Opinion Magazine
Number of visits: 9448996
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણને માણસજાત તરીકે હિંસા માફક આવી ગઇ છે કે આપણને સાચી પ્રતિક્રિયા નથી ખબર?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 July 2022

ગુના વિશે સાંભળીને આપણને વ્યાકુળતા નથી થતી કે આવું કેમ થયું બલકે કોની સાથે થયું, કેવી રીતે થયું તેવા સવાલો થાય છે. આપણી સંવેદનશીલતાને કાટ લાગવા માંડ્યો છે

1946ની સાલથી વિશ્વમાં યુદ્ધનું પ્રમાણ ઘટતું ગયું, યુ્દ્ધમાં માર્યા જનારાઓની સંખ્યા સ્વાભાવિક રીતે ઓછી થાય. પરંતુ શું આ પછી હિંસાનું અને માનવીય સંઘર્ષનું પ્રમાણ ઘટ્યું? બદનસીબે આનો જવાબ છે ના. યુનેસ્કોના એક અહેવાલ અનુસાર સંઘર્ષ અને હિંસાનું પ્રમાણ વધ્યું છે. પ્રાદેશિક તાણ, કાયદાનો ભંગ, આર્થિક લાભ માટે ગેરકાયદે થતી પ્રવૃત્તિ અને ક્લાઇમેટ ચેન્જને કારણે જ્યારે જીવન જરૂરિયાતની ચીજોની તાણ પડે ત્યારે તે મેળવવા માટે પણ સંઘર્ષ થતા આવ્યા છે. 2016 પછી હિંસક સંઘર્ષનો સામનો કરનારા દેશોની સંખ્યા વધી, અને એટલી હદે વધી કે છેલ્લાં 30 વર્ષમાં આ હિંસક બનાવોની સંખ્યા જેટલી નહોતી તેટલી થઇ. જેમ કે સીરિયાના સિવિલ વૉરમાં શરૂઆતમાં આઠેક જૂથ હતા તે પછી હજારોની સંખ્યાએ પહોંચ્યા. વળી જેમ પ્રદેશોમાં હિંસા થાય તેમ હિંસાનું પ્રાદેશિકરણ પણ થાય – તેમાં રાજકારણ, આર્થિક સામાજિક અને લશ્કરના મુદ્દાઓ સરહદોને પાર પણ પ્રસરેલા હોય જેને કારણે સંઘર્ષો લાંબા ચાલે અને તેનો ઉકેલ જલદી ન આવે કારણ કે પારંપરિક રીતે તે સંઘર્ષોને રોકવાના જે પણ રસ્તા હોય તે પ્રત્યે આ પ્રકારના સંઘર્ષો પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે. આવો એક સંઘર્ષ આપણે એક રાષ્ટ્ર તરીકે કાશ્મીરમાં જોયો છે અને જોઇ રહ્યા છીએ.

આ તો થઇ એવા સંઘર્ષોની વાત જેમાં હિંસા, અરાજકતા, જાન-માલનું નુકસાન, રાજકારણ જેવું ઘણું બધું ગુંચવાયેલું છે.

પરંતુ તમે માનશો કે 2017માં આખી દુનિયામાં પાંચ લાખ લોકોના મોત હત્યા કરવાને કારણે થયા હતા – આ આંકડો સશસ્ત્ર સંઘર્ષમાં માર્યા ગયેલા 89,000 અને આતંકી હુમલાઓમાં માર્યા ગયેલા 19,000 કરતા કંઇ ગણો મોટો છે. યુ.એન.ના જે ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 16’ છે તેમાંનો એક મુદ્દો છે કે હિંસામાં થતા મોતનો આંકડો નોંધનીય રીતે ઘટાડવાનો છે, તેને સિદ્ધ કરવા માટે સામાજિક-આર્થિક-રાજકીય પરિસ્થિતિઓ બદલાય તે જરૂરી છે. જે રીતે દુનિયા આખીમાં હિંસક ગુનાઓની સંખ્યા વધી રહી છે તે જોતાં આ સિદ્ધિ જે 2030 સુધીમાં મેળવવાની છે, તે શક્ય જ નહીં બને.

જેમ આપણે ઉપર વાત કરી તેમ હિંસાના પણ અલગ અલગ પ્રકાર હોય છે – આપણા દેશમાં ગૅંગ વૉર્સ નથી થતા – અથવા તો દેખીતી રીતે એ સંઘર્ષો બહાર નથી આવતા એનો મતલબ એમ નથી કે દુનિયામાં બીજે આ પ્રકારના ગુના નથી આચરાઇ રહ્યા. અમેરિકાના બન્ને ખંડોના અલગ અલગ દેશોમાં ખૂનના બનાવો સૌથી વધુ બને છે – આખી દુનિયામાં થતા હત્યાના બનાવોમાંથી 37 ટકા જેટલા ગુના અહીં થાય છે. – તે પણ એવા પ્રદેશોમાં જે વૈશ્વિક વસ્તીમાં માંડ 13 ટકા હિસ્સો ધરાવે છે. વળી આપણે ત્યાં પણ ભાઇએ બહેનને રહેંસી નાખી, માએ બાળકોને મારી નાખ્યા, પિતાએ ભાઇના પરિવારને પતાવી દીધો, બૉયફ્રેન્ડે ધોળા દિવસે ગર્લફ્રેન્ડની હત્યા કરી, બળાત્કાર પછી બાળકી કે યુવતીની હત્યા કરી નાખી, જેવા સમાચારો કંઇ નવા નથી. બિમારુ રાજ્યો હોય, હાઇ સોસાયટી વાળા મેટ્રોઝ હોય કે પછી મધ્ય ભારત હોય – બધે જ, બધા જ પ્રકારના હિંસક ગુનાઓ થાય છે. એટલું ઓછું હોય તેમ મહિલાઓ, પત્રકારો, તાજેતરમાં તો પોલીસ સામે આચરાયેલા હિંસક ગુનાઓના સમાચારો આપણે માટે નવા નથી. આવા કિસ્સાઓ વિદેશમાં પણ બને જ છે.

અચાનક જ હિંસાના આંકડાની ચર્ચા શા માટે? આપણે બધા ડિજિટલી સતત પ્રવૃત્ત રહીએ છીએ – ગમે કે ન ગમે પણ એક હકીકત એ છે કે હત્યા-મારપીટ જેવી કોઇ પણ હિંસાને લગતું ‘કોન્ટેન્ટ’ હાથ લાગે તો એની પર નજર કરી લેવાનું આપણને કઠતું નથી. હિંસાનું પ્રમાણ અને સ્વરૂપ બન્ને બદલાતા રહ્યાં છે – કોઇને ભાંડવાથી માંડીને ધમકી આપવી, કોઇને અપમાનિત કરવા, કોઇની ઉશ્કેરણી કરવી, મારઝૂડ કરવાથી માંડીને હત્યા સુધીની ઘટનાઓ થકી હિંસા આચરાય છે. કમનસીબે હિંસાનું આ વમળ આપણી પર પણ અસર કરે છે. હિંસા કેવી છે, તેની તીવ્રતા વધારે છે કે ઓછી છે તે બધાને આધારે આપણે માણસજાત તરીકે તેની ગંભીરતા કે ક્ષુલ્લકતાને નાણવા લાગ્યા છીએ. હિંસા ક્યાં આચરાઇ છે, તેમાં કયા વર્ગના લોકો સામેલ છે, હત્યા કેટલી ક્રૂર રીતે કરાય છે, જે પણ ગુનામાં સામેલ હતા તે – ભોગ બનનારા અને ગુનો આચરનારા તેમની સમાજમાં પ્રતિષ્ઠાથી માંડીને તેમના રાજકીય ઝૂકાવને સુધ્ધાં આપણે ગણતરીમાં લઇએ છીએ – કમનસીબે આપણે તો ધર્મનો પણ આ લિસ્ટમાં ઉમેરો કરીએ છીએ. હિંસાના બનાવ પ્રત્યે આપણી પ્રતિક્રિયા આ બધા પરિમાણોને આધારે નક્કી થાય છે. ઘણીવાર આપણે એવી હિંસાની વાત આવે ત્યારે એવો પ્રતિભાવ સાંભળીએ કે – “આવું તો થાય જ છે ને વળી, ચાલે આ તો” – એવો જ હિંસક બનાવ – અથવા તો રાજકીય સંઘર્ષની સ્થિતિ ક્યાંક બીજે બને તો આપણા કાટલાં બદલાઇ જાય છે કારણ કે એ આપણું ‘કન્ડિશનિંગ’ છે. વળી ચર્ચાઘેલા આપણને આપણો અભિપ્રાય આપવાનો ઉત્સાહ ચાર ગણો હોય છે – ગુનેગાર તો પોતાને જે કાંડ કરવો છે કરીને કાં તો છટક્યો છે કાં તો પોલીસના હાથમાં છે – પણ આપણે એક સમાજ તરીકે આગવું ન્યાયાલય – ‘આપકી અદાલત’ નહીં પણ આગવી અદાલત ખોલી બેસીએ છીએ – ચર્ચા જીતવાના મોહલમાં ‘વિક્ટિમ’ – ભોગ બનનારનું શું? – એ મુદ્દાનો આખા સમીકરણમાંથી છેદ ઊડી જાય છે. વળી પોતાનો મુદ્દો જ સાચો છે એ સાબિત કરવાની હોડમાં આપણે આપણી માણસાઇ ખોઇ બેસીએ છીએ – અચાનક જ હિંસાની યોગ્યતા કે અયોગ્યતાને બદલે અરાજકતા જ ફેલાયલી રહે તે આપણને માફક આવી જાય છે. બીજાઓ સાથે આચરાતી હિંસાનો સીધો કે આડકતરો હિસ્સો બનવાનું પણ આપણને ફાવી ગયું છે. ટૂંકમાં આપણા પેટનું પાણી નથી હલતું, આપણે નિંભર થઇ ગયા છીએ. ગુના વિશે સાંભળીને આપણને વ્યાકુળતા નથી થતી કે આવું કેમ થયું બલકે કોની સાથે થયું , કેવી રીતે થયું તેવા સવાલો થાય છે. આપણી સંવેદનશીલતાને કાટ લાગવા માંડ્યો છે. હિંસાને મામલા આપણો અભિગમ ‘કોણ ગયું છે’ તેના આધારે નક્કી થઇ રહ્યો છે, એક સ્વસ્થ સમાજ માટે આ લાલ બત્તી છે.

બાય ધી વેઃ

આપણી માનસિકતામાં આવેલો બદલાવ એક બાબત છે તો બીજી બાબત છે કે ગુના આચરનારાઓ પાસે હવે વિકલ્પો વધ્યા છે. ટૅક સૅવી બનેલા આતંકીઓ હોય કે સિરિયલ કિલર્સ કે પછી કોઇ છોકરીને ડરાવનારો પૂર્વ પ્રેમી તેમની પાસે ડેટા છે. વૈશ્વિક દૃષ્ટિએ વાત કરીએ તો બાયોલૉજિકલ હુમલાઓ અને ન્યુક્લિઅર હથિયારો આધુનિક યુગની શોધ છે, સાઇબર અટેક્સ આંતરરાષ્ટ્રીય વૉર ફૅરનું હથિયાર બન્યા છે. માણસની પ્રતિક્રિયાની પણ જુદી જ હોય છે, માન્યામાં ન આવતું હોય તો તમે પોતે જ આ સવાલનો જવાબ જાતને આપજો – કોઇનું આર્મીમાં શહીદ થવું, કોઇ ગુનેગારનું એન્કાઉન્ટર થવું, વિદેશમાં ક્યાંક અંધાધૂંધ ગોળીબારી થવી, કોઇ મુસલમાનનું લિન્ચિંગમાં મોત થવું, કોઇ ક્લબમાં બળાત્કાર કે પછી કોઇ ગામડામાં એક કોમ દ્વારા બીજી કોમની છોકરી સાથેનું બેહૂદું કૃત્ય, કોઇ દલિતની ઘોડસવારી બદલ હત્યા કે પછી કાશ્મીરમાં થતી હિંસા – આ દરેકમાં ઘટના હિંસા છે – નકરી હિંસા … શું તમારી પ્રતિક્રિયા એ તમામ પ્રત્યે ઓછા વત્તા પ્રમાણમાં સહાનુભૂતિની છે કે પછી વિગતો પ્રત્યેની ઉત્સુકતા છે કે પછી ‘આપણે કેટલા ટકા’ની છે. – જવાબ કહેશે કે તમારામાં માણસાઇ કેટલી બચી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 જુલાઈ 2022

Loading

24 July 2022 Vipool Kalyani
← “તું તારું કર” – બિન્દુમાં સિન્ધુ જેવડી વાત …
બંગડી બંધન  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved