Opinion Magazine
Number of visits: 9485984
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભણવા કરતાં પણ પ્રવેશ મેળવવો અને પરીક્ષા આપવી એટલો જ અર્થ શિક્ષણનો બચ્યો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 August 2021

અપવાદો હશે જ, પણ એક સમયે મોટે ભાગની શાળા-કોલેજોમાં 15 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ જ જતું અને દિવાળીની આસપાસ એ સત્ર પૂરું પણ થતું. એવું જ બીજા સત્રમાં ફેબ્રુઆરી-માર્ચ સુધી શિક્ષણ કાર્ય ચાલતું ને માર્ચ- એપ્રિલ પરીક્ષામાં જતો. લગભગ બધી સ્કૂલો-યુનિવર્સિટીઓ એ પ્રમાણે પરીક્ષાનું શિડ્યુયલ ગોઠવતી ને વિદ્યાર્થીઓ તેને અનુસરતા. આજે એ વ્યવસ્થા લગભગ પડી ભાંગી છે. કોરોનાએ દોઢ વર્ષ શિક્ષણનું બગાડયું છે અને ઓગસ્ટનું સપ્તાહ થવા આવ્યું છે, છતાં પ્રવેશ અને પરીક્ષાઓનું ઠેકાણું પડતું નથી. નવી શિક્ષા નીતિ લાગુ કરી દેવાઈ છે ને એમાં ઘણું બધું સારું હોવા છતાં તે હાલના સંજોગોમાં લાગુ થાય એમ નથી ને ધારો કે લાગુ થાય તો પણ તેની અસરકારકતા ન જણાય તેવી સ્થિતિ છે. ગયે વર્ષે ઓનલાઈન શિક્ષણ લાગુ કરવું જ પડે એમ હતું, પણ તે બધે લાગુ થઈ શક્યું નથી. ભણવા – ભણાવવા કરતાં વિદ્યાર્થીઓ ને સ્કૂલો પરીક્ષામાં વધુ વ્યસ્ત રહ્યાં છે. પરીક્ષાઓ લગભગ ઓપન બુક એક્ઝામ જેવી રહી છે ને બોર્ડ દ્વારા તો પરીક્ષાઓ જ નથી લેવાઈ, છતાં તેના એ1, એ2 ગ્રેડ અપાયાં છે. સી.બી.એસ.ઈ.નાં એક પરિણામમાં તો 500માંથી 498 ગુણ અપાયા છે ને તેમાં ય અંગ્રેજી ને સંસ્કૃત જેવાંમાં 100માંથી 100 અપાયા છે. કોણ જાણે કેમ પણ, ભાષામાં આ પ્રકારનું માર્કિન્ગ સમજાતું નથી. ગણિત, વિજ્ઞાનમાં 100 આવે તે સમજાય, પણ ભાષામાં 100 સમજાતા નથી. એ પછી પણ વિદ્યાર્થીઓની ભાષા કેવી હોય છે તે સૌ જાણે છે.

સ્કૂલો કે કોલેજોમાં ઓનલાઈન શિક્ષણને બાદ કરતાં વર્ગખંડમાં શિક્ષણ ખાસ થયું નથી. ઓનલાઈન શિક્ષણે વર્ગખંડનાં શિક્ષણનું મહત્ત્વ સ્પષ્ટ કરી આપ્યું છે. એ સિવાય વિદ્યાર્થીઓનો ઘણો સમય પરીક્ષાઓ આપવામાં જ ગયો છે. કોલેજોમાં પણ પરીક્ષાઓ થઈ છે, પણ તેમાં ભલીવાર બહુ રહ્યો નથી. કોરોનાએ એટલું તો સાબિત કરી આપ્યું છે કે ભણ્યા વગર કે પરીક્ષા વગર પણ 90-95 ટકા તો આરામથી લાવી શકાય છે. નર્મદ યુનિવર્સિટીમાં પણ પરીક્ષાને મામલે ઘણી અસ્પષ્ટતાઓ છે. સ્નાતક કક્ષાનું પરિણામ આવ્યું નથી અને અનુસ્નાતક કક્ષાના પ્રવેશની વાત શરૂ થઈ ગઈ છે. આવનારા સમયમાં વિદ્યાર્થી 12મું પહેલાં પાસ કરે અને પછી 10માંમાં પ્રવેશ લે કે એમ.એ. પહેલાં થાય ને બી.એ.નું ફોર્મ પછી ભરાય એમ બને. સરકારો ચૂંટણીલક્ષી કામો સિવાય બીજાં કામો ઓછાં જ જુએ છે. કૈં બગાડવાનું હોય તો પહેલાં શિક્ષણ યાદ આવે છે. બને તો, સરકારે કોઈ તટસ્થ એજન્સીઓને સર્વેનું કામ સોંપીને એ જાણવા જેવું છે કે અંદાજે કેટલા દિવસો કે મહિનાઓ ટર્મ શરૂ થયા પછી એડમિશન આપવામાં જાય છે? એવી જ રીતે સ્કૂલોમાં ને કોલેજોમાં જુદી જુદી પરીક્ષાઓમાં કેટલા દિવસ વિદ્યાર્થીઓ ને શિક્ષકો કે અધ્યાપકો વીતાવે છે? એ ખબર પડે તો એની પણ ખબર પડે કે ખરેખરું શિક્ષણ કાર્ય એક ટર્મમાં કેટલા દિવસ થાય છે? કોરોનાનું તો બહાનું છે, પણ સામાન્ય સંજોગોમાં પણ વર્ગખંડમાં અપાતાં શિક્ષણના દિવસો કપાતા જ આવે છે તે કહેવાની જરૂર નથી.

ઓગસ્ટનું સપ્તાહ પૂરું થવામાં છે ત્યારે કેટલીક કોલેજોમાં પ્રથમ વર્ષનું પ્રવેશ કાર્ય ઘોંચમાં પડ્યું છે. આ વખતે પ્રવેશ લંબાવાનું ચોક્કસ કારણ ખાનગી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવી એ છે. વનિતા વિશ્રામ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સહિત ચારેક યુનિવર્સિટીઓ આ વર્ષે જન્મી અને સ્પષ્ટતાઓના અભાવમાં ગ્રાન્ટેડ કોલેજની હાલત ન ઘરના, ન ઘાટનાં જેવી થઈ છે.

સુરતની જ વાત કરીએ તો આ વર્ષે વનિતા વિશ્રામ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો તે સાથે તેમની સાથે જોડાયેલી ગ્રાન્ટ ઇન એડ કોલેજોનાં જોડાણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ, સાર્વજનિક અને વનિતા વિશ્રામ ખાનગી યુનિવર્સિટી થતાં જ પોતાની સાથે જોડાયેલી એ સંસ્થાઓની કોલેજોનું જોડાણ રદ્દ કર્યું, કારણ 22 મે, 2021ને રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલાં ગેઝેટથી – ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટીસ એક્ટ, 2009ની કલમમાં કરાયેલા સુધારા મુજબ, વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોની સંલગ્નતા 22મે, 2021થી પાછી ખેંચવામાં આવી હતી. બીજા શબ્દોમાં નર્મદ યુનિવર્સિટી સાથેનું, ખાનગી યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજોનું જોડાણ રદ્દ થઈ ગયું. એ રીતે સુરત બારડોલીની જે તે યુનિવર્સિટી સાથેની સેલ્ફ ફાયનાન્સ કોલેજો તો એ ખાનગી યુનિવર્સિટી સાથે રહી, પણ જે ગ્રાન્ટેડ કોલેજો હતી એમનાં જોડાણનો પ્રશ્ન ઉપપસ્થિત થયો.

વાત તો એવી પણ છે કે વનિતા વિશ્રામની જે ગ્રાન્ટેડ કોલેજ હતી તેનું જોડાણ નર્મદ યુનિવર્સિટી સાથે ચાલુ રહ્યું ને માત્ર ખાનગી કોલેજ જ વનિતા વિશ્રામ સાથે રહી. એવું સાર્વજનિક યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજ માટે પણ થઈ શક્યું હોત ને તેની કોલેજો પણ નર્મદ યુનિવર્સિટી સાથે જોડાયેલી રહી હોત, પણ એવું બન્યું નહીં ને તેની ગ્રાન્ટેડ કોલેજો પણ સાર્વજનિક યુનિવર્સિટી સાથે જ રહે એમ માનીને નર્મદ યુનિવર્સિટી એ ગ્રાન્ટેડનું જોડાણ ગેઝેટને આધારે રદ્દ કરી દીધું. ગમ્મત એ છે કે સાર્વજનિકે તો માત્ર ખાનગી કોલેજો જ પોતાની સાથે રહે એ શરતે ખાનગી યુનિવર્સિટીની માંગ કરેલી, છતાં, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ખાનગી યુનિવર્સિટીનો પ્રસ્તાવ લઈને સરકાર પાસે ગઈ ત્યારે તેણે વિચારવું જોઈતું હતું કે વર્ષોથી પોતાની સાથે જોડાયેલી એમ.ટી.બી., કે.પી., વી.ટી. ચોક્સી, એસ.પી.બી. જેવી ગ્રાન્ટેડ કોલેજો, પોતે ખાનગી યુનિવર્સટીમાં ફેરવાય તો તેમનું ભાવિ શું હશે? સાર્વજનિક યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ કોલેજો ન જોડવા બાબતે સોસાયટી સ્પષ્ટ હતી, કારણ ગ્રાન્ટેડના અધ્યાપકોના પગાર અને વિદ્યાર્થીઓની ફી સરકાર ચૂકવે છે ને તે જો સાર્વજનિકની જવાબદારી બને તો તે તેને પરવડે એ શકય જ ન હતું. વારુ, સરકારે સાર્વજનિક યુનિવર્સિટીને રોકડું પરખાવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટી તરીકેની માન્યતા પ્રાપ્ત થયા પછી સરકાર ફૂટી કોડીની પણ મદદ નહીં કરે. આવું હોય તો સાર્વજનિક યુનિવર્સિટી ગ્રાન્ટેડ કોલેજોની જવાબદારી કઈ રીતે સ્વીકારે? ખાનગી તરીકે જોડાવા ગ્રાન્ટેડ કોલેજો તૈયાર નહીં થાય કારણ, ખાનગીની વધારે ફી, વિદ્યાર્થીઓને અને ઓછો પગાર, અધ્યાપકોને ન પરવડે. એ જ રીતે ગ્રાન્ટેડ કોલેજને સમાવવા સાર્વજનિક યુનિવર્સિટી તૈયાર ન થાય, કારણ એ વધારે ફી ને વધારે પગાર કાઢી ન શકે.

આ બધાંમાં દક્ષિણ ગુજરાતની નવેક કોલેજો અટવાઈ પડી છે. સાર્વજનિક યુનિવર્સિટી એ ગ્રાન્ટેડ કોલેજોનું પ્રવેશ કાર્ય ચાલુ કરવાનો પત્ર નર્મદ યુનિવર્સિટીને લખ્યો પણ છે, પણ તે નર્મદ યુનિવર્સિટી તરીકે પ્રવેશ આપવા તૈયાર નથી. નર્મદ યુનિવર્સિટી જે તે પ્રવેશ જે તે યુનિવર્સિટી વતી આપવા તૈયાર છે. જેમ કે એમ.ટી.બી.નો વિદ્યાર્થી હોય તો તેને પ્રવેશ નર્મદ યુનિવર્સિટી આપે, પણ રસીદ પર નર્મદ યુનિવર્સિટીને બદલે નામ સાર્વજનિક યુનિવર્સિટીનું આવે. એ કામ તો સાર્વજનિક યુનિવર્સિટી પણ કરવા તૈયાર છે, જો સરકાર લેખિતમાં આપે કે ગ્રાન્ટેડના વિદ્યાર્થીઓની ને અધ્યાપકોની જવાબદારી ઉપાડવા તે તૈયાર છે.

સરકાર પણ રમે છે.

સરકાર કહે તો છે કે ખાનગી સાથે જોડાનાર વિદ્યાર્થીઓએ વધારે ફી નહીં ભરવી પડે ને અધ્યાપકોના પગાર તથા અન્ય લાભોની જવાબદારી સરકાર ઉપાડશે. સરકારે પ્રાઈવેટ યુનિવર્સિટી હેઠળની અનુદાનિત કોલેજોનાં જોડાણ અંગેનો જુદા જુદા 14 મુદ્દાઓની સ્પષ્ટતા કરતો પરિપત્ર યુનિવર્સિટીઓને મોકલ્યો છે, એમાં 11માં મુદ્દામાં આમ કહ્યું છે – રાજ્ય સરકારશ્રી દ્વારા તા. 22-05-2021થી પ્રસિદ્ધ કરવામાં આવેલ (Gujarat Act No. 15 Of 2021) ગેઝેટથી ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટીસ એક્ટ, 2009ની કલમ: 3 (૧) (૫)માં સુધારો કરી કલમ ૩ (૨) (૭) “The Universities shall not receive any grant-in-aid or the Central Government.” શબ્દો દૂર કરવામાં આવેલ હોઈને અનુદાનિત કોલેજોના કર્મચારીઓને પગાર-પેન્શન અગાઉ મુજબ સરકારશ્રી દ્વારા યથાવત રહેતા હોઈ, કોઈ જ પ્રશ્ન ઉદ્દભવી શકે એમ નથી.

ખાનગી યુનિવર્સિટી સાથે જોડાનાર ગ્રાન્ટેડ કોલેજની ગ્રાન્ટ સરકાર ચૂકવે છે અને સ્ટાફને પગાર એ ગ્રાન્ટમાંથી જ ચૂકવાય છે તથા વિદ્યાર્થીઓ પણ સરકારી ધોરણે જ ફી ભરે છે એ બતાવવા ધરમશી દેસાઈ યુનિવર્સિટીનો દાખલો પણ એ પરિપત્રમાં અપાયો છે ને ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ, 2009માં કરવામાં આવેલ સુધારા અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન 6 અનુદાનિત કોલેજો પ્રાઈવેટ યુનિવર્સિટી હેઠળ કાર્યરત થઈ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ખાનગી યુનિવર્સિટી સાથે જોડાયેલી ગ્રાન્ટેડ કોલેજોની જવાબદારીઓ સરકાર ઉપાડે છે એટલે સરકારમાં અવિશ્વાસ રાખવાનું કોઈ કારણ નથી.

જો કે સરકારે વહેલી તકે તમામ ખાનગી યુનિવર્સિટીઓને ગ્રાન્ટેડ કોલેજનાં જોડાણને મામલે લેખિત ખાતરી આપવી જોઈએ કે વિદ્યાર્થીઓની ફી અને અધ્યાપકોના પગાર તથા અન્ય લાભોની જવાબદારી સરકાર ઉપાડશે અથવા તો સરકારી યુનિવર્સિટીઓને બધી જ ગ્રાન્ટેડ કોલેજોને, પોતાની સાથે જોડાવાની ફરજ પાડીને વાતાવરણ પૂર્વવત્‌ કરવું જોઈએ. જે રીતે વિદ્યાર્થીઓનો કોલેજ પ્રવેશ અટવાઈ રહ્યો છે એ કોઈ રીતે શિક્ષણનાં હિતમાં નથી. સરકાર માટે આ ડાબા હાથનો ખેલ છે, પણ સરકાર અત્યારે હાથ ઊંચા કરીને બેઠી હોય એવું લાગે છે, પણ તેણે હાથ હેઠા પડે એ પહેલાં હાથ હલાવવા પડશે તે સમજી લેવાનું રહે. અસ્તુ!

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ઑગસ્ટ 2021

Loading

6 August 2021 admin
← જેઓ ડરતા નથી તેને ડરાવી શકાતાં નથી
શું કામ આટલા બધાં લોકો કોવિડના નિયમો નથી પાળતા? કારણ કે એ બધાં સંસ્થાગત વર્તનના જીવ છે. →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved