Opinion Magazine
Number of visits: 9447418
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—163

દીપક મહેતા|Opinion - Opinion|24 September 2022

આઠસો માઈલ દૂરથી આવેલા રમા નાયકે મુંબઈમાં શું શરૂ કર્યું?

ઉડુપ્પી હોટેલમાં નોકરી કરતો દયા નાયક વખત જતાં શું બન્યો?

મુંબઈથી આગબોટમાં બેસી દરિયા કિનારે દક્ષિણમાં ૮૦૦ માઈલ દૂર જઈએ તો પહોંચાય કર્ણાટક રાજ્યના એક બહુ મોટા નહિ એવા ગામમાં. ગામ ભલે નાનું, પણ એનું નામ આખા દેશમાં જ નહિ, દુનિયાના અનેક દેશોમાં જાણીતું અને માનીતું થઈ ગયું છે. ભારતીય ફિલસૂફીના ધુરંધરોમાંના એક મધ્વાચાર્ય. દ્વૈત સિદ્ધાંતના પ્રણેતા. તેમણે ૧૩મી સદીમાં અહીં શ્રીકૃષ્ણના મઠ કહેતાં મંદિરની સ્થાપના કરી. વખત જતાં એની નામના કર્ણાટકમાં જ નહિ, આખા દેશમાં પ્રસરી. આ મંદિરની એક વિશિષ્ટતા : રોજ જેટલા લોકો દર્શન કરવા આવે તે બધાને બપોરે પેટ ભરીને જમાડવાના – એક પૈસો પણ લીધા વગર. એટલે ઘણા ભક્તો આ મંદિરને ‘અન્નક્ષેત્ર’ તરીકે પણ ઓળખે. રોજે રોજ, કેટલાયે બ્રહ્મણો ‘પ્રસાદમ્‌’ની વાનગીઓ રાંધવામાં રોકાયેલા હોય. કયે દિવસે કઈ વાનગી, એ કઈ રીતે બનાવવાની, એમાં શું શું, અને કેટલું નાખવાનું, બધું નક્કી. અને હા, શુદ્ધ શાકાહારી ભોજન. કોઈ ભક્ત ભૂખ્યો ન જાય એની ખાસ તકેદારી. અને ભક્ત એટલે ભક્ત. એમાં પછી ન્યાત કે વર્ણના ભેદભાવ નહિ. એક જ વાત : ભગવાનને ઘરેથી કોઈ ભૂખ્યું પાછું જવું ન જોઈએ.

પ્રિય વાચકોને થતું હશે કે આજે મુંબઈને બદલે છેક કર્ણાટકના કોઈ ગામની અને ત્યાંના મંદિરની વાત કેમ માંડી હશે? મુંબઈના ખડિયામાં શાહી ખૂટી હશે? ના, જી. આજે આ ગામની વાત માંડી છે કારણ તેની અને મુંબઈની વચ્ચે ગાઢ સંબંધ છે. કઈ રીતે? એ ગામનું નામ સાંભળતાં જ ચતુરસુજાણ વાચકો સમજી જશે. એ ગામનું નામ ઉડુપ્પી.

મુંબઈની પહેલી ઉડુપ્પી હોટેલના સ્થાપક એ. રમા નાયક

એ ગામનો એક છોકરો, ઉંમર વરસ અગિયાર. નામ? એ. રમા નાયક. થોડો વખત શ્રી કૃષ્ણ મંદિરના પાકગૃહમાં કામ કરેલું એટલે રાંધતાં આવડે. ૧૯૩૦ની આસપાસ નસીબ અજમાવવા આવ્યો મુંબઈ. આવીને નોકરી શોધી. પેલા મંદિરમાં રાંધવાનો અનુભવ મદદે આવ્યો. મુંબઈના રામકૃષ્ણ મિશનના રસોડામાં ‘કિચન બોય’ની નોકરી મળી ગઈ. પૂરાં દસ વરસ તનમનથી કામ કર્યું એટલે અનુભવ બહોળો, અને ધન પણ એકઠું કર્યું, થોડુંક. એટલે નક્કી કર્યું પોતાની હોટેલ કાઢવાનું. ક્યાં? જ્યાં દક્ષિણ ભારતથી આવેલા ગરીબો રહેતા હોય ત્યાં જ કાઢવી હોટેલ. સવાર-સાંજ બંને વખત ઘર જેવું સાદું પણ સ્વાદિષ્ટ ભોજન. હોટેલનું નામ લાંબુલચક : એ. રમા નાયકની ઉડુપ્પી શ્રી કૃષ્ણ બોર્ડિંગ. આજે તો એ કિંગ્ઝ સર્કલનો વિસ્તાર ‘પોષ’ ગણાય છે. તેના રેલવે સ્ટેશનને અડીને આવેલી આ હોટેલ. ફોર્માંઈકા મઢેલાં ટેબલ. સાદી ખુરસીઓ. આજે પણ પીરસણિયા કહેતાં વેટર લુંગી પહેરીને વચમાંની સાંકડી જગ્યામાં આવનજાવન કરતા રહે. વાનગીઓ પીરસાય કેળનાં પાનમાં. અન્નકૂટ ધરવાનો હોય તેટલી વાનગીઓ નહિ. પણ બધી શુદ્ધ, સ્વાદિષ્ટ. ૧૯૪૨માં આ હોટેલ શરૂ થઈ ત્યારથી જે વાનગીઓ પીરસાતી, તે આજે ય પીરસાય છે. હા, ભાવ વધ્યા છે, છતાં મધ્યમ વર્ગને પોસાય એવા. આજે તો મુંબઈમાં રોકડા બે મેંદુ વડાની પ્લેટના ત્રણ સો રૂપિયા પડાવી લેતી હોટેલો પણ છે. અને સાથે સાંભાર અને ચટણી? અલગ અલગ વાડકીમાં નહિ. શિવલિંગ પર જળાધારીમાંથી પાણી ટપકતું હોય તેમ બે વડા પર થોડો સાંભાર રેડ્યો હોય અને આચમનીમાંથી દૂધનો અભિષેક કર્યો હોય તેમ નાળિયેરની સફેદ ચટણી રેડી હોય! જ્યારે અહીં આજે ય ‘અનલિમિટેડ’ થાળીના દોઢ સો રૂપિયા! આ હોટેલ મુંબઈની પહેલવહેલી ઉડુપ્પી હોટેલ છે એની જાણ કરતું પાટિયું આજે ય હોટેલની બહાર ઝૂલે છે.

હોટેલ બહાર જાહેરાતનું પાટિયું

૧૯મી સદીમાં અને વીસમીની શરૂઆતમાં ગુજરાત, દક્ષિણ ભારત, પંજાબ, બંગાળ કે બીજેથી પણ જે લોકો મુંબઈ આવી વસ્યા તેમની એક ખાસિયત : પોતાનાં ગામ, ન્યાત, જાતનો બીજો કોઈ આવે તો એને આશરો આપે. નાનુંમોટું કામ સોંપે. વખત જતાં એ માણસ પોતાનો અલગ ધંધો શરૂ કરે તો ય વધાવી લે, બને તેટલી મદદ પણ કરે. રમા નાયકની સફળતાની વાતો સાંભળી ઉડુપ્પીથી બીજા છોકરા-જુવાનો ય મુંબઈ આવવા લાગ્યા. એ જ પેટર્ન. પહેલાં નાની-મોટી નોકરી, પછી પોતાની હોટેલ. શ્રી કૃષ્ણ મંદિરનો અનુભવ અહીં બધાને કામ લાગે. ૧૯૭૦ સુધીમાં તો મુંબઈમાં ઠેર ઠેર ઉડુપ્પી હોટેલનું જાળું પથરાઈ ગયું. બધી ઉડુપ્પી હોટેલોની એક ખાસિયત : માલિકની, કે થડા પર બેઠેલા મેનેજરની એક આંખ વેટરો પર, બીજી આંખ સફાઈ કરનારાઓ પર. વેટરો વિનયવિવેકથી વર્તે છે કે નહિ, પોતાનું કામ ઝડપથી કરે છે કે નહિ, વગેરે જોતા રહે. તો દરેક ટેબલની અને ફર્શની સફાઈ વખતોવખત થવી જ જોઈએ. ઘણી ઉડુપ્પી હોટેલો તો ગ્રાહક રસોડું જોવા ઇચ્છે તો તે પણ બતાવે કારણ ખાતરી હોય કે બધું વ્યવસ્થિત અને ચોખ્ખું ચણક હશે જ. ઈરાની હોટેલની જેમ અહીં પણ જાતજાતની સૂચનાઓ લખેલી જોવા મળે : જમતાં પહેલાં ટોકન ખરીદી લેવા. ન વપરાયેલી કૂપન બીજે દિવસે વાપરી શકાશે. કેળના પાનમાં અને ચમચી વાપર્યા વગર ખાવાનો પ્રયત્ન કરવો. વગેરે. રમા નાયક અને તેણે શરૂ કરેલી હોટેલ હવે તો મુંબઈનું એક ખાસ આકર્ષણ બની ગયાં છે.

એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક

બીજો એક છોકરો. સાત ધોરણ સુધી ભણેલો. તેર વરસની ઉંમરે આવ્યો ઉડુપ્પીથી મુંબઈ. નાનપણમાં જ પિતા ગુમાવ્યા. કુટુંબની આર્થિક દશા સારી નહિ. મુંબઈ આવીને વર્સોવાની એક ઉડુપ્પી હોટેલમાં વેટરની નોકરી મળી. ઘરબાર નહિ એટલે રાતે એ જ હોટેલના ઓટલા પર ટૂંટિયું વાળીને સૂઈ રહે. એ કહે છે કે આજે પણ હું એક હાથમાં એક સાથે ચાના પાંચ કપ ઉપાડી શકું છું. પણ સાથોસાથ ભણવાનું ચાલુ રાખ્યું. રાતે રસ્તાની લાઈટ નીચે બેસીને ભણવાનું. આઠ વરસની મહેનત પછી ગ્રેજ્યુએટ થયો. એક પ્લમરને ત્યાં નોકરી કરી. પગાર મહિને ત્રણ હજાર. અને પછી જોડાયો મુંબઈ પોલીસમાં. એ છોકરાનું નામ દયા નાયક. વખત જતાં ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ તરીકે જાણીતો થયો. ૮૦ જેટલા ‘સમાજકંટક’નાં ઢીમ ઢાળી દીધાં. પોલીસ ખાતામાં ઘણી ચડતી-પડતી જોઈ. તેની સામે આરોપો મૂકાયા, કેસ થયા, પણ કશું પુરવાર થયું નહિ. નાગપુર બદલી થઈ તો એણે સરકારને ઘસીને ના પાડી દીધી. છેવટે બદલીનો હુકમ રદ્દ થયો. પણ એન્કાઉન્ટરના કામથી દૂર થતા ગયા દયા નાયક. પોતાના વતનમાં માના નામે સ્કૂલ બંધાવી. એ અંગે પણ આરોપો થયા એટલે સ્કૂલ સરકારને સોંપી દીધી. આ દયા નાયક એ પણ ઉડુપ્પી હોટેલની જ એક દેણ. 

આજે મુંબઈમાં ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે જ્યાં નાની-મોટી એક બે ઉડુપ્પી હોટેલ ન હોય. અસલ ઉડુપ્પી હોટેલ હજી કેવળ શાકાહારી વાનગીઓ જ પીરસે. પણ ઘણી હવે નોન-વેજ વાનગી પણ બનાવે છે. તો માટુંગા રેલવે સ્ટેશન સામે આવેલી ‘શારદા ભવન’ મેંગલોરિયન બ્રેકફાસ્ટ માટે જાણીતી. વાનગીઓ મર્યાદિત, પણ એક એકથી ચડે એવી. કઢી-ઇટલી અહીંની ખાસિયત. ૧૯૫૦માં શરૂ થયેલી આ હોટેલનાં સાંભાર અને ચટણીનો સ્વાદ છેલ્લાં વીસેક વરસથી એનો એ જ.

માટુંગા ઈસ્ટમાં ભાંડારકાર રોડ પર આવેલી રામ આશ્રય સવારે પાંચ વાગ્યાથી ધમધમતી થઈ જાય. તમે દાખલ થાવ ત્યારે થાય કે આ તો સાવ મામૂલી હોટેલ લાગે છે. પણ એક વાર એનાં ઇટલી, ઢોસા, ઉતપ્પમ્‌નો સ્વાદ દાઢે વળગે પછી છૂટે નહિ. ના, મેનુ કાર્ડ નહિ. વાનગીઓનાં નામ અને ભાવ બ્લેક બોર્ડ પર ચોકથી ચીતરેલાં.

કેળના પાન પરનું જમણ

અસલ નામ કિંગ્ઝ સર્કલ, હવેનું નામ માહેશ્વરી ઉદ્યાન. ત્યાં આવેલ આનંદ ભવન. દાયકાઓથી નથી દેખાવ બદલાયો, નથી વાનગીઓની ગુણવત્તા ઓછી થઈ. અહીંના બીસીબેલે ભાત તો અફલાતૂન. તો કોટ વિસ્તારમાં મિન્ટ રોડ પર આવેલી સ્પેશિયલ આનંદ ભવનમાં ‘મદ્રાસી’ વાનગીઓની સાથોસાથ પંજાબી અને ઇન્ડિયન ચાઈનીઝ વાનગીઓ પણ મળે. તો આ જ વિસ્તારમાં આવેલી કાફે મૈસોરમાં એક વાનગી સાથે ક્રિકેટર રાહુલ દ્રવિડનું નામ જોડ્યું છે. મુલુંડ પશ્ચિમમાં આવેલી ‘વિશ્વભારતી’ બે ભાગમાં વહેંચાયેલી છે. એક ભાગ એર કન્ડિશન્ડ, બીજો સાદો. માટુંગામાં જ આવેલી ‘મણીઝ લંચ હોમ’ના ચાહકો ઇટલી-ઢોસા-વડા પર ઓવારી જાય. આ બધી હોટેલો આમ આદમીના ખિસ્સાને પોસાય એવી. વાનગીઓ ઉત્તમ, પૈસા મધ્યમ, માફકસરના. આ ઉપરાંત હવે ઠેકઠેકાણે અપ-માર્કેટ ‘સાઉથ ઇન્ડિયન’ હોટેલો જોવા મળે. વાનગીઓ સારી. વિવિધતા ઘણી. પંજાબી કે ગુજરાતી વાનગીઓ સાથેનું ફ્યુઝન પણ ત્યાં મળે. પણ ભાવ એવા કે એ વાંચ્યા પછી અડધી ભૂખ ઘણાની મારી જાય.

એક વખત મુંબઈની આગવી ઓળખાણ જેવી ઈરાની હોટેલો વીસમી સદીની છેલ્લી પચ્ચીસીમાં હાંફવા લાગી અને પછી હારી ગઈ તેનું એક કારણ આ ઉડુપ્પી હોટેલો પણ ખરું. બંનેમાં વાનગીઓની ગુણવતા અને તેનો સ્વાદ બેનમૂન. ભાવ માફકસરના. સાદગી, ચોખ્ખાઈનો આગ્રહ. બંને પ્રકારની હોટેલોને પોતાનો બંધાણી વર્ગ. પણ ઉડુપ્પીની વાનગીઓનો સ્વાદ ‘દેશી’ જીભને વધુ માફક આવે તેવો. વળી ઈરાની હોટેલો નોનવેજ વાનગીઓ પણ પીરસે. એટલે કેટલાક ત્યાં જવાનું ટાળે. બંનેમાં ન્યાતજાતના ભેદ નહિ. અને ખાસ તો એ કે સમયની માગ પ્રમાણે ઉડુપ્પી હોટેલો બદલાતી રહી. (કેટલીયના સાંભારનો સ્વાદ હવે ગળચટ્ટો હોય છે, ગુજરાતીઓને માફક આવે એટલે.) જ્યારે ઈરાની હોટેલોએ જેમ બ્રિટિશ પરસ્તી આજ સુધી ચાલુ રાખી તેમ વાનગીઓની બાબતમાં પણ ‘આગુ સે ચલી આતી હૈ’ને પણ વળગી રહી. કેટલાક દાખલા તો એવા પણ જોવા મળે કે દિવસનો મોટો ભાગ લગભગ ખાલી રહેતી ઈરાની હોટેલની જગ્યા કોઈ ખરીદે અને ત્યાં ઉડુપ્પી હોટેલ ધમધોકાર ચાલતી થાય.

દક્ષિણથી ઉડુપ્પી હોટેલો મુંબઈ આવે તો દેશના બીજા ભાગો કેમ રહી જાય? એવી બીજા પ્રદેશોની થોડી હોટેલોની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 24 સપ્ટેમ્બર 2022

Loading

24 September 2022 Vipool Kalyani
← સત્ય માનવના હૃદયમાં જ છે 
બીરબલની જેમ ખીચડી પકાવશું અમે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved