Opinion Magazine
Number of visits: 9504433
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંઘ કાંઈ બધું નથી. અદાલતના દ્વાર ખખડાવો, અપવિત્ર કામ કરનારાઓને ઉઘાડા પાડો.

રમેશ ઓઝા|Opinion - Opinion|22 May 2022

કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં આંધણ મુકાઈ ગયા છે અને મથુરાની મસ્જિદમાં આંધણ મુકવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતે જી.એસ.ટી. વિષે જે ચુકાદો આપ્યો છે એ અત્યંત મહત્ત્વપૂર્ણ છે; એટલે પહેલાં એના વિષે ચર્ચા કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે રાજ્યો કરવસૂલી વિષે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે અને એમાં કેન્દ્રની મંજૂરી કે સંમતિ જરૂરી નથી. ભારત એક સંઘરાજ્ય છે અને સંઘરાજ્યનો અર્થ જ પરસ્પર સહયોગ થાય છે. રાજ્યો ભારતીય સંઘના ઘટક છે, આશ્રિત નથી.

હકીકતમાં દેશમાં આજે જે બની રહ્યું છે એ સમજવું હોય તો કમ સે કમ આઠ દાયકા પાછા ફરવું જોઈએ, જ્યારે નજીકના ભવિષ્યમાં દેશને આઝાદી મળશે એ સ્પષ્ટ થઈ ગયું હતું અને સ્વતંત્ર ભારતનું સ્વરૂપ કેવું હશે એ વિષે ચર્ચા શરૂ થઈ હતી એટલું જ નહીં, સ્વતંત્ર ભારતને આકાર આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક તેના મુખપત્રોમાં વખતોવખત તેની ભૂમિકા માંડતો હતો. એ પછી ગાંધીજીની હત્યા થઈ, સંઘ ઉપર પ્રતિબંધ આવ્યો, ચોક્કસ બાંયધરીઓ પછી એ પ્રતિબંધ ઉઠ્યો ત્યારે સંઘને લાગ્યું કે આપણો પોતાનો રાજકીય પક્ષ હોવો જોઈએ અને સંઘે ભારતીય જનસંઘની સ્થાપના કરી. એ સમયે સંઘને એમ લાગતું હતું કે હિંદુઓને હિંદુહિત શેમાં છે એ વાત શબ્દ ચોર્યા વિના ફોડ પાડીને કહેવી જોઈએ. આખરે તેમના હિતની વાત છે એટલે આજ નહીં તો કાલે તેમને એ વાત સમજાશે જ અને આપણી સાથે આવશે. આ સિવાય ભારતનાં વિભાજનનું પાપ કાઁગ્રેસને માથે છે એટલે એનો પણ લાભ મળશે અને લોકો હિંદુઓ આપણા તરફ વળશે.

માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનસંઘ એ સમયે પોતાની વિચારધારા અને એજન્ડાને અત્યાર કરતાં પ્રમાણમાં વધારે પ્રામાણિકતાપૂર્વક વાચા આપતા હતા. નાગરિકત્વનું સ્વરૂપ, લોકતંત્ર, સંઘરાજ્ય, રાષ્ટ્રભાષા, સ્ત્રી-પુરુષ સમાનતા, ચાતુર્વર્ણ્ય, હરિજનોને ન્યાય, અનામત, સ્ત્રીઓ અને પછાત કોમોને અન્યાય કરનારા હિંદુઓના પારંપારિક રિવાજો, ઇતિહાસલેખન વગેરે બાબતે એ સમયે સંઘ અને સંઘનો પક્ષ પોતાની બાજુ રાખતા હતા. તેમને એમ હતું કે કાઁગ્રેસના રાજકીય દૃષ્ટિકોણ સામેનો હિંદુ રાષ્ટ્રનો વૈકલ્પીક દૃષ્ટિકોણ પણ લોકોની નજરમાં આવશે અને ધીરેધીરે હકની રાજકીય જગ્યા બનતી જશે.

પણ એવું બન્યું નહીં. ૧૯૬૨માં ત્રીજી વાર કાઁગ્રેસનો પ્રચંડ વિજય થયો એ પછી સંઘને એમ લાગ્યું કે આપણે આપણી વાત સ્પષ્ટપણે કહેતા રહીશું તો ગજ વાગવાનો નથી. હિંદુઓએ તો ગાંધી-નેહરુની કલ્પનાનું ભારત અપનાવી લીધું છે એટલે હવે આપણે આપણી ભાષા અને રજૂઆત બદલવાં જોઈએ. એ પછી એજન્ડા છૂપાવવાનું, અનેક મોઢે બોલવાનું, ભ્રમમાં નાખવા માટે ગોળગોળ બોલવાનું, સવાયા લોકતાંત્રિક બનીને ફરવાનું, સાચા અને સવાયા સેક્યુલર હોવાનો દાવો કરવાનું, સવાયા ફેડરલિસ્ટ હોવાનો દાવો કરવાનું અને બીજા અનેક પ્રકારના સોંગ રચવાનું શરૂ થયું. ટૂંકમાં હમ ભી ડીચ કહીને અવદીચોની નાતમાં પ્રવેશવાનું શરૂ કર્યું. આ બાજુ વિરોધ પક્ષોના અવદીચો પણ એટલા જ હતાશા એટલે આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા એમ કહીને તેમણે જનસંઘીઓને સાથે લેવા માંડ્યા. આ બધું પહેલાં નહોતું એવું નથી, ૧૯૬૨ પછી બહુ વ્યવસ્થિત રીતે એક પ્રકારની ભ્રમજાળ રચવામાં આવી.

મુંબઈમાં ‘રામભાઉ મહાલગી પ્રબોધિની’ નામની સંઘની એક સંસ્થા છે, જે ડોકયુમેન્ટેશનનું કામ કરે છે. અત્યારે બી.જે.પી.ના રાજ્યસભાના સભ્ય વિનય સહસ્ત્રબુદ્ધે તેમાં કર્તાધર્તા હતા. મેં એકવાર ત્યાં જઇને વિનય સહસ્ત્રબુદ્ધેને કહ્યું કે મારે સંઘની સ્થાપનાથી લઈને ૧૯૬૨ સુધીનું સંઘસાહિત્ય (પુસ્તકો નહીં ઠરાવો, વક્તવ્યો, મુખપત્રોમાં માંડેલી બાજુઓ વગેરે) જોવું છે. તેમના કાન તરત સરવા થયા. ૧૯૬૨ પહેલાંનાં જ દસ્તાવેજો શા માટે? એ પછી હું કોણ છું, શું કરું છું વગેરે તમામ પ્રકારની માહિતી માગી હતી. મેં તેમને કહ્યું હતું કે મારે અસ્સલ સંઘ અને અસ્સલ એજન્ડા સમજવો છે. તમે ઉપલબ્ધ નહીં કરો તો અલગ અલગ જગ્યાએ ભટકવું પડશે એટલું જ. તેમણે સંઘપરિવારની પારદર્શકતા વિષે થોડું ભાષણ આપ્યું અને મને જે સાહિત્ય જોવું હતું એ જોવા આપ્યું.

અસ્સલ સંઘે તેના અસ્સલ એજન્ડામાં ભારતીય સંઘરાજ્ય અથવા સમવાય ભારતને નકાર્યું છે. એક રાષ્ટ્ર એક પ્રજા, એક રાષ્ટ્ર એક ભાષા, એક રાષ્ટ્ર એક કાનૂન, એક રાષ્ટ્ર એક સત્તાકેન્દ્ર વગેરે સંઘના અસ્સલ એજન્ડાનો ભાગ છે. એક સમયે જ્યારે હિંદુઓ ‘એક રાષ્ટ્ર એક …’ની બાંગ સાંભળીને ગદગદ નહોતા થતા ત્યારે તેને છુપાવવામાં આવ્યા હતા અથવા એક વાતના અનેક અર્થ નીકળે એમ બોલવાનું શરૂ કર્યું હતું. હવે કેટલાક (દસમાંથી ત્રણ કે ચાર) હિંદુઓ ‘એક રાષ્ટ્ર એક…ની’ બાંગ સાંભળીને ગદગદિત થઈ જાય છે, ત્યારે હવે સંઘપરિવારે તેની મૂળ ભાષામાં બોલવાનું અને તેને લાગુ કરવાનું શરૂ કર્યું છે. આમાં નવું કાંઈ જ નથી, બધું જ હતું, કહેવામાં પણ આવતું હતું પણ પછીનાં વર્ષોમાં ભ્રમજાળ રચવામાં આવી હતી.

માટે મેં તાજેતરના મારા લેખોમાં અરુણ શૌરીનો હવાલો આપીને જે લેખ લખ્યા હતા તેમાં પહેલા બે લેખોમાં મેં કહ્યું હતું કે જો અરુણ શૌરી એમ કહેતા હોય કે બૌદ્ધિક પ્રમાદને કારણે તેઓ સંઘને ઓળખવામાં થાપ ખાઈ ગયા તો એ ખોટી વાત છે. બીજા લેખમાં વળી પાછો અરુણ શૌરીનો હવાલો આપીને મેં લખ્યું હતું કે જ્યારે પણ બંધારણીય ભારતને ઉગારવાનો વખત આવે ત્યારે વડી અદાલતોના અને સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવો. વખતે ન્યાય મળે અને ન્યાય નહીં મળે તો પણ પવિત્ર સ્થાને બેસીને અપવિત્ર કામ કરનારાઓ ઊઘાડા પડશે. બીજો ફાયદો પણ જેવો તેવો નથી.

જી.એસ.ટી.ની બાબતે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવવાથી ફાયદો થયો છે અને ઘણો મોટો ફાયદો થયો છે. ‘એક રાષ્ટ્ર એક કર’ના નામે ભારત નામનાં સંઘરાજ્યને અથવા સમવાય ભારતને દફનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એમ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે. રાજ્યો પોતાનાં રાજ્યમાં સ્વતંત્રપણે કરનિર્ધારણ ન કરી શકે. જો કોઈ રાજ્ય કરનિર્ધારણમાં પોતાનાં હિતમાં ખાસ ફેરફાર ઇચ્છતું હોય તો તે રાજ્યે માત્ર ભલામણ કરવાની અને એ ભલામણ કરવામાં પણ કમ સે કમ બીજાં દસ રાજ્યોની સંમતિ લાવવી જરૂરી છે. વળી એ ભલામણ, એટલે કે દસ રાજ્યોએ મળીને કરેલી ભલામણ કેન્દ્ર સરકારે સ્વીકારવી જ પડે એવું જરૂરી નથી. આ ઉપરાંત જમા થયેલી વેરાની રકમમાંથી રાજ્યોનો હિસ્સો કેન્દ્ર આપે અને મન થાય ત્યારે આપે. આ આર્થિક વેરાકીય વ્યવસ્થા નથી, પણ ફેડરલ ઇન્ડિયાને ખતમ કરવાની યોજના છે. દસ રાજ્યોએ સાથે આવવાનું એનો દેખીતો અર્થ એ કે એ રાજ્યો ગેરબી.જે.પી. શાસનવાળા હોવાં જોઈએ. અને એ પછી પણ કેન્દ્ર સરકારે એ ભલામણ સાંભળવી હોય તો સાંભળે. યુ.પી.એ. સરકારે આકાર આપેલા જી.એસ.ટી.ના મૂળ મુસદ્દામાં આવી જોગવાઈ નહોતી.

આજકાલ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં ‘ડબલ એન્જીન’ની વાત અચૂક કહેવામાં આવે છે એ યાદ હશે. ડબલ એન્જીન એટલે રાજ્યમાં ભા.જ.પ.ની સરકાર હશે તો પહેલું એન્જીન (કેન્દ્ર સરકાર) બીજા એન્જીન (રાજ્ય સરકાર)ને ડીઝલ આપશે અને જો બી.જે.પી.ને નહીં ચૂંટીને આપો તો વિરોધ પક્ષોની સરકારવાળા રાજ્યોની સપ્લાઈ લાઈન કાપી નાખવામાં આવશે. આ સમગ્ર ભારતના સહિયારા વિકાસ માટેની આર્થિક વ્યવસ્થા નથી, પણ ફેડરલ ઇન્ડિયા ઉપર કુઠારાઘાત કરનારી વ્યવસ્થા છે એમ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે.

માટે ઊહાપોહ કરતા રહો અને અદાલત સહિત લોકતાંત્રિક સંસ્થાઓના દરવાજા ખખડાવતા રહો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 મે 2022

Loading

22 May 2022 admin
← ચલ મન મુંબઈ નગરી—146
કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં … →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved