Opinion Magazine
Number of visits: 9448504
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત પાસે બહેરા વડાપ્રધાન છે

માર્ક ટુલી [ગુજરાતી અનુવાદ : વિશાલ શાહ]|Samantar Gujarat - Samantar|18 September 2014

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને મને જૂના જમાનાના હેડમાસ્તરની યાદ આવે છે. એવું કહેવાય છે કે, તેઓ પોતાના મંત્રીઓને શાળાના વિદ્યાર્થીઓ સમાન ગણે છે, તેમને શું પહેરવું, કોને મળવું અને શું કહેવું એવી સલાહો આપે છે. મંત્રીઓને વિવિધ કાર્યક્રમોની માહિતી આપવા માટે તેમ જ તેમને સલાહ-સૂચન આપવા માટે મોદી સતત તેમના અમલદારો પર આધાર રાખે છે. વડા પ્રધાન કાર્યાલયે મંત્રીઓના અંગત સચિવોની ખૂબ જ ઝીણવટથી ચકાસણી કરી છે અને તેમાંથી કોઈ જ એવું નથી, જે યુ.પી.એ. સરકારની નજીકનું કહી શકાય. વડા પ્રધાન ઈચ્છે છે કે અમલદારો તેમને વફાદાર રહે અને એવું જતાવવા માટેનું આ એક નાનકડું પગલું હતું.

સામાન્ય રીતે સારા સમાચાર હોય ત્યાં સુધી વફાદાર સરકારી નોકરો તેમના રાજકીય સાહેબોને ખરેખર જે થઈ રહ્યું છે એ નહીં, પણ તેઓ જે સાંભળવા માગતા હોય, એટલું જ કહેવા ટેવાયેલા હોય છે. જો કે, મોદી જેના પર સૌથી વધારે ભરોસો કરે છે, ત્યાંથી તેમને ચેડાં કરેલી માહિતી મળે એવો ભય પણ છે. 

કોઈ પણ વડા પ્રધાન માટે માહિતી મેળવવા માટે પોતાનો પક્ષ પણ મહત્ત્વનો સ્રોત હોવો જોઈએ. વર્ષ ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીની હાર પછી કૉંગ્રેસ-પ્રમુખ દેવકાંત બરુઆએ (‘ઇન્ડિયા ઇઝ ઇન્દિરા ઍન્ડ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ એવું જાણીતું વિધાન કરનારા) મને કહ્યું હતું કે પક્ષના સભ્યો ઇન્દિરા અને તેમનાથી પણ વધારે સંજય ગાંધીની ધાક તળે દબાયેલા છે, તેથી તેઓ જે કંઈ માહિતી પહોંચાડે છે, તે ચેડાં કરેલી હોય છે અને તેનાથી અવાસ્તવિક દૃશ્ય ખડું થાય છે. બરુઆનું માનવું હતું કે ચૂંટણીમાં હાર માટેનાં મુખ્ય કારણો પૈકીનું એક કારણ એ પણ હતું. મોદીએ પક્ષનું સુકાન તેમની સૌથી નજીકના સાથીદાર અમિત શાહને સોંપ્યું છે. અમિત શાહના પક્ષ પરના વર્ચસ્વથી ભા.જ.પ.ની ‘ચૅનલ ઑફ ઇન્ફોર્મેશન’માં અવરોધ ઊભા થાય એવો ભય નથી?

બીજો એક સ્રોત છે મીડિયા, જેના વિના પોતે કામ ચલાવી લેશે એવું ઇન્દિરા ગાંધીનું માનવું હતું. કટોકટી વખતે તેમણે ઑલ ઇન્ડિયા રેડિયોના ડિરેક્ટર જનરલને ત્યાં સુધી કહ્યું હતું કે વિશ્વસનીયતાની તેઓ ચિંતા ના કરે પરંતુ વિશ્વસનીય મીડિયાની ગેરહાજરીમાં અફવાઓ ફેલાવનારા ફૂલ્યા-ફાલ્યા અને ઇન્દિરાએ તેની કિંમત ચૂકવી. આજે વડા પ્રધાન એવું માની રહ્યા છે કે સરકાર જે કંઈ કહે એના મીડિયાએ અહેવાલો આપવા જોઈએ, કોઈ સવાલ નહીં કરવા જોઈએ. તેથી જ તેઓ, મંત્રીઓ અને અધિકારીઓ મીડિયા સાથે ટિ્વટર દ્વારા સંપર્કમાં રહે છે. આથી પત્રકારોને વધુ ઊંડી તપાસ કરવાની તકનો કોઈ અવકાશ રહેતો નથી અને તેના કારણે તેમનું રિપૉર્ટિંગ જેટલું હોવું જોઈએ, એટલું માહિતીસભર પણ નથી હોતું. મહત્ત્વની વાત એ છે કે, સરકારી નીતિઓ અંગે પત્રકારોના સવાલો જાહેર હિતને લગતા હોઈ શકે છે આ સંજોગોમાં પ્રધાન મંત્રી સહિતના નેતા અને અધિકારીઓ દ્વારા થતી ટિ્વટ ઓછો વિશ્વસનીય સ્રોત બની રહે છે.

ન્યાયતંત્ર લોકઅધિકારોની રક્ષા કરતું એક મહત્ત્વનું અંગ છે, જે સરકારને જમીન પર રાખીને તેને અહંકારી બનતી રોકે છે. એટલે જ ન્યાયાધીશોની પસંદગી કરવામાં સરકારની કોઈ ભૂમિકા ના હોવી જોઈએ. તેઓની પસંદગી ફેલો ન્યાયાધીશો દ્વારા થવી જોઈએ, પણ હાલની સરકારે હવે આ પદ્ધતિ બદલી નાંખી છે. શું એ ભયજનક સ્થિતિ નથી કે કાયદામંત્રીને જે ન્યાયાધીશો કે વકીલો સ્વતંત્ર-મિજાજી લાગતા હોય તેમની નિમણૂક જ ના થાય?

છેલ્લે, મોદી અનુભવીઓનો અવાજ સાંભળે એવું પણ લાગતું નથી. કૉંગ્રેસમાં પણ એવી લાગણીએ જોર પકડ્યું છે કે, રાહુલ ગાંધી વિદેશી પદવીઓ લઈને આવેલા બિનઅનુભવી સલાહકારો પર વધુ પડતો મદાર રાખી રહ્યા છે. મોદી યુવાન-બિનઅનુભવી સલાહકારોથી ઘેરાયેલા નથી, પરંતુ અનુભવીઓ માટે તેઓ ખાસ માન પણ જાળવતા નથી. એન.ડી.એ. સરકાર વખતની ઉચ્ચ નેતાગીરી પણ તેમના પાસે નથી અને વડા પ્રધાન પોતે પણ આ પહેલાં ક્યારે ય રાષ્ટ્રીય સ્તરે સરકાર સાથે સંકળાયેલા નથી રહ્યા. 

ખેર, મોદીરાજના પહેલા ૧૦૦ દિવસ સૂચવે છે કે, ભારત પાસે સાંભળતા વડા પ્રધાન નથી, તેથી મારા માનવા મુજબ, શક્ય છે કે તેઓ વાસ્તવિકતાથી દૂર થઈ જશે. મોદી સાંભળતા નથી, એ વાત ત્યારે જ સાબિત થઈ ગઈ હતી, જ્યારે તેમણે અચાનક પોતાની વ્યક્તિગત વેબસાઇટ પર એક નિવેદન પોસ્ટ કર્યું હતું. આ નિવેદનનો ભાવાર્થ એ હતો કે, તેમણે શરૂ કરેલા પરિવર્તનથી જે લોકો ટેવાયેલા નથી, તેમણે આગામી વર્ષોમાં આ બાબતથી ટેવાઈ જવું પડશે. 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2014, પૃ. 03 

Loading

18 September 2014 admin
← મેળાપી મૂડીવાદ સર્જશે ‘રિચીસ્તાન’ ?!
Indo – China Relations →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved