Opinion Magazine
Number of visits: 9447251
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી પંચની સ્વતંત્રતા, સ્વાયત્તતા અને નિષ્પક્ષતાની દિશામાં…

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 April 2023

ચંદુ મહેરિયા

ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૨૪થી ૩૨૯માં ચૂંટણી પંચની રચના, જવાબદારી અને સત્તાઓની જોગવાઈ કરવામાં આવી છે. ચીફ ઈલેક્શન કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક અંગે આર્ટિકલ ૩૨૪(૨)માં જણાવ્યું છે કે સંસદ દ્વારા આ અંગેના કાયદાની જોગવાઈઓ પ્રમાણે રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવશે. જો કે છેલ્લા તોંતેર વરસોમાં સંસદે ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક અંગે કોઈ કાયદો ઘડ્યો નથી. કાયદા મંત્રાલય દ્વારા મળતી યાદી પરથી વડા પ્રધાન કોઈ એક નામ નક્કી કરે છે અને રાષ્ટ્રપતિ તેના પર મંજૂરીની મહોર મારે છે. ચૂંટણી પંચના સભ્યોની આ પ્રકારે થતી નિયુક્તિ તેની તટસ્થતા સામે સવાલો ઉઠાવે છે.

૨૦૧૮થી પડતર આ અંગેની પિટિશનો પર સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદામાં રાષ્ટ્રપતિને પંચના સભ્યોની નિયુક્તિની ભલામણ કરવા માટે ત્રણ સભ્યોની બનેલી સમિતિની રચનાનો આદેશ આપ્યો છે. પ્રથમ નજરે આ ચુકાદો પંચની સ્વતંત્રતા, સ્વાયત્તતા અને નિષ્પક્ષતાની દિશાનું ઐતિહાસિક કદમ લાગે છે.

જસ્ટિસ કે.એમ. જોસેફની અધ્યક્ષતા હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ ઈલેક્શન કમિશનરોની નિમણૂકની સુનાવણી કરી રહી હતી તે દરમિયાન જ સરકારે એક ઈલેક્શન કમિશનરની નિયુક્તિ કરી. મે-૨૦૨૨થી ખાલી ચૂંટણી કમિશનરની જગ્યા છ મહિને અચાનક ઘડિયા લગ્નની જેમ સરકારે ભરી. ભારત સરકારમાં સચિવ તરીકે કાર્યરત અરુણ ગોયલની સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂરી અને ઈલેક્શન કમિશનર તરીકેની તેમની નિમણૂકની સમગ્ર કાર્યવાહી ચોવીસ જ કલાકમાં પૂર્ણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગોકળગાયની ગતિએ કામ કરતા સરકારી તંત્રે આ બાબતમાં આટલી ઝડપ કેમ દાખવી તેનું રહસ્ય જાણવા સુપ્રીમકોર્ટે અદાલત સમક્ષ નિમણૂકની સમગ્ર ફાઈલ મંગાવી હતી. તે પછીના સર્વસંમત ચુકાદામાં અદાલતે વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સમિતિ ચૂંટણી પંચના સભ્યની પસંદગી કરે અને સમિતિની ભલામણ પરથી રાષ્ટ્રપતિ નિયુક્તિ કરે તેવો આદેશ કર્યો છે.

સુપ્રીમકોર્ટનો આ ચુકાદો ન્યાયિક સક્રિયતા દર્શાવનારો કે સંસદની ઉપરવટ જનારો નથી પરંતુ સવા સાત દાયકાથી નિષ્ક્રિય સંસદને ઢંઢોળનારો છે. વગર કાયદે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂકમાં પોતાની વગના કમિશનરોની પસંદગી કરવાનો લાભ લેવામાં કેન્દ્રના સઘળા પક્ષો એક જેવા જ છે. થોડાક જ અપવાદો સિવાય ભારતના આજ સુધીના ચૂંટણી કમિશનરોએ પંચની સ્વતંત્રતા અને તટસ્થતાને બરકરાર રાખી છે. એટલે સત્તર લોકસભા અને ચારસો વિધાનસભા ચૂંટણીઓ પાર પાડનારા ભારતના ચૂંટણી પંચની બેદાગ છબીના દેશ અને દુનિયામાં દાખલા દેવાય છે.

કેન્દ્ર અને રાજ્યના વિરોધ પક્ષોને હંમેશાં ચૂંટણી પંચનું વલણ સત્તાપક્ષની તરફદારી કરનારું લાગે છે એટલે પણ પંચની રોજેરોજ કસોટી થાય છે. તેમાં આ પ્રકારની એકતરફી નિમણૂક પ્રક્રિયા પક્ષપાતના આરોપોને વળ ચઢાવે છે. સત્તાપક્ષ (વડા પ્રધાન), વિરોધપક્ષ (લોકસભાના વિપક્ષના કે સૌથી મોટા વિપક્ષના નેતા) અને નિષ્પક્ષ ન્યાયતંત્ર(વડા ન્યાયાધીશ)ની સમિતિની ભલામણથી નિમાતા કમિશનરોથી કદાચ પંચની નિષ્પક્ષતા સ્પષ્ટ થશે.

ચૂંટણી પંચના દસમા મુખ્ય ચૂંટણી આયુક્ત ટી.એન. શેષને બંધારણે ચૂંટણી પંચને આપેલી અપાર શક્તિઓનો મતદારો અને રાજકીય પક્ષોને પરિચય કરાવ્યો હતો. એટલે શેષનને ન ભૂતો ન ભવિષ્યતિ જેવા ચીફ ઈલેક્શન કમિશનર ગણવામાં આવે છે. ચૂંટણી આચારસંહિતા પણ શેષનની જ દેન છે. સંવિધાન ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે મૌન રહ્યું છે અને સંસદના કાયદાને અનુસરીને કાર્યવાહી કરવા જણાવ્યું છે. પરંતુ સંસદે હજુ કોઈ જ કાયદો ઘડ્યો નથી. છેક ૧૯૮૯ સુધી તો ચૂંટણી પંચમાં એક જ કમિશનર હતા. તે પછી બીજા બે ઉમેરાયા, થોડા વરસો પછી બાદ થયા અને ફરી પાછું ત્રણ સભ્યોનું પંચ બન્યું. જો સરકારો એક જ સભ્યના ચૂંટણી પંચથી ચાળીસ વરસ ચલાવતી હોય તો તે પંચને સ્વતંત્ર અને સ્વાયત્ત બનાવે ખરી ?

૧૯૯૧ના કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચૂંટણી પંચના સભ્યની નિવૃત્તિ વય પાંસઠ વરસની ઠરાવવામાં આવી છે. સરકાર વરિષ્ઠ સનદી અધિકારીઓને પંચના સભ્ય તરીકે નિયુક્ત કરવાની આડમાં ઈલેક્શન કમિશનરનો જે છ વરસનો કાર્યકાળ છે તે પૂર્વે જ તે નિવૃત્ત થઈ જાય તેની કાળજી રાખે છે. શાયદ શેષન પછીના કોઈ મુખ્ય ચૂંટણી કમિશનરને છ વરસનો પૂર્ણ કાર્યકાળ મળ્યો નથી. સરકાર મજબૂત અને નિષ્પક્ષને બદલે નબળા કે સરકારના જીહજૂરિયા કમિશનર ઈચ્છતી હોય તો જ નાનો સમયગાળો આપે ને?

મતદારો ભય અને લાલચ વિના મતદાન કરી શકે અને ચૂંટણી સ્વતંત્ર અને તટસ્થ રીતે યોજાય તે લોકતંત્રનો આધાર છે. તે માટે સરકાર જેમને ડરાવી ના શકે કે જે વહીવટી તંત્રના પ્રભાવથી સાવ મુક્ત હોય તેવા કમિશનરોની નિમણૂક પંચમાં થવી જોઈએ. સરકારો ચૂંટણી પંચ પર નિયંત્રણ  ચાહે અને પંચ તેને નકારે તે જ સ્વતંત્રતા અને સ્વાયત્તતા ખરી. સર્વોચ્ચ અદાલતે સમિતિની રચના ઉપરાંત ચૂંટણી પંચને નાણાંકીય જરૂરિયાત માટે સરકારી તંત્ર પર આધારિત ના રહેવું પડે તે માટે કન્સોલિટેડ ફંડથી પંચને ફંડિગ કરવા પણ જણાવ્યું છે.

બંધારણીય સંસ્થાઓના પદો પર યોગ્ય અને તટસ્થ સમિતિ મારફતે નિમણૂક થવાથી જ તેના હેતુ બર આવી શકે છે. એટલે જ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો સ્વાગતાર્હ છે. પરંતુ શું આ પૂરતું છે ? સી.બી.આઈ., માહિતી આયોગ, સી.વી.સી.ના વડાની નિમણૂક આ જ ધોરણે થાય છે. તેમ છતાં તેનો સત્તાનશીન રાજકીય પક્ષ અને સરકાર પ્રત્યેનો પક્ષપાત ઉઘાડો છે. સી.બી.આઈ. ચીફની નિમણૂક કરનારી સમિતિમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોવા છતાં સુપ્રીમે જ સી.બી.આઈ.ને પાંજરાનો પોપટ ગણાવી હતી. એટલે બહુ હરખાઈ જવાની જરૂર નથી.

તો શું ચૂંટણી પંચ અને ચૂંટણીઓ કદી મુક્ત અને ન્યાયી નહીં જ હોય ? હા, હોઈ શકે. તે માટે જેટલી જવાબદારી પંચની છે તેટલી જ જવાબદારી રાજકીય પક્ષોની પણ છે અને તે બંને કરતાં વધુ જવાબદારી આપણી એટલે ભારતના મતદારોની છે. જો તોંતેર વરસો સુધી ચૂંટણી પંચની રચના અંગેનો કાયદો જ ના ઘડાતો હોય અને આપણે મતદાર તરીકે તેને કોઈ ચૂંટણી મુદ્દો જ ના ગણીએ તે યોગ્ય છે ? તેથી સુપ્રીમના હાલના હસ્તક્ષેપને કામચલાઉ ગણી પંચને સ્વતંત્ર, સ્વાયત્ત અને નિષ્પક્ષ બનાવવા આપણે જ મથવું પડશે. જાગો મતદારો જાગો.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

7 April 2023 Vipool Kalyani
← GODને બદલે DOG ભણાવીએ છીએ, તેની બધી મોંકાણ છે … 
વધસ્થંભની વાટનો સાચો સંગાથી – સિમોન કુરેની (Simon of Cyrene)  →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved