Opinion Magazine
Number of visits: 9446700
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતના શિક્ષણમંત્રીશ્રીને જાહેર પત્ર …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 February 2023

આદરણીય શિક્ષણ મંત્રીશ્રી,

કુબેરભાઈ મ. ડીંડોર

નમસ્કાર. કુશળ અને સ્વસ્થ હશો જ, પણ શિક્ષણને સ્વસ્થતા મળે તે માટે આ વિનંતી પત્ર ! તમને વાંચવાની અનુકૂળતા મળી રહે એવી પ્રાર્થના કરું છું.

હું માનું છું કે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ એકબીજા સાથે સંલગ્ન છે, પણ તમારી જાણ બહાર વર્તવાની મોકળાશ શિક્ષણ વિભાગ ભોગવે તો તેની જવાબદારી કોની તે વાતે મૂંઝાઉં છું. મારી સમજ શક્તિની મર્યાદા સ્વીકારીને પણ હું એમ કહેવા પ્રેરાઉં છું કે શિક્ષણ વિભાગ પરસ્પર વિરોધી નિર્ણયો લેવામાં સંકોચ નથી અનુભવતો. ઉતાવળે નિર્ણયો લઈને તેને સ્થગિત કે રદ્દ કરવાનું આ વિભાગના ડી.એન.એ.માં હોય એવું લાગે છે.

ઉદાહરણો આપીને અહીં કેટલીક વાતો કરવી છે.

આમ તો આપણે આપણાં રાજ્યને ગુજરાત કહીએ છીએ ને અહીં આદિ કવિ નરસિંહ મહેતાના કાળથી ગુજરાતી માતૃભાષા તરીકે વ્યવહારમાં રહી છે. તે પછી તો મીરાં, અખો, દયારામ, દલપત, નર્મદ, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, પન્નાલાલ, ચં.ચી., સુંદરમ્‌, ઉમાશંકર, સુરેશ જોશી જેવાં અનેક સર્જકોને હાથે ગુજરાતી સહજ રીતે ખેડાતી રહી છે. નર્મદ પછીના તો ઘણા સર્જકો અંગ્રેજી ભાષા અને સાહિત્યના સંપર્કમાં પણ આવ્યા, પણ ગુજરાતી તો વરવી થવા લાગી હોય તોય ‘જય જય ગરવી ગુજરાત..’ ગાતી રહી છે. ગુજરાતીનું તેજ એટલું બળકટ હતું કે કાલેલકર જેવા સર્જકે તો પોતાની મરાઠીમાં સર્જન કરવાને બદલે ગુજરાતીમાં લખવાનું સ્વીકાર્યું અને પોતાનું સવાઇ ગુજરાતીપણું સિદ્ધ કર્યું. અંગ્રેજોએ તો સૂરતથી ગુજરાતમાં અને દેશમાં વિસ્તરવાનું સ્વીકાર્યું. એમણે વહીવટ અંગ્રેજીમાં કર્યો, પણ ફાર્બસ જેવા તો ‘સાહિત્ય સભા’ સુધી પણ પહોંચ્યા. અંગ્રેજોએ ગુજરાતી સ્કૂલો શરૂ કરવાનું કોઈ રીતે ફરજિયાત ન હતું, પણ તેમણે ગુજરાતી સ્કૂલો શરૂ કરી, એટલું જ નહીં, કન્યા કેળવણીનો મહિમા સ્વીકારીને કન્યાશાળાઓ પણ સ્થાપી. એ વખતે જેમને જરૂર લાગી, તેમણે અંગ્રેજી શિક્ષણ પણ લીધું ને વધુ અભ્યાસ માટે વિદેશ પણ ગયા, પણ કોઈને

રવીન્દ્ર પારેખ

ગુજરાતી આટલી ખટકી નથી જેટલી હાલની ગુજરાત સરકારને ખટકી રહી છે. એ અત્યંત દુ:ખદ છે કે અંગ્રેજોએ ગુજરાતી સ્કૂલો શરૂ કરી ને ગુજરાત સરકારે તે બંધ કરી, અંગ્રેજી માધ્યમની શાળાઓને ઉત્તેજન આપ્યું. આ કોઈ પણ રીતે યોગ્ય નથી. ગુજરાત ઇંગ્લેન્ડ નથી કે અહીંની માતૃભાષા અંગ્રેજી કરવાનો ઇરાદો રાખવો પડે. અંગ્રેજીનો મને જરા જેટલો ય વાંધો નથી. પ્રાદેશિક ભાષા તરીકે ગુજરાતી, રાષ્ટ્રભાષા તરીકે હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજીનું સન્માન હોય જ !  પણ, ગુજરાતીને ભોગે અંગ્રેજીનો મહિમા અક્ષમ્ય છે.

માનનીય સાહેબ, જરા તપાસ કરાવજો કે છેલ્લા દાયકામાં કેટલી ગુજરાતી સ્કૂલો બંધ થઈ અને અંગ્રેજી માધ્યમની શરૂ થઈ? ગુજરાતી સ્કૂલો બંધ થવા માટે કારણ એવું અપાય છે કે વિદ્યાર્થીઓ નથી મળતા. હસવું આવે એવી વાત છે કે ગુજરાતમાં ગુજરાતી ભણવા ગુજરાતીઓ નથી મળતા ! તો એ ક્યાંથી,  ઇંગ્લેંડથી મળવાના છે? આ કેમ થયું? ગુજરાતીઓ ગુજરાતીથી દૂર ભાગતા કેમ થયા? એને માટે સરકારની નફાકારક નીતિ અને અમીર વાલીઓ જવાબદાર છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અંગ્રેજી સ્કૂલોનો એટલો મારો ચાલ્યો કે અંગ્રેજી વગર ઉદ્ધાર નથી એવું અલ્પ શિક્ષિત વાલીઓનાં મગજમાં ઠસી ગયું ને તેણે રાતોરાત પોતાનાં સંતાનોને અંગ્રેજ બનાવવા તનતોડ મહેનત કરવા માંડી. આખું ગુજરાત, ઇંગ્લેન્ડ, અમેરિકા જઈને ઠલવાવાનું હોય તેમ અહીં વસનારનો વિચાર બાજુ પર મુકાયો. જે વિદેશ જવાના હોય તેમને ભલે સરકાર અંગ્રેજ બનાવે, પણ જે અહીં રહેવાના હતા ને દાળભાત જ ખાવાના હતા એમને અંગ્રેજીથી વટલાવવા જેવું કરવાની જરૂર હતી? એક તરફ ગુજરાતી સ્કૂલો બંધ થતી જતી હતી ને બીજી તરફ અંગ્રેજી માધ્યમની સ્કૂલો, એક ભાષા તરીકે પણ ગુજરાતી ભણાવવા તૈયાર ન હતી. હાઇકોર્ટની ટકોર હતી કે એક વિષય તરીકે દરેક સ્કૂલોએ ગુજરાતી ભણાવવું જ, પણ અંગ્રેજોની ઔલાદ જેવી કેટલીક સ્કૂલો મચક આપતી ન હતી …

ભલું થજો ગુજરાત સરકારનું કે તેણે કેબિનેટમાં ધોરણ 1થી 8માં ગુજરાતી એક વિષય તરીકે ફરજિયાત ભણાવવાનો નિર્ણય લીધો. સરકાર, વધારામાં સંબંધિત સ્કૂલો સામે ધોરણ 1થી ગુજરાતી ફરજિયાત ભણાવવા અંગેનું બિલ પણ લાવી રહી છે. નવાં વિધાનસભા સત્રમાં સરકાર કાયદો લાવે એમ બને. સરકારે હાઇકોર્ટને ગુજરાતી અંગે બાંહેધરી આપી હતી, તેનો કાયદો થતાં અમલ થાય એમ બને. કાયદો થશે તો ગુજરાતી ન ભણાવતી શાળાઓને બે વાર દંડ થશે ને તે પછી પણ તે ન માને તો સજા થશે. ગુજરાતમાં ગુજરાતી ભણાવવા કાયદો કરવો પડે એવી આ અભૂતપૂર્વ ઘટના પરથી પણ સમજી શકાય એવું છે કે ગુજરાતીઓ ગુજરાતીને કેટલું ચાહે છે !

મારા સાહેબ, ગુજરાતી અંગે બિલ લાવવા બદલ તમને હું અંગત રીતે અભિનંદનો પાઠવું છું ને વિનંતી કરું છું કે નરસિંહ, નર્મદની ગુજરાતી, નમર્દના હાથોમાં ન પડે એટલું જોવાય. આમાંની ઘણી વાતો તમે જાણતા જ હશો, પણ કેટલીક વાતો એટલે દ્રઢાવી છે કે હવે પછી હું જે વાતો કહેવા ધારું છું તેને પુષ્ટિ મળે.

ગયે વર્ષે એટલે કે 2022માં શિક્ષણ વિભાગ દ્વારા અંગ્રેજી-ગુજરાતી મિશ્ર ભાષામાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની યોજના અમલમાં મુકાઇ. થોડાક અધિકારીઓની ધૂનને પોષવા કે અમુક જૂથની આર્થિક અનુકૂળતાઓ સાચવવા દ્વિભાષી પુસ્તકો તૈયાર કરવાનો નિર્ણય લેવાયો.

ફરીથી કહું છું કે અંગ્રેજી જરૂરી છે, પણ તેની ગુલામી તો ન હોય ને ! અંગ્રેજોની ગુલામી ન રહી હોય તો અંગ્રેજીની શું કામ રહેવી જોઈએ? એક તરફ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માતૃભાષામાં લેવાતી હોય, તબીબી વિદ્યાશાખાનો અભ્યાસ પોતાની ભાષામાં કરવાની અનુકૂળતાઓ ઊભી કરાતી હોય, ત્યાં જાણે ગુજરાતી પણ અંગ્રેજીમાં શીખવવાની વાત હોય તેમ, આ દ્વિભાષી પુસ્તકોની વાત આવી. ખુદ વડાપ્રધાને નવી શિક્ષણ નીતિમાં સાયન્સ, ટેકનોલોજી અને દાક્તરીનાં પુસ્તકો ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની વાત કરી હોય, ગુજરાતી ફરજિયાત ભણાવવાનું ઠરાવાયું હોય, ત્યાં દ્વિભાષી પુસ્તકનું આખું તર્કટ કોઇકનાં મનસ્વીપણાંની જ ચાડી ખાય છે એવું નથી લાગતું? આવું તો ઘણું શિક્ષણ વિભાગમાં ભર્યું પડ્યું છે.

આ અંગ્રેજી-ગુજરાતી મિશ્ર પાઠ્ય પુસ્તક યોજનાનો જ દાખલો લઇએ તો તે ભાર વગરનાં ભણતરનો છેદ ઉડાડે છે. એક બાજુ ભાર વગરનાં ભણતરને સમર્થન અપાય, તેમ ન થાય તો કાનૂની જોગવાઈ કરી હોય, વાલીઓએ 10મી ફેબ્રુઆરીએ જ સ્કૂલ બેગનું વજન ઘટાડવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હોય, શરીરનાં વજનનું 10 ટકા વજન જ બેગનું  હોવું જોઈએ એવું કહેવાતું હોય ને બીજી બાજુ આ જ શિક્ષણ વિભાગ દ્વિભાષી પુસ્તકો દ્વારા પુસ્તકોનું કદ, વજન ને બમણું કરે તો ભણતર ભાર વગરનું થાય કે આભાર વગરનું તે જોવાનું રહે જ છે. વારુ, આ બધું ખર્ચની રીતે તો બમણું નથી થતું ને તે પણ જોવાનું રહે. પણ આવું કશું શિક્ષણ વિભાગના સિલેબસમાં આવતું હોય એમ લાગતું નથી.

એટલું જરૂર થયું કે ગણિત-વિજ્ઞાનનાં દ્વિભાષી પુસ્તકો છાપવાનો નિર્ણય તમારી દરમિયાનગીરીથી સ્થગિત થયો. આમ તો 17 માર્ચ, 2022ને રોજ શિક્ષણ વિભાગે ધોરણ 6થી 8 સુધી, ક્રમશ: ગણિત-વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્ય પુસ્તકોનાં અમલીકરણનો પરિપત્ર બહાર પાડ્યો, ત્યારે સરકારને વિશ્વાસમાં ન લીધી, એનો કમિટીના જ પાંચ સભ્યોએ વિરોધ કર્યો, તો એમને નજર અંદાજ કરાયા, ન તો શિક્ષણવિદો, શિક્ષકો, વાલીઓને વિશ્વાસમાં લીધા, આના પરથી નથી લાગતું કે આખો શિક્ષણ વિભાગ મનસ્વી રીતે કોઈ તુક્કાને અમલમાં મૂકવાની ગણતરીથી ચાલે છે? જો ભણતર ભાર વગરનું સ્વીકારાયું હોય તો સ્થૂળ બુદ્ધિને પણ  એટલું તો સમજાય કે દ્વિભાષી પુસ્તક તો આપ મેળે જ કદ અને વજન બમણું કરે એમ છે, તો, એનો અમલ કરવામાં થૂંકીને ચાટવા જેવું થશે એવો સાદો વિચાર પણ કોઈ અધિકારીને ન આવે એ સમજાતું નથી. આ વિભાગના સાહેબો બાળકોની બુદ્ધિના સહજ વિકાસને સ્વીકારવાને બદલે ભાષાનું ભારણ વધારવાની માનસિકતાથી પીડાતા હોય એવું લાગે છે. ધોરણ 6થી શરૂ કરીને ક્રમશ: આ યોજના ધોરણ 8 સુધી વિસ્તારવાની વાત હતી, આ વાતની તમને જાણ થઈ ને તમે એ નિર્ણય સ્થગિત કરીને બાળકોની પીઠ પરનો બોજ ઘટાડયો છે, એને માટે બાળકો તમારાં ઋણી રહેશે.

આવું તો ઘણું છે જે ગંભીર વિચારણા માંગે છે. પ્રવાસી શિક્ષકોને મહિનાઓથી પગાર નથી મળતો એ કદાચ તમે જાણતા હો તો એ દિશામાં કશુંક નક્કર કરવા વિનંતી છે. પ્રવાસી શિક્ષક, વિદ્યાસહાયક અને શિક્ષણસહાયક નીમવા કરતાં મૂળ શિક્ષકોની નિમણૂક કદાચ વધારે સહેલી છે. આ ઉપરાંત શિક્ષકોને, આચાર્યોને પરિપત્રો ને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જોતરવાનું ઓછું થાય તો એ ભણાવી પણ શકે. એને ભણાવવાની મોકળાશ થાય એવું વાતાવરણ અપેક્ષિત છે, કારણ શિક્ષક થયો છે જ ભણાવવા માટે –

વધારે શું કહું?

આભાર સહ,

રવીન્દ્ર પારેખ

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ફેબ્રુઆરી 2023

Loading

24 February 2023 Vipool Kalyani
← આશાની નિરાશા : શીશા હો યા દિલ હો, આખિર તૂટ જાતા હૈ
કવિતા જીવનાર અને જિંદગી લખનાર અમૃતા-ઈમરોઝ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved