Opinion Magazine
Number of visits: 9446694
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—116

દીપક મહેતા|Opinion - Opinion|17 October 2021

પારસીઓનાં લગન વખતે ગવાતા ‘બેઠા ગરબા’

પાયધોણી પર લોકો પગ ધોઈને માટીનાં પૂતળાં જોતા

ગુજરાતી રંગભૂમિ પર પહેલો ગરબો ગવડાવ્યો એક પારસીએ

એવણનું નામ શોરાબજી હોરમજી. ગામ મુંબઈ. કામ લગન કે બીજા સપરમા દહાડે પારસીઓને ઘેર જઈ ગરબા ગવડાવવા. અને એ પણ છેક ૧૯મી સદીના મુંબઈ શહેરમાં! એટલું જ નહિ, પોતાના ‘બનાવેલા’ ગરબાની પૂરાં ૪૭૪ પાનાંની ચોપડી પણ તેમણે છેક ૧૮૭૯માં છપાવી હતી. નામ જરા લાંબુ લચક: ‘પારશી સ્ત્રી ગરબા તથા લગનસરામાં બેઠા બેઠા ગાવાના શહવેનાના ગીતો અને ગરબાઓનો સંગરહ.’ અને આ ચોપડીના પહેલા પાના પર લેખકે પોતાની ઓળખ આ રીતે આપી છે : ‘ચીકન છાપનાર અથવા ગરબા ગાનાર.’ એટલે કે લેખક પ્રોફેશનલ ગરબા ગવડાવનાર હતા. હવે, જો એ વખતે કમ સે કમ મુંબઈના પારસીઓમાં ગરબા ગાવા-ગવડાવવાનો ચાલ ન હોય તો કોઈ માણસ પ્રોફેશનલ ‘ગરબા ગવડાવનાર’ કઈ રીતે હોઈ શકે? હા, ગરબા ગવડાવીને બારે મહિના પેટિયું રળી શકાય એમ ન હોય, એટલે ચીકન છાપવાનું કામ પણ કરતા. ના, ના. આ ચીકન એટલે મરઘાં-બતકાં નહિ હોં! એક જાતનું કપડું. એ જમાનામાં ચીકનની સાડી ખાસ્સી પોપ્યુલર. ઘેરમાં લગન હોય તો બે-ચાર તો ખરીદવાની જ હોય. આમ, બંને કામ પારસી કુટુંબોના લગન સાથે સંકળાયેલાં.

આ પુસ્તક છપાયેલું મુંબઈના ‘પરીંતરશ પરેશ’ (પ્રિન્ટર્સ પ્રેસ) છાપખાનામાં, અને તેની કિંમત હતી છ રૂપિયા. આ રકમ એ વખતે ઘણી મોટી કહેવાય. પણ આ પ્રકારનું આ કાંઈ તેમનું પહેલું પુસ્તક નહોતું. દીબાચામાં જણાવ્યું છે કે અગાઉ તેમણે જ ‘રમૂજી ગરબાઓની ચોપડી’ નામના પુસ્તકના ત્રણ ભાગ પ્રગટ કર્યા હતા. ૧૮૭૯માં આ પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધીમાં ત્રણે ભાગની બધી જ નકલો ખપી ગઈ હતી, અને હજી માગ તો ચાલુ જ હતી. પણ એ ત્રણ ભાગની કિંમત ૧૧ રૂપિયા હતી. ‘એટલી મોહોટી કીમત’ ઘણાને પરવડતી નહોતી. તેથી તે ત્રણ ભાગમાંથી પસંદ કરેલી કૃતિઓ તથા બીજી કેટલીક નવી કૃતિઓ ઉમેરીને તેમણે આ પુસ્તક તૈયાર કર્યું. આ પુસ્તકમાં શોરાબજીની એક વધુ ઓળખ મળે છે : ‘પુટલાં દેખાડનાર.’ એટલે? જાહેર જગ્યામાં માટીનાં પૂતળાં બનાવી, લોકોને તે બતાવીને બે પૈસા રળી લેતા. કોનાં પૂતળાં બનાવતા હશે? સર જમશેદજી જીજીભાઈ, શેઠ જગન્નાથ શંકરશેઠ, અને એ જમાનાના મુંબઈના બીજા નામીચા આગેવાનોનાં પૂતળાં બનાવતા, મુંબઈના પાયધોણી વિસ્તારમાં.

૧૯મી સદીમાં પાયધોણી

મુંબઈનો એ લત્તો આજે પણ ‘પાયધોણી’ કે ‘પાયધૂની’ તરીકે ઓળખાય છે. મુમ્બાદેવીના મંદિર નજીક આવેલા આ વિસ્તાર આગળ અગાઉ મુંબઈના અને વરલી-મઝગાંવના ટાપુઓને જૂદા પાડતી છીછરી ખાડી હતી. ભરતીને વખતે જ તેમાં પાણી ભરાતું. તે સિવાય કાદવ-કીચડ પથરાયેલો રહેતો. ભરતી ન હોય ત્યારે આ કાદવ-કીચડમાં ચાલીને લોકો એક ટાપુ પરથી બીજા ટાપુ પર આવ-જા કરતા. પણ બીજા ટાપુ પરથી આ બાજુ આવ્યા પછી કાદવથી ખરડાયેલા પગ ધોઈને સાફ કરવા પડતા. એથી એ જગ્યા ‘પાયધોણી’ (પગ ધોવાની જગ્યા) તરીકે ઓળખાઈ. પગ ધોયા પછી થાકેલા લોકો થોડો વખત આરામ પણ કરતા હશે. તે વખતે ‘નાહાની ફી’ આપીને પૂતળાં જોવાનું કેટલાક લોકો પસંદ કરતા હશે. તેવી જ રીતે મુંબઈના ટાપુ પરથી વરલી કે મઝગાંવના ટાપુ પર જનારાઓ અહીં પહોંચે ત્યારે જો ભરતીનાં પાણી પૂરેપૂરાં ઓસર્યાં ન હોય તો રાહ જોવી પડે. ત્યારે નવરાશની પળોમાં થોડાક લોકો પૂતળાં જોતા હશે. મુંબઈની પહેલવહેલી પોલીસ ચોકી પણ પાયધૂનીમાં જ ૧૮૬૦માં શરૂ થયેલી, જે આજે પણ અડીખમ ઊભી છે.  

માટીનાં પૂતળાં બતાવીને કે લગનસરામાં ગીત કે ગરબા ગવડાવીને શોરાબજી કેટલું કમાતા હશે એ તો ખોદાયજી જાણે, પણ થોડીઘણી નિયમિત આવક ચીકનનું કપડું છાપવાના કામમાંથી થતી હશે એમ માની શકાય. એ આવકમાંથી પૈસા રોકીને તેમણે આ ‘અડધો ડઝન જેટલાં’ પુસ્તકો છપાવ્યાં હશે. એ પુસ્તકો વેચતા પણ જાતે જ હશે એમ માનવું પડે કારણ આ પુસ્તકમાં કોઈ વિક્રેતાનું નામ છાપ્યું નથી.

આપણા ‘મુખ્ય ધારા’ના ગરબાઓમાં રમૂજ, હાસ્ય, વ્યંગ, ટીખળ બહુ ઓછાં જોવા મળે છે. પણ જ્યારે પારસીઓ ગાવાના હોય ત્યારે એ ગરબામાં આ બધું ન હોય એવું તો કેમ બને? આ પુસ્તકમાં ‘રમૂજી’ ગરબાઓ સારી એવી સંખ્યામાં છે: રાએજી દેવજીનો રમૂજી ગરબો અશલી, બાર વરસની કણીઆંનો રમૂજી ગરબો, અજબ શરૂખી મુરગાં લેનીની રમૂજી ખુદણી, શોલેપણીઆરીની રમુજી ગરબી, કેરીનો રમૂજી ગરબો, ભાઠેની પોરીની હશવાની નાધલી ગરબી, વગેરે.

૧૯મી સદીમાં ગરબે ઘૂમતી પારસી સ્ત્રીઓ

અહીં સંગ્રહાયેલા બીજા એક પ્રકારના ગરબા પણ ધ્યાન ખેંચે તેવા છે. ૧૯મી સદીમાં ઘણી વાર અંગ્રેજો હિંદુઓ માટે ‘બનીઆ’ શબ્દ વાપરતા. તેમની લિપિને પણ ‘બનીઅન સ્ક્રિપ્ટ’ તરીકે ઓળખતા. તેમને અનુસરીને પારસીઓ પણ ઘણી વાર બધા હિંદુઓ માટે ‘બનીઆ’ શબ્દ વાપરતા. અહીં આવા ‘બનીઆ’ ગરબાઓનાં પારસી રૂપાંતરો પણ જોવા મળે છે. તેમાંના કેટલાક આ પ્રમાણે છે : ઓધવજીનાં રૂશનાનો ગરબો, વાળાની વીનંનતીનો ગરબો, હીનદુ લોકની માતાનો ગરબો, માહાકાલીનો ગરબો, શીતાની કંઠ કાચરીનો ગરબો, વાણીઆના બાર માશનાં વાલાજીનો ગરબો, વગેરે. આ પ્રકારના ગરબાઓમાં નરસિંહ મહેતા વિશેના બે ગરબા ખાસ ધ્યાન ખેંચે તેમ છે. પહેલો, ભગત નરશઈ મેહેતાની હુંડીનો ગરબો. તેની શરૂઆતમાં લખ્યું છે કે આ ગરબો ખંભાતમાં ઘણા લોકો ગાય છે. પણ તેમાંના ‘હિંદુ લોકોના ઘણા બોલ’ સુધારીને સરળ કર્યા છે જેથી ‘શઘલા લોકોને એક શરખી રીતે ગાવાને બની આવે.’ બીજો ગરબો છે ‘નરશાઈ મેહેતાએ પોતાની છોકરી કુવરબાઈને મોશારૂં કીધુ તેનો ગરબો’. તેની સાથેની નોંધમાં લખ્યું છે : ‘એ ગરબાને વાણીઆં લોકો ઘણો પસંદ કરે છે, તથા હાલમાં આપના લોકો લગંનશરામાં તથા બીજે શરઅવશરે ખુશીથી ગાએ છે અથવા ગવરાવે છે.’ અને હા, આ ગરબો પૂરાં ૩૪ પાનાંનો છે!

સામાન્ય રીતે ગરબા સાથે શબ્દ, સૂર, અને નર્તન સંકળાયેલાં હોય છે. પણ આ પુસ્તકમાં જે ગરબા સંગ્રહાયા છે તે સમૂહમાં ઘૂમતાં ઘૂમતાં ગાવા માટેના નથી, એ રીતે ગાઈ શકાય એમ પણ નથી. દાખલા તરીકે છાપેલાં ૩૪ પાનાંનો ગરબો ઘૂમતાં ઘૂમતાં કઈ રીતે ગાઈ શકાય? પુસ્તકના નામમાં પણ ‘બેઠા બેઠા ગાવાના’ તરીકે આ ગરબાને ઓળખાવ્યા છે. આ પ્રકારના ‘બેઠા ગરબા’ એ સાધારણ રીતે નાગર જ્ઞાતિની વિશિષ્ટતા મનાય છે. નવરાત્રી દરમ્યાન ગુજરાતમાં, મુંબઈમાં, અને બીજે પણ, નાગરાણીઓ બપોરને વખતે આવા ‘બેઠા ગરબા’નું આયોજન આજે પણ કરે છે. પણ આ પુસ્તક જોયા પછી લાગે છે કે એક જમાનામાં પારસી કુટુંબોમાં પણ આવા ‘બેઠા ગરબા’ સારા એવા પ્રચલિત હશે. દેશી રાજ્યોની અને અંગ્રેજ સરકારની નોકરીઓમાં ૧૯મી સદીમાં નાગરો અને પારસીઓ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેથી એકબીજાથી વધુ પરિચિત થયા હતા. એટલે સંભવ છે કે નાગરો પાસેથી પારસીઓએ આ પ્રથા અપનાવી હોય. તો પારસીઓનું જોઇને નાગરોએ ‘બેઠા ગરબા’ શરૂ કર્યા હોય એમ બનવું પણ અસંભવિત નથી.

કેખુશરો કાબરાજી

ગુજરાતની ઓળખરૂપ ગણાતા ગરબાને મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર લાવવાની પહેલ પણ કરેલી એક પારસીએ. એવનનું નામ કેખુશરો કાબરાજી. ૧૯મી સદીના પ્રતિષ્ઠિત પત્રકાર, લેખક, સમાજ સુધારક, રંગભૂમિ, શાસ્ત્રીય સંગીત, વગેરેના અચ્છા જાણકાર. તેમની ‘નાટક ઉત્તેજક મંડળી’એ શરૂઆતમાં તો પારસી-ગુજરાતી નાટકો સફળતાથી ભજવ્યાં. પણ પછી ચતુર કેખુશરોના ધ્યાનમાં આવ્યું કે મોટી સંખ્યામાં પ્રેક્ષકોને નાટકશાળામાં લાવવા હોય તો ‘હિંદુ’ કથાવસ્તુવાળાં નાટકો પણ ભજવવાં જોઈએ. એ જમાનાના લોકપ્રિય નાટકકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો. એટલે રણછોડભાઈ પાસે માગ્યું નાટક. તેમણે પોતાનું ‘હરિશ્ચન્દ્ર’ નાટક આપ્યું. કાબરાજીને અને તેમની નાટક મંડળીને એ નાટક ગમ્યું તો ઘણું. એટલે રણછોડભાઈની પરવાનગી લઈને કાબરાજીએ ઘણી કાપકૂપ કરી. રણછોડભાઈના નાટકમાં સંસ્કૃત છંદોમાં શ્લોકો હતા, પણ ગીત નહોતાં. અને એ વખતે ગીત વગરનાં નાટક તો ચાલે જ નહિ. ત્રણેક ગીતો રણછોડભાઈએ લખી આપ્યાં. કવીશ્વર દલપતરામનું એક પદ અને એક ગરબી ઉમેર્યાં, અને એક પદ કવિ નર્મદનું ઉમેર્યું. બાકીનાં ગાયનો કાબરાજીએ પોતે લખ્યાં. ખમાજ રાગની ઠુમરી પર અને પીલુ રાગમાં ગવાતી ગરબી પર નાચની તક ઊભી કરી. અને આ નાટકને પ્રેક્ષકોએ માથે ઉપાડી લીધું. એ જમાનામાં એના અગિયાર સો પ્રયોગ થયા. પારસી પ્રેક્ષકોને પણ નાટક એટલું તો ગમી ગયું કે પછી ડોક્ટર જેહાંગીર વાડિયાએ ‘પારસી હરીશચંદર’ નાટક લખ્યું અને તે પણ સફળતાથી ભજવાયું. તેનાં ગીતો લખેલાં વ્યવસાયે સિવિલ એન્જિનિયર એવા પેસી પી. કાપડિયાએ.

હરિશ્ચન્દ્ર નાટકમાં કાબરાજીએ જે ગરબી ગવડાવેલી તેની થોડી પંક્તિ :

થીર ઠરીને કોઈ આ ઠામ રે નથી રહેવાનું,
કરી લો કાંઈ રૂડું કામ રહેશે કેવાનું.
સારા સારા વીર ગયા ને ભૂપ ગયો તજી મોજ રે,
જોરાવર જયકારી જગતમાં ફરતી જેની ફોજ.

આ રચનાને કહી છે ‘ગરબી’ પણ તખ્તા પર ‘સ્ત્રીઓ’ રજૂ કરે છે. અલબત્ત, આ ‘સ્ત્રીઓ’ એટલે સ્ત્રીના વેશમાં પુરુષો. કારણ એ વખતે હજી ગુજરાતી તખ્તા પર સ્ત્રીઓની એન્ટ્રીને વાર હતી.

નોરતાંને વિદાય આપીને હવે તો આપણે શરદ પૂનમની રાતની રાહ જોઈએ છીએ. ત્યારે ૧૮૯૯માં ભજવાયેલા ડાહ્યાભાઈ ધોળશાજીના નાટક ‘વીણાવેલી’ના એક ગરબા સાથે આજની વાત પૂરી કરીએ.

ઊગ્યો સખી સૃષ્ટિનો શૃંગાર હાર
ચાલ, ચાલ, જોવાને ચંદ્રમા.
જો ને પ્રેમઘેલી ભૂમિનારના દેદાર
જો ને ડોલે સૃષ્ટિ આનંદમાં.

આનંદમાં ડોલતી મુંબઈ નગરીની વધુ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 16 ઑક્ટોબર 2021

Loading

17 October 2021 admin
← કોલસા, હાથ તો ઠીક, મોં કાળું ના કરે તેમ ઇચ્છીએ …
મોંઘવારી જન્મ પહેલાં હતી ને મરણ પછી પણ હશે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved