એલ્વિન ટોફલરને ખબર નહીં હોય કે ત્રીજી લહેર એકવીસમી સદીના એકવીસમા વર્ષમાં ભારત દેશમાં આટલી પ્રસિદ્ધ થશે. ટોફલરની ત્રીજીની જેમ જ આપણી ત્રીજી પણ ક્યારે શરૂ થઈ ક્યારે પૂરી થશે, એ કળવું મુશ્કેલ છે.
લહેર (કે વેવ) સમુદ્રમાં ઊછળતાં મોજાં અને ત્સુનામી જેવાં દૃશ્યો લોકોની કલ્પનામાં લાવે છે. પહેલી કરતાં બીજી ખતરનાક અને બીજી કરતાં ત્રીજી ? એકથી વધુ વખત પરણેલાના વિચાર જેવું લાગે. પણ શું પહેલી કરતાં બીજી ખતરનાક હતી ? ત્રીજી શું આવશે ? આ ફલાણા અને ઢીંકણા મ્યુટન્ટ અને વેરિયન્ટ શું બલા છે? સારી વાત એ છે કે આ બધી ચિંતા છોડીને લોકો હવે મંદિરો અને ફરવાની જગ્યાએ ભીડ કરવા માંડ્યાં છે.
આ લહેરો થોડા સાદા ટેક્નિકલ વિચારથી સમજી શકાય. વાઇરસ અને શરીર એકબીજાં સાથે લડતા નથી, અનુકૂલન (adaptation) સાધે છે. આ દ્વિપક્ષી અનુકૂલનની પ્રક્રિયા સમજવા જેવી છે. અનુકૂલન બચાવ(survival)ની દિશામાં હોય છે. કોઈ પણ જીવંત પ્રણાલી પોતાના બચાવ અને સંવર્ધન માટે સતત ઉત્સુક અને પ્રવૃત્ત હોય છે.
પ્રજાતિના સ્તરે, બચવાની સંભાવના (survival probability) નવી પેઢી પેદા કરવાની ક્ષમતા, (reproductive fitness) પર આધારિત છે. વાયરસની આ fitness, રહેવા માટે કેટલાં સારાં અને સુરક્ષિત સ્થાન પ્રાપ્ત કરી શકે એના પર ખાસ આધારિત છે. વાઇરસ માટે આપણું શરીર ઘર (કે ગેસ્ટહાઉસ કે રિસોર્ટ!) છે, જ્યાં એ આરામથી નવી પેઢીઓ પેદા કરવા ઇચ્છે છે.
આ સાથે સંકળાયેલો બીજો મુદ્દો genetic mutationનો છે. આ કોઇ પણ સજીવમાં ચાલતી મહદંશે યાદૃચ્છિક (random) કુદરતી પ્રક્રિયા છે. વાઇરસ અતિ સૂક્ષ્મ હોવાથી એમાં આ પ્રક્રિયા આપણી ટાઇમફ્રેમ પ્રમાણે ઘણી ઝડપથી થાય છે. એક ઘરમાંથી બીજા ઘરમાં (શરીરમાં) જતાં વાઇરસ થોડાઘણા અંશે બદલાતા રહે છે. અત્યાર સુધી SARSCovid2ના હજારો વેરિયન્ટનો જીન સિક્વન્સ ઘણા ડેટાબેઝમાં સંગ્રહાયેલા છે.
એ રીતે પેદા થતા ઢગલો વેરિયન્ટમાંથી કયા વધુ ફેલાઈ શકશે એ સમજવા ડાર્વિનિયન ઉત્ક્રાંતિનો ‘સર્વાઇકલ ઑફ ધ ફિટેસ્ટ’ ખ્યાલ ઉપયોગી છે, જે વેરિયન્ટની reproductive fitness વધુ તે વધુ ફેલાશે. આ ફિટનેસ શેના પર આધારિત છે ? વાઇરસ શરીરમાં ઘૂસે એટલે તરત રહેવાની જગ્યા મળી ગઈ એમ નથી. એણે શરીરના કોઈ કોષનું કવચ (membrane) ભેદીને અંદર પ્રવેશવું પડે. આપણે ગેસ્ટહાઉસ કે રિસોર્ટમાં રૂમની ચાવી મેળવવી પડે તેમ.
Reproductive fitnessનો એક ભાગ આ ચાવી કેટલું ફટાફટ તાળું ખોલે એ છે. છેલ્લા વર્ષમાં spikeprotein જેવા શબ્દો કાને પડ્યા હોય તો તે આ ચાવીની વાત છે. ડેલ્ટાવેરિયન્ટ પાસે માનો રિસોર્ટની માસ્ટરકી આવી ગઈ.
પણ આ ફિટનેસનો બીજો અને વધુ મહત્ત્વનો ભાગ યજમાનનો પ્રતિભાવ (રોગનાં લક્ષણો) છે. જો પ્રતિભાવ આકરો હોય અને યજમાન તે જીરવી ન શકે, તો વાઇરસનું ઘર છીનવાઈ જાય. આપણે મરીએ તેમાં એનો ફાયદો નથી, નુકસાન છે. પણ જો વાઇરસ સાથે યજમાન હળવાં લક્ષણો કે લક્ષણો વગર હરતોફરતો / હરતીફરતી રહી શકે, તો વાઇરસનું વર્તમાન ઘર સુરક્ષિત રહે અને અન્ય નવાં ઘરોમાં દાખલ થવાની તક મળ્યા કરે. આમ, હળવાં લક્ષણો પેદા કરનાર વાઇરસની reproductive fitness ઘાતક વાઇરસ કરતાં ઘણી વધી જાય છે અને તે વધુ ફેલાઈ શકે છે.
વાઇરસ કેટલા પ્રમાણમાં ફેલાય (ineffectivity) તેના માપને epidemiologists ‘ઇ નંબર’ કહે છે – ચેપ લાગેલ એક વ્યક્તિ સરેરાશ બીજા કેટલાને ચેપ લગાડી શકે. ચેપ કેટલો આકરો (ઘાતક) છે, તેનો અંદાજ CFR (case fatality rate) – રોગ થયેલા કેટલા ટકા કેસ મૃત્યુ પામે છે – પરથી આવે છે. વાચકો છેલ્લાં એકદોઢ વર્ષમાં આ પરિભાષાથી પરિચિત થયા જ હશે.
વધારે CFR વાઇરસના ફેલાવાની તકો ઓછી કરતો હોવાથી તેની reproductive fitness અને તેથી survival probability ઘટાડે છે. ટૂંકમાં, CFR અને R number એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં જ ચાલી શકે. આમાં અપવાદ શક્ય નથી. હળવો રોગ પેદા કરનાર વેરિયન્ટ જ વધુ ફેલાઈ શકે. અથવા વેરિયન્ટ જેટલો ઘાતક તેટલો ઓછો ફેલાય. SARS, MERS, Ebola, Dengue વગેરે covid કરતાં વધુ ઘાતક (ઊંચો CFR) અને તેના કરતાં ઓછા ફેલાય (ઓછો R number) છે.
પહેલી લહેરવાળો વાઇરસ પણ SARS, MERS, Ebola વગેરે કરતાં ઘણો હળવો હતો, માટે વધુ ચેપી છે. ડેલ્ટાવેરિયન્ટ તેના કરતાં પણ હળવો રોગ પેદા કરતો હોવાથી તેનાથી પણ વધુ ફેલાયો. હું જાણું છું, આ વાત બધાને તરત ગળે નહીં ઊતરે. ડેલ્ટાવેરિયન્ટ બહુ ખતરનાક છે, એવી છાપ બની ગઈ છે. પણ એનો R number એટલો ઊંચો હતો કે ઘટેલા CFR સાથે પણ મૃત્યુ આંક ઘણો ઊંચો રહ્યો. ઘણાં મોત ભય, આતંક, અફડાતફડી, મિસમૅનેજમેન્ટ અને બિનજરૂરી સારવારથી નીપજ્યાં, માટે સાચો CFR મેળવવો પણ શક્ય નથી. સાચો CFR ઇલાજ અને રસીકરણ વગરના કેસ પરથી જ ગણી શકાય.
R number વિશે વિશ્વાસથી કહી શકાય, કારણ રોજના ચાર લાખ જેટલા ઑફિશિયલ કેસ નોંધાયા અને બીજી લહેર પહેલાં અને પછીના seroprevalence(કેટલા ટકા લોકો ઍન્ટિબૉડીઝ ધરાવે છે)માં મોટો ફરક પડી ગયો. પહેલી લહેરના એક વર્ષ પછી જે seroprevalence માંડ પંદરવીસ ટકા પર હતું, તે બીજી લહેરના ત્રણ મહિનામાં જ આશરે સિત્તેર ટકાએ પહોંચ્યું. અત્યારે આશરે એંસી-પંચ્યાસી જેવું હશે. આમ, અત્યાર સુધી મોટા ભાગના લોકો કુદરતી રીતે જ, વાઇરસની પ્રત્યક્ષ મુલાકાતથી ઇમ્યુનિટી મેળવી ચૂક્યા છે. અત્યાર સુધી દેશમાં રસીકરણ માંડ પંદરવીસ ટકાનું થયું છે. ડેલ્ટાવેરિયન્ટ ઘણો ઉપકારક બન્યો.
આટલું seroprevalence લગભગ હર્ડ ઇમ્યુનિટીનું લેવલ છે. તે પછી ત્સુનામી જેવી લહેર આવવાની શક્યતા રહેતી નથી. રસીકરણનું મહત્ત્વ હવે ઓછું છે. હવે મોટી લહેર તો જ આવે, જો કોઈ વેરિયન્ટ એટલો બધો અલગ હોય કે એને નવો વાઇરસ જ ગણવો પડે. પણ કુદરતી રીતે એટલો મોટો morphological તફાવત પાડતાં વર્ષો લાગે. SARSCovid 2 આમ જુઓ તો SARSCovid 1નો વેરિયન્ટ જ છે.
૨૭ માર્ચ, ૨૦૨૧ના દિવસે ડિપાર્ટમેન્ટ સહકર્મીઓ માટે મેં એક સેમિનાર, પ્રેઝન્ટેશન આપ્યું હતું. તે દિવસના રિપોર્ટેડ કેસ લગભગ ૬૨ હજાર હતા અને આગળ ક્યાં સુધી જશે, એની કોઈને ખબર નહોતી. મેં કહ્યું હતું કે રોજના બે લાખ સુધી તો જશે જ, અને ચાર-પાંચ લાખ સુધી જાય, તો ખુશ થજો. જેમ inefectivity (R number) વધશે, તેમ વાઇરસની ઘાતકતા ચોક્કસ ઘટશે. આ અનુકૂલનની સાચી દિશા છે.
આ રીતે જ એક પછી બીજી અને ત્રીજી લહેરથી વાઇરસથી થતો રોગ (શરીરનો પ્રતિભાવ) હળવો થતો જાય છે. આ કુદરતી રીતે થતી, આપણા શરીર અને વાઇરસ વચ્ચે યજમાન-મહેમાન આંતરક્રિયાથી નીપજતી અનુકૂલનની હકારાત્મક પ્રક્રિયા છે. એક રીતે આમ આપણે પ્રજાતિ તરીકે વાઇરસનું પાચન કરીએ છીએ.
મારી વાતો ઘણાને અતિશયોક્તિભરી અને ખતરનાક પણ લાગી હતી. જ્યારે એપ્રિલ/મેની પરિસ્થિતિ જોઈ, ત્યારે નવાઈ પણ લાગી. તમે માર્ચમાં જ આવું બધું કેવી રીતે ધારતા હતા ? પણ આ mathematical છે. વાઇરસને મગજ, હ્રદય વગેરે ન હોવાથી કોઈ મનોવિજ્ઞાન નડતું નથી. વળી, તેને છાપાં કે ટીવી પણ જોવાનાં ન હોવાથી વધારે mathematically ચાલે છે.
ડેલ્ટા વેરિયન્ટ પેદા કરીને ભારતે વિશ્વને ઝડપથી હર્ડઇમ્યુનિટી તરફ જવામાં મદદ કરી છે. આ રીતે વિશ્વગુરુ બન્યા ખરા! રસીકરણમાં થયેલો વિલંબ, જેના માટે સરકારની ઘણી ટીકા થઈ છે, તે આ માટે સહાયરૂપ બન્યો. કટાક્ષમાં નહીં; ખરેખર, આ માટે હું સરકારનો આભારી છું.
E-mail : jagrut.gadit@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 14 તેમ જ 11