયા ૧૯૬૯ ઃ ક્રાઇસિસ ઑફ કૉન્સિયસ’ અનન્ય કહી શકાય એવું પુસ્તક છે, જેમાં તેમણે વિવિધ નેતાઓના ‘અંતરાત્મા’ વિષે પ્રકરણવાર ટિપ્પણી કરી છે. છોગામાં તેમનાં ધારદાર કાર્ટૂન તો ખરાં જ. આ ઉપરાંત તેમનાં લખાણોનાં પાંચેક પુસ્તકો છે. ‘સ્ટર વીકલી’ નામના સાપ્તાહિકનું તંત્રીપદ પણ તેમણે સંભાળ્યું હતું.

તે સક્રિય રાજકારણ સાથે પણ સંકળાયા અને ૧૯૭૭માં જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા. ત્યાર પછી થોડો સમય લોક દળ અને ભા.જ.પ.માં પણ રહ્યા. જો કે, ૧૯૮૮માં તેમણે રાજકીય પક્ષો સાથે છેડો ફાડી નાખ્યો, પણ કાર્ટૂન દ્વારા રાજકારણ પર ધારદાર ટિપ્પણીઓ ચાલુ રાખી.

ઇન્દિરા ગાંધી અને ત્યાર પછી રાજીવ ગાંધીના શાસનકાળ દરમિયાન પુરીની પીંછી સોળે કળાએ ખીલી હતી. ઇન્દિરા ગાંધીના બૉબ્ડ વાળમાં એક બાજુએ દેખાતી સફેદ લટ બહુ જાણીતી હતી. રાજિન્દર પુરીએ ચૂંટણી વખતે બનાવેલા એક કાર્ટૂનના પહેલા ચિત્રમાં સફેદ લટ અને આસપાસ કાળા વાળ ધરાવતું ઇન્દિરા ગાંધીનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું, જે ચૂંટણી પહેલાંની સ્થિતિ સૂચવતું હતું. ચૂંટણી પછીના રકાસની સ્થિતિ દર્શાવતા બીજા ચિત્રમાં માત્ર પેલી સફેદ લટ જેટલો ભાગ બદલાઈને કાળો થઈ ગયો હતો અને બાકીના બધા વાળ સફેદ થઈ ગયેલા બતાવાયા હતા.

કાર્ટૂનિસ્ટના ધર્મ વિશે રાજિન્દર પુરીએ બનાવેલું એક કાર્ટૂન તો કોઈ પણ કાળમાં, કોઈ પણ સત્તાધીશને માટે લાગુ પડે એવું છે. સ્વપ્રચારનો આરંભ ત્યારે થઈ ગયો હતો, પણ હજી એ પ્રારંભિક અવસ્થા હતી. આજના જેટલી નફ્‌ફટાઈ તેમાં પ્રવેશી ન હતી. આ કાર્ટૂનમાં ઇન્દિરા ગાંધીએ પોતાની જાતને દેવદૂત તરીકે ચીતરી હોવાનું પુરીએ દેખાડ્યું હતું. હાથમાં પીંછી પકડીને ઊભેલાં ઇન્દિરા કહે છે, ‘જુઓ, આને કહેવાય તટસ્થ કાર્ટૂન!’ આ ચિત્ર સામું એક કાર્ટૂનિસ્ટને તેમણે કૂતરા તરીકે ભસતો ચીતર્યો હતો. નેતાઓ કે તેમનો પક્ષ પોતાની મેળે જ પોતાને ‘દિવ્ય’ ચીતરે, ત્યારે કાર્ટૂનિસ્ટ એ શી રીતે સાંખી લે?

‘મિસ્ટર ક્લીન’નું બિરુદ પામેલા રાજીવ ગાંધીનું નામ બોફોર્સ કેસમાં ખરડાયું ત્યારે પુરીએ રાજીવ ગાંધીના ચહેરાની બાહ્ય રેખાઓ જ રહેવા દીધી હતી અને આંખ, નાક, મોં ઉડાડી દીધાં હતાં. બાજુમાં લખ્યું હતુંઃ ‘અહીંથી ઉડાડી દીધેલી વિગતો સ્વીડિશ ઑડિટ બ્યુરોના અહેવાલમાં જોવા મળશે.’

આવાં તો એકએકથી ચડે એવાં કાર્ટૂન પુરીની ઓળખ સમાં હતાં.

૧૯૮૯ની લોકસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી અંગત અને નામજોગી, લોકશાહી ધારાધોરણથી તદ્દન વિરુદ્ધ કહી શકાય એવી પ્રચારઝુંબેશની સામે રાજિન્દર પુરીએ કૉંગ્રેસ દ્વારા ઝુંબેશમાં વપરાયેલાં પ્રતીકો એમનાં એમ રાખીને યાદગાર પ્રતિઝુંબેશ ચલાવી હતી. એ ચૂંટણીમાં કૉંગ્રેસના ‘માય હાર્ટબીટ્‌સ ફૉર ઇન્ડિયા’ના સૂત્રની સામે તેમણે ‘ધૅર હાર્ટબીટ્‌સ ફૉર ઇટાલી’નું સૂત્ર વહેતું મૂકીને જડબાતોડ જવાબ આપ્યો હતો અને કાર્ટૂનિસ્ટ તરીકેનો પોતાનો ધર્મ બજાવ્યો હતો. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નાં પાનાંઓ પર આ પ્રતિઝુંબેશ ચાલી હતી.

છેલ્લા એક-દોઢ દાયકાથી તેમણે પીંછી ઓછી અને કલમ વધુ ચલાવવા માંડી હતી. ‘આઉટલૂક’માં તેમની નિયમિત કૉલમ ‘બુલ્સ આઈ’ના શીર્ષકથી પ્રકાશિત થતી હતી.

વર્તમાન રાજકારણના રંગઢંગ જોઈને લાગે છે કે ફક્ત પક્ષનું નામ બદલાયું છે, પણ મૂળભૂત શાસકીય અપલક્ષણો એમનાં એમ જ રહ્યાં છે. જયજયકાર અને સ્તુિતઓનું નફ્‌ફટ કોરસગાન દિનબદિન વધી રહ્યું છે ત્યારે આવા માહોલમાં રાજિન્દર પુરી જેવા કાર્ટૂનિસ્ટની ખોટ વધુ સાલે એ સ્વાભાવિક છે.               

e.mail :  bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2015, પૃ. 09 – 10

Loading

18 March 2015 admin
← આંખ આડે કાન રાખે, પણ કાન આડે શું રાખે ?
ભીષ્મ થવું પડયું ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved