Opinion Magazine
Number of visits: 9448504
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાષા પ્રજા દ્વારા સ્વીકૃત થાય પછી વધારે સમૃદ્ધ બને

રમેશ ઓઝા|Opinion - Opinion|17 April 2022

કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય નાગરિકોને, ખાસ કરીને યુવાનોને સલાહ આપી છે કે તેમણે અંગ્રેજીની જગ્યાએ હિન્દી ભાષામાં વાતચીત કરવી જોઈએ. તેઓ સંઘસુત છે એટલે એક દેશ એક ભાષા વગેરે એક એક એકનું વળગણ ધરાવે છે. આ સિવાય આ ઘેટાંઓને સમયે સમયે નીરવામાં આવતો ચારો પણ છે કે જેથી મોંઘવારી, બેરોગારી, સંતાનોનું ભવિષ્ય વગેરે વિષે વિચારીને આડુંઅવળું વિચારે નહીં અને અન્યત્ર તો જરા ય જુએ નહીં. તેમણે વળી ફ્રાંસ, જર્મની અને જપાનના દાખલા પણ આપ્યા છે અને કહ્યું છે કે જુઓ તેઓ કેવી રીતે પોતાની જ ભાષામાં વાત કરે છે.

અહીં ત્રણ વિકલ્પોની વાત કરીએ :

૧. એક દેશ એક ભાષા.

૨. એક ભાષા એક દેશ.

૩. એક દેશ અનેક ભાષા. અને માત્ર ભાષા જ શા માટે? અનેક ધર્મ, અનેક વંશ, અનેક જાતિ, અનેક વ્યંજન, અનેક પહેરવેશ, અનેક રીતિરિવાજ વગેરે અનેક પ્રકારનાં અનેક.

આ ત્રણ વિકલ્પોમાંથી કયો વિકલ્પ રૂડો કહેવાય? કયો વિકલ્પ તમારી પ્રતિષ્ઠા વધારનારો છે? કયો વિકલ્પ બીજા માટે અનુકરણીય સાબિત થાય? શાંતિથી વિચારજો પણ અહીંયા ચર્ચા આગળ વધારીએ.

પહેલો વિકલ્પ આકર્ષક છે, પણ દાદાગીરીવાળો છે. આ સિવાય હિન્દી-અંગ્રેજીની બાબતે વ્યાવહારિકતાનાં પણ પ્રશ્નો છે અને જમીન પરની વ્યાવહારિક જરૂરિયાત અને સ્વાર્થ સામે કોઈના બાપનું કશું ચાલતું નથી. ચીનનો જ દાખલો લો. લડાખમાં ગાલ્વાનની ઘટના બની એ પછી રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનો ઊભાર આવ્યો હતો. ચીનના માલનો બહિષ્કાર કરવો જોઈએ, વગેરે. પરિણામ તમારી સામે છે. ૧૩મી એપ્રિલે ભારત અને ચીન વચ્ચેના વ્યાપારના આંકડા બહાર પડ્યા છે જે એમ કહે છે કે આ વરસની પહેલી ત્રિમાસીમાં બે દેશો વચ્ચેના ધંધામાં આગલી ત્રિમાસિની તુલનામાં ૧૫ ટકાનો વધારો થયો છે. આમાં ભારતે ચીનથી ૨૭.૧ અબજ ડોલરની કિંમતના માલ-સામાનની આયાત કરી છે અને નિકાસ માત્ર ૪.૮૭ અબજ ડોલરની કિંમતના માલ-સામાનની કરી છે. કુલ ધંધામાં ૮૫ ટકાની આયાત અને ૧૫ ટકાની નિકાસ. ક્યાં ગયો દેશપ્રેમ? ક્યાં ગયો રાષ્ટ્રવાદ? ના, ચીનથી આયાત કરનારા વેપારીઓ દેશદ્રોહી મુસલમાન નથી, દેશપ્રેમી હિંદુઓ છે. જો મુસલમાન સામે હોય તો નસેનસમાં દેશદાઝ વહે છે, પણ અંગત સ્વાર્થ આવે ત્યારે દેશપ્રેમ પાતળો પડી જાય છે. આ લેખનો વિષય ચીન સાથેના વેપારનો નથી એટલે આટલેથી પૂરું કરીએ, પણ ‘ધ ડિપ્લોમેટ’ નામની વિદેશવ્યવહાર માટેની થીંકટેંકમાં ક્રિઝસ્ટોફ ઇવાનેક નામના દક્ષિણ એશિયાની બાબતોના નિષ્ણાતે ૨૮મી માર્ચના તેમના લેખમાં લખ્યું છે કે જો ચીન-ભારત વચ્ચેની ૮૫:૧૫ ટકાની વેપારખાઈ ચાલુ રહેશે તો એક દિવસ ચીન ભારતમાં કરવામાં આવતી નિકાસ ઉપર પ્રતિબંધો મૂકીને ભારતનું નાક દબાવશે. ઊંધું થશે. દેશપ્રેમનું શીર્ષાસન થશે.

જે ચીન સાથે વેપારની બાબતે બની રહ્યું છે એ દેશમાં હિન્દીની બાબતે બની રહ્યું છે. દેશ આઝાદ થયો ત્યારે લાભો લેવામાં પહેલી પંક્તિમાં ગોઠવાઈ ગયેલા લોકોને અંગ્રેજી ભાષા છોડવી નહોતી. અંગ્રેજી થકી આ લાભો મળી રહ્યા છે, લાભોનું ભાષાઆધારિત એક તંત્ર ગોઠવાઈ ગયું છે અને આપણે એ તંત્ર બરાબર અપનાવી લીધું છે અને ગોઠવાઈ ગયા છીએ તેમાં નવી ભાષા ક્યાં અપનાવવી! નવેસરથી હિન્દી ભાષામાં તંત્ર ગોઠવવું પડે અને તેમાં ગોઠવાવું પડે. આ ભવે આ થઈ શકે એમ નથી અને આપણાં સંતાનો પણ ગોઠવાઈ શકશે કે કેમ એ સવાલ છે, માટે અંગ્રેજી ભાષા ટકી રહેવી જોઈએ. કનૈયાલાલ મુનશી અને બીજા દેશપ્રેમી રાષ્ટ્રવાદીઓ હિન્દી ભાષાની વકીલાત અંગ્રેજી ભાષામાં કરતા હતા. ચીન સાથેના વેપાર જેવું જ દેશપ્રેમનું શીર્ષાસન! શાણીવાણી હિન્દીનો હું વકીલ છું, પણ વકીલાત અંગ્રેજીમાં કરું છું. હિન્દી ભાષા રાષ્ટ્રભાષા બનવી જોઈએ, હિન્દી ભારતની પ્રજાને જોડનારી ભાષા બનવી જોઈએ એવી બધી ભલામણ કરતા સેંકડો અહેવાલો અને લેખો અંગ્રેજીમાં મળે છે. હિન્દીમાં ભાગ્યે જ કોઈ અહેવાલ મળશે.

આમ હિન્દીની સ્વીકૃતિ આડે એક વ્યવહાર પક્ષ છે અને અંગત સ્વાર્થ આવે ત્યારે કોઈનું કશું ચાલતું નથી. બીજો પક્ષ દુરાગ્રહ છે. હમણાં કહ્યું એમ હિન્દીની વકીલાત કરતો અભ્યાસપૂર્ણ અહેવાલ હિન્દીમાં ભાગ્યે જ જોવા મળશે અને જો જોવા મળશે તો એવી હિન્દીમાં લખાયેલો હશે કે તેને વાંચતા આંખમાંથી લોહી નીકળે. હિન્દી ભાષા એટલી સંસ્કૃતનિષ્ઠ હોવી જોઈએ કે એમાં અરેબીક, ફારસી કે તુર્કી ભાષાનો એક શબ્દ નહીં જોઈએ, પછી ભલે એ લોકજીભે ચલણી હોય. અંગ્રેજી ભાષાના શબ્દો પણ ન હોવા જોઈએ. કેટલાક હિન્દી વિદ્વાનો દેશીય (લોકભાષામાં સામાન્ય પ્રજા દ્વારા વપરાતા શબ્દો) શબ્દો પરત્વે પણ છોછ અનુભવે છે. આ સિવાય ધાતુપાઠ ઉપલબ્ધ છે અને ધાતુમાંથી શબ્દ બનાવવાની પાણિનીય વ્યાકરણ પ્રક્રિયા ઉપલબ્ધ છે એટલે જરૂર પડે ત્યારે શબ્દ બનાવી લેવાનો. હિન્દી ભાષાના વિદ્વાનોએ ચલણી શબ્દોને નકારીને અને અજાણ્યા શબ્દોનું ઉત્પાદન કરીને હિન્દીને (ખાસ કરીને સરકારી હિન્દીને) એવી ક્લિષ્ટ કરી મૂકી છે કે વાંચનાર હાંફી જાય.

આનું પરિણામ શું આવ્યું છે એ જાણો છો? હવે હિન્દી પ્રદેશના લોકો હિન્દીને નકારવા લાગ્યા છે. અવધી, મગધી, બુન્દેલી, ભોજપુરી, મૈથિલી, વ્રજ વગેરે ભાષા બોલનારા લોકો કહેવા લાગ્યા છે કે આવી કૃત્રિમ હિન્દી કરતાં અમારી સહજ, સરળ અને મીઠી ભાષા શું ખોટી? જે ભાષામાં તુલસી, કબીર અને સુરદાસ થયા હોય એ ભાષાને અવિકસિત કેમ કહેવાય?

અને ત્રીજો પક્ષ છે ગેરહિન્દીભાષિક પ્રદેશનો હિન્દી સામેનો વિરોધ, ખાસ કરીને દક્ષિણ ભારતનો. એક તો હિન્દી માથે મારવામાં આવે અને એ પણ વાંચનાર હાંફી જાય એવી અઘરી. જ્યાં હિન્દી ભાષિક હિન્દી ન સમજી શકતો હોય ત્યાં તમિલ હિન્દી સમજે અને સ્વીકારે એ બહુ દૂરની વાત છે. જો ગાંધીજીએ કહ્યું હતું એવી હિન્દુસ્તાનીને ભારતની ભાષા તરીકે સ્વીકારી હોત તો કદાચ દક્ષિણ ભારતે સ્વીકારી પણ હોત. હિન્દુસ્તાની પ્રચાર સભાને દક્ષિણ ભારતમાં સારો પ્રતિસાદ મળવા પણ લાગ્યો હતો. પણ સમસ્યા એ હતી કે હિન્દુસ્તાનીમાં દેશીય શબ્દો છે, અરેબીક-ફારસી જેવા ગેરસંસ્કૃત ભાષાના શબ્દો છે, તે મુસલમાન પણ બોલે છે અને હિંદુઓ પણ બોલે છે, તેનું વ્યાકરણ લચીલું છે અને એ બધું હિંદુ માનસ ધરાવતા હિન્દી વિદ્વાનોને સ્વીકાર્ય નહોતું. તેમણે હિન્દુસ્તાન માટે હિન્દુસ્તાનીને નકારીને હિંદુઓ માટે હિન્દી ભાષા વિકસાવી હતી. આમ હિન્દી ભાષા હિંદુ કોમવાદીઓનું રમકડું બની ગઈ.

તો પહેલા વિકલ્પને તપાસ્યા પછી સાર એટલો નીકળે છે કે એક દેશ એક ભાષાના પ્રયોગને નિષ્ફળ બનાવવામાં હિંદુ માનસ ધરાવનારાઓનો મોટો હાથ છે.

બીજો વિકલ્પ છે એક ભાષા એક દેશ, જેનો ગૃહ પ્રધાન અમિત શાહે ફ્રાંસ અને જર્મનીનો દાખલો આપીને અનાવધાને બહુ મહિમા કર્યો છે. એશિયા ખંડના દેશોથી ઊલટું યુરોપમાં એક ભાષા એક દેશ છે. વિનોબા ભાવેએ બહુ સરસ વાત કરી છે. તેમણે કહ્યું છે કે યુરોપમાં એક ડઝન દેશો એવા છે જે એક જ ધર્મી છે, વંશની વાત કરીએ તો ભલે એક નહીં, પણ માત્ર બે-ત્રણ વંશની પ્રજા છે, તેમની ભાષાનું કુળ એક જ લેટીન છે એટલે કે યુરોપની ભાષાઓ ગુજરાતી-મરાઠીની જેમ ભગિની ભાષાઓ છે અને છતાં જેટલી ભાષા એટલા દેશ છે. બીજી બાજુ ભારતમાં અનેક ધર્મની પ્રજા વસે છે, અનેક વંશની પ્રજા વસે છે, ભાષાઓનાં એક કરતાં વધુ કુળ છે, લોકો સેંકડો ભાષાઓ બોલે છે અને છતાં ય એક દેશમાં સાથે રહે છે. મહિમા કોનો વધારે? ભાષાવાર અલગ ઘર માંડાનારાઓનો કે અનેક ભાષા બોલવા છતાં એક જ ઘરમાં રહેનારાઓનો?

સમસ્યા દેશની નથી, હિન્દુત્વવાદીઓની છે. માત્ર હિન્દુત્વવાદીઓની નહીં દરેક પ્રકારના અસ્મિતાવાદીઓની છે. તેઓ સાથે જીવી શકતા નથી. સહિયારાપણું તેમને માફક આવતું નથી. અન્યોથી તેઓ ગભરાય છે. અન્ય હકીકતમાં અન્ય છે જ નહીં, આપણો પોતાનો ભારતીય જ છે, પણ તેઓ લઘુતાગ્રંથિ ધરાવે છે એટલે ગભરાય છે. સાથે જીવવું નથી એટલે “અન્ય” ઉપર અને “પોતાના” ઉપર ઓળખોના આવરણો ચડાવે છે અને લપેડા કરે છે. આ તેમની માનસિક બીમારી છે જેને રાષ્ટ્ર સાથે કોઈ લેવાદેવા નથી. તેમને સાથે જીવવું નથી એટલે એક દેશ અનેક ભાષા અને બીજું બધુંવાળો વિકલ્પ માફક આવતો નથી. જો કૃત્રિમ હિન્દીની જગ્યાએ હિન્દુસ્તાનીને ભારતની જોડનારી ભાષા તરીકે અપનાવવામાં આવે તો તે ધીરેધીરે આખા દેશમાં સ્વીકાર્ય બની શકે એમ છે. હિન્દી સિનેમાની ભાષા હિન્દુસ્તાની છે અને આખા દેશમાં હિન્દી ફિલ્મો જોવામાં આવે છે. ભાષા પ્રજા દ્વારા સ્વીકૃત થાય એ પછી એમાં સાહિત્યિક ખેડાણ થાય અને ભાષા વધારે સમૃદ્ધ બને. એ પછી એ વહીવટી ભાષા બની શકે અને છેવટે અદાલતની ભાષા પણ બને. પણ આ બધું ત્યારે થાય જ્યારે ભાષાને ઊગવા દેવામાં આવે, તેનું વાવેતર કરવાથી ન થાય.

દેશમાં હિંદુ-હિન્દી અસ્મિતાવાદીઓ ધાતુપાઠ અને પાણિનીય વ્યાકરણ દ્વારા હિન્દીનું વાવેતર કરે છે અને ફસલ ઊગતી નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 ઍપ્રિલ 2022

Loading

17 April 2022 admin
← યુક્રેન – The Catcher in the Rye
અબજોપતિ ફિલ્મી કલાકારો એટલા જ ગરીબ હોય તો તેમને ફાળો ઉઘરાવીને મોકલી આપવો જોઈએ … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved