Opinion Magazine
Number of visits: 9446513
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંદરમી ઑગસ્ટે અંગ્રેજો સત્તાની સોંપણી કરીને જતા રહ્યા એ આઝાદી હતી કે સત્તાંતરણ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 August 2021

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજો આપણને સત્તાની સોંપણી કરીને દેશ છોડીને જતા રહ્યા એને જો આપણે આઝાદી કહેતા હોઈએ તો આજે આઝાદીની ૭૪મી વર્ષગાંઠ છે અને દેશ આઝાદીની સુવર્ણજયંતી વર્ષમાં પ્રવેશ્યો છે. આવતા વરસે આપણે આઝાદીનાં ૭૫ વરસ પૂરાં કરીશું. આઝાદી સાથે ભારતનું વિભાજન પણ ન ભૂલાય એવી ઘટના છે. એ એક ઘાવ છે જે સતત દુઝતો રહે છે અને તેનો રાજકીય ઉપયોગ પણ કરવામાં આવે છે. આપણે આઝાદીનો ઉત્સવ મનાવતી વખતે આત્મનિરીક્ષણ પણ કરવું જોઈએ કે કેમ આપણે સાથે રહી ન શક્યા? દોષારોપણ બાજુએ રાખીને આત્મપરીક્ષણ કરવું જોઈએ.

આ લેખનો પ્રારંભ જ શંકા સાથે મેં સવાલ સાથે કર્યો છે કે ૧૫મી ઓગસ્ટે અંગ્રેજો સત્તાની સોંપણી કરીને જતા રહ્યા એ આઝાદી હતી કે સત્તાંતરણ? અંગ્રેજીમાં એને ટ્રાન્સફર ઓફ પાવર કહેવામાં આવે છે. ૧૫મી ઓગસ્ટે ટ્રાન્સફર ઓફ પાવર થયો હતો કે ફ્રીડમ મળ્યું હતું?

આઝાદી એક પ્રક્રિયા છે અને સત્તાંતરણ એક ઘટના છે. ૧૫મી ઓગસ્ટે આપણને જે આઝાદી મળી એ સત્તાંતરણના સ્વરૂપની એક ઘટના હતી, કહો કે એક પડાવ હતો, પણ આઝાદીની પ્રક્રિયા તો એ પહેલાં પણ ચાલુ હતી, અત્યારે પણ ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલવાની. માટે ગાંધીજી કાયમ આઝાદી માટે સ્વરાજ શબ્દ વાપરતા હતા. સ્વ-રાજ. આપણા ઉપર આપણું રાજ. આપણા ઉપર આપણાઓનું રાજ નહીં, આપણા ઉપર આપણું રાજ. આ બે ચીજમાં જમીન આસમાનનો ફરક છે. ઘણાં લોકો એમ માને છે અને જે તે ધારાના રાજકારણીઓ એમ મનાવવાનો પ્રયાસ કરે છે કે આપણા ઉપર આપણાઓનું રાજ હોય એ જ પૂરતું છે અને તેને જ આઝાદી કે સ્વરાજ કહેવાય.

આખી ૨૦મી સદીનાં જગતના રાજકારણ ઉપર નજર કરશો તો જોવા મળશે કે જગત આખામાં આપણા ઉપર આપણાઓનાં રાજના નામે આંદોલનો ચાલ્યાં છે અને આજે પણ એ જ જોવા મળી રહ્યું છે. મૂળમાં એ સત્તાનું રાજકારણ છે. આનો અર્થ એ થયો કે આપણે સત્તાકેન્દ્રી છીએ, સ્વરાજકેન્દ્રી નથી. ભારતને આઝાદી મળી ત્યારે દલિત નેતાઓ દલિતોને સમજાવતા હતા કે આ તો રાજકીય આઝાદી છે, સાચી આઝાદી તો આવવાની બાકી છે. જે આઝાદ થયા છે એ સવર્ણ હિંદુઓ થયા છે, દલિતોએ આઝાદ થવાનું બાકી છે. દલિતોએ બ્રાહ્મણ અને બ્રાહ્મણવાદથી આઝાદ થવાનું છે અને એ ત્યારે થશે જ્યારે સવર્ણોના હાથમાંથી છીનવી લેવામાં આવશે. દલિત રાજકારણીઓ દલિતોને કહેતા હતા કે જ્યાં સુધી દલિતોનું રાજ નહીં આવે ત્યાં સુધી સાચી આઝાદી મળવાની નથી. આજે પણ દલિતો આશા રાખીને બેઠા છે કે આપણા ઉપર આપણાઓનું રાજ આવશે ત્યારે આપણને સાચી આઝાદી મળવાની છે.

ભારતને આઝાદી મળી ત્યારે સામ્યવાદીઓ પણ કહેતા હતા કે આ કોઈ સાચી આઝાદી નથી. જે આઝાદી મળી છે એ સહિતોને આઝાદી મળી છે, રહિતોએ અર્થાત્ ભારતનાં કરોડો શોષિતોએ હજુ આઝાદ થવાનું બાકી છે. તેમને સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે દેશ ઉપર સામ્યવાદીઓ રાજ કરશે. સર્વહારાઓએ સમજવું જોઈએ કે તેમના ઉપર તેમનાઓનું રાજ જરૂરી છે. આ જ વાત હિન્દુત્વવાદીઓ પણ કરતા હતા. તેઓ કહેતા હતા કે દેશને જે આઝાદી મળી છે એ સાચી આઝાદી નથી. હિંદુઓએ તો હજુ આઝાદ થવાનું બાકી છે. હિંદુઓને સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે દેશ પર માત્ર અને માત્ર સાચા હિંદુઓ રાજ કરશે. સાચા હિંદુઓ એટલે હિન્દુત્વવાદીઓ. ટૂંકમાં તેમણે પણ હિંદુઓને કહ્યું હતું કે તમને સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે તમારા ઉપર તમારાઓ રાજ કરશે. આજે કેટલાક હિંદુઓની છાતી ગજગજ ફૂલે છે કે આપણા ઉપર અને દેશ ઉપર આપણાઓનું રાજ છે.

આખી વીસમી સદીમાં લગભગ સર્વત્ર આજ ચાલ્યું છે અને અત્યારે તો સ્થિતિ સુધરવાની જગ્યાએ વકરી છે. અમેરિકામાં અમેરિકન શ્વેત ખ્રિસ્તીઓને પણ તેમના ઉપર શ્વેત ખ્રિસ્તીઓનું રાજ જોઈએ. આવું જ બીજા દેશોમાં બની રહ્યું છે. સ્વતંત્રતાની સમજ વ્યાપક બનવાની જગ્યાએ કુંઠિત બની રહી છે. સ્વ-રાજની ચેતના વધુ સમૃદ્ધ અને સુક્ષ્મ બનવાની જગ્યાએ છીછરી બની રહી છે.

આવું કેમ બન્યું? બીજા દેશોની વાત જવા દઈએ પણ આપણા બંધારણમાં શક્ય એટલી જોગવાઈ કરવામાં આવી છે કે આપણા ઉપર આપણું રાજ હોય. પ્રત્યેક ભારતીયને સ્વતંત્ર નાગરિક તરીકેની ઓળખ આપી છે, તેના અધિકારો સ્પષ્ટ કરવામાં આવ્યા છે, તેને મૂળભૂત(ફન્ડામેન્ટલ)ની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે, તેના રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે, તેને મતનો અધિકાર આપવામાં આવ્યો છે અને તેના દ્વારા તે કોઈને સત્તા ઉપર બેસાડી શકે છે અને ઊતારી શકે છે અને છતાં તે પોતાના ઉપર પોતાનું રાજ વિકસિત કરવાની જગ્યાએ પોતાના ઉપર પોતાનાઓનું રાજ શોધી રહ્યો છે.

આનું કારણ છે, ભય. સ્વતંત્રતા અને ભય સાથે ન રહી શકે. જ્યાં ભય હોય ત્યાં સ્વતંત્રતા ન હોઈ શકે. ભયભીત માણસ સ્વતંત્ર ન હોઈ શકે. ઉપર કહ્યા એ બધા પ્રકારના રાજકારણીઓ નાગરિકને ડરાવીને તેને જે તે ઓળખ આધારિત સમૂહનો હિસ્સો બનાવે છે અને તેમને કહે છે કે જ્યાં સુધી તમારા ઉપર તમારાઓ રાજ નહીં કરે ત્યાં સુધી તમને સાચી આઝાદી મળવાની નથી. પહેલાં ડરાવીને અને એ પછી ડરમુક્ત કરવાનો વાયદો કરીને રાજકારણીઓ જે તે પ્રજાને નાગરિકમાંથી ઘેટાં બનાવીને વાડામાં પૂરી રહ્યા છે અને ઉપરથી કહે છે કે આ બધું તેઓ સાચી આઝાદી અપાવવા માટે કરી રહ્યા છે.

સાચી આઝાદી. વાડામાં પૂરી રાખવા અને ઉપરથી ડરાવવા એ બધું સાચી આઝાદી માટે! આ બધું વિચિત્ર નથી લાગતું? આજના પવિત્ર દિવસે થોડું ચિંતન કરવું જોઈએ. આપણે કઈ દિશમાં જઈ રહ્યા છીએ!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ઑગસ્ટ 2021

Loading

15 August 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—108
મુશ્કેલ સમયમાં (60) →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved