Opinion Magazine
Number of visits: 9449236
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વીસે વાન’ની સંભાવના? જનતા જનાર્દનનો જવાબી જાસો એક નવો માહોલ બનાવી પણ શકે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

મતદાનના પહેલા દોરમાં બે વાત એક સાથે બની: નકસલ આતંક અને ચેતવણી છતાં લોકો મતદાન માટે બહાર આવ્યા. એક રીતે, જેમ નકસલ જાસો તેમ વળતો જનતા જાસો જ કહો ને. બીજું જે એક વાનું નોંધપાત્રપણે ઊભરી રહ્યું એ સામાન્યપણે ઉદાસીન રહેતા તબકામાંથી થયેલા મતદાનનું છે.

મહાનગરોના સુખી, ઉપલા મઘ્યમવર્ગની આબરૂ વાચાળ ટીકાકાર તરીકેની તેમ કેવળ અને કેવળ ટીવીબદ્ધ તરીકેની રહેતી આવી છે. પણ ગુરુવારની હૈદરાબાદ ઘટના, મહાનગરના ‘સુખી’ ઇલાકાઓમાં લોકનું ડ્રોઇંગ રૂમમાંથી બહાર આવી મતદાન મથકોએ જવું, એ જો આવનારા દિવસોની એંધાણી હોય તો હવેના દોરમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુમાંય આ તબકા અને આ ઇલાકાઓનું બહાર આવવું એક રૂડી શકયતા વરતાય છે.

૧૭ રાજયો અને કેન્દ્રીય પ્રદેશોમાં ૧૨૪ બેઠકો માટેના આ મતદાનની સાથે જ લાલુ ઘટના અને વરુણ ઘટના પણ ઘ્યાનાર્હ બની રહી. સરણ મતવિસ્તારમા ભાજપના રુડી સામે લાલુની પ્રતિમા ઝંખવાયા જેવી લાગતી હતી. (કોઈક અંગ્રેજી અખબારે લાલુના પ્રાસમાં વોટર્લુ ભલું સંભાર્યું!) વરુણ ગાંધી, એમણે જે ભાષણો કર્યા હતાં એવાં ઝેરીલાં ભાષણો નહીં ઓકવાનું કબૂલાતનામું આપીને જામીન પર બહાર આવ્યા. જરા દૂરાકષ્ટ લાગે, પણ આ બધી બીનાઓને એક સાથે મૂકીને જોતાં મને એવું વિધાન કરવાનું સાહસ કરવું ગમે કે વીસે વરસે એક નવો મતદાર બહાર આવી રહ્યો છે અને એક નવો માહોલ બની રહ્યો છે. કદાચ, ધોરણસરના શાસન (ગવર્નન્સ) માટેનો તેમ શાસન પ્રક્રિયામાં સહભાગિતા માટેનો આગ્રહ અને અભિલાષા વધી રહ્યાં છે.

હમણાં, ‘વીસે વરસે’ એમ કહ્યું, કેમ કે ૧૯૮૯થી ૨૦૦૯નો આ દોર જેમ અપવાદરૂપ પૂર્ણકાલીન સરકારોનો તેમ વરસોવરસ બદલાતા વડાપ્રધાનો અને મઘ્યસત્ર બલકે મઘ્યસત્ર પૂર્વ ચૂંટણીઓનો રહ્યો છે. ૧૯૮૯ જેમ વિશ્વનાથ પ્રતાપસિંહ સાથે બદલાવની હવાનું વર્ષ હતું તેમ કોંગ્રેસની સુવાંગ બહુમતીના ખયાલને અલવિદાનું વર્ષ હતું. આ જ વર્ષે વચલા જ્ઞાતિસમુદાયોને (ઓબીસી તબકાને) રાજકીય શકિતસમ્પન્નતાની સોઈ આપી, અને મંદિર રાજનીતિનો અડવાણી વ્યૂહ પણ લગભગ આ જ અરસાની નીપજ છે.

વીસે વર્ષે કયાં છે આ બધાં? કોંગ્રેસ અને ભાજપ બંને મુખ્ય પક્ષ લેખે ઉભરવા-ટકવાની ફિરાકમાં છતાં ગઠબંધનની અનિવાર્યતા પ્રમાણતાં માલૂમ પડે છે. માત્ર, જે તે ગઠબંધનમાં પોતે મુખ્ય પક્ષ હોય એવી વાસ્તવિકતા નજીકની મહત્ત્વાકાંક્ષા તેઓ જરૂર સેવે છે. મંડલના વડા લાભાર્થી જો લાલુ અને મુલાયમ જેવા રહ્યાં હશે, તો વિવિધ જ્ઞાતિસુમદાયોની રાજકીય સમ્પન્નતાની આ જ પ્રક્રિયા પ્રકારાન્તરે માયાવતીના દલિત-બહુજન વ્યૂહમાં પણ માલૂમ પડે છે. પણ આજે લાલુએ (સફળ રેલ મંત્રીની છાપ છતાં) બિહારની નીતીશકુમારને જવાબ આપવો પડે છે. અડવાણીનો મંદિર વ્યૂહ અને એને થયેલી મંડલ કલમ (ગોવિંદાચાર્ય- ઉમા ભારતી- મોદી હસ્તકની કથિત સામાજિક ઇજનેરી), બધાંએ આજે પોતે શાસન અને વિકાસને વરેલાં છે એની ખરાઈ વારે વારે કરાવ્યા વગર છૂટકો નથી.

મતલબ, બીજા શબ્દોમાં, આરંભે જ નિર્દેશ કર્યો તેમ ભલે અપરિભાષિતપણે પણ કોઈક નવો મતદાર ઊભરી રહ્યો છે અને કશોક નવો માહોલ બની રહ્યો છે. પ્રાદેશિક અને બીજાં બળો બેલાશક છે અને ઓછેવત્તે આડકતરે અંશે એ રહેવાનાંય છે, પણ આ નવો મતદાર કોંગ્રેસ અને ભાજપ (કોઈ એક-પક્ષ-પ્રભાવવાદની હદે નહીં, છતાં) બેઉને વૈકિલ્પક ગઠબંધનોના વડા પક્ષ તરીકે દ્રઢાવીબઢાવી નવી દિલ્હીની સંભાળ રાખવા ઈચ્છે છે. અલબત્ત, આ દિલ્હીએ કોઈ સાંસ્થાનિક સામ્રાજયશાહી ગાદી તરીકે નહીં પણ સમવાયી રચનાને લાયકપણે પેશ આવવું રહેશે.

‘રહેશે’, ‘જોઈશે’, ‘ઈચ્છે છે’ -પ્રકારના પ્રયોગો મારતી કલમે આ ટિપ્પણીમાં છૂટથી કર્યા છે. પણ તે બધું આમ જ અવશ્યંભાવી હોવાનું છે એમ કહેવાનો આશય અલબત્ત નથી. માત્ર, આ ઇંગિતો સાથે સભાનપણે સંયોજન અને સંધાન શકય બને તો કયા પડાવ ઉપર પહોંચી શકાય એવો વાસ્તવનિર્ભર આશાવાદ અને અનુમાન ચોક્કસ છે.

કોંગ્રેસની એક-પક્ષ-પ્રભાવ-પ્રથાના જમાનામાં જે તાકીદ પૂરતી પકડાઈ અને પમાઈ નહોતી તે છેલ્લા બે’ક દાયકામાં પકડાઈ કે એક સામાજિક સંકલના જરૂરી છે. આ સંકલના જેમ આર્થિક-સામાજિક ન્યાય માટે તેમ સુશાસન માટે સાનુકૂળ બની રહેવી જોઈએ. ઊભરતા મઘ્યમવર્ગે મલ્ટિનેશનલ આંબાઆંબલી અને વૈશ્વિકીકરણના લાભોજીમાં નહીં બંધાઈ રહેતાં બાકીના લોકોને સાથે લેવા જોઈએ. સમુદાયોના સમુદાયો હાંસિયામાં મુકાતા અટકે તો જ સહભાગી વિકાસ માટેનું આર્થિક-સામાજિક-રાજકીય સંતુલન બને.

નાના નાના પક્ષો અને બાર ગામના ધણી બાણું લાખ માળવાના રાજવીને ખંખેરી કાઢશે એ આશંકાએ મેઘનાદ દેસાઈ સહિત કેટલાકે આ દિવસોમાં કોંગ્રેસ-ભાજપ ગઠબંધનનો ખયાલ ચલાવ્યો છે. ફુગ્ગામાં ઊડવાનો ગુણ જરૂર છે, પણ હોય છે તો એ એક ટાંકણીનો ઘરાક. દલિત અને મંડલ જમાવડા પોતપોતાનાં ઘરને કિલ્લો બનાવી બેઠા તે પછી કોંગ્રેસ અને ભાજપની નિયતિ હરીફો જેવી બની રહી છે. એ બે જો ભેગાં મળે તો તે સહિતોનો મહાસંઘ બની રહે, અને રહિતો તો બાપડા રહિત જ રહે. કરવા જેવું કામ હમણાં ચીંધેલ નવા સંતુલનનું છે.

પહેલા દોરમાં બહાર આવેલાઓ આ બધું જાણે સમજે છે? ન જાને.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved