Opinion Magazine
Number of visits: 9449636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—142

દીપક મહેતા|Opinion - Opinion|23 April 2022

ભાંગ વાડી ભાંગી અને એની જગ્યાએ ઊભું થયું શોપિંગ સેન્ટર

જ્યારે માલિકો નાટકકારના નામનો જ એકડો કાઢી નાખતા

એક જમાનામાં ભાંગનો નશો કરવા બંધાણીઓ ભાંગ વાડી જતા. પછી નાટકના ઘેલાણીઓ ભાંગ વાડી જતા. આજે હવે શોપિંગના હેવાયા સહેલાણીઓ ત્યાં જાય છે! ખીલે તે કરમાય છે એ તો કુદરતી રીત છે. પણ પ્રિન્સેસ થિયેટર કુદરતી રીતે કરમાયું નહોતું. ૧૯૭૯ની શરૂઆતમાં એ થિયેટર અને દેશી નાટક સમાજના માલિક અને કંપનીના પગારદાર નોકરો વચ્ચે ઝગડો થયો. વ્યવસાયી રંગભૂમિના મોટા ભાગના લેખકો, નટ-નટી, ગાયકો, સંગીતકારો, વગેરે જે-તે કંપનીના પગારદાર નોકરો રહેતા. ‘વડીલોના વાંકે’ની પાંચમી નાઈટે જ હરગોવિંદદાસ શેઠનું અવસાન થયા પછી ‘દેશી’નું સુકાન સંભાળ્યું તેમનાં પત્ની ઉત્તમલક્ષ્મીબહેને. તેમના હાથ નીચે વહીવટકારો હતા, બીજા સલાહકારો પણ હતા. ઝગડામાં કોણ સાચું હતું, કોણ નહિ એમાં નહિ પડીએ. પણ બંને બાજુ મક્કમ હતી. પગારદાર નોકરોએ હડતાલ પાડી. સમાધાનના પ્રયત્નો નિષ્ફળ ગયા. કંપનીના માલિકોએ પ્રિન્સેસ થિયેટરને તાળાં માર્યાં. ઘણો લાંબો વખત બંધ રાખ્યા પછી છેવટે થિયેટર અને તેની આસપાસની બધી જગ્યા માલિકોએ વેચી નાખી. થિયેટરનું મકાન જમીનદોસ્ત થયું. ભાંગ વાડી ભાંગી, અને એની રાખમાંથી ઊભું થયું શોપિંગ સેન્ટર.

શ્રી દેશી નાટક સમાજનાં છેલ્લાં માલિક ઉત્તમલક્ષ્મીબહેન

આપણી જૂની રંગભૂમિ વિષે વાત કરતી વખતે મોટે ભાગે તેને સોનેરી-રૂપેરી રંગે ચિતરવામાં આવે છે. પણ તેની બીજી બાજુ પણ હતી. અને આ બીજી બાજુ માત્ર ‘દેશી’ને જ હતી એવું નહોતું. ઘણી ખરી નાટક કંપનીઓને હતી. મોટા ભાગના કલાકારો કંપનીના નોકર હોવાથી, માલિકો તેમના પર જાત જાતનાં બંધન લાદતા. માલિક નચાવે તેમ નાચવું પડતું. ગેરવાજબી શરતોવાળા કરારો પર સહી કરી આપવી પડતી નોકરોએ. આખેઆખું નાટક ભાગ્યે જ છપાતું. જેથી બીજી કોઈ નાટક કંપની એ ભજવે નહિ. પરિણામે નાટકો ભજવાયાં સેંકડો, પણ આજે આપણને વાંચવા મળે છે બહુ ઓછાં. મરાઠી અને ગુજરાતી, બંને રંગભૂમિ મુંબઈમાં પાંગરી, લગભગ સાથોસાથ. મરાઠી નાટકના પહેલા પ્રયોગના દિવસે આખેઆખું છાપેલું નાટક પ્રેક્ષકો ખરીદી શકે. પણ આ વાત આપણી રંગભૂમિએ ક્યારે ય અપનાવી નહિ.

નાટકનાં પાત્રો, સંવાદો, ગીતો, કથાવસ્તુ વગેરેમાં માલિકો મન ફાવે તેવા ફેરફારો કરાવતા. એકે લખેલા નાટકનાં ગીતો લખવાની ફરજ બીજાને પાડતા અને તે માટે ઘણીવાર ગીતકારને ક્રેડિટ સુધ્ધાં અપાતી નહિ. તો બીજી કોઈ કંપનીનું નાટક ખૂબ લોકપ્રિય થાય તો એવી જ કથા કે એવું નામ ધરાવતું નાટક રાતોરાત લખાવી રજૂ કરતા. આથી જ લગભગ સરખાં નામવાળાં નાટકોની જુદી જુદી કંપનીની ઓપેરા બુક આજે આપણને જોવા મળે છે. અને જો નાટક કોઈ પૌરાણિક કે ઐતિહાસિક કથા રજૂ કરતું હોય તો તો પાત્રો-પ્રસંગો વગેરે પણ બદલવાની જરૂર નહિ. ફક્ત સંવાદો અને ગીતોની ભાષા બદલી નાખી એટલે બસ. નાટકો જોઇને પ્રેક્ષકો ખુશ. નાટકોની કમાણી જોઈ માલિકો ખુશ. પણ નાટકના પ્રાણ જેવા પગારદાર લેખકો, નટ-નટી, ગાયકો, સંગીતકારોનું શુ? મોટે ભાગે તો પેટિયું રળવા ખાતર બધું સહન કરી લે.

ભાંગતું ભાંગ વાડી

આપણી ભાષાના એકમાત્ર નાટ્યપુરુષ ચંદ્રવદન મહેતા શું કહે છે? “એક વાત દીવા જેવી સ્પષ્ટ દેખાય છે. કરોડો રૂપિયાની કમાઈ કરનારી નાટક મંડળીઓ અટવાઈ કેમ ગઈ? જાહોજલાલીની ટોચે ચડેલી રંગભૂમિ ખોરવાઈ ક્યાં ગઈ? માલિકોની એકહથ્થુ સત્તા અને હદ ઉપરાંતનો ગુજરાતની નસમાં ઘૂમતો સટ્ટો. આ સત્તા અને સટ્ટાએ રંગભૂમિનું નખ્ખોદ વાળ્યું. સાથે કવિ-લેખકોને હાથે બેડી બાંધી, પટારે બાંધ્યો, લેખકનું સ્થાન, સરસ્વતીના ઉપાસક નાટકકારનું સ્થાન ગૌણ જ રાખ્યું. અને યાવતચંદ્રદીવાકરૌ સુધી ગૌણ જ રહે એ માટે જ હંમેશાં ઉપાયો શોધતા રહ્યા.”

રઘુનાથ બ્રહ્મભટ્ટ એટલે આપણી જૂની રંગભૂમિનું એક જાજરમાન નામ. એમનું ‘બુદ્ધદેવ’ નાટક લખાયું ૧૯૧૩માં, અને પહેલી વાર ભજવાયું ૧૯૧૪ના ઓગસ્ટના બીજા અઠવાડિયામાં. એ વખતની ખૂબ જાણીતી મોરબી આર્ય સુબોધ નાટક મંડળીએ મુંબઈના કોટ વિસ્તારમાં આવેલા એમ્પાયર થિયેટરમાં ભજવ્યું. ઘણું વખણાયું. પણ ક્યાં ય નાટકના લેખકના નામનો ઉલ્લેખ સરખો નહિ! બે આનાની ઓપેરા બુક પર માત્ર નાટક મંડળીનું નામ! મંડળીના માલિક મૂળજી આશારામ ઓઝાનું નામ, રઘુનાથભાઈનું નહિ! એટલું જ નહિ, નાટક પૂરું થયા પછી માલિક બેક સ્ટેજ પર ગયા અને નાના મોટા સૌને સફળતા માટે અભિનંદન આપ્યાં, પણ રઘુનાથભાઈની તો સામે પણ ન જોયું! એમની આંખમાં આંસુ. કંપનીના મેનેજર ઓધવજીભાઈએ એ જોયું. ‘કવિ, કેમ ઉદાસ છો?’ ‘મૂળજીભાઈએ તો મારી સાથે વાત પણ ન કરી!’ મેનેજર કહે : ‘કવિરાજ. નાટક કંપનીના માલિકોને ઓળખવા મુશ્કેલ છે. તમે વધારે પૈસા માગો કે બીજું નાટક લખવાની ના પાડો એટલે તમને સીધા દોર રાખવા માટે તમારી સાથે બે-એક મહિના આવું જ વર્તન રહેશે.” અને કોઈ પૂછે તો માલિક વાત એવી રીતે કરે કે જાણે લેખકની આબરૂ બચાવવા જ તેનું નામ છાપ્યું નથી. ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી ‘બુદ્ધદેવ’ની પહેલી નાઈટે નાટક જોવા આવેલા .. તેમણે માલિક મૂળજીભાઈને ઓપેરા બૂક બતાવી લેખકના નામ અંગે પૂછ્યું. માલિક કહે : ‘લેખક નવા છે. કદાચ નિષ્ફળતા મળે ને નામ બગડે એથી મેં એમનું નામ નથી છાપ્યું!’ અને આ કાંઈ રડ્યોખડ્યો દાખલો નથી. મોટા ભાગના માલિકો નાટકમાંથી નાટકકારના નામનો જ એકડો કાઢી નાખતા. બીજું નાટક શ્રુંગીઋષિ પણ ખૂબ સફળ. પણ શાબાશી આપવાને બદલે મૂળજીભાઈએ કહ્યું : “તમને જે પ્રતિષ્ઠા મળી તે મારી કંપનીને લીધે. બીજી કંપનીમાં જઈ સફળ નાટક લખી-ભજવી બતાવો તો ખરા કહું.’ રઘુનાથભાઈએ રોકડું પરખાવ્યું : ‘છ મહિનામાં બીજી કંપનીમાં નાટક લખી, ભજવી દેખાડીશ. નહિતર રંગભૂમિને છેલ્લી સલામ.’ સૂર્યકુમારી નાટક લખ્યું, આર્ય નૈતિક નાટક સમાજે ભજવ્યું, બે અઠવાડિયાંમાં તો સૂર્યકુમારીનાં ગીતો ઘેર ઘેર ગુંજવા લાગ્યાં.

જૂનું એમ્પાયર થિયેટર

૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી ગાંધીજી થોડા દિવસ મુંબઈ રોકાયા હતા. તે વખતે જાન્યુઆરીની દસમીએ મૂળજી આશારામે ગાંધીજી માટે સત્કાર સમારંભ યોજ્યો હતો ત્યારે તેમણે એમ્પાયર થિયેટરમાં ‘બુદ્ધદેવ’ નાટકનાં થોડાં દૃશ્યો જોયાં હતાં. ૧૯૭૯માં પુસ્તકરૂપે પ્રગટ થયેલા ‘બુદ્ધદેવ’ની પ્રસ્તાવનામાં રઘુનાથભાઈ ગાંધીજીનું આ વાક્ય ટાંકે છે : “આ નાટક મારા અહિંસાના પ્રચારને વેગ આપશે.” પણ અગાઉ ૧૯૫૫માં પ્રગટ થયેલ આત્મકથા ‘સ્મરણ મંજરી’માં રઘુનાથભાઈ આ કે આવું બીજું કોઈ વાક્ય ટાંકતા નથી. બલકે નાટક કંપનીના માલિકને ઉદ્દેશીને બોલાયેલું ગાંધીજીનું વાક્ય ટાંકે છે : “મૂળજીભાઈ! મોરબીના બ્રાહ્મણ થઈ આ અધમ ધંધો આદર્યો? બીજો કોઈ ધંધો ન મળ્યો?” કિશોર વયમાં ‘હરિશ્ચન્દ્ર’ નાટક જોઈને ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આત્મકથામાં ગાંધીજી લખે છે : એ નાટક જોતાં હું થાકું જ નહિ. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે? પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે. હરિશ્ચન્દ્રનાં સ્વપ્નાં આવે. ‘હરિશ્ચન્દ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ આ જ ગાંધીજી વિલાયતમાં અભ્યાસ કર્યા પછી, દક્ષિણ આફ્રિકામાં જાતજાતના અનુભવો મેળવ્યા પછી નાટકને ‘અધમ ધંધો’ કહે એ વાત માનવી અઘરી છે. લોકમાન્ય ટીળકે ૧૯૧૭માં આ નાટક સુરતમાં જોયું ત્યારે ભાષણ કરતાં કહ્યું હતું : “હું ગુજરાતી બહુ સમજતો નથી, છતાં લોકો એમાં જે રીતે રસ લઈ રહ્યા છે એ જોતાં પ્રયોગ સરસ લખાયો છે ને ગીત-સંગીત કર્ણપ્રિય છે.” લેખક તરીકે રઘુનાથભાઈના નામ સાથે ‘બુદ્ધદેવ’ નાટક પહેલી વાર પ્રગટ થયું છેક ૧૯૭૯ના જાન્યુઆરીમાં! નાટ્યાયચાર્ય ચંદ્રવદનભાઈ એ વખતે ફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. એટલે એ સભાએ છાપ્યું. – ગુજરાતી રંગભૂમિને સવા સો વરસ પૂરાં થયાં એ નિમિત્તે.

રઘુનાથભાઈનો જન્મ ૧૮૯૨ના ડિસેમ્બરની ૧૩મી તારીખે ગુજરાતના મહેસાણા જિલ્લાના લીંચ નામના ગામડામાં. ૧૯૮૭ના જુલાઈની ૧૧મી તારીખે ૯૨ વરસની વયે અવસાન. કારકિર્દીની શરૂઆત એક ડોકટરના દવાખાનામાં કંપાઉન્ડર તરીકે. મહિનાનો પગાર આઠ રૂપિયા. નડિયાદમાં ઉર્દૂ નાટક ‘શીરીંફરહાદ’ જોયું. એ જ દિવસે નક્કી કરી નાખ્યું : ‘હું પણ ગીતો લખીશ, નાટકો લખીશ.’ અને લખ્યું ‘બુદ્ધદેવ,’ ૪૫ ગીતો સાથે! એ વખતે રઘુનાથની ઉંમર સત્તર વરસની. એ જ નાટક તેમને લઈ આવ્યું મુંબઈ. ૧૯૧૩થી ૧૯૬૦ સુધીમાં કુલ ૧૯ નાટક લખ્યાં. તેમાંનાં કેટલાંક : શ્રુંગીઋષિ, સૂર્યકુમારી, છત્રવિજય, સ્નેહમુદ્રા, અમર કીર્તિ, જય સોમનાથ (ગીત-નાટ્ય), સરસ્વતીચંદ્ર, કાન્તા, કલ્યાણરાજ. ઉપરાંત બીજા લેખકોએ લખેલાં પચાસ કરતાં વધુ નાટકો માટે ગીત લખ્યાં. ૧૩ જેટલાં નાટકોમાં અમુક પ્રવેશો પણ લખ્યા. તેમનાં નાટકો, ગીતોની ૩૫૦ જેટલી ગ્રામોફોન રેકોર્ડ બહાર પડેલી.

આપણા અગ્રણી સર્જક સુરેશ દલાલે રઘુનાથભાઈ વિષે લખ્યું છે : “સ્વભાવે રાજવી હતા. ખાવાપીવાના શોખીન. ફૂલોનું અજબ આકર્ષણ. ઉદાર એટલી હદે કે સાયલાના રાજાએ એમને હીરાની વીંટી આપી હતી અને ગામના ગોરને ગમી ગઈ તો એ હીરાની વીંટી એમને આપી દીધી. કશાનો પરિગ્રહ જ નહિ. લખવું અને જીવવું, જીવવું અને લખવું. પોતાનાં ઘણાં ગીતોની તરજ પોતે જ બાંધતા. સંસ્કૃત સાહિત્યનું જ્ઞાન એટલું ઊંડું કે શરીરમાં સોય ભોંકો તો લોહીને બદલે સંસ્કૃત શ્લોકો નીકળે. રસકવિ રઘુનાથ માનતા કે કોઈ પ્રજાને નષ્ટ કરવી હોય તો એની ભાષાને ભૂંસી નાખો. સંસ્કૃતિ આપોઆપ વિલીન થઇ જશે. આવા માણસો અવારનવાર નથી મળતા, અને એટલે જ પ્રજાએ એમને ‘રસકવિ’ કહીને બિરદાવ્યા હતા તે યોગ્ય જ હતું.”

ચીમનલાલ ત્રિવેદીનું લખેલું નાટક ‘નસીબદાર’ ૧૯૩૯માં ભજવાયું હતું. તેનાં ગીતો રઘુનાથભાઈએ લખેલાં. અંધ ગાયક કે.સી. ડેને કંઠે ગવાતું ગીત ‘મૂરખા કાં અંધારું ઘોર?’ એ વખતે ખૂબ લોકપ્રિય થયેલું. તેમાં બે પંક્તિ હતી :

કોઈનું ઘડતર, કોઈનું ચણતર, કોઈ પાડે પરસેવા,
જાગે તેનું નસીબ જાગતું, જાગ જગ મરજીવા.

જૂની ગુજરાતી રંગભૂમિની સ્થિતિ પણ અમુક અંશે આવી જ હતી. પરસેવો કોઈ પાડે અને ચણતરનો જશ મળે બીજા કોઈને. એના ઘડતર અને ચણતર અંગેની એક-બે ગૂંચની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 એપ્રિલ 2022

Loading

23 April 2022 admin
← ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’ : એક સનદી અધિકારીના અનુભવ …
અરુણ શૌરીએ સંઘને સમજવામાં ભૂલ કરી કે આળસ ? →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved