Opinion Magazine
Number of visits: 9447410
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૮) 

સુમન શાહ|Opinion - Literature|19 May 2023

અલંકૃતિનો અર્થ છે, અલંકાર. કાવ્યશાસ્ત્રમાં ‘અલંકાર’-ની વિસ્તારથી સમજૂતી અપાઈ છે. જેમ કે, ’અલંકાર્ય’ એટલે જેને માટે અલંકાર યોજાવાનો હોય તે, અને જે યોજાય, તે ‘અલંકાર’.

જેમ કે, સંસારમાં અનેક સુન્દરીઓ ચન્દ્રમુખી હોય છે. ધારો કે એવી કોઈક સુન્દરીનું મુખ ‘અલંકાર્ય’ છે – જેને આપણે ‘ઉપમેય’ કહીએ છીએ; અને તે ચન્દ્ર જેવું છે એમ યોજાય ત્યારે ‘ચન્દ્ર જેવું’ ‘ઉપમાન’ છે – પછી જેને આપણે ‘ઉપમા’ અલંકાર કહીએ છીએ.

ચન્દ્રમુખી, “દેવદાસ” ફિલ્મમાં.

કાવ્યશાસ્ત્રમાં ૧૨૦-થી પણ વધારે અલંકાર વર્ણવાયા છે. 

શબ્દનાં બે રૂપ છે – શબ્દ પોતે, એનું ‘વાચક’ રૂપ, અને તેનો અર્થ, એનું ‘વાચ્ય’ રૂપ. શબ્દ-અર્થ બન્ને, વાચક-વાચ્ય બન્ને, અલંકાર્ય છે અને તેની સાથે અલંકૃતિ જોડાયેલી છે. કુન્તક દર્શાવે છે કે શાસ્ત્રમાં એ સર્વનું વિવેચન કરવામાં આવે છે. કુન્તકે પોતે ‘વિવેચન’ શબ્દ વાપર્યો છે જેનો સંકેતાર્થ એ છે કે સામાન્ય અને વિશેષ લક્ષણો દ્વારા તેના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે – અ કાઇન્ડ ઑફ ઑન્ટોલૉજી.

પણ નિરૂપણ કેવી રીતે? કુન્તક કહે છે, અપોદ્ધૃત્ય. એટલે કે, પૃથક પૃથક કરીને. વાક્યમાં, અલંકાર્ય શબ્દ-અર્થ અને અલંકૃતિનો અન્તર્ભાવ હોય છે, તેને વિભક્ત કરીને – અ કાઇન્ડ ઑફ ઍનાલિસિસ.

પણ શેને માટે? કુન્તકનો ઉત્તર છે, તદુપાય, એટલે કે કાવ્યને સમજવાના ઉપાય રૂપે; કાવ્યસૌન્દર્યનું ગ્રહણ કરવા માટે.

કુન્તક સરસ ઉમેરે છે કે વાસ્તવિકતા તો એ છે કે કાવ્યમાં એ ત્રણની કશી ભિન્ન ભિન્ન સત્તા નથી હોતી, એની એવી સમષ્ટિનું નામ જ કાવ્ય છે ! જે અલંકૃત છે, જેના અવયવ ન દેખાય એવી, ન સાંધો ન રૅણ જેવી, જે સમષ્ટિ છે, તે જ કાવ્ય છે. કાવ્યમાં વ્યષ્ટિનો કશો જ મહિમા નથી. સૂચવાય છે એમ કે કાવ્યમાં શબ્દ, અર્થ કે અલંકૃતિનું કશું આગવું અસ્તિત્વ નથી હોતું, બધું સર્વથા સંશ્લિષ્ટ હોય છે, ને એટલે તો એ કાવ્ય છે !

પોએટિક કૉમ્પોઝિશન-ની એમણે ચીંધેલી આ અદ્વિતીયતા એમ સૂચવે છે કે સંસારમાં કલા કેવું તો અનુપમ સંશ્લેષણ છે. અને એવી અદ્વિતીયતાએ પ્હૉંચેલા સર્જનકર્મને કુન્તક કાવ્યતા એટલે કે કવિ-કર્મત્વ કહે છે, એ પણ કેટલું સયુક્તિક છે.

કુન્તક સર્જનના સિન્થેટિક ફૉર્મને યથાતથ સમજે છે અને વિવેચનના ઍનાલિટિક ફૉર્મને પણ બરાબર સમજે છે. મારું મન્તવ્ય છે કે એમને મન સર્જન અને વિવેચન, બન્નેનાં સત સ્વરૂપે વસ્યાં છે.

પણ કોઈ પૂછે કુન્તકને કે કઈ વસ્તુને તમે કાવ્યનું નામ આપશો, તો દર્શાવે છે કે એ માટે અમે કાવ્યનું લક્ષણ રજૂ કરીશું. લક્ષણ છે : તદ્વિદોને, એટલે કે કાવ્યમર્મજ્ઞોને, આહ્લાદ કરાવનારા, તદ્વિદાહ્લાદકારી, વક્રકવિવ્યાપારથી યુક્ત રચનામાં, એટલે કે બન્ધમાં, વ્યવસ્થિત શબ્દ અને અર્થ, બન્ને મળીને કાવ્ય થાય છે.

માત્રશબ્દ કે માત્રઅર્થ જેવી ભેદકારી દૃષ્ટિથી કુન્તક મુક્ત છે. કહે છે કે એ અભિન્નત્વ પ્રકારે વક્રોક્તિને અમે કાવ્યનું જીવિત કહી રહ્યા છીએ. આગળ વધીને એમણે કહ્યું છે કે રસસિદ્ધ કાવ્યનું જીવિત પણ વક્રોક્તિ છે. એનો સંકેતાર્થ આપણા માટે તો એ છે કે સાહિત્યિક ભાષા અથવા સર્જનાત્મક ભાષા અથવા લિટરરી લૅન્ગ્વેજ વિના રસ કે આનન્દ સિદ્ધ નહીં થાય.

કુન્તક જણાવે છે કે પ્રત્યેક તલમાં તેલ હોય છે તેમ શબ્દ અને અર્થ બન્નેમાં તદ્વિદાહ્લાદકારિત્વ હોય છે, એવું નથી કે એકમાં હોય ને બીજામાં ન હોય. એ ક્યારે ન હોય તેનું દૃષ્ટાન્ત આપે છે :

આનન્દસ્યન્દી શરદપૂર્ણિમાના ચન્દ્ર સમાન મુખવાળી, સુન્દર હાવભાવથી વાતચીત કરનારી, રક્તચરણવાળી હે સુન્દરી ! તારા અનલ્પ રૂપથી મણિમેખલાનો અને નૂપુરનો હૃદયંગમ ધ્વનિ કરતી તું જો તારા પિયુને ત્યાં જઈ રહી છું, તો તારું ત્યાં જવું મને આમ જ (વ્યર્થ) કેમ સતાવી રહ્યું છે?

બળતરાને લીધે કથક અહીં દુ:ખી થઈ ગયો છે. પણ કુન્તકને આ શ્લોકમાં અનુપ્રાસનું પ્રલોભન ભળાયું છે, માત્ર વર્ણોની સમાનતાને કારણે ઊભી થયેલી રમ્યતા (રમત) દેખાઈ છે, અને તેથી તેને તેઓ માત્રકથનની કોટિમાં મૂકે છે – સલીલ લીલાભિ: સહિતમ્ ઉલ્લપિતમ્ વક્તુમ્ શીલમ્ યસ્યાસ્તથાભૂતે … વગેરેમાં.

વળી, કુન્તક કહે છે કે આ શ્લોકમાં ચમત્કાર તો છે જ નહીં. અને, નવયૌવનથી તરંગિત લાવણ્યકાન્તિવાળા કોઈ યુવકની કાન્તાને ચાહવા નીકળેલો આ ઉપનાયક આ શ્લોકમાં જો એમ કહી રહ્યો હોય કે તું પિયુને ત્યાં જતી હોઉં, તો તારું એ જવું, પરિસરણ, મને કશા કારણ વગર કષ્ટ આપે છે, તો એ વક્રતા સૌન્દર્યયુક્ત નથી. અને તેથી, કુન્તક દર્શાવે છે કે એ અત્યન્ત ગ્રામ્ય ઉક્તિ છે. કિમ્ મે રણરણકમકારણ કુરુતે-માં જે રણરણક છે, દુ:ખ, તે અકારણ નથી. કેમ કે એનો અનાદર કરીને એ સુન્દરી જતી રહી, એટલે એની તરફ અનુરક્ત અન્ત:કરણ રાખવાવાળા એ ઉપનાયકને વિરહ-વિધુરતાની જે શંકા પડી, એ જ એના દુ:ખનું કારણ છે, વગેરે. કુન્તક કહે છે કે બહુ બધાં સમ્બોધન તો મુનિપ્રણીત સ્તોત્રપાઠ (શુકપાઠ અથવા તોતારટણ પણ કહેવાય) લાગે છે, ઉપહાસજનક લાગે છે, એથી કાવ્યમર્મજ્ઞોની આહ્લાદકારિતાનું તો જરા જેટલું ય પોષણ નથી થતું. તેથી આ દૃષ્ટાન્તને વ્યર્થ સમજવું, શોભાતિશય વિનાનું એ એક, નામનું કાવ્ય છે, એ ખરું કાવ્ય જ નથી.

કુન્તકને રચનાકારમાં પ્રતિભાની દરિદ્રતા અને દીનતા વરતાયાં છે. કહે છે, એની પાસે કહેવાજોગ ખાસ કશું છે નહીં – એની પાસે જે છે તે અત્યન્ત સ્વલ્પ સુ-ભાષિત છે.

“કાવ્યાલંકાર”-ના કર્તા ભામહ અલંકાર-સમ્પ્રદાયના પ્રવર્તક મનાય છે. અને “કાવ્યાદર્શ”-ના કર્તા દણ્ડી, “કાવ્યાલંકાર”-ના કર્તા રુદ્ટ, “કાવ્યાલંકારસારસંગ્રહ”-ના કર્તા ઉદભટ, સૌ આલંકારિક કહેવાયા છે. આમ તો, બાંધેભારે, સૌ કાવ્યશાસ્ત્રીઓને આલંકારિક કહેવાય પણ આ વિદ્વાનો વિશિષ્ટપણે એમ છે કેમ કે તેઓ અલંકારને કાવ્યનું સર્વસ્વ ગણે છે. આચાર્ય જયદેવ તો એટલે લગી કહે છે કે જે કવિ અલંકારહિત શબ્દાર્થને કાવ્ય ગણે છે, એ અગ્નિને શીતળ શું કામ નથી કહેતો?

કુન્તક પણ આલંકારિક છે છતાં તેઓએ અલંકારતત્ત્વ વક્રોક્તિમાં જોયું છે, એટલા માટે તેઓ મને વિશિષ્ટોમાં વિશિષ્ટ લાગ્યા છે.

= = =

(05/18/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

19 May 2023 Vipool Kalyani
← રજામાં સજા …
ડૉ. અરુણ દવે : વ્યક્તિ અને વ્યક્તિત્વ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved