Opinion Magazine
Number of visits: 9446898
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હોવા ઉપરાંત વિશ્વપિતા પણ છે…  

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 January 2023

રવીન્દ્ર પારેખ

આજે ગાંધી નિર્વાણ દિન ! 30 જાન્યુઆરી, 1948 ને આજે 75 વર્ષ થયાં. મૃત્યુનું આ ‘અ-મૃતવર્ષ’ ! આમ તો કોઈ, કોઈના ટેકે લાંબું ટકતું નથી, એ જ રીતે કોઈ લીટી ભૂંસવા મથે તો તેથી એવું કરનારનો વ્યાયામ વધે, બાકી સૂર્ય ઢાંકો તો ય ફરી ઊગે તો છે જ ! ગાંધીનું એવું છે કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ તે વધારે સજીવ થાય છે, કારણ હત્યા વ્યક્તિની થાય છે, વિચારોની નહીં ! જો કે, હવે તો વિચારોની હત્યાની ટેકનોલોજી પણ કામે લાગી છે એટલે ગાંધી કેટલું ટકશે તે નથી ખબર. ગાંધીએ ભક્ત મંડળી નથી બનાવી, કોઈ પક્ષ નથી સ્થાપ્યો, કોઈ મંત્રીપદ નથી સ્વીકાર્યું, બલકે, જે કાઁગ્રેસ સ્વાતંત્ર્ય મેળવવામાં અગ્રેસર રહી, એ જ કાઁગ્રેસને વિખેરી નાખવાની વાત કરી. પોતે કોઈ ચૂંટણી ન લડ્યા, રમતો ન કરી, રેલી-રેલા ન કાઢ્યાં, કોઈ ભ્રષ્ટાચાર ન કર્યો, તો એ ન ટકે એમ બને. જો કે, મર્યા પછી પણ 75 વર્ષ જીવવું સહેલું નથી.

અંગત રીતે કહું તો હું ગાંધીનો ભક્ત નથી. ગાંધીવાદી નથી. એટલું છે કે ગાંધી વિચારોને જાણવા-સમજવા મથું છું. ક્યારેક એ પહોંચની બહાર છે, પણ વિશ્વાસ કરવા જેવો એ એક જ જીવ બચ્યો છે, મારા જેવા માટે. ગાંધી સાથે મતભેદ પણ છે. એમના બ્રહ્મચર્યની ચકાસણીના પ્રયોગો ને ઉપદેશો મારે ગળે નથી ઊતર્યા, પોતાની વાત મનાવવા એમણે વાપરેલું ઉપવાસનું શસ્ત્ર પણ મને તો ‘વાણિયાગીરી’ જ લાગ્યું છે. એ શસ્ત્રનો હવે થતો ઉપયોગ સત્યથી વિપરીત હેતુઓ સિદ્ધ કરવા થાય છે તે પણ ખરું. અહિંસાનું વળગણ એમને બીજા એક મોહન(કૃષ્ણ)થી હોય એમ બને. મોહને (કૃષ્ણે) મહાભારતનાં યુદ્ધમાં શસ્ત્ર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી તેનો સીધો પડઘો આ મોહનદાસમાં પડે છે. શસ્ત્ર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા છતાં, સારથિપણું છોડીને, કૃષ્ણ રથચક્ર લઈને ભીષ્મ સામે ધસી તો જાય જ છે. આવો અહિંસક, આટલો હિંસક તો બને જ છે. એ ઉપરાંત કુરુક્ષેત્રનાં મેદાનમાં જ અર્જુન યુદ્ધ ન લડવા શસ્ત્રો હેઠાં મૂકે છે તો આ જ કૃષ્ણ અર્જુનને શસ્ત્ર ઉપાડવા ગીતા પ્રબોધે છે, એ વાત પણ ગાંધીનાં ધ્યાન બહાર નહીં જ હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે જડતાની હદે અહિંસા ને બ્રહ્મચર્યનો ઉપદેશ જીરવવાનું અઘરું છે.

આજે ઘણી રીતે ગાંધી આઉટડેટેડ લાગે, પણ એનો જેટલો લાભ કાઁગ્રેસી નેતાઓએ લીધો છે તે ભૂલી શકાય એમ નથી. એમની ખાદીએ ગાદીની કેટલી તકો પૂરી પાડી એ કહેવાની જરૂર છે? જે ગાંધી માર્ગે હવે કોઈ ચાલતું નથી, એ ગાંધી માર્ગો તો વિશ્વ સુધી વિસ્તર્યા છે. અહીં ગાંધીની મૂર્તિનું ખંડન થાય છે, તો વિશ્વમાં તેની પ્રતિમાઓનો ને તેનાં સિદ્ધાંતોનો મહિમા થાય છે. ગાંધીને કોઈ ચંદ્રક, પુરસ્કાર કે એવોર્ડ નથી મળ્યા, પણ એને નામે વૈશ્વિક પુરસ્કારો અપાય છે. ભારત સરકાર દ્વારા 1995થી ગાંધી શાંતિ પુરસ્કાર શરૂ થયો ને તે મેળવનાર બાબા આમ્ટે પહેલાં ભારતીય વ્યક્તિ હતા, તો શેખ મુજીબુર રહેમાન સહિત ઘણા વિદેશી મહાનુભાવોને પણ ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થયો છે. એ ખરું કે ગાંધીજીને શાંતિ નોબેલ પુરસ્કાર નથી મળ્યો, તેમને 1948માં તે મળે તેમ હતું, પણ તેમની હત્યા થઈ ને એ વર્ષે કોઈ જીવંત લાયક વ્યક્તિ ન જણાતાં પુરસ્કાર કોઈને જ ન અપાયો, પણ પછી 1964માં ગાંધીજીને પગલે અહિંસક ચળવળ ચલાવનાર અમેરિકાના માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને શાંતિ નોબેલ પુરસ્કાર એનાયત થયો. એ જ રીતે દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા પણ ગાંધીજીના જીવનથી પ્રેરિત હતા ને એમને પણ 1993નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો. પોતાને ગાંધીની સાથે સરખાવનારને મંડેલાએ કહ્યું છે કે મને એટલા માટે ગાંધી સાથે ન સરખાવો કે ગાંધીજી જેટલો સમર્પણભાવ કે વિનમ્રતા આપણામાંના કોઈમાં નથી. જે અંગ્રેજોએ ગાંધીને જેલવાસ આપ્યો એ જ અંગ્રેજી પ્રજાના વડા પ્રધાન હેરલ્ડ વિલ્સન 1968માં મધ્ય લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરે છે. પર્લ બક જેવી લેખિકા તો સ્પષ્ટ કહે છે કે મનુષ્ય જાતિના સર્વકાલીન મહાન મનુષ્યમાં ગાંધીજી સ્થાન પામે છે. ટાગોરે તો એમને ‘જીવંત સત્ય’ કહ્યા છે. આઈન્સ્ટાઈન જેવા તેથી જ તો કહે છે કે આવનારી પેઢીઓ માનશે નહીં કે ગાંધી જેવો કોઈ હાડચામનો માણસ આ પૃથ્વી પર અવતર્યો હતો. તો આ મહિમા છે, વિશ્વમાં, ગાંધીનો.

આમ છતાં અહિંસાનો એમનો મત ઘણાંને માન્ય ન હતો. એ જ કારણ હતું કે સુભાષચંદ્ર બોઝ એમનાથી અલગ પડીને ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’ સુધી પહોંચ્યા. સુભાષબાબુ જુદા પડ્યા, પણ ગાંધીજી માટે એમને કેટલો આદર હશે કે એમને પહેલી વખત રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા ! ગાંધીજીએ  કોઈના પણ હિંસક પ્રયત્નોને સ્વીકાર્યા નથી. ભગતસિંહની ફાંસી ન રોક્યાનો ગોડસેનો, ગાંધી પર આરોપ છે. ગોડસેની ફાંસી ન અટકે તો ઇરવિન કરાર કરવાની જરૂર ન હતી, એવું ભગતસિંહના સમર્થકોનું માનવું હતું, એ ખરું કે ભગતસિંહના હિંસક પ્રયત્નો ગાંધીજીની અહિંસાથી વિપરીત હતા ને ગોડસેના પ્રયત્નોને એથી જ એમણે વખોડ્યા પણ હતા, પણ ખુદ ગાંધીજીએ ભગતસિંહની ફાંસી રોકવા લોર્ડ ઇરવિનને સમજાવવામાં કોઈ કસર રાખી ન હતી એ વાત પણ નોંધી છે. એમણે ફાંસીના દિવસે છેલ્લો હૃદય સ્પર્શી પત્ર પણ લખ્યો, પણ ત્યારે મોડું થઈ ગયું હતું.

ગાંધીજીની સ્વદેશીની ચળવળ રવીન્દ્રનાથ ટાગોરને મંજૂર હતી, પણ એની રીત માન્ય ન હતી. વિદેશી કાપડની જાહેરમાં હોળી થતી જોઈને ટાગોર વ્યથિત હતા. કાપડ ભલે વિદેશી હોય, પણ એ બનાવનારની મહેનત ને કિંમત બંનેનો વ્યય થતો હતો તે ટાગોરને ગમતું ન હતું. એ જ મુદ્દે એમણે ‘ઘરેબાહિરે’ નામક નવલકથા પણ લખી. ગાંધીજીનો વિરોધ કરનારાઓ પણ એમનાથી પ્રભાવિત થયા વિના રહી શકતા ન હતા. એ જ કારણ છે કે ટાગોરે એમને ‘મહાત્મા’ની ઓળખ આપી, તો બાપુ પણ એમને ‘ગુરુદેવ’ કહેવામાં પાછળ ન રહ્યા. ગાંધીથી અંજાયો ન હોય તો ગોડસે વીંધતા પહેલાં વંદે ખરો? એને પણ પોતાનાં હિંસક કૃત્ય માટે, વીંધાનારના જ આશીર્વાદની જરૂર પડી એ પણ કેવી વક્રતા !

ગાંધીની હત્યા ગોડસેએ કરી એ સાથે હિંસાનો ખોટો દાખલો બેઠો ને એ પછી તો હિંસા ને હત્યાનો દોર ચાલ્યો. એ હત્યામાં તો પછી બીજા ગાંધીઓ પણ હોમાયાં. પાકિસ્તાન ગાંધીની સંમતિનું પરિણામ હતું – ગાંધીની હત્યાનું એક કારણ આ પણ છે, પણ ભાગલા પોતાની લાશ પર પડશે એવું કહેનાર ગાંધીને આપણે ભૂલી જઈએ છીએ. આઝાદી, ગાંધી માટે શોક લઈને આવી હતી. હિન્દુ-મુસ્લિમો બંને દેશોમાં બહુ મોટી સંખ્યામાં માર્યા ગયા. આઝાદી માટે જેટલાં મૃત્યુ ન થયાં એનાં કરતાં અનેકગણા મૃત્યુ આઝાદી મળતાં જ થયાં. એ ગાંધીની ઈચ્છા કેવી રીતે હોય? જો હિંસા જ માન્ય હોત, તો સુભાષ સાથે જ હાથ મિલાવ્યા હોત ને ! પણ સારી કે ખરાબ, ગાંધીને તો અહિંસા જ ખપતી હતી. એ જુદી વાત છે કે સાથી નેતાઓ સાથેના મતભેદ, આઝાદી મેળવવાની ઉતાવળ અને અંગ્રેજોની ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની નીતિએ સ્વતંત્રતાને સંહારક બનાવી ને બીજું કારણ કોઈ પણ હોય, પણ એને માટે ગાંધીને જવાબદાર ગણનારાઓ ગાંધીને ન્યાય નથી કરતા એટલું ચોક્કસ !

ગાંધીએ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ,’ ‘હિન્દ સ્વરાજ’, સત્યના પ્રયોગો’ જેવાં પુસ્તકો લખ્યાં, ‘ઇંડિયન ઓપિનિયન’, ‘નવજીવન’. ‘યંગ ઈન્ડિયા,’ ‘હરિજન’ જેવાં છાપાં ચલાવી ચાલીસેક વર્ષ પત્રકારત્વ ખેડ્યું, ખાદી દ્વારા ગ્રામોદ્યોગનો મહિમા કર્યો, બાળલગ્નો, હરિજનો, સ્ત્રી કેળવણી, લોકશિક્ષણ, વર્ણવ્યવસ્થા અંગે વ્યાખ્યાનો આપ્યાં, સત્યને જ ઈશ્વર તરીકે પ્રમાણ્યું, સર્વધર્મ સમભાવની દૃષ્ટિ કેળવી કોઈ પણ પ્રકારનાં ધર્મ પરિવર્તનનો વિરોધ કર્યો. તેમણે જ કહ્યું છે કે પરધર્મીને વટલાવીને પોતાનાં ધર્મમાં ખેંચવાનો વિધિ બીજા ધર્મોમાં હશે, હિન્દુ ધર્મમાં નથી જ ! હિન્દુ ધર્મ વિષે આવું માનનાર હિન્દુઓને અન્યાય કરે ને મુસ્લિમોની તરફેણ કરે એવું કેટલું શક્ય છે તે વિચારવાનું રહે. સંજોગો અનુસાર જે તે સમયે કોઈનો પક્ષ લેવાનું બને. તેવું સતત બને તો તેને પક્ષપાતી જરૂર ગણીએ, પણ આ જ ગાંધીએ નોઆખલીમાં મુસ્લિમોનાં હિન્દુઓ પરનાં આક્રમણ સામે હિન્દુઓને બચાવવા પદયાત્રા કરી અને એ પહેલાં કલકત્તામાં મુસ્લિમોની સુરક્ષા માટે સ્ફોટક વિસ્તારોમાં રહીને એવી સ્થિતિ ઊભી કરી કે મુસ્લિમ લીગના નેતાઓને નોઆખલીમાં હિન્દુઓની રક્ષા માટે પોતાનાં માણસો મોકલવાની ફરજ પડે. આ જાણ્યા પછી પણ ગાંધીએ મુસ્લિમોની તરફેણ કરી છે એવું કહીશું? એ દુ:ખદ છે કે ગાંધી મુસ્લિમોની જ નહીં, હિન્દુઓની નફરતનો પણ ભોગ બન્યા.

સાચું તો એ છે કે એમને બધા જ ધર્મો અપૂર્ણ લાગ્યા છે, કારણ, તે અપૂર્ણ મનુષ્યો દ્વારા આવ્યા છે. પ્રાર્થના એમને અન્ન જેટલી જ અનિવાર્ય લાગી છે. આવું સર્વગ્રાહી ને વ્યાપક વ્યક્તિત્વ ઓછામાં ઓછું ‘મહાત્મા’ તો હોય જ ને ! આ મહાત્મા માટે અનેક અંજલિઓ અપાયાં જ કરે છે, પણ એમની હત્યા વખતે આવેલી એક અંજલિ એક પોર્ચુગીઝ કવયિત્રીની એવી હતી કે એ દિવસે બુઢ્ઢા ઈશ્વરે ચશ્માં ઉતાર્યાં અને આંખમાંથી એક આંસુ ખરી પડ્યું ! તો, ગાંધીથી પ્રભાવિત નેલ્સન મંડેલાએ દક્ષિણ આફ્રિકા સંદર્ભે કહ્યું છે કે તમે અમને મોહનદાસ કરમચંદ ગાંધી મોકલ્યા ને અમે તમને મહાત્મા પરત કર્યા. આટલી ચાહના છતાં હકીકત તો એ છે કે તે ગોડસેને ખૂંચ્યા હતા. માત્ર ગોડસેને જ નહીં, બીજા કેટલાકને પણ ખૂંચ્યા હતા. ગાંધીની હત્યાના દસેક પ્રયત્નો થયા હતા એવી વાત ચુનીભાઈ વૈદ્યે ‘સૂરજ સામે ધૂળ’ પુસ્તિકામાં નોંધતાં ઉમેર્યું છે કે હત્યાના એ પ્રયત્નોમાંથી ત્રણમાં ગોડસે સંડોવાયો હતો. ગોડસેનો એક વાંધો પાકિસ્તાનને 55 કરોડ આપવાના ગાંધીના આગ્રહ સામે પણ હતો.

જુલાઇ, 1944માં એક માણસ પંચગીનીમાં હાથમાં છરા સાથે ગાંધીજી પર ધસી આવ્યો હતો, તે ગોડસે હતો એવી જુબાની પુનાની એક સુરતી લોજના માલિક મણિશંકર પુરોહિતે આપી હતી. ગાંધીજીએ આ ઘટના પછી ગોડસેને મળવા પણ બોલાવ્યો હતો, પણ તે ગયો ન હતો. ગયો હોત તો કદાચ ગાંધીને મારવાનો વિચાર બદલાયો હોત. એ પછી હત્યાનો બીજો પ્રયાસ સપ્ટેમ્બર, 1944માં, 1946માં પણ થયો, ત્યારે પણ ભાગલાની કે 55 કરોડની વાત ન હતી. 1946ના હત્યાના પ્રયાસ વખતે ગાંધીએ પોતાની 125 વર્ષ જીવવાની વાત કરી તો ગોડસેએ એનો ઉલ્લેખ કરતાં પોતાનાં સામયિક ‘અગ્રણી’માં નોંધ્યું કે તમને જીવવા કોણ દેશે? આ વાત હત્યા સંદર્ભે ઘણી સૂચક છે. ગોડસે પર મરાઠી નાટક ‘મી નથૂરામ ગોડસે બોલતોય’ પણ થયું છે. તેનાં પર પ્રતિબંધ મુકાયેલો. તેનાં વિરોધમાં એવું કહેવાયું કે પ્રતિબંધ મૂકીને તો એક વિચારને રૂંધવાનું થાય છે. વિચારનો જવાબ વિચારથી અપાય, તેને રૂંધાય નહીં. એ ખરું કે વિચારનો જવાબ વિચાર જ હોય. તો એ જ વાત ગોડસેને પણ લાગુ પડે ને ! તેણે કેમ વિચારનો જવાબ વિચારથી ન આપતાં, હત્યાથી આપ્યો? પણ, હવે ઘડિયાળ ઊંધી ચલાવી શકાય એમ નથી. હવે તો નથી ગોડસે કે નથી ગાંધી. એ પણ છે કે બંને જીવવાના છે. જોવાનું એ રહે કે કોણ કેટલું પ્રસ્તુત બની રહે છે?

ઔદ્યોગિક, ટેકનિકલ, ડિજિટલ પ્રગતિ દેશે જરૂર કરી છે, પણ એની સામે દેશ દેવાળિયો થઈ રહ્યો છે તે પણ નોંધવું ઘટે. મોંઘવારીએ આડો આંક વાળ્યો છે ને તેનો છેડો નથી દેખાતો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે, ન્યાયતંત્ર પર સરકારી પંજો વિક્સતો આવે છે, ન્યાયતંત્રની સત્તા સંકોચાઈ રહી છે, ગુનાહિત પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે, એકાધિકારવાદ જ કેન્દ્રમાં છે, સત્ય, નિષ્ઠા, ચરિત્ર, દેશહિત જેવી વાતો આઉટડેટેડ થઈ રહી છે, ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર છે. ટૂંકમાં, આ બધું ગાંધી વિચારોની ઉપેક્ષાને પરિણામે છે એવું નથી લાગતું? પણ, ગાંધી આઉટડેટેડ નહીં થાય, કારણ એ વ્યક્તિ નથી, વૈશ્વિક વાતાવરણ છે. એમાં વધઘટ થશે, પણ એના વગર જીવાવાનું નથી તે નક્કી !

એ વિશ્વ વિભૂતિને વંદન !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 જાન્યુઆરી 2023

Loading

30 January 2023 Vipool Kalyani
← મહાત્મા ગાંધી અને એમનાં મુસ્લિમ સહયોગીઓ-અનુયાયીઓ
તાલ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved