Opinion Magazine
Number of visits: 9448911
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છતે સંતાને માબાપો સંતાન વગર જીવે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 July 2021

ઉત્તરપ્રદેશની સરકારે બેથી વધુ સંતાનોનાં માબાપોને નોકરીના ને રાજકારણના લાભો નહીં મળે એ મતલબનો મુસદ્દો કર્યો છે અને તેનો વિરોધ પણ થયો છે, તો ક્યાંક તેને સમર્થન પણ મળ્યું છે. સંતાનો વધુ જન્મે એ હવે આ દેશને પરવડે એમ નથી. વસતિનિયંત્રણ દરેક દેશવાસીએ કરવું જ પડે એ સમયની માંગ છે ને એ રાજકારણ, જ્ઞાતિ, જાતિ, ધર્મને વચ્ચે લાવ્યા વગર વિચારવાની જરૂર છે. એ સાથે જ કોઈક કારણસર જે દંપતી સંતાન મેળવી નથી શકતાં એમની પણ ચિંતા કરવાની રહે. વધુ સંતાનોને કારણે લાભ ન મળે એમ મનાતું હોય તો જેમને ઇચ્છવા છતાં પારણું નથી બંધાતું એમને વિષે પણ વિચારાવું જોઈએ. કેટલાંક માબાપ એકથી વધુ સંતાનની ઇચ્છા નથી કરતાં ને એ એટલાથી જ રાજી છે, એ માબાપે પોતાનાં એક માત્ર સંતાન વિષે પણ વિચારવાનું રહે, કારણ આગળ જતાં એ ઘણી સમસ્યાઓનો ભોગ બને છે.

જે કુટુંબમાં એક જ સંતાન છે, દીકરી કે દીકરો, એનાં માબાપ તો કદાચને રાજી હશે, પણ જે સંતાન છે તે નાનપણથી જ અનેક મૂંઝવણોનો સામનો કરે છે ને એનો ખ્યાલ માબાપને પણ બહુ આવતો નથી. પોતે છોકરો છે તો છોકરી કેવી હોય એની ખબર દીકરાને બહુ મોડી પડતી હોય છે, એવું જ દીકરી પણ છોકરો એટલે શું એ મુદ્દે મૂંઝાતી હોય એમ બને. ઘરમાં મા ને બાપ છે, તે છોકરી કે છોકરો નથી. એટલે બહાર પડ્યા પછી જ સંતાનને દેખાવ પરથી ખ્યાલ આવે છે કે છોકરો શું છે કે છોકરી શું છે ! પોતે છોકરો છે તો છોકરી કેમ નથી કે છોકરી છે તો છોકરો કેમ નથી, અથવા શું હોય તેને છોકરી કહેવાય ને શું હોય તેને છોકરો કહેવાય એ જાણકારી સંતાનને બહુ મોડી મળે છે, મળે છે તે પણ અધકચરી ને એ છેવટે તો ગૂંચ જ વધારે છે. વધારે સારું તો એ છે કે માબાપ જ યોગ્ય સમયે એકના એક સંતાનને છોકરો કે છોકરીની સાચી માહિતી આપે. જે ઘરમાં છોકરી અને છોકરો બંને સાથે જ ઉછરે છે, એ ઘરમાં કેટલીક માહિતી આપોઆપ, રોજિંદા પરિચય અને વ્યવહારમાંથી મળી રહે છે. એનો એક ઉપાય એ પણ છે કે સંતાનને એવી શાળામાં દાખલ કરાય જ્યાં છોકરો ને છોકરી સાથે ભણતાં હોય. આમ થાય તો જે ભેદ છોકરી કે છોકરામાં છે તેનાથી બાળક સારી પેઠે પરિચિત થાય. જે ઘરમાં એક જ સંતાન છે તે કુતૂહલ અને અજ્ઞાનવશ ઘણી સમસ્યાનો ભોગ બને છે. બળાત્કારનું પ્રમાણ વધવામાં કુટુંબનું એક માત્ર સંતાન પણ અન્ય કારણોમાંનું એક હોઈ શકે છે.

એક કે બે સંતાનોને માબાપ જીવ રેડીને ઉછેરે છે ને ભણાવે છે. એમને ભણાવવાનું મોંઘું જ પડે છે, પણ જરૂરી ઉચ્ચ શિક્ષણ મળી રહે એ માટે માબાપો મરી પડે છે. એમને ભણાવવાની લોન પૂરી કરવામાં એ બેવડ વળી જાય છે. પતિ-પત્ની બંને કમાય નહીં તો બે શું એક સંતાન જોગવવાનું પણ અઘરું છે. સરકાર કાયદો કરે કે ન કરે, માબાપને જ વધુ સંતાન પરવડે એમ નથી. સ્ટેટસ પ્રમાણે અમુક રીતે રહેવું જ પડે, સંતાનોને પણ અમુક પ્રકારનું વાતાવરણ આપવું જ પડે ને એ બધું કરવા જતાં માબાપ બધી રીતે વહેલાં ખર્ચાઈ જાય છે ને એમ લાગે કે દીકરા-દીકરી ભણીગણીને, નોકરી-ધંધે લાગીને પોતાને ટેકો કરશે, એ વાત મનની મનમાં જ રહી જાય છે. એવી સ્થિતિ આવે છે કે ટેકો કરવાને વખતે ખભો મળવાનું પણ મુશ્કેલ થઈ પડે છે.

બને છે એવું કે ભણીગણીને દીકરો કે દીકરી નોકરીએ લાગે છે તો તેનું પોસ્ટિંગ જે તે શહેરમાં કે ગામમાં જ મળે એવું ઓછું બને છે. મોટે ભાગે તો દીકરીએ કે દીકરાએ જુદા શહેરમાં જવાનું થાય છે. બાકી હોય તો દીકરીનું લગ્ન દૂર થાય ને તે માબાપથી દૂર રહેવા લાગે છે. સંપર્ક ધીમે ધીમે ઓછો થતો જાય છે ને માબાપને ભાગે એકલતા જ આવે છે. દીકરો ભણીગણીને સારી નોકરીએ લાગે ને માબાપની નોકરી પણ ચાલુ હોય તો તે સ્થિતિ પણ માબાપથી, સંતાનને દૂર કરનારી નીવડે છે. દીકરો ઘરમાં જ હોય ને પરણે પછી વહુને માબાપ જોડે ફાવે તો સોનામાં સુગંધ ભળે, પણ એવું ન થાય તો દીકરાએ મોડાવહેલાં અલગ થવાનું આવે છે. ઘણીવાર તો એક જ શહેરમાં સંતાનો લગ્ન પછી માબાપથી અલગ થઈને દૂર રહેતાં થઈ જાય છે ને ઘરમાં માબાપ એકલાં જ રહી જાય છે. એવું પણ બને છે કે સંતાનો માબાપને કે બેમાંથી જે રહી ગયું હોય તેને ઘરડાંઘરનો રસ્તો બતાવી દે ને એણે બાકીની જિંદગી ત્યાં વિતાવવાની આવે છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે કારણ ગમે તે હોય, પાછલી ઉંમરે માબાપ એકલવાયી જિંદગી જીવવા મજબૂર બને છે. બને કે એમનો ય વાંક હશે, પણ એ એટલો મોટો હોતો નથી કે છતે સંતાને પોતે સંતાન વિહોણાં હોય એમ જીવવાની ફરજ પડે. સૌથી વધુ મદદની જરૂર હોય ત્યારે જ માબાપ એકલાં પડી જાય એ કરુણતા છે. એમને દવાની, સારવારની જરૂર હોય ને એકલાં જવું આવવું પડે કે પોતાનાંની આશ છોડીને બીજાને ભરોસે રહેવું પડે એ સ્થિતિની કલ્પના ને ચિંતા, માબાપ ગમે એટલાં તિરસ્કારને પાત્ર હોય તો પણ, સંતાનોએ તટસ્થતાથી કરવાની રહે જ છે. ઘણીવાર એવું બને છે જે દીકરીની માબાપે ઉપેક્ષા કરી હોય કે તેનાં શિક્ષણ-ઉછેરની જવાબદારી માબાપે પૂરી ઉપાડી ન હોય ને એ જ દીકરી પરણેલી હોય કે કુંવારી, માબાપની પૂરી કાળજી લેતી હોય ને દીકરો માબાપને ભૂલીને બીજી જ જવાબદારીઓમાં વ્યસ્ત થઈ ગયો હોય. માબાપ ત્યારે પસ્તાતાં પણ હોય છે કે દીકરીને અવગણી તે ઠીક ન થયું. પણ, એમ પસ્તાવા કરતાં દરેક માબાપે એક વાતની ગાંઠ વાળી જ લેવાની રહે કે તેઓ દીકરા કે દીકરી વચ્ચે કદી કોઈ ભેદ નહીં જ કરે ને બંનેને સરખું ને પૂરતું મહત્ત્વ આપશે.

માબાપ બીજી પણ કેટલીક ભૂલો કરે છે, તેમાંની એક તે સંતાનોને પરાણે વિદેશ મોકલવાની. વિદેશ ભણવા કે નોકરી કરવામાં વધારે તકો હોય છે. ત્યાં કમાણી વધુ છે, સગવડો વધુ છે, એ સાચું હોય તો પણ પોતાનાં સંજોગો જોઈને માબાપે કે સંતાને યોગ્ય તે નિર્ણયો લેવા જોઈએ. માબાપને એવું લાગે છે કે દીકરો વિદેશ જઈને કમાઈ લાવે તો અહીં તેમનું દળદર ફીટે. એટલે દેવું કરીને માબાપ દીકરાને વિદેશ મોકલે છે. ઘણીવાર સંતાનો વિદેશ જવા રાજી પણ નથી હોતાં, પણ સંતાનોની વધુ કમાણીની આશાએ માબાપ પરાણે વિદેશ ધકેલતાં હોય છે. મોટે ભાગે સંતાનો વિદેશથી પરત આવતાં નથી. ત્યાં જ પરણે છે કે નોકરી-ધંધો કરી લે છે. શરૂઆતમાં દીકરો ઇન્ડિયા આવે પણ છે, પૈસા પણ મોકલે છે, પણ પછી એ બધું ઘટતું જાય છે ને એ પોતે બાપ બને છે તો માબાપને વિદેશ બોલાવી લે છે, તે એટલે કે એમને હાથે બાળકો મોટાં થઈ જાય ને કહેવાતી ભારતીય સંસ્કૃતિ કે રીતભાત વિષે જાણે. એ નથી સમજાતું કે અહીં વિદેશી સંસ્કૃતિની નકલ કરતાં સંતાનો વિદેશમાં પોતાનાં સંતાનોને ભારતીય સંસ્કૃતિ શીખવવાનો આગ્રહ કેમ રાખે છે? માબાપને એટલા માટે વિદેશ પણ તેડાવે છે. એ સાચું પણ હશે, પણ વધારે સાચું તો એ છે કે ત્યાં ઉછેર માટે માબાપ સસ્તાં પડે છે. માબાપને ત્યાં બહુ ફાવતું નથી ને એક વાર સંતાનો મોટાં થઈ જાય એટલે કોઈને જ પછી બહુ ફાવતું નથી ને માબાપ મોડાવહેલાં અહીં જ પરત થાય છે.

જે માબાપને એટલું પણ વિદેશ જવાનું નસીબમાં નથી, એ અહીં જ વિદેશી થઈ ગયેલાં દીકરા-વહુની કે ગ્રાન્ડ ચિલ્ડ્રનની રાહ જુએ છે ને એમાં જ આયખું ખુટાડે છે. હાલત એટલી ખરાબ થઈ જાય છે કે કથળતી જતી તબિયતને જોવાવાળું કોઈ હોતું નથી ને સંતાનોની રાહ જોવામાં જ આંખો મીંચાઈ જાય છે. સંતાનો એટલાં દૂર વસી ગયાં હોય છે કે ઇચ્છા હોય તો પણ અનેક પ્રકારની જવાબદારીઓને લીધે અહીં આવી શકતાં નથી ને ઘણીવાર એવું બને છે કે મા કે બાપ દીકરાનો ખભો પામતાં નથી ને એ ફરજ નજીકના કે દૂરના સંબંધી કે પરિચિતોએ જ બજાવવાની આવે છે. આવું ન બનવું જોઈએ, પણ બને છે ને છેવટે જે રહી જાય છે એને ફાળે પસ્તાવો જ સિલકમાં રહે છે.

બધે જ આવું થાય છે એવું કહેવાનું નથી, પણ ઘણીવાર આવું બને છે. એમાં સંજોગો ને સ્વભાવ કામ કરે છે, પણ શક્ય ત્યાં સુધી સંવેદનાઓ ન સુકાય ને માણસાઈ ન ચુકાય તેટલું થાય તો પણ એ વાતે આનંદ અને સંતોષ રહે કે આખું કોળું દાળમાં ગયું નથી. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

27 July 2021 admin
← જોગમાયા અગાસી
હળહળતાં જૂઠાણાં બોલતા વડા પ્રધાનને નૈતિકતા જેવું છે કે નહીં ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved