Opinion Magazine
Number of visits: 9483774
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંતાનને આયા નહીં, માયા જ ઉછેરી શકે

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 July 2022

એક વહુને વાંધો એ હતો કે તેનો દીકરો તેને ખરાબ કહેતો હતો. મમ્મી ખરાબ છે તેવું તેનાં સાસુ-સસરા જ ગમ્મતમાં કહેવડાવતાં હતાં ને મમ્મીને ખોટું લાગતું હતું. એમાં ખોટું લગાડવા જેવું ખાસ કૈં ન હતું, પણ મમ્મીને ગમતું ન હતું. વાત એમ હતી કે વહુ સંયુક્ત કુટુંબની સભ્ય હતી ને તેનો દીકરો દાદાદાદી પાસે વધારે રહેતો હતો. વહુ ઘરનાં કામકાજમાં એટલી વ્યસ્ત રહેતી હતી કે દીકરો દાદાદાદી પાસે જ દોડતો રહેતો. દોડતો એટલે કે એ બહુ લાડકો હતો ને દાદા કે દાદી તેને બહુ લાડ લડાવતાં હતાં. દાદાદાદી પાસે રહેવાને કારણે વહુ ઘરનાં કામ કરી શકતી હતી ને નવરાશ મળતી તો થોડો આરામ પણ કરી શકતી હતી, પણ તેને પોતાને એ બહુ સમજાતું ન હતું. તેને એવું હતું કે લાડથી દીકરો બગડી જાય એટલે તે દીકરાને સતત કાબૂ કરવા મથતી ને દીકરા પર નજર રાખ્યા કરતી. મમ્મી જરા પણ વઢતી કે દીકરો દાદાદાદી પાસે દોડી જતો. એ લાડને પરિણામે દાદાદાદીને તે પજવતો પણ ખરો એટલે એ ક્યારેક કંટાળતા પણ ખરા ને ત્યારે દીકરાને સીધો કરવા વહુને જ તેડાતી. વહુ તેને વઢતી તો દીકરાને તે વઢકણી જ લાગતી. આમ પણ વહુ ‘હોમવર્ક’ બ્રાન્ડ મમ્મી હતી અને દીકરાને તે સતત શિસ્તમાં રાખવા મથતી. બાળક બહુ શિસ્તમાં ને ટાઈમટેબલમાં રહેવા નથી જ કરતું હોતું. તે માપમાં ને ધાકમાં જ મોટું થાય તે બરાબર નથી. તે અતિ શિસ્ત કરતાં વહાલથી, સમજાવટથી જલદી માનતું હોય છે, પણ મમ્મીએ દીકરાને લશ્કરી શિસ્તમાં રાખવું હતું. આમ પણ દાબમાં જ રાખવા મથે તો મમ્મી દીકરાની માનીતી ન જ બને ને મમ્મીને તો માનીતા પણ થવું હતું. એ અઘરું હતું.

આ આખા ય કિસ્સામાં એક સારી વાત એ છે કે બાળક દાદાદાદી પાસે મોટું થાય છે જે આજના સંજોગોમાં દુર્લભ બાબત છે. બાળક નિમિત્તે દાદાદાદીની કે વહુની મીઠી તકરાર પણ હવે કેટલાં કુટુંબોમાં જોવા મળે છે તે પ્રશ્ન જ છે. મોટે ભાગે તો દાદાદાદી પાસે બાળકને રહેવાનું જ ઘટી ગયું છે. તે તો હવે દાદાદાદીથી દૂર માબાપ પાસે મોટું થતું હોય છે. જો કે, બાળક હવે માબાપ પાસે મોટું થાય એવું પણ ઓછું જ થતું આવે છે. શિસ્તમાં રાખતી મમ્મી બાળકને ખરાબ લાગે એટલી પણ બાળક પાસે ક્યાં છે? એ તો પપ્પા સાથે બહાર, નોકરીએ નીકળી જાય છે ને એ બંને નોકરી ન કરે તો ખર્ચને પહોંચી ન વળે, એટલે બાળક આયા પાસે કે કોઈ સંબંધી કે મિત્ર પાસે મોટું કરવું પડે એ સ્થિતિ છે. આ હાલત ઘણાં કુટુંબોની છે. બાળઉછેર એને કારણે કુદરતી રહ્યો નથી ને એણે પણ પ્રશ્નો ઊભા કર્યા છે.

એક સમય હતો જ્યારે બાળકનો જન્મ બોજ ન હતો. માબાપ ગરીબ હોય કે સાધારણ કુટુંબનાં, પણ સંતાનો વધારાનાં ન હતાં. પુત્ર જન્મે તો પણ સંતાનોની સંખ્યા વધતી રહેતી, તો ઘણાં કુટુંબો ઉપરાઉપરી બાળકી જન્મતી તો દીકરાની રાહ જોવામાં સંતાનની સંખ્યા વધારતાં રહેતાં. એ પછી સમય, સંજોગ બદલાયા. જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ કુટુંબો નાનાં થતાં ગયાં. સંયુક્ત કુટુંબો તૂટ્યાં. શિક્ષણ વધ્યું. નોકરી-ધંધાર્થે ગામડાં છોડીને શહેરમાં વસવાનું થતાં આખું કુટુંબ શહેરમાં વસાવવાનું મુશ્કેલ બન્યું. કુટુંબનાં કેટલાક વડીલો ગામમાં રહ્યા ને બાકીના શહેરમાં વસ્યા. એને કારણે કુટુંબમાં ઑર ઘટાડો થયો. પતિ-પત્ની અને એકાદ બાળક, એટલામાં જ કુટુંબ સીમિત થઈ ગયું. એમાં જ્યાં પતિપત્ની જ હતાં, ત્યાં તો બહુ વાંધો ન આવ્યો, પણ બાળક આવવાનું થયું, ત્યાં પતિપત્નીએ શું કરવું તેની મૂંઝવણો વધી. પતિપત્ની બંને નોકરી કરતાં હોય ત્યાં બાળકને કેમ આવકારવું એ પ્રશ્ન થઈ પડ્યો. બંનેએ નોકરીમાં રજા મૂકવી પડે એ સ્થિતિ આવી. પત્નીએ વધારે દિવસ રજા પાડવી પડે એ નક્કી હતું, કારણ બાળકનાં જન્મ પછી પણ તેની કાળજી લેવાનું, તેની જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું અનિવાર્ય હતું. બાળકનો ઉછેર સરળ નથી. તે પૂરો સમય માતાનો કે કુટુંબનાં સભ્યોનો માંગે જ છે. હવે જ્યાં પતિ નોકરી પર હોય ને પ્રસૂતા એકલી જ ઘરમાં હોય ત્યાં તેણે જ બાળકનું પૂરું ધ્યાન રાખવું પડે ને તે ન પહોંચી વળે એમ પણ બને. પતિ થોડા દિવસની રજા મૂકીને પણ મદદ કરવા મથે, પણ લાંબો સમય રજા મૂકે તો ઘર ચલાવવાનું અઘરું થઈ પડે. પત્નીએ લાંબા સમયની રજા મૂકવી પડે અથવા તો નોકરી છોડવી પડે.

ઘરમાં પ્રસૂતા એકલી જ હોય તો પિયરથી કે સાસરા પક્ષમાંથી કોઈને બોલાવવા પડે ને તેની દેખરેખમાં બાળકને મોટું કરવું પડે. સગાંઓમાંથી કોઈ ન આવે તો બાળકને આયાને કે નર્સને કે સંબંધીઓને ભરોસે મૂકવું પડે કે ઘોડિયાં સાથે નોકરીને સ્થળે તેને લઈ જવું પડે. એ રીતે બાળકને નોકરીને સ્થળે રાખવાની બધાં મંજૂરી આપે જ એવું જરૂરી નથી. એ સ્થિતિમાં નોકરી છોડવી પડે એમ પણ બને. ઘણાં ઘરોમાં એવું બને છે કે પતિપત્નીએ નોકરીએ જવું જ પડે ને બાળકને આયાને ભરોસે મૂકવું પડે. આયા સારી હોય તો બહુ વાંધો આવતો નથી, પણ તે જો નિર્દયી હોય કે દયા માયાનો તેનામાં છાંટો ન હોય તો બાળકનું આવી બને છે. એક આયા બાળકને ભીંત સાથે અફળાવતી હતી, તો એક આયા બાળકનું ખાવાનું ખાઈ જતી હતી ને બાળકને ભૂખે મારતી હતી. બાળક ઘવાયાંનાં કે ભૂખથી માંદું પડ્યાના ઘણા સમાચારો છેલ્લા થોડા દિવસમાં પ્રગટ થયા છે ને બાળકને ગુમાવવું પડે એવી સ્થિતિમાં માબાપે મુકાવું પડ્યું હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. એવે વખતે ઘરનું કોઈ સ્વસ્થ માણસ હોય તો બાળક પર જોખમ ઘટે ને તે સરળતાથી મોટું થઈ જાય એમ બને.

સંયુક્ત કુટુંબનો લાભ એ હતો કે બાળક પતિપત્નીની દેખરેખમાં બહુ ન રહેતાં, દાદાદાદીની કે કાકાકાકીની કે અન્ય સભ્યોની દેખરેખમાં મોટું થતું જતું ને તેની ખબર પણ ન પડતી. સંયુક્ત કુટુંબમાં બધું સારું જ હતું એવું ન હતું. પણ અત્યારે કૌટુંબિક વ્યવસ્થામાં સૌથી વધુ ખૂટતું કોઈ ફેક્ટર હોય તો તે સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનું છે. કેટલાંક કિસ્સાઓમાં બાળક દાદાદાદી પાસે એકથી વધુની સંખ્યામાં આવતા તો તેમાં ભેદભાવ પણ થતો. બાળક કાકાકાકી પાસે આવતું તો તેનાં પોતાનાં સંતાનો ને ભાઈના સંતાનો વચ્ચે ભેદ કરાતો ને બાળકની ઉપેક્ષા પણ થતી. એટલે માબાપ પોતે કાળજી લે એ જ ઉત્તમ સ્થિતિ બાળઉછેર માટે ગણાતી, પણ બાળક આયાના હાથમાં પડે તેનાં કરતા તે સંયુક્ત કુટુંબમાં મોટું થાય એ વધુ લાભદાયી છે, પણ કમનસીબી એ છે કે સંયુક્ત કુટુંબો હવે ઘટતાં જઈ રહ્યાં છે. કમ સે કમ આયા કરતાં તો એને અહીં વધુ માયા મળે એ શક્ય છે. એકલાં રહેવામાં કે નાનાં કુટુંબમાં પતિપત્ની એકલાં જ હોય તો બાળઉછેરના મુદ્દે કોઈકે તો નોકરી છોડવી પડે એ સ્થિતિ આવી શકે, પણ જો બાળક સંયુક્ત કુટુંબમાં હોય તો પતિપત્નીમાંથી કોઇએ નોકરી છોડવી ન પડે ને બાળઉછેર સહજ રીતે થાય એમ બને.

વડોદરા જિલ્લાના એક તાલુકામાં માતાને તેનાં પ્રેમીને મળવામાં 6 વર્ષનો દીકરો નડતર રૂપ છે એવું લાગતાં તેને ગળે ટૂંપો દઈ દીધો એવા સમાચાર 29 જૂનના જ છે. થોડા વખત પર એક દીકરાએ તેની માતાને ગોળીએ દીધી તેમાં પણ માતાનું ચારિત્ર્ય’ કેન્દ્રમાં હતું. આવી માતા બાળકનો કેવોક ઉછેર કરી શકે તે સમજી શકાય એમ છે. બાળક કૈં નથી સમજતું એવી ભૂલ માબાપે કદી કરવા જેવી નથી. માબાપ વચ્ચેના સંબંધો, તેમના ઝઘડાઓ, તેમના અન્ય વ્યક્તિ સાથેના સંબંધો … વગેરે બાળક જુએ, જાણે છે. માબાપ વચ્ચેની કુંઠા બાળક અનુભવે તો તે પોતે પણ કુંઠિત બને છે. એ કુંઠામાંથી બાળક એકાએક મુક્ત થતું નથી અને ઉમર વધતાં અનેક માનસિક, શારીરિક સમસ્યાઓનો તે ભોગ થઈ પડે છે. આજના કેટલાં ય બાળકો જોતાં જ ખબર પડે છે કે તે કોઈક સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા શારીરિક કે માનસિક કોઈ પણ હોઈ શકે. ટૂંકમાં, બાળઉછેરને જરા પણ હળવાશથી લેવા જેવું નથી. આવતી કાલનાં બાળકો ગઇ કાલ વગરનાં નથી, ન જ હોય. એમની ગઈ કાલ સારી હશે તો એમની આવતી કાલ પણ ઉજ્જવળ હશે તે કહેવાની જરૂર નથી.

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, “ગુજરાત ટુડે”, 03 જુલાઈ 2022

Loading

4 July 2022 admin
← નૃત્યનાટિકા ‘મેઘદૂત’ : એક સ્મરણીય સૌન્દર્યાનુભવ
શિવ સેનાનું ઉત્તરોત્તર કેમ પતન થઇ રહ્યું છે →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved