ભલે આઈઝેક ન્યુટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો હોય, અને આઈન્સ્ટાઈને એમાં મહત્ત્વનાં અને દૂરગામી ફેરફારો સૂચવ્યા હોય; આઈન્સ્ટાઈનની પરિકલ્પના મુજબનાં ગુરુત્વાકર્ષણનાં ખરેખર અસ્તિત્વ ધરાવતાં વમળો શોધી કાઢવામાં વડોદરાના, તરવરિયા તોખાર જેવા, ૨૭ વર્ષના એક છોકરડાએ બહુ જ મહત્ત્વની મદદ કરી છે. ડો. કરણ જાની અમેરિકાના પેન્સિલ્વાનિયા રાજ્યની સંસ્થામાં આ અંગે સંશોધન કરતી ટીમનો એક સભ્ય છે, અને આ શોધમાં તેનું બહુ જ મોટું પ્રદાન છે. આ સંસ્થાએ ૨૦૧૬માં ગુરુત્વાકર્ષણનાં વમળો અંગે રજૂ કરેલ સંશોધન લેખથી ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ખળભળાટ મચી જાય તેવાં, વમળો સર્જાયાં છે. કિરણ તે લેખનો સહ-લેખક છે, અને આ માટે તેને ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રનું પહેલું ઈનામ આપવામાં આવ્યું છે.
કરણ વડોદરાની શ્રેયસ વિદ્યાલયનો વિદ્યાર્થી હતો. ૨૦૦૬માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ભૈતિકશાસ્ત્રમાંથી બી.એસ.સી. કર્યા બાદ તે અમેરિકાની પેન્સિલ્વાનિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી ખગોળ વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર અને ખગોળને લગતા ભૌતિક શાસ્ત્ર વિષયોમાં સ્નાતક થયો હતો. તેને ડોકટરેટની પદવી એટલાન્ટા ખાતેની જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેકનોલોજીમાંથી મળી હતી.
સપ્ટેમ્બર – ૨૦૧૫માં બે ‘બ્લેક હોલ’ની ટકકર અંગે કરણે વિચારો વ્યક્ત કર્યા હતા, અને પછી આવી અથડામણ માટે આઈન્સ્ટાઈનનાં સમીકરણો વાપરી સુપર કોમ્પ્યુટરમાં એલ્ગોરિધમ બનાવી અમુક તારણો કાઢ્યાં હતાં. બહુ જ આશ્ચર્યજનક રીતે અવકાશમાંથી જવલ્લે જ પકડી શકાતાં કિરણોમાંથી તારવાતાં અવલોકનો સાથે આ તારણો બહુ જ સામ્ય ધરાવતાં હતાં.
પોતાના કિશોરકાળ અંગે કરણ કહે છે –
તે વખતે ‘વિજ્ઞાન શું છે? તેનો બહુ જ ધૂંધળો ખ્યાલ મને હતો. ચોપડીઓમાંથી ગોખી ગોખી, સારા માર્ક મેળવી ઘર, મિત્રો અને નિશાળમાં પ્રશંસા મેળવાય, તે સિવાય કશો ઊંડો વિચાર મને ન હતો. પણ ૧૬ વર્ષની ઉમરે જ્યારે વિજ્ઞાનના શિક્ષકે કહ્યું કે, ‘અનંતનો ખ્યાલ આવ્યા વિના બ્રહ્માંડનાં રહસ્યો ન સમજી શકાય.’ તે રાતે હું આકાશના તારા સામે કલાકો સુધી જોતો જ રહ્યો.
એ ઘડીથી મને ખગોળ અને ભૌતિક શાસ્ત્રોમાં રસ પડવા લાગ્યો. વધારે ઊંડાણથી આ બધું સમજવા મેં જ્યોતિષીઓ, ગુરુઓ અને વિજ્ઞાનના અધૂરા જ્ઞાનવાળા, નિષ્ણાતોનો સહારો પણ લીધો હતો. આ વિષયમાં આગળ અભ્યાસ ન કરવા મારી ઉપર બહુ જ દબાણો પણ આવવા માંડ્યા. ડોક્ટર કે એન્જિનિયર થયા વિના કાંઈ શુક્કરવાર ન વળે – એમ મને કહેવામાં આવતું. બી.એસ.સી. કર્યા બાદ બહુ બહુ તો હું એમ.બી.એ. થયો હોત અને સામાન્ય કારકીર્દિમાં ફસાઈ ગયો હોત. અમેરિકા આવીને એના ઊંડાણોમાં મેં ડૂબકી લગાવી ત્યારથી હું એનો આશક બની ગયો.
પેન યુનિવર્સિટીના ગુરુત્વાકર્ષણનાં વમળોના કેન્દ્રના ડિરેક્ટર ડો. અભય અષ્ટેકર સાથેના સંવાદોના પ્રતાપે અને પેન યુનિવર્સિટીના ઊંડા અભ્યાસ અને સંશોધનની લગનના માહોલમાં અવકાશના ઊંડાણોમાં કરણ તણાતો જ રહ્યો, તણાતો જ રહ્યો. NASA દ્વારા આવા કિરણો પકડી પાડવા દૂર અવકાશમાં મોકલેલા સેટેલાઈટના પ્રોજેક્ટમાં પણ કરણે મદદ કરી હતી. આઈનસ્ટાઈનના ગુરુત્વાકર્ષણ અંગેના સિદ્ધાન્તોમાં કરણને વધારે ને વધારે રસ પડવા લાગ્યો અને બીજા વર્ષની ઉનાળુ વેકેશનમાં તેને જર્મનીની આલ્બર્ટ આઈનસ્ટાઈન ઇન્સ્ટિટ્યૂટમાં ટૂંકા ગાળાનો અભ્યાસ કરવાની તક મળી. ત્રીજા વર્ષે તો કેનેડાની(Perimeter Institute for Theoretical Physics)માં ‘બ્લેક હોલ’ અંગે સંશોધન કરવાનો લ્હાવો પણ કરણને મળ્યો. એ સંસ્થાના ડિરેક્ટર વિશ્વ વિખ્યાત સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાની સ્ટિફન હોકિંગ છે. કરણ ગર્વથી કહે છે કે, આ વિભૂતિ સાથે એક દિવસ સવારનું જમણ લઈ હું અભિભૂત બની ગયો. લુઇસિયાનાની LIGO નામની વિશ્વ વિખ્યાત સંસ્થામાં પણ કરણે થોડોક વખત સંશોધનનું વધારે ઊંડાણનું કામ કર્યું.
પણ જેમ જેમ આ બાબત કરણ વધારે ને વધારે ઊંડાણમાં ઊતરતો ગયો, તેમ તેમ તેને આઈન્સ્ટાઈનનાં સમીકરણોને સુપર કોમ્યુટર પર વાપરી, ‘બ્લેક હોલ’ના સંશોધન વિશે લેબોરેટરી અને સેટેલાઈટોમાંથી મળતી માહિતીને સૈદ્ધાંતિક પીઠબળ આપવાની તાતી જરૂર સમજાવા લાગી. આ નવી દિશા જ કરણને આટલી મહાન સિદ્ધિના રાજમાર્ગ પર દોરી ગઈ. આઈન્સ્ટાઈનના કાગળ પર લખેલા સમીકરણો સમજનારા પણ બહુ જ ઓછા છે, એનો એલ્ગોરિધમ બનાવવો એ તો લોઢાના ચણા ચાવવા જેવું કામ છે !
ભારતમાં પણ કરોડો પ્રકાશ વર્ષ દૂરથી આવતાં કિરણોનું સંગીત સાંભળવા મથતા અને આવું સંશોધન કરતી સંસ્થા છે – તે જાણીને આપણે ગૌરવની લાગણી સાથે વિરમીએ.
વીડિયો : https://www.youtube.com/watch?v=3JOlYTpV7Xo
સાભાર – The Better India, Promote science
સંદર્ભ
http://www.thebetterindia.com/102154/karan-jani-gravitational-waves-research/
http://cgwp.gravity.psu.edu/news/
http://www.gw-indigo.org/tiki-read_article.php?articleId=94
આવાં વમળોના કિરણો પકડી સંશોધન કરતી લુઇસિયાનાની સંસ્થા (LIGO )અંગે –
https://en.wikipedia.org/wiki/LIGO