Opinion Magazine
Number of visits: 9451330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાજિક સંકલનાનું નવું રાજકારણ ક્યારે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

પક્ષોના એકત્રીકરણ અગર ગઠબંધનના સંદર્ભમાં વિચારાતા અભિગમવ્યૂહમાં કૉંગ્રેસ – ભાજપ એકત્રીકરણનો ખયાલ બેમતલબ છે એમ કહ્યા પછી સ્વાભાવિક જ વૈકલ્પિક અભિગમવ્યૂહની ચર્ચાને અવકાશ રહે છે. કૉંગ્રેસ અને ભાજપ સિવાયનાં વિચારવલણોને પોતાની ભોંય અને પોતાનું આકાશ મળવાં જોઈએ એ અર્થમાં વિકલ્પ – ચર્ચા જરૂરી હતી, છે અને રહેશે.

પણ આ ક્ષણે, આરંભે, ચર્ચવા જોગ મુદ્દો કોઈ હોય તો તે ચોથા મોરચાનો છે. આ ચોથો મોરચો કૉંગ્રેસ વડપણ હેઠળના યુપીએના ઘટકો અને મિત્રો – લાલુ, મુલાયમ, પાસવાન – નો છે. દેખીતી રીતે જ, અસલનું જે 'માય' સંકલન ('એમ' કહેતાં મુસ્લિમ અને 'વાય' કહેતા યાદવ, માટે 'માય') છે તેના અને દલિત સમુદાયના એકત્ર આવવાની વાત આ છે. આ એકત્રીકરણ, જરૂરત મુજબ યુપીએમાં રહેતે છતે, કૉંગ્રેસને કંઈક દબાવી પણ શકે.

આવા એકત્રીકરણે બિહારમાં સૌ ગરીબોના જમાવડા તરીકે ઠીક રાજકીય કામ આપેલું તે આપણે લાલુના વારામાં જોયું છે. આવું જ એકત્રીકરણ, હકીકતે ઉત્તર પ્રદેશમાં તો ભાજપને સાતમા આસમાનેથી પાંચમા પાતાળે પટકનારું પુરવાર થયું હતું એ ૧૯૯૩નાં ચૂંટણીપરિણામો સંભારીશું ત્યારે બરાબર સમજાશે. ૧૯૯૨ના ડિસેમ્બરની છઠ્ઠી તારીખે ભાજપે પોતાને ઉત્તર પ્રદેશમાં શીર્ષસ્થાને અનુભવ્યો હતો. જોકે બાબરીધ્વંસ સાથે, એના પડતા ગુંબજો સાથે તે પોતે પણ પડી રહ્યો હતો એ એને ત્યારે સમજાયું નહોતું. ૧૯૯૩માં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં આ પક્ષનો નારો 'આજ પાંચ પ્રદેશ, કલ સારા દેશ' એવો હતો. પણ પરિણામ આવ્યું ત્યારે એણે અયોધ્યા લેતાં લખનૌ ખોયું હતું, અને દિલ્હી હજી દૂર હતું. એણે ઉત્તર પ્રદેશ ખોયું ; કેમકે પ્રદેશના દલિત અને ઓબીસી તબકા માયાવતી – મુલાયમની ચૂંટણી સમજૂતી સાથે એકત્ર થઈ જતાં વાણિયાબ્રાહ્મણના પક્ષ જેવો ભાજપ કદ મુજબ વેતરાઈ ગયો હતો. એ વાતને આજે સોળ વરસ થવામાં છે, પણ ભાજપને એની કળ નથી વળી તે નથી જ વળી. આટલો પૂર્વઇતિહાસ લક્ષમાં લઈએ તો યુપીએમાં અગર એની સાથે કૉંગ્રેસની જેમ જ લાલુ, મુલાયમ, પાસવાનના હોવારહેવાનું લૉજિક સમજાશે.

ઉત્તર પ્રદેશની લડાઈમાં (અને તે સૌથી વધુ સાંસદોનો પ્રદેશ હોઈ ચૂંટણીક્ષેત્રે ધર્મક્ષેત્રે) કદાચ આવો જ કોઈ વ્યૂહ માયાવતીના દલિત-બહુજન-સર્વજનવ્યૂહ સામે કામ આપી શકે એ દેખીતું છે. જે રીતે દલિત અને ઓબીસી તબકાઓ ઉત્તરોત્તર ખસતા ગયા તેને પરિણામે કૉંગ્રેસ સુખી-ઉજળિયાત મધ્યમવર્ગના પક્ષરૂપે સમેટાતી-સંકોચાતી ચાલી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપનું સ્વરૂપ પણ લગભગ એવું જ છે. બંનેમાં ફરક માત્ર કૉંગ્રેસમાં બચ્ચાખૂંચ્યા સ્વરાજ-સંસ્કારનો તેમજ ભાજપની પેઠે મુસ્લિમદ્વેષ નહીં હોવાનો જરૂર છે. હિંદુત્વ રાજનીતિ માટે, કેમકે એના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ગળથૂથીમાં જ સામાજિક ડાર્વિનવાદ જેવું કશુંક પડેલું છે, સમાજના બધા વર્ગોને સાથે રાખવું અઘરું છે. વ્યાપક જેવો એક તબક્કો આવતાં તો આવી જાય, પણ પછી તે કદ મુજબ વેતરાઈ જાય.

ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં જે વહેલું વરતાયું, ગુજરાતમાં પણ તે વહેલુંમોડું વરતાયા વગર રહેવાનું નથી ; કેમકે કૉંગ્રેસવિમુખ મતદાર માટે અહીં બધા કિસ્સામાં ભાજપ પહેલી પસંદગી છે એવું નથી. પણ એના સબળ વિકલ્પના અભાવે, કૉંગ્રેસવિમુખ મતદારોનો એક હિસ્સો જો જખ મારીને કૉંગ્રેસને મત આપે છે તો બીજો હિસ્સો વખાના માર્યા ભાજપ ભણી વળે છે. ગુજરાત ભાજપની આ વખતની ઉમેદવારપસંદગીમાં તમે માધવસિંહના ખામ વ્યૂહની બી ટીમ જેવા જે નમૂનાઓ જુઓ છો તેમાં પહેલીવાર કેશુભાઈની સરકાર બની તે વખતના મંડલમંદિર જોડાણવાળી ઉમેદવારપસંદગીની ફીકી ફીકી છાયા છે તેમજ હિંદુત્વ રાજનીતિની ઓસરતી અપીલ સામે જ્ઞાતિચોકઠાનો ખેલ છે. વળી વિકાસનો વેશ પણ ખરો સ્તો.

મેં હમણાં ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને ભાજપ સુખી મધ્યમવર્ગમાં સંકોચાઈ ગયાની જિકર કરી. આ વર્ગ જરી વધુ વિચાર માંગી લે છે. ગુજરાતમાં આપણે અનામતવિરોધમાં એને શહેરની સડકો પર ઊતરી આવતો જોયો હતો. વિશ્વનાથ પ્રતાપ સિંહે જેવી મંડલ ભલામણોની સ્વીકૃતિ જાહેર કરી ત્યારે તેણે વળી પોતાનું લડાયક રૂપ પ્રગટ કર્યું હતું. આ બંને દૃષ્ટાંતો, તત્ત્વત:, સમાજના સુખી તબકામાં પોતાની સંપન્નતામાં બીજા કોઈની (વંચિતોની) સહભાગિતા સામેની લાગણીનાં છે. હૅવ્ઝ કહેતાં સહિતોને હૅવ નૉટ્સ એટલે કે રહિતો બાબતે સહૃદયતાનું ટાંચું પડેલું છે. પણ તમે જુઓ કે મંડલ મુદ્દે રસ્તા પર ઊતરી આવેલાઓ જેવાં મલ્ટિનેશનલ આંબાઆંબલી દેખાયાં કે તરત સાચાં કે સમણાંના સુખમાં મ્યાન થઈ ગયા. આ વર્ગે વાસ્તવમાં બાકીના સૌને વિકાસમાં સહભાગી બનાવવાની રીતે વિચારવું રહે છે. જો કૉંગ્રેસ અને યુપીએના આ પહેલા અને ચોથા મોરચાઓ વચ્ચે ધોરણસરની રમઝટ જામે તો વિસ્તરતા મધ્યમવર્ગ અને ઓબીસી તબકા વચ્ચે સંવાદની બારી ખૂલે અને એક નવી સામાજિક સંકલના બને.

આ અઘરું છે. કારણ, ઓબીસી તબકાનો રાજકીય ઉછેર અપણી સામાજિક પરંપરાઓ મુજબ બળુકા તબકાનો છે. નવા ભણેલા મધ્યમવર્ગને કોઈક તબક્કે જે લોકશાહી સંસ્કાર મળ્યો તે સામાજિક કોટિક્રમમાં ઉછરેલાઓને એટલા પ્રમાણમાં મળ્યો નથી તેમજ લોહિયા – દર્શને, જયપ્રકાશના આંદોલને અને ચરણસિંહના રાજકારણે એમને ખુલ્લાણમાં ને મધવહેણમાં તો આણ્યા પણ ગાંધી-જેપી-લોહિયાનો ક્રાન્તિસંસ્કાર તો એમાં ઊતરતાં ઊતરશે. હમણાં તો એનો ઠીક ઠીક હિસ્સો લઠૈત ને લોંઠકો પેશ આવતો લાગે એ દેખીતું છે. મહારાષ્ટ્રના રાજકારણમાં જે રીતે એસેમ અને ગોરે જેવાઓએ પોતે પાયરીએ નહીં રહે એમ સમજતે છતે દૂરદૃષ્ટિપૂર્વક નવા વર્ગોનો રાજકીય પ્રવેશ શક્ય બનાવ્યો એવું કાંક કરવું રહે છે. માયાવતીના સર્વજનવ્યૂહે જેમ ફૂલે – આંબેડકર પરંપરામાં તેમ પહેલા ચોથા મોરચાની જુગલબંદીએ ગાંધી-જેપી-લોહિયા પરંપરામાં શોધનમંથનનો રાહ લેવા જેવો છે. બને કે, એમાંથી દેશને પૂરા કદના વિકલ્પો મળી શકે.

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved