Opinion Magazine
Number of visits: 9448701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકારણીઓમાં શરમ નથી હોતી તે તો ખબર, પણ આટલા બેશરમ હોય છે તે ખબર ન હતી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 December 2021

છોટાઉદેપુરનું વાગલવાડ ગામ. તેની એક પ્રાઇમરી શાળા 2020માં વરસાદમાં તૂટી પડેલી. આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત પણ કરવામાં આવી, પણ ડિસેમ્બર, 2021 પૂરો થવા આવ્યો, તો પણ તે ફરી બંધાવાના કોઈ અણસાર ન જણાતાં, એક અંગ્રેજી અખબારે છોટાઉદેપુર જિલ્લાની આ શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા હોવાનો અહેવાલ પ્રગટ કર્યો, જે ગુજરાત હાઈકોર્ટના ધ્યાનમાં આવ્યું ને તેણે સુઓમોટો દાખલ કરી. ગુજરાત સરકાર પાસે પૈસા ખર્ચવાના ઘણાં બહાનાં છે, પણ કરવા જેવાં કામ માટે બેદરકારી સિવાય કોઈ બહાનું નથી. આમ પણ શિક્ષણ બાબતે અરાજકતાનો કોઈ પાર નથી, પણ સ્કૂલે આવતાં બાળકો માટે શાળાનું મકાન ન હોય એ સ્થિતિ અસહ્ય છે. 2020માં તો સ્કૂલોમાં શિક્ષણ આપી શકાય એવી સ્થિતિ જ ન હતી, ત્યાં બિલ્ડિંગ ન રહ્યું એટલે હવે બાળકો સ્કૂલે આવવાના જ ન હોય તેમ સ્કૂલ બાંધવાના કોઇ લક્ષણો ન જણાયા ને ઓફલાઇન શિક્ષણ તો શરૂ થયું જ ! વિદ્યાર્થીઓ પણ આવ્યા, પણ ભણે કયાં? સ્કૂલના વર્ગો તો હોવા જોઈએ ને ! મહિનોમાસ તો જેમ તેમ ભણ્યા, પણ ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ભણવું કેમ? તો ય, ઠંડીમાં ખુલ્લામાં આદિવાસી બાળકો ભણવા આવ્યાં. તેમની પાસે પૂરતાં કપડાં પણ ન હતાં, ત્યાં ખુલ્લામાં ભર ઠંડીમાં ટકવું કેમ? હાઈકોર્ટનાં ધ્યાનમાં આ વાત આવી ને તેણે સરકારને છ મહિનામાં સ્કૂલનું નવું મકાન ઊભું કરવાનો વચગાળાનો હુકમ કર્યો છે ને શિક્ષણ વિભાગના સંબંધિત અધિકારીને કોર્ટમાં હાજર રહી રિપોર્ટ રજૂ કરવાની ફરજ પાડી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળકો ખુલ્લામાં ભણવા લાચાર બને તે ચલાવી શકાય નહીં. વાગલવાડમાં સ્કૂલ ન હોવાથી, મધ્યાહ્ન ભોજનમાં નોકરી કરતાં એક બહેનને ત્યાં બાળકોને બોલાવીને શિક્ષક, શિક્ષણ પૂરું પાડે છે.

હાઇકોર્ટે રાજ્ય સરકાર અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી સામે પણ ભારે નારાજગી પ્રગટ કરી છે. શિક્ષણ મંત્રી સામે નારાજ થવાનું કારણ પણ છે. 16 ડિસેમ્બરે વડોદરા આવેલા શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીને પત્રકારોએ છોટાઉદેપુરની એ સ્કૂલ અંગે પૂછ્યું કે હજી સ્કૂલ બંધાઈ નથી ને વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીમાં ભણવાની ફરજ પડી રહી છે. એનો જવાબ આપતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે કાર્યવાહી ચાલે જ છે, કેટલીકવાર શિયાળામાં ખુલ્લામાં બેસાડવામાં આવે છે, શિયાળામાં હું પણ ખુલ્લામાં જ ભણ્યો હતો. હાઇકોર્ટે આવા ઉડાઉ જવાબની આકરી ટીકા કરતાં કહ્યું કે આ બેજવાબદારી ભર્યો શરમજનક જવાબ છે. કોર્ટે આ જવાબની ગંભીર નોંધ લીધી છે. 

શિક્ષણ મંત્રી કક્ષાની વ્યક્તિ શાળા નથી બાંધી શકાઈ એ અંગે લાજવાને બદલે ગાજવા બેસે એ શરમજનક છે. એમની વાતનો તો એવો અર્થ થાય કે ઠંડીમાં આદિવાસી વિદ્યાર્થીઓએ ખુલ્લામાં જ બેસવું જોઈએ, કારણ કે શિક્ષણ મંત્રી પોતે પણ શિયાળામાં ખુલ્લામાં ભણેલા. એવું કોઈ જગ્યાએ લખ્યું નથી કે શિક્ષણ મંત્રી નાનપણમાં ખુલ્લામાં ભણ્યા હોય તો આદિવાસી વિદ્યાર્થીઓએ, ભલે તેમની પાસે ઠંડીથી બચવાનાં કપડાં ન હોય, તો પણ ખુલ્લામાં જ ભણવું જ જોઈએ. સાહેબને કહી શકાય કે ત્યારે તમારી પાસે સગવડ નહીં હોય ને તમારે ખુલ્લામાં ભણવું પડ્યું હોય તેનો અફસોસ છે, પણ હવે તો તમે મંત્રી છો, એક સ્કૂલ બાંધી આપવાનું જરા ય મુશ્કેલ નથી, તે એટલે નહીં બાંધવાની કારણ તમે ખુલ્લામાં ભણ્યા હતા? આ યોગ્ય છે? તમને સંકોચ થવો જોઈએ, તેને બદલે તમે શરમ છોડીને ઉડાઉ જવાબ આપો છો તે અક્ષમ્ય છે. સાધારણ રીતે જે તકલીફ નાનપણમાં વેઠી હોય તે પોતાનાં સંતાનો ન વેઠે એવું માબાપ ઇચ્છતાં હોય છે. તે એવો બદલો ન લે કે અમે વેઠ્યું છે તો તમે પણ વેઠો, પણ આ તો મંત્રી છે એટલે એ તો કહી શકે પ્રજાને કે હું ઠંડીમાં ભણ્યો, તો તમે પણ ભણો. આ પરપીડન વૃત્તિ છે ને તે કોઈ રીતે મંત્રીને શોભતી નથી.

 એ ખરું કે રાજકારણી કેટલાક ખરેખર સજ્જન હશે, પણ મોટે ભાગના રાજકારણીઓ વિવેકહીન હોય છે અને ઉદ્ધત રીતે વર્તવા ટેવાયેલા હોય છે. એમાં જો કોઈ મંત્રી હોય તો તેનામાં અહંકાર ને ઉદ્ધતાઈ પણ ભળે છે. બીજો એવો એક દાખલો ઝારખંડનો છે. એક પહેલવાનને નિયત ઉંમર કરતાં વધારે ઉંમર છે એમ કહીને કુસ્તીમાંથી બહાર કરી દેવાયો. પહેલવાનને અન્યાય થયાનું લાગતાં તે રજૂઆત માટે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત ભા.જ.પ.ના સાંસદ અને ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ પાસે કાર્યક્રમમાં પહોંચ્યો ને પોતાને ખોટી રીતે બહાર કરાયો છે તેવી રજૂઆત કરી તો સાંસદે તેને લાફો મારી દીધો. એકવાર માની લઈએ કે પહેલવાન ખોટો છે, તો પણ તેને ભરી સભામાં લાફો મારવાનો સાંસદને કોઈ અધિકાર નથી. લોકો લાફો ખાવા વોટ આપતા નથી. આવા રાજકારણીનો પ્રજાએ સંપૂર્ણપણે બહિષ્કાર કરવો જોઈએ. રાજકારણીઓ ભા.જ.પી. હોય કે કાઁગ્રેસી, વિવેકહીન થવામાં તેઓ હંમેશ સ્પર્ધામાં રહે છે.

કાઁગ્રેસના એક ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પર બી.જે.પી. નેતાઓ અને મહિલા સાંસદો બહુ જ ચિડાયા છે ને એ ધારાસભ્યને સસ્પેન્ડ કરવાની ને એમની પાસેથી માફી મંગાવવાની વાત કરી રહ્યા છે. જેનાં પાર્ટી પ્રમુખ એક મહિલા છે ને એના જ એક ધારાસભ્ય મહિલા સંદર્ભે પૂરી બેશરમીથી વાહિયાત લવારા કરે તો તેમની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ એવો મત ભા.જ.પી. નેતાઓનો પડ્યો છે ને કાઁગ્રેસી નેતા પ્રિયંકા વાડ્રાએ પણ કાઁગ્રેસી વિધાનસભ્ય કે.આર. રમેશકુમારના શરમજનક નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો છે. જો કે, કોઈ કાર્યવાહી કરવાથી કાઁગ્રેસ દૂર રહી છે. કાઁગ્રેસી રમેશકુમારે કર્ણાટક વિધાનસભામાં ચર્ચા દરમિયાન મહિલાઓ સંદર્ભે એવું નિવેદન આપ્યું કે રેપ રોકી શકાય એમ ન હોય તો સૂઈ જાઓ અને તેનો આનંદ લો. આટલી નિર્લજ્જતા એક વિધાનસભ્ય દાખવે ને તે પણ વિધાનસભાની કાર્યવાહી ચાલુ હોય ત્યારે, એ કેવળને કેવળ શરમજનક છે. આ નિવેદન અશ્લીલથી પણ વધુ અશ્લીલ છે. એ ધારાસભ્ય વળી વિધાનસભાના જવાબદાર હોદ્દે રહી ચૂક્યા હોય ને આવું નિવેદન કરે એમાં એમની હીન માનસિકતા જ પ્રગટ  થાય છે. વધુ દુ:ખ તો એ વાતનું છે કે હાલના કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડેકાગેરી રમેશકુમારના આ નિવેદનથી વ્યથિત થવાને બદલે હસી પડ્યા હતા. અધ્યક્ષે ધાર્યું હોત તો રમેશકુમાર પર કાર્યવાહી કરી શક્યા હોત, પણ તેમણે વાતને હસવામાં કાઢી નાખી ! વધારે ઊહાપોહ થતાં રમેશકુમારે ટિપ્પણી બદલ માફી માંગી લીધી છે, પણ ઘણાંને લાગે છે કે એટલું પૂરતું નથી. આમાં પક્ષો રાજનીતિ પણ કરે છે ને આખી વાત પોતાને કઈ રીતે લાભ ખટાવે એમ છે એ રીતે દાખલા ગણે છે, પણ એક વાત નિર્વિવાદ છે, કોઈ પણ પક્ષનો નેતા આવું નિવેદન કરે તો તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ ને એ સ્થિતિ ઊભી થવી જોઈએ કે કોઈ પણ સભ્ય વિવેક ચૂકીને વાત કરવાની હિંમત ન કરે.

કાઁગ્રેસનો બીજો દાખલો પણ જોઈએ. પંજાબ કાઁગ્રેસના પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુએ ચંદીગઢમાં પત્રકાર પરિષદમાં પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા કશું જ અજુગતું ન હોય એટલી સહજ રીતે ગાળ દઈ દીધી. આ દાખલાઓ છેલ્લા બેત્રણ દિવસોમાં બનેલી ઘટનાઓના છે. આ ઉપરાંત પણ એવું ઘણું હશે જે જાહેર જ ન થતું હોય, પણ જે જાણવા મળ્યું છે તે પણ ઓછું ચિંતાજનક નથી. એ સિદ્ધ થતું આવે છે કે આખા દેશમાં રાજકારણીઓને કોઈ પૂછનાર નથી. તેઓ મનસ્વી રીતે વર્તવા ટેવાયેલા છે ને સૌજન્ય, વિવેક, આભિજાત્ય જેવી કોઈ વાત તેમનામાં દૂર દૂર સુધી નજરે ચડતી નથી. બર્બરતા, હલકટાઈ, આછકલાઇ, વિકૃતિ … જેવી બાબતો જ તેમની સજ્જનતાનાં લક્ષણો છે. એ જ જાણે કે ચરિત્ર છે ! ખોટી રીતે મેળવેલી સંપત્તિનું વરવું પ્રદર્શન ને તેનો દેખાડો અહંકારથી સુસજ્જ હોય છે. લવારાઓ કરીને માફી માંગી લેવાની ફેશન થઈ પડી છે ત્યારે થાય છે કે કઈ વાતે આ દેશ ટકી રહ્યો છે તે સમજાતું નથી. રામને નામે પથરા તરે છે, પણ રામ પથરો નાખે છે તો તે ડૂબી જાય છે, છતાં એટલું છે કે ભલે રામભરોસે પણ દેશ ચાલે તો છે ! તે કયાં સુધી ચાલશે તે યક્ષ પ્રશ્ન છે, પણ તે આજે તો કોઇની ચિંતાનો વિષય હોય એવું લાગતું નથી.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ડિસેમ્બર 2021

Loading

20 December 2021 admin
← મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == / [7]
વૈદ્ય તું તારો જ ઈલાજ કર … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved