Opinion Magazine
Number of visits: 9504403
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૃષિ કાનૂન ન ખેંચાયા હોત, તો સરકાર ખેંચાઈ ગઈ હોત !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 November 2021

એક વાતનો પ્રજાએ સ્વીકાર કરવો જોઈએ કે વડા પ્રધાને સમગ્ર શાસન દરમિયાન પહેલી વખત કૃષિ કાનૂનો પાછા ખેંચતી વખતે ભૂલ સ્વીકારનો અને માફીનો ઉપક્રમ રાખ્યો છે. પોતાની તપસ્યામાં જ કોઈ ખામી રહી ગઈ હશે એવી વાત વડા પ્રધાને અગાઉ ક્યારે ય સ્વીકારી નથી. 2002માં થયેલ હુલ્લડોમાં ખામીઓ હતી છતાં એ સ્વીકારવાની તૈયારી તે વખતે મુખ્ય મંત્રી તરીકે પણ વડા પ્રધાને દાખવી નથી, તો વડા પ્રધાન તરીકે ભૂલો સ્વીકારવાનો તો સવાલ જ નથી, છતાં વડા પ્રધાને ગયા શુક્રવારે રાષ્ટ્ર જોગ સંબોધનમાં કૃષિ કાનૂન પાછા ખેંચવાની જાહેરાત કરીને ભૂલ સ્વીકારી છે તે માટે તેમનો આભાર જ માનવાનો રહે ને તેમના ઔદાર્યને હકારાત્મક રીતે જ લેવાનું રહે.

આ વાતને હકારાત્મક રીતે લેવાને બદલે વિપક્ષો અને ભા.જ.પ.ના કેટલાક નેતાઓ પણ નિમ્ન કક્ષાની ટિપ્પણીમાં લાગી પડ્યા છે તે શરમજનક છે. વિપક્ષોને એમાં પોતાની ને ખેડૂતોની જીત દેખાઈ છે, પણ અક્કલ ઘાસ ચરવા ન ગઈ હોય તો, ને કેવળ રાજનીતિનો જ સવાલ હોય તો, વડા પ્રધાને તેમના કરતાં મોટી સોગઠી મારી છે તે તેમના ધ્યાનમાં આવવું જ જોઈએ. જો રાજનીતિ જ રમવાની હોય તો વડા પ્રધાનને કોઈ પહોંચે એમ નથી તે લાગતા વળગતાઓએ સમજી લેવાનું રહે. વધતા ભાવ અને ખેડૂતોની નારાજગીએ એ સ્થિતિ સર્જી કે છેલ્લી પેટાચૂંટણીમાં ભા.જ.પ.નો પનો ટૂંકો પડ્યો. એ પણ સમજાઈ ગયું કે નોટબંધી, 370ની નાબૂદી અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા મુદ્દે હવે લાંબું ખેંચી શકાય એમ નથી કે પ્રજા પણ લાંબો સમય મૂરખ બને એમ નથી. એટલે ચૂંટણીમાં ખેંચાઈ ન જવાય એવા શુદ્ધ રાજકીય હેતુથી કાનૂન ખેંચવાનો નિર્ણય લેવાયો લાગે છે. એ સો ટકા સાચું કે પંજાબ, ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી ખેડૂતો નારાજ હોય ત્યાં સુધી જીતવાનું શક્ય નથી. એમ લાગતાં જ વડા પ્રધાને કૃષિકાનૂનમાં પીછેહઠ કરવી પડી છે ને એ એમને બદલે કોઈ બીજું પણ, શાસનમાં હોત તો તેણે કરવી જ પડે એમ હતી એટલે શાસન ટકાવવાના અનિવાર્ય પગલાંરૂપે જ આ પગલું લેવું પડ્યું છે તે દીવા જેવું સ્પષ્ટ છે. ઉપકારની આડમાં સધાયેલો સ્વાર્થ જ છે આ !

વિપક્ષો, ખેડૂતોના માઈબાપ હોય તેમ ભલે ગાજે, પણ તેઓ કેટલા ખેડૂતોને પક્ષે ખરેખર શુદ્ધ બુદ્ધિથી ઊભા રહ્યા છે તે જાણનારા જાણે છે. વારુ, એમની મદદમાં રાજકીય સ્વાર્થ હતો જ નહીં, એવું એક પણ પક્ષ કહી શકે એમ નથી. રાજકારણ એ હવે કોઈ પણ પક્ષની અનિવાર્યતા છે ને કોઈ દૂધે ધોયેલું નથી તે પણ સૌ જાણે છે એટલે સત્ય કોઈ પણ પક્ષે ન હોય એવું બને. આ વાત ભક્તો પણ સમજે છે ને વિ-ભકતો ય સમજે છે. વડા પ્રધાનની જાહેરાતથી ખેડૂતો રાજી થાય ને ઉજવણીઓ કરે તે સ્વાભાવિક છે, પણ તેઓ વડા પ્રધાનનો ભરોસો ન કરે ને આંદોલન વધુ તીવ્રતાથી ચલાવવાની વાત કરે એ વધારે પડતું છે. ખેડૂનેતા વિવેક ચૂકે ને સંયમથી ન વર્તે તો કિનારે આવીને ડૂબવાનું થશે તે કહેવાની જરૂર નથી. જો તેઓ માનતા હોય કે ચૂંટણી જીતવા વડા પ્રધાને કૃષિ કાયદા પાછા ખેંચ્યા છે તો તેમણે એ જ ચૂંટણી જીતવા સંસદના શિયાળુ સત્રમાં કાયદાઓ ખેંચવાની વિધિ પૂરી કરવી જ પડશે ને ધારો કે એવું નથી થતું તો ભા.જ.પે. જે તે રાજ્યમાં ગુમાવવાનું જ થશે એમાં શંકા નથી. આ વાત સમજીને પણ ખેડૂત નેતાઓ સમજીને નિર્ણયો લે એ જરૂરી છે.

એ ખરું કે ખેડૂતોનાં આ આંદોલનને કેન્દ્રે બહુ લાઇટલી લીધું. અમુક મુઠ્ઠીભર ખેડૂતોથી કૈં વળવાનું નથી ને થાકીને બધાં ઘર ભેગાં થશે એવું ઘણા ભા.જ.પી. મંત્રીઓ અને નેતા-પ્રવક્તાઓને લાગતું હતું. પણ, પછી લાગ્યું કે ખેડૂતો થાકતા નથી ને કૂચ કરવાના મૂડમાં જ છે તો તેમના પર હિંસક હુમલાઓ કરાયા ને તેમને ગુંડા, ખાલિસ્તાની કહીને ભાંડવામાં આવ્યા. ખુદ વડા પ્રધાને ‘આંદોલનજીવીઓ’ કહીને તેમની ગમ્મત કરી હતી. આ બધું છતાં જો વિરોધ ખાતર વિરોધની નીતિ નહીં હોય તો ખેડૂતોએ કૃષિકાનૂન પાછા ખેંચવાની વાત પર ભરોસો મૂકીને હકારાત્મક નિર્ણયો સંદર્ભે વિચારવાનું રહે જ છે. બીજી તરફ, ખેડૂત નેતાઓને રાજકારણમાં ખેંચીને ચૂંટણી લડાવવાની વાત પણ છે. એમ થશે તો ખેડૂનેતાઓ ખેડૂતોનો જ વિશ્વાસ ગુમાવશે. એવા નેતાઓને ખપમાં લઈને પાછળથી ખંખેરી દેવાય તેવી શક્યતાઓ પણ વિચારવાની રહે.

ખેડૂનેતાઓને લાલચો આપીને પણ આંદોલન સમેટાવી શકાય એ વાત પણ ભૂલવા જેવી નથી. એ સાચું કે કૃષિકાનૂનોનો હેતુ ગમે તેટલો સારો હોય તો પણ, તેની રીત સારી ન હતી. કૃષિકાનૂન કેન્દ્ર સરકારના અહંકારનું પરિણામ હતા. કાનૂન પસાર કરાવી દેવામાં જરૂરી બહુમતી છે એ વાતનો ગેરલાભ ઉઠાવાયો અને લોકશાહી પધ્ધતિ વિરુદ્ધ તે પસાર કરાવી દેવાની ઉતાવળ થઈ – એ આખી પ્રક્રિયા શંકાસ્પદ હતી. એમાં જેમને માટે કાયદા પસાર કરાવી દેવાયા એ ખેડૂતોને બદલે, જેમના હાથમાં ખેડૂતો જઈ પડવાના હતા એ ઉદ્યોગપતિઓને વિશ્વાસમાં લેવાયા હોવાની હવા હતી. એ પણ જવા દો, જ્યાં ભા.જ.પ.નું શાસન હતું, એ રાજ્યના કૃષિમંત્રીઓને પણ આ પ્રક્રિયામાં સામેલ કરવાનું કેન્દ્રને મુનાસિબ લાગ્યું ન હતું. એ ચોક્કસ છે કે કૃષિ કાનૂન કેન્દ્રની જોહુકમી જ હતા. પંજાબમાં ભા.જ.પ.નો ગજ નહીં વાગે એવું લાગતાં આ કાનૂન પાછા ખેંચાયા હોવાનું પણ લાગે છે. એ પણ ધ્યાન રહે કે કૃષિ કાનૂન નાનક જયંતીએ પાછા ખેંચવાની જાહેરાત થઈ છે. એ વાતે પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી અમરિન્દર સિંહે તો એમનો આભાર પણ માની લીધો છે. એ જ અપેક્ષા શિરોમણિ અકાલીદળ પાસેથી વડા પ્રધાનની રહી હોય એમ બને, પણ તેના પ્રમુખ સુખબિર સિંહ બાદલે સ્પષ્ટપણે ભા.જ.પ. સાથે ગઠબંધનની વાતને નકારી છે. એમણે તો શરૂઆતમાં જ આ કાયદાઓને મામલે વડા પ્રધાનને કહ્યું હતું કે તમે આ કાળાકાયદા બનાવ્યા છે ને દેશના ખેડૂતો તેને નથી માનતા. એટલે હવે કઈ પ્રયુક્તિ વપરાશે તેની અટકળ કરવાની રહે છે.

વડા પ્રધાન શુક્રવારે ભલે ખાતર પર દિવેલ કરતાં કહે કે આ કાયદાઓ શુદ્ધ બુદ્ધિથી ને ખેડૂતોના હિતમાં રચાયા હતા, છતાં તેને લોકશાહી રીતે અમલમાં લાવવાની વાત ન હતી તે સૌ જાણે છે. ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી એ વાત સરકાર જાણતી હતી એટલે તેને એ પણ ખબર હતી કે એ અંગે વિવાદને અવકાશ છે, એ સ્થિતિમાં કાયદાઓ સંસદીય સમિતિને સોંપી દેવાયા હોત તો એ વધુ ડહાપણભર્યું ગણાયું હોત, પણ એમ થયું નહીં. વડા પ્રધાને કૃષિ કાનૂન પાછા ખેંચવાની વાત કરી એ સાથે બે પ્રકારની પ્રતિક્રિયાઓ આવી. એક એવી જેમાં વડા પ્રધાન વધુ મહાન પુરવાર થયા છે ને ખેડૂતો જાણતા જ નથી કે આ કાયદાઓ નકારીને તેમણે શું ગુમાવ્યું છે. એ કાયદાઓમાં શાહી સિવાય કૈં જ કાળું ન હતું, તો વિપક્ષો પણ ટાંપીને જ બેઠાં હોય તેમ ખેડૂતોને પક્ષે બોલવા લાગ્યા કે ખેડૂતોની આ અભૂતપૂર્વ જીત છે. સાચું તો એ છે કે બંને પ્રકારની પ્રતિક્રિયાઓમાં સચ્ચાઈ ઓછી ને રાજનીતિ વધારે છે. એક વાત સ્પષ્ટ છે કે કાયદાઓ બિનલોકશાહી રીતે પસાર કરાવી દેવામાં કેન્દ્રની ભૂલ હતી જ, તે કદાચ વડા પ્રધાનને મોડે મોડે સમજાયું હોય ને તેમણે કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હોય એ શક્ય છે. શુદ્ધ કાયદાની રચના પ્રક્રિયા અશુદ્ધ હોય તે તો કેમ ચાલે? એની સામે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું તો તેમને રોકવાના જે હિંસક પ્રયત્નો થયા એ શરમજનક હતા.

ખેડૂતોએ એ કદી ભૂલવા જેવું નથી કે આ કાયદાઓને કારણે સાતસોથી વધુ ખેડૂતોના જીવ ગયા છે. જો કે, ખેડૂનેતાઓએ જે ખેડૂતોના જીવ ગયા એમના પરિવારને વળતર અને નોકરી આપવાની માંગ મૂકી જ છે, એ ઉપરાંત સંસદમાં કાયદા ખેંચવાની પ્રક્રિયા પૂરી કરવાનું પણ કહ્યું છે ને એ પછી જ ઘરે પાછા ફરવાની વાત કરી છે, ભલે, એમ તો એમ, પણ એમની વડા પ્રધાન પર ભરોસો ન મૂકવાની વાત સાથે સંમત થવાય એમ નથી. વડા પ્રધાન પર કટાક્ષ થાય કે એમને નિમિત્તે બીજાને ફાવતું આવે એ રીતે વર્તવાનું શોભાસ્પદ નથી. વધારામાં બુધવારે કેબિનેટની મીટિંગ બોલાવાઈ છે ને એમાં કૃષિકાનૂન અંગે વાત થાય એમ બને. આના પરથી પણ એમ લાગે છે કે સરકાર કોઈ રમત રમવાના મૂડમાં નથી. એમ પણ માનવાનું ગમે કે ખેડૂતો પણ હવે માત્ર વિરોધનાં મૂડમાં નહીં જ હોય. બાકી, આંદોલન જ ચાલુ રાખવું હોય તો એમની પાસે પણ મુદ્દાઓની ખોટ નહીં જ હોય.

કોઈ પણ પ્રકારની કોઇની પણ રાજનીતિ વચ્ચે લાવ્યા વગર એટલું જરૂર ઇચ્છીએ કે સરકાર પ્રતિજ્ઞાપૂર્વક કાનૂન પાછા ખેંચે ને ખેડૂતો પણ આંદોલન સમેટીને મહિનાઓથી રેઢાં પડેલાં ખેતરોને લહેરાતાં કરવાં નવતર ગૃહપ્રવેશ કરે અને દેશની ઉન્નતિમાં નવો પ્રકાશ ઉમેરે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 નવેમ્બર 2021

Loading

22 November 2021 admin
← માબાપની છત્રછાયા
શહેરોનું બાયોમોર્ફિક જીવન →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved