Opinion Magazine
Number of visits: 9446519
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોધી અવતાર હતો તે અત્યારે વિલન બની ગયો

રમેશ ઓઝા|Opinion - Opinion|12 May 2022

શ્રીલંકાના વડા પ્રધાન, એક સમયના પ્રમુખ, શ્રીલંકાના તારણહાર, સર્વેસર્વા અને ઈશ્વરના અવતાર ગણાતા મહિંદા રાજપક્સે રાજીનામું આપવું પડ્યું છે. રાજીનામું લોકોના ડરથી અને લોકોને શાંત પાડવા આપવું પડ્યું છે. બે દાયકા સુધી બેવકૂફ બન્યા પછી લોકોને હવે આર્થિક હાલાકીથી રાહત જોઈએ છે અને રાજપક્સ પરિવાર એ આપી શકવાની સ્થિતિમાં નથી. પરિવાર એટલા માટે કે તેમના પરિવારના એક ડઝન લોકો શાસક છે, અર્થાત્ સરકારમાં છે. આવો નાગો સગાવાદ ક્યાં ય જોવા મળ્યો નથી.

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં લોકો કેટલાક દિવસથી રાજપક્સબંધુઓનું રાજીનામું માગવા આંદોલન કરી રહ્યા છે. લોકોની માગણી એવી છે કે રાજપક્સેની સરકારે રાજીનામું આપવું જોઈએ અને બીજા કોઈ નેતાના વડા પ્રધાનપદ હેઠળ સર્વપક્ષીય રાષ્ટ્રીય સરકાર રચાવી જોઈએ. તો અને તો જ આર્થિક સંકટનો અંત આવી શકે. તેમને રાજપક્સે ઉપર હવે ભરોસો રહ્યો નથી. રાજપક્સેના નાનાભાઈ ગોટાબાયા રાજપક્સે શ્રીલંકાના પ્રમુખ છે, પણ ખરો નેતા અને ખરો વિલન તો મોટોભાઈ મહિંદા છે. ગોટાબાયા શ્રીલંકાના લશ્કરમાં હતા. ૧૯૯૮ની સાલમાં તેઓ લશ્કરમાંથી સ્વૈછિક નિવૃત્તિ લઈને અમેરિકામાં સ્થાયી થયા હતા. ત્યાં તેમનો મોટો ધંધો છે અને અમેરિકન નાગરિકત્વ પણ મેળવ્યું છે. ૨૦૦૫ની સાલમાં મોટાભાઈ મહિંદા રાજપક્સ શ્રીલંકાના પ્રમુખ બન્યા એ પછી તેમણે નાનાભાઈને અમેરિકાથી બોલાવી લીધા હતા અને સંરક્ષણ પ્રધાન બનાવ્યા હતા.

ગણતરી બહુ સાદી હતી. શ્રીલંકાની બહુમતી પ્રજા બૌદ્ધ સિંહાલીઓને ભારતના તામિલનાડુમાંથી ઉત્તર અને પૂર્વ શ્રીલંકામાં વસેલા હિંદુ તમિલો આંખે દીઠ્યા ગમતા નથી. આપણે ત્યાં કેટલાક હિંદુઓ મુસલમાનો માટે જેટલી નફરત ધરાવે છે એટલી નફરત તેઓ તમિલો માટે ધરાવે છે. મહિંદા રાજપક્સે વિચાર્યું હતું કે જો બે દાયકાથી ચાલી રહેલા તમિલ અલગતાવાદી આંદોલનકારીઓને કચડી નાખવામાં આવે તો દાયકાઓ સુધી રાજપક્સે પરિવારનો સૂર્ય આથમવાનો નથી. બૌદ્ધ સિંહાલીઓ એક સદીથી હારેલા, ઓશિયાળા અને જીવન માટે યાચના કરનારા દયાજનક સ્થિતિમાં હોય એવા તમિલોને જોવા માટે તરસે છે. તેમને એવા તમિલોના દર્શન કરાવી દેવા જોઈએ અને પછી જુઓ સાતમાં આસમાને રહીને કેવી રીતે શ્રીલંકા ઉપર રાજ કરી શકાય છે.

તેમણે તેમના નાનાભાઈને અમેરિકાથી પાછા બોલાવ્યા અને તેને સંરક્ષણ પ્રધાન બનાવીને બેરહમીથી તામિલોને વધેરી નાખ્યા. માત્ર અલગતાવાદી આંદોલનકારીઓની હત્યા નહોતી કરી, પણ તમિલોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. એવો નરસંહાર કે હિટલરના જર્મનીની યાદ અપાવે. યોગ્ય રીતે જ યુનોમાં શ્રીલંકા સામે નિંદાના પ્રસ્તાવ આવ્યા હતા અને પાસ પણ થયા હતા.

પણ અત્યારે એ જ રાજપક્સબંધુઓ સામે આંદોલન ચાલી રહ્યું છે. સમય બડા બલવાન! રાજપક્સ અસહિષ્ણુ માણસ છે. કોઈ અવાજ ઉઠાવે, પ્રશ્ન કરે, વિરોધ કરે એ તેમને ગમતું નથી ત્યાં રસ્તા ઉપરનું આંદોલન તો બહુ દૂરની વાત છે. વિરોધીઓનો ઈલાજ એ તેમની રીતે કરે છે અને એમાં ગુંડાગીરીનો પણ સમાવેશ થાય છે. તેમનો ફંડા બહુ સિંપલ હતો. અવાજ ઉઠાવે એને દેશદ્રોહી ઠરાવવાના અને પછી ગુંડાઓને હવાલે કરી દેવાના. જ્યારે બહુમતી પ્રજા સાથે હોય તો મર્યાદા પાળવાની જરૂર જ ક્યાં છે! પણ આ વખતે રાજપક્સેનાં રાજીનામાં બહુમતી સિંહાલીઓ માગી રહ્યા છે અને રાજપક્સેએ તેમનો એ ઈલાજ બહુમતી પ્રજા સામે કર્યો અને બાજી વણસી ગઈ. સોમવારે રાજપક્સેના ગુંડાઓએ આંદોલનકારીઓ (જેને સત્તાવાર રીતે રાજપક્સેના સમર્થકો કહેવામાં આવે છે) ઉપર હુમલો કર્યો અને મામલો વણસી ગયો. લોકોએ મહિંદા રાજપક્સેના મકાન ઉપર હુમલો કર્યો અને આગ ચાંપી. બીજા કેટલાક પ્રધાનોના અને શાસક પક્ષના સંસદસભ્યોનાં મકાનોને આગ લગાડવાનું શરૂ કર્યું. મહિંદા રાજપક્સે પહેલા તો હવામાં ગોળીબાર કરીને આંદોલનકારીઓને ડરાવવાની કોશિશ કરી, પરંતુ આ વખતે લોકો વિફરેલા હતા. મહિંદા રાજપક્સે રાજીનામું આપવું પડ્યું.

એની વચ્ચે મંગળવારે વાત વહેતી થઈ કે મહિંદા રાજપક્સેને અને તેમના પરિવારને ત્રિંકોમાલીમાં આવેલા શ્રીલંકન નૌકાદળના નૌકામથક પર લઈ જવાયા છે એટલે લોકો ત્યાં જમા થવા લાગ્યા. અત્યારે સ્થિતિ એવી છે કે રાજપક્સે પરિવારના સભ્યો દેશ છોડીને જતા ન રહે એ માટે લોકો (બહુમતી બૌદ્ધ સિંહાલીઓ) વિમાનમથકો ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. એમ કહેવાય છે કે પોલીસ પણ આંદોલનકારીઓને મદદ કરી રહી છે. રાજપક્સેની દાયકાઓ સુધી અસ્ત નહીં થનારી સત્તા અને રાજકીય વગ તો બાજુએ રહી, જીવ બચાવવો પણ મુશ્કેલ પડી રહ્યો છે.

આમ કેમ બન્યું? જે લોકો આંદોલન કરી રહ્યા છે એ લોકો શ્રી લંકન તમિલ, મુસલમાન કે બીજી લઘુમતી કોમના નથી; બહુમતી બૌદ્ધ સિંહાલીઓ છે જે હજુ હમણાં સુધી રાજપક્સેના ભક્ત હતા. ભક્ત એટલે એવા ભક્ત કે બુદ્ધિપૂર્વકની તો છોડો, તેમના હિતની વાત પણ સાંભળવા તૈયાર નહોતા. કારણ એ હતું કે રાજપક્સે અલગ તામિલ ભૂમિ માગનારા તમિલોને નિર્દયતાપૂર્વક કચડી નાખ્યા હતા, તમિલોને તેમની જગ્યા બતાવી દીધી હતી અને અન્ય લઘુમતી કોમને ઇશારામાં જણાવી દીધું હતું કે સખણા રહેવામાં માલ છે. શ્રીલંકા બૌદ્ધ સિંહાલીઓનો દેશ છે અને અન્ય દરેક કોમે આ વાસ્તવિકતા સ્વીકારીને દ્વિતીય કક્ષાના નાગરિક તરીકે જીવવાનું છે. સિંહાલીઓ રાજપક્સેની નિર્દયતાને વીરતા તરીકે જોવા લાગ્યા. સિંહાલીઓને ખુમારીનો અહેસાસ થયો. તેઓ તેમને ઈશ્વરનો અવતાર માનવા લાગ્યા. રાજકીય નેતાઓ અને ધર્મગુરુઓ વચ્ચે સાંઠગાંઠ હોય છે એટલે બૌદ્ધ ભીખુઓ અને બૌદ્ધપંચાયતો મહિંદા રાજપક્સેનું સન્માન કરીને તેમને બોધીઅવતાર તરીકે સ્થાપિત કરતા હતા. મહિંદા જ્યાં જાય ત્યાં સિંહાલીઓ કિકયારીઓ દ્વારા અભિવાદન કરતા હતા. રાપજપક્સે લોકપ્રિયતાની ઉંચાઈએ હતા અને પોતે સાતમાં આસમાને જીવતા હતા. એક દિવસ વખત બદલાશે તેની તેણે સપનામાં પણ કલ્પના નહોતી કરી!

ક્રૂરતા, અન્યાય, પ્રજાકીય વિગ્રહ, તાનાશાહી, જૂઠ અને લોકોને (સિંહાલીઓ વાંચો) ગમે એવું મનભાવન રાજકારણ (પોપ્યુલિસ્ટ પોલિટીકસ) ઉપર રાજપક્સેનો ભરોસો હતો. એમાં તેમણે આર્થિક બાબતો ઉપર ધ્યાન નહોતું આપ્યું અને એવી તેમને જરૂર પણ નહોતી લાગી. ઊલટું એવાં આર્થિક સાહસો કર્યા કે અર્થતંત્ર ખાડે ગયું. શ્રીલંકાનાં અર્થતંત્રમાં પર્યટનવ્યવસાયનો હિસ્સો ઘણો મોટો છે અને કોવીડના કારણે વિદેશીઓ આવતા બંધ થયા. ઓછામાં પૂરું રસાયણ ખાતર ઉપર પ્રતિબંધ મુક્યો અને જૈવિક ખેતી ફરજિયાત કરી. એને કારણે કૃષિ ઉત્પાદન ઘટી ગયું. અત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. વીજળી તેર તેર કલાક સુધી મળતી નથી. બેરોજગારી વિકરાળ છે. સિંહાલીઓ માટે જે માણસ હજુ ગઈ કાલ સુધી ભગવાન હતો, બોધીઅવતાર હતો એ અત્યારે વિલન બની ગયો.

કવિન્યાય જુઓ! ભારતનું તમિલોનું રાજ્ય તામિલનાડુ આજે શ્રીલંકાને અનાજની સહાય કરી રહ્યું છે અને રાજપક્સેબંધુઓ તામિલનાડુના ઓશિંગણ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 મે 2022

Loading

12 May 2022 admin
← જળને પ્રણામ
રાજદ્રોહનો કાયદો જેણે લાગુ કર્યો તે અંગ્રેજોના દેશમાંથી પણ નાબૂદ થયો છે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved