Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે સત્યથી ઓછું તો કોઈ કૈં જાણતું જ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 November 2021

આજકાલ એટલું મનોરંજન જાહેર માધ્યમો પૂરું પાડે છે કે હવે ટુચકાઓની જુદી ચોપડીઓ વાંચ્યા વગર પણ લોકો હસી કાઢે છે. એક સમય હતો જ્યારે સત્યવાદી તરીકે માત્ર રાજા હરિશ્ચંદ્રનું નામ લેવાતું. હવે એટલા સત્યવાદીઓ થઈ ગયા છે કે સત્યથી ઓછું તો કોઈ કૈં જાણતું જ નથી. આમ તો ભૂલેચૂકે ય કોઈ કૈં ફેંકતું નથી, અરે, જાહેરખબરો ય જુબાં કેસરી થઈ ગઈ છે ! કોઈ ખોટું બોલતું જ નથી, પણ ધારો કે કોઈ બોલે છે તો તે પણ સત્ય થઈ જાય છે. જન્મે ત્યારે બાળક કૈં બોલતું નથી, પણ હવેનું દરેક બાળક સત્યવાદી છે એમ માનવું જ પડે એટલું સત્ય લોકો રોજ રોજ બોલવા લાગ્યા છે. અફસોસ એટલો જ રહેવાનો કે અસત્ય જેવું તો હવે કદી જણાવાનું જ નહીં ! એક સમય હતો જ્યારે કહેવાતું કે સત્ય એક જ હોય, એ પછી સત્ય સાપેક્ષ હોય એવું આવ્યું, હવે સત્ય અનેક હોય એવી સ્થિતિ છે. દરેકનું સત્ય જુદું એટલે અસત્યે ક્યાંક રહેવું હોય તો પણ તેને જગ્યા ન મળે એ સ્થિતિ છે. કોઈ કૈં પણ બોલે એ સત્ય જ છે ને સત્યથી ઓછું તો કોઈ કૈં …

દાખલા તરીકે કોઈ ગૃહ મંત્રી હિન્દી પખવાડિયાની પૂર્ણાહુતિમાં જાય તો જેની ઘંટીનો લોટ હોય તેને જ વખાણે તે સમજી શકાય એવું છે ! તે ગુજરાતી હોય તો પણ કહી શકે કે મને ગુજરાતી કરતાં હિન્દી વધુ પસંદ છે તો એ એક સત્ય છે. એમ જ, એ જ મંત્રી ગુજરાતમાં માતૃભાષા દિવસે એમ પણ કહી શકે કે દરેકે માતૃભાષામાં જ વાત કરવી જોઈએ તો એ બીજું સત્ય છે. ધારો કે એ વિદેશ જાય તો અંગ્રેજીની આરતી પણ ઉતારે એમ બને. તેનો અર્થ એવો નહીં જ કે એ ખોટું બોલે છે. એ તેનું ત્રીજું સત્ય છે. સત્ય હવે વ્યક્તિએ, વ્યક્તિએ જુદું હોવાનું, એટલું જ નહીં, વ્યક્તિનાં પોતાનાં સત્ય પણ અનેક હોવાનાં, હવે આમાં અસત્યે રહેવું હોય તો પણ જગ્યા ક્યાં છે? આ તો બુલેટ ટ્રેન જેવું છે. ટ્રેન એક, પણ રાજ્યે રાજ્યે જુદી ! બુલેટ ટ્રેન ડ્રીમ પ્રોજેક્ટ છે. એ સૌ પ્રથમ સુરતથી બિલિમોરા શરૂ થવાની છે. સુરતનું કેવું (અદ)ભૂત નસીબ છે કે તે વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનવાનું છે, પહેલી બુલેટ ટ્રેનનું નસીબ પણ તેને જ મળ્યું ! સુરતથી બિલિમોરા લોકલ શરૂ થઈ છે કે કેમ તે તો નથી ખબર, પણ સુરતથી બિલિમોરા બુલેટ ટ્રેન શરૂ થશે એ નક્કી છે, કારણ એ ડ્રીમ પ્રોજેક્ટ છે. હવે તો ડ્રીમ પણ સત્ય જ છે ! સ્વપ્ન, સત્ય નથી થતાં, શું? તો, એમ શંકા ના કરો, પ્લીઝ !

ગુજરાતની જ વાત કરીએ તો સુરત શિક્ષણનું હબ બનવા જઈ રહ્યું છે, પણ ગમ્મત એ છે કે રાજ્યની ઢગલો યુનિવર્સિટીઓમાંથી એક પણ દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં નથી, તેથી હબ વાળી વાત કૈં ખોટી ન થઈ જાય ! કહ્યુંને, ખોટું હવે કૈં રહ્યું જ નથી ! ગુજરાતમાં આટલી યુનિવર્સિટીઓ છે એ તો સાચું છે ને ! એ જુદી વાત છે કે ગુજરાતનાં અઢી લાખ વિદ્યાર્થીઓને વાંચતાં – લખતા આવડતું નથી કે ગણિતમાં 3.80 લાખ વિદ્યાર્થીઓ નબળા છે, તો શું થયું? આ વિદ્યાર્થીઓ જ કોલેજોમાં ને યુનિવર્સિટીઓમાં ડિગ્રીઓ લેશે ને પીએચ.ડી. પણ થશે. કોઈ ડિગ્રી હવે ભણતરની મહોતાજ નથી. આટલી બધી યુનિવર્સિટીઓ છે તે કૈં ખાલી થોડી જ રહેવાની છે ! સત્ય એ છે કે ન ભણાવાય તો પણ પરીક્ષાઓ લેવાશે. પરીક્ષા ન લેવાય તો પણ પરિણામો અપાશે. પરિણામોમાં ટોપર્સ પણ હશે ને પ્રમાણપત્રો પણ મઢાવવા માટે અપાશે જ ! શિક્ષકો નહીં હોય ને વિદ્યાર્થીઓ ભણતા હોય, તો વિદ્યાર્થીઓ વગર પણ સ્કૂલો ચાલશે ને કોલેજો, યુનિવર્સિટીઓ પણ નેટ, નેકથી પ્રગતિ કરવાની જ છે. હવે શું છે કે ઓછામાં ઓછું પ્રગતિ ને વિકાસ તો થાય જ છે. ધારો કે અહીં એડમિશન નથી મળતું, તો વિદેશમાં કૈં એજ્યુકેશનનો દુકાળ નથી. આ જ નબળા કહેવાતા વિદ્યાર્થીઓ ભણશે ને ભણાવશે પણ ! હવેનું સત્ય એ છે કે ભણવા કે ભણાવવા માટે જ્ઞાન જરૂરી નથી.

સાચું એ છે કે કોઈ હવે ખોટું નથી. ભણેલો ખોટો નથી, તો અભણ પણ ખોટો નથી. જેમ અસત્ય રહ્યું નથી, એમ જ હવે કોઈ અભણ પણ રહ્યું નથી. બધાં, બધું જ જાણે છે. કોઈ પણ માણસ કૈં પણ બોલે, એ સત્ય જ હોય છે ને ન હોય તો એ સત્ય થઈ જ જાય છે. ઉત્તર પ્રદેશના એક પૂર્વ મંત્રીએ કહ્યું કે મહંમદઅલી જિન્નાહ પણ ગાંધી, નહેરુ, સરદારની જેમ બેરિસ્ટર થયા ને એમણે પણ આઝાદી અપાવી. જિન્નાહને આઝાદીનું શ્રેય આપવાનું ‘અખિલ’ સત્ય કે ખિલખિલ સત્ય સરદાર જયંતી નિમિત્તે પ્રગટ થયું ને આપણે જે ભણેલા કે જિન્નાહની ભાગલાવાદી વિચારધારાને કારણે પાકિસ્તાન પહેલાં આઝાદ થયું ને ભારત એ પછી એક દિવસે, 15 ઓગસ્ટે આઝાદ થયું, એ વાતની તો પથારી જ ફરી ગઈ ને ! જે માણસ ખલનાયક હતો તેને એક પૂર્વ મંત્રીએ નાયક બનાવી દીધો. દ્રોહીઓ હવે દેશની બહાર નથી. તે આ દેશમાં જ રહી શકે એવી પૂરતી સગવડ છે. એમ થાય કે મંત્રીએ આવું સત્ય કેમ ઘડ્યું? એને કદાચ એવું છે કે એમ કરવાથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમોના મત મળી જશે. આ દેશની પ્રજા એટલી અબૂધ અને મૂરખ છે કે કોઈ પણ નેતા કૈં પણ ભણાવે તો તે માની લે? મત મેળવવા જે સત્ય નેતાઓ પ્રગટ કરતાં હોય છે એ લોકો ભૂલી જાય છે કે પ્રજાને પણ પોતાનું સત્ય છે. પહેલું સત્ય તો એ કે પ્રજા નાપ તોલ કે બોલમાં માને છે. કોઈ કોર્ટ ન આપે એવો ચુકાદો પ્રજા આપે છે ને ત્યારે સૈકાઓનું, દાયકાઓનું શાસન પણ શીર્ષાસન કરવા લાગે છે. કોઈ શાસન ત્યારે પરિણામ નથી આપતું, પરિણામ પ્રજા આપે છે !

શું છે કે સત્ય અનેક થઈ ગયાં છે ને અસત્ય ક્યાં ય રહ્યું જ નથી એટલે જાતભાતનાં સત્યો સામે આવતાં રહે છે. એવું એક તાજું સત્ય સામે આવ્યું છે કે સાચી આઝાદી 2014માં ભારતને મળી. એ અગાઉ જે 1947માં આઝાદી મળી તે તો ભીખમાં મળી હતી. આ સત્ય એક જાણીતી ફિલ્મ અભિનેત્રીએ બહાર પાડ્યું છે. હવે સત્ય છે એટલે માનવું તો પડે જ ! નટીએ પોતાની વાતના સમર્થનમાં કહ્યું કે 1947માં કોઈ યુદ્ધ થયું નથી, તો આઝાદી ભીખમાં મળેલી જ ગણાય. જો કે, અભિનેત્રી મહાન છે એટલે એને પુછાય તો નહીં કે 2014માં સાચી આઝાદી મળી હોય તો ત્યારે કોઈ યુદ્ધ થયેલું કે કેમ? આમ તો એ હિંગનું ઝાડ છે એટલે બહુ વતાવાય તો નહીં, કદાચ એ ચૂંટણી યુદ્ધ હશે. એ 1947માં લડાયું ન હતું, એ ખરું. એટલે એક સત્ય એ લાધ્યું કે યુદ્ધ થયું હોય ને તાજું થયું હોય, ને પ્રજા તાજી આઝાદ થઈ હોય તો જ એ સાચી આઝાદી ગણાય, બાકી એ પહેલાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હોય કે ભગતસિંહ, ખુદીરામ બોઝ, સુભાષચંદ્ર બોઝ કે જલિયાનવાલા હત્યાકાંડ ને બીજા અનેક પ્રયત્નોનો કોઈ ખાસ અર્થ રહેતો નથી, એ ભીખની આઝાદી જ ગણાય ! જો કે, નટીને એ યાદ હતું કે લક્ષ્મીબાઈએ 1857ના સંગ્રામમાં ભાગ લીધેલો. તે એટલે કે એણે લક્ષ્મીબાઈની ફિલ્મ કરેલી ને એનો એવોર્ડ પણ એને તાજો જ મળ્યો છે. વધારામાં પદ્મશ્રીનો ખિતાબ પણ આ વિશિષ્ટ અભિનેત્રીને તાજેતરમાં જ મળ્યો છે. હવે આટલું બધું સત્ય જેને પક્ષે જમા થયું હોય તે 1947ની આઝાદી ગાય કે 2014ની? જરા તો વિચારો !

બને કે અભિનેત્રીશ્રીનું અગાધ જ્ઞાન જોતાં કોઈ એને 2014 પછીનો ભારતનો ઇતિહાસ લખવાનું કહે તો નવાઈ નહીં ! કારણ સત્ય તો એ જ જાણે છે ને એ પહેલાં તો જે કૈં સત્ય હતું તે ભીખની આઝાદી જેટલું જ હતું. એ ક્યાં આઝાદી હતી, એ તો ભીખ હતી, જે અંગ્રેજોએ જતાં જતાં ભારતના ઠોબલાંમાં નાખી હતી. કાલે કોઈ એવું સત્ય લાવે તો નવાઈ નહીં કે ગાંધીજી આ દેશમાં થયા જ ન હતા તો આઘાત ન લાગવો જોઈએ. નહેરુને ઇતિહાસમાં રખાય એમ બને, કારણ એ પહેલા વડા પ્રધાન હતા ને કાઁગ્રેસના હતા ને કાઁગ્રેસે 2014 સુધી ભારત પર રાજ કર્યું હતું. સરદારનો પણ એકડો ભૂંસાય એમ નથી, કારણ 2014 પછી જ તો એમનું વૈશ્વિક કક્ષાનું સ્ટેચ્યૂ કેવડિયામાં સ્થપાયું ને હવે ચલણી નોટો કેસરિયાં કરતી સરદારનું સત્ય પ્રગટ કરે તો નવાઈ નહીં. બાકી, ગાંધી તો હવે રિચાર્ડ એટનબરોની ફિલ્મમાં જ જોવા મળે એમ બને.

મહાત્મા ગાંધીએ ‘સત્યના પ્રયોગો’ લખી, એ પછી સૌથી વધારે સત્યના પ્રયોગો તો ગાંધી પર થયા છે. હવે તો મુગલાઈ કાળના માર્ગોના નામો બદલાઈ રહ્યા છે, એ જો ઝડપ પકડશે તો ગાંધી આશ્રમ કે માર્ગ  બદલાતા બહુ વાર નહીં લાગે ને ચલણી નોટો પરથી ગાંધીને ખસેડવા હોય તો, નોટબંધીની ક્યાં નવાઈ છે? બોલો રે બધાં, (અ)સત્યમેવ જયતે !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 નવેમ્બર 2021

Loading

15 November 2021 admin
← બિગ બ્રધર ઈઝ વોચિંગ યુ … વોટ્સએપમાંથી!
આ મુશ્કેલ સમયમાં (64) →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved