Opinion Magazine
Number of visits: 9448672
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વોટ માટે જાટ બનાવ્યા, રાજાને ય છોડ્યા નહીં

ભરત મહેતા|Opinion - Opinion|1 October 2021

યુ.પી.માં અલીગઢથી ચૂંટણી સભાના શ્રીગણેશ કરી, નરેન્દ્ર મોદીએ ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું. મોદીએ પહેલી જ ચૂંટણીમાં રાજા મહેન્દ્રપ્રતાપને યાદ કર્યા. વળી, એમના નામ સાથે જોડાયેલ એક નવા, રાજા મહેન્દ્રપ્રતાપસિંહ વિશ્વવિદ્યાલયની જાહેરાત કરી. આ જાહેરાત ઘડી-બે-ઘડી તો સારી લાગી, પણ થયું લાલો લાભ વગર લોટે નહીં. થયું પણ એવું જ. આ વિશ્વવિદ્યાલય માટે સો કરોડની ફાળવણી પણ કરવામાં આવી. તેથી ઘણાં રાજી થાય, પરન્તુ યાદ કરો કે આ સાહેબે રિલાયન્સ યુનિવર્સિટીના ખાતમુહૂર્તમાં જ એને ભારતની મહાન યુનિવર્સિટી (જન્મ્યાં પહેલા જ!) ગણાવી હજ્જાર કરોડનું અનુદાન મંજૂર કરેલું. સખાવતમાં ભાઈબંધી પાક્કી રાખે છે!

આપણો વાંધો બીજો છે. રાજા મહેન્દ્રપ્રતાપે જિંદગીભર 'સિંહ' ઓળખ વાપરી નથી! વળી, એ માટે એમણે ખુલાસો પણ કર્યો છે. તેથી ચૂંટણીનું ફૉર્મ પણ એમણે રાજા મહેન્દ્રપ્રતાપના નામે જ ભરેલું. જે ચૂંટણીમાં એમણે અટલબિહારી વાજપેયીને ય હરાવેલા. બીજું, ભારત સરકારે એમના સન્માનમાં ટપાલટિકિટ બહાર પાડેલી એના પર પણ રાજા મહેન્દ્રપ્રતાપ જ છે, સિંહ નહીં! મોદી સરકારને ઇતિહાસને વિકૃત કરવામાં-આનંદ આવે છે. (હમણાં વિષ્ણુ પંડ્યાએ ભગતસિંહને 'આર્યસમાજી' બનાવી દીધા એવો આનંદ!) કોઈનું નામ વિકૃત કરવું એ કાયદેસરનો ગુનો છે. મોદી સરકારને આ અંગે જાગૃત નાગરિકોએ કોર્ટમાં પડકારવી જોઈએ.

આમ કરવાનું કારણ એ છે કે મોદી સરકાર કિસાન-મહાપંચાયતોની વધેલી લોકપ્રિયતાથી બેબાકળી થઈ ગઈ છે. કિસાન-આંદોલનમાં અગ્રણી કિસાનો જાટ, સિંહ છે. હવે રાજા મહેન્દ્રપ્રતાપને 'સિંહ' બનાવી, વારંવાર એમને જાટ તરીકે ઓળખાવી, એમના નામે આવી યુનિવર્સિટી ખોલી, કિસાન-આંદોલનથી પ્રભાવિત જનતાને ભ્રમિત કરી શકાય. કહી શકાય કે વોટ માટે રાજાને જાટ બનાવ્યા, રાજાને ય છોડ્યા નહીં!

જિંદગીમાં કદી રાજા મહેન્દ્રપ્રતાપને યાદ ન કરનાર આ સરકાર શિલાન્યાસ કરી રહી છે. બીજી તરફ એમની મૂર્તિ જ્યાં છે, એ કચરાના ઢગલા વચ્ચે પડી છે. એ મૂર્તિની યોગીજીએ કોઈ જાણકારી સુધ્ધાં નથી કરી. તેથી ચૂંટણીનો ગડગડાટ અને તાલિબાનચર્ચા વખતે રાજા મહેન્દ્રપ્રતાપને યાદ કરીને, રાજકીય સ્વાર્થ સાધી રહી છે. મોરસાનમાં જન્મેલા રાજાને હાથરસમાં દાદાએ દત્તક લીધેલા. આજે પણ મુરસાનના દલિતવાસમાં મૂર્તિ છે. યુ.પી.માં ચૂંટણી આવી, ત્યારે એકાએક એમને યાદ આવ્યા! બેશક એમણે ઝીણાનો વિરોધ કરેલો, પણ એ હિન્દુત્વવાદી ન હતા! જનસંઘને હરાવનાર, પોતાનું બીજું નામ એમણે 'પીટર’ પણ કરેલું! સર્વધર્મસમભાવી રાજાને આ રીતે વેતરવા એ વિકૃત મનોદશાનો પરિચય આપે છે. એમની અંતિમ ઇચ્છા હતી કે એમને દફનાવવા, જલાવવા અને સમાધિ પર લખવું – 'પીટરવીર પ્રતાપ' જેથી ઈસાઈ, મુસ્લિમ અને હિંદુ ત્રણે આવે! જે મંદિરોમાં દલિતોને પ્રવેશ ન હોય, ત્યાં એ  જતા ન હતા! હાથરસમાં બળાત્કારી ધારાસભ્યને બચાવી, પીડિતને રાતોરાત બાળનાર મોદી સરકારને એ વખતે રાજા મહેન્દ્રપ્રતાપનું હાથરસ યાદ આવ્યું ? રાજાના નામની ચૂંટણી ટાણે લૉલીપૉપ છે!

એ જ્યારે અફઘાનિસ્તાનમાં ભારતની આરઝી હકૂમતના રાષ્ટ્રપતિ હતા, ત્યારે એમના વડા પ્રધાનનું નામ બરકત ઉલ્લાખાન હતું! હિંદુ-મુસ્લિમ પ્રેમના પ્રતીક હતા. એ માનતા હતા કે લગ્ન વખતે જ્ઞાતિ, ધર્મ જોવાનાં ન હોય! લવજેહાદવાળા શું મહેન્દ્રપ્રતાપને સમજી શકે ? પોતાની સમગ્ર સંપત્તિ શિક્ષણ માટે આપી દીધી હતી, શિક્ષણને કૉર્પોરેટ કૉમોડિટી બનાવી દેનારાઓની હેસિયત છે રાજા મહેન્દ્રપ્રતાપને યાદ કરવાની? ઈ.૧૯૦૯માં છેક પોલિટેકનિક સ્થાપી હતી! જાટલૅન્ડના ૬% વોટ લેવા માટે રાજાની છબી વિકૃત કરવામાં આવી રહી છે. સર સૈયદ અહેમદે જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બનાવી, એની જમીન રાજા મહેન્દ્રપ્રતાપે આપેલી.

રાજા મહેન્દ્રપ્રતાપ (૧૮૮૬-૧૯૭૯) સ્વાતંત્ર્યસંગ્રામી હતા. આર્યસમાજને વૃંદાવનમાં જમીન આપી એ શરત સાથે કે હું આર્યસમાજી નથી. ૧૯૦૮માં 'પ્રેમવિદ્યાલય’ની સ્થાપના કરી, જેમાં ૨૫,૩૪૭ રૂપિયા ખર્ચેલા, જે આજે કરોડો કરોડો રૂપિયા થાય. કાઁગ્રેસ-ભા.જ.પ.માં જે રાજાઓ છે, એ આવું દાન કરી શકે? એ માત્ર સ્વાતંત્ર્યસેનાની ન હતા, પત્રકાર પણ હતા. બે સામયિકો કાઢેલાં. એક સામાયિકનું નામ હતું 'પ્રેમ’, બીજાનું નામ 'ર્નિબલ સેવક’. 'ર્નિબલ સેવક’ પત્રિકામાં સતત ખેડૂતોના પ્રશ્નો ચર્ચવામાં આવતા હતા. ત્રણ કાળા કાનૂન બનાવીને ખેડૂતોનું જીવન નરક બનાવનાર શું ઉદ્દેશ્યોથી પરિચિત છે?

એમના જમાનામાં હિંદી, ઉર્દૂનો વિવાદ ચાલતો હતો. જાણે હિંદી હિંદુની હોય અને ઉર્દૂ મુસલમાનોની! એમણે કહ્યું કે ભારતના પ્રત્યેક નાગરિકે હિંદી અને ઉર્દૂ ભાષાઓ જાણવી જોઈએ! જ્યારે અલિગઢ યુનિવર્સિટીએ’ ૯૭માં યુનિવર્સિટીની શતાબ્દી વખતે એમનું જમીનદાતા તરીકે, ઉર્દૂના સંરક્ષક તરીકે સન્માન થયું હતું 'ઇન્ડિપેન્ડન્ટ’માં આવેલ લેખમાં લેનિનને 'પોતાના સાચા સાથી’ ગણાવ્યા છે. રૂબરૂ મળેલા. દુનિયાનું બે વાર પરિભ્રમણ કર્યું. ભારત દુનિયા સાથે તાલમેલ કરે એ ઇચ્છતા હતા. તેમનું સૂત્ર હતું 'પ્રેમધર્મ’. દુનિયાના સર્વ ધર્મોની એકતા એમના જીવનનું ધ્યેય હતું. શું સંધીશિક્ષિત મોદી એમનાં દર્શનને પચાવી શકશે? અલીગઢ યુનિવર્સિટી સંચાલિત જે કૅમ્પસસ્થિત સ્કૂલ છે, એનું નામ પણ 'રાજા મહેન્દ્રપ્રતાપ વિદ્યાલય’ છે. બોલ્શેવિક ક્રાંતિનાં બે વર્ષ બાદ ઈ. ૧૯૧૯માં જ લેનિનને રૂબરૂ મળેલા. ઑક્ટોબર-ક્રાંતિથી પ્રભાવિત હતા. ૧૪મી માર્ચ, ૧૯૧૯માં રૂબરૂ મળ્યા.

એ સમાધિ સામે વૃંદાવનમાં આવેલું 'પ્રેમ વિદ્યાલય’ આજે ચાલે છે, પણ જર્જરિત દશામાં છે. લાઇટની વ્યવસ્થા ન હોવાથી આચાર્ય દેવપ્રકાશ પોતે બે વાયર ખેંચી, બિલ પોતાના ખિસ્સામાંથી ચૂકવે છે! આ 'પ્રેમ વિદ્યાલય’ તો સરખું કરો! એમના સમકાલીનોનાં સંસ્મરણો વાંચીએ, તો તાજ્જુબ થઈ જવાય. સામાન્ય લોકો સાથે જમણવાર ગોઠવતા, કોઈ છોકરાને વાગ્યું હોય તો તે જાતે જ મલમપટ્ટી લગાવનાર રાજા હતા. આજે તો સુપ્રીમ કોર્ટ આદેશ આપે તો ય કોરોનામાં મૃત્યુ પામનારને વળતર તો ઠીક, હજુ યાદી પણ તૈયાર નથી કરી! અત્યારે જે યુનિવર્સિટીઓ છે, એમાંની મોટા ભાગની આર.એસ.એસ.ના અડ્ડા જેવી છે. જો એવી જ આ યુનિવર્સિટી થશે, તો એ રાજા મહેન્દ્રપ્રતાપનું અપમાન લેખાશે. હિંદુ-મુસ્લિમ નહીં પણ વૈજ્ઞાનિક ચેતનાસભર મનુષ્યનિર્માણ એમનું ધ્યેય હતું. રૂઢિવાદિતામાંથી યુવાનોને બહાર કાઢવા મથતા હતા. આધુનિક ભારતની એમની કલ્પના એવી હતી. શિલાન્યાસ આ વિચારોનો કરવો જરૂરી છે. આંતરધર્મી, આંતર જ્ઞાતીય વહેવાર એ એમની પ્રબળ ઇચ્છા હતી. 'માય લાઇફ સ્ટોરી’માંથી પસાર થાવ તો ખબર પડે કે એ કેવા વિચારક હતા. યોગી-મોદી-ભાગવતનાં વિધાનો અને રાજા મહેન્દ્રપ્રતાપના ઉદ્દગારો વચ્ચે આભજમીનનું અંતર છે!

જોઈએ આ યુનિવર્સિટી મતપેટી બને છે કે રાજા મહેન્દ્રપ્રતાપને સાચી શ્રદ્ધાંજલિ. અત્યારે તો એટલું જ કે એમને જાટ બનાવી, નામ પાછળ સિંહ લગાવી નાના ન બનાવો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 08

Loading

1 October 2021 admin
← મોહનદાસ કરમચંદ ગાંધી અને ભાવનગરની શામળદાસ કૉલેજ
ગાંધીજી સાહિત્યકાર ખરા? હા. →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved