Opinion Magazine
Number of visits: 9448971
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુદરત નથી ઇચ્છતી કે નર કે નારી એકબીજાથી મુક્ત રહે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 July 2021

પશુ, પંખી, નર, માદાને સૃષ્ટિ પર વિચરતાં જોઈએ છીએ ત્યારે કોઈને એકબીજાથી તકલીફ હોય એવું જાણવા નથી મળતું. સિંહ કે સિંહણ લડતાં હશે કે ચકલો કે ચકલી એકબીજા પર તૂટી પડતાં હશે, પણ એકબીજાનો બહિષ્કાર કરીને બધા સિંહો કે બધા ચકલાઓ અલગ રહેવા ચાલી જતા નથી. એવું જ બધી સિંહણો કે ચકલીઓ અલગ રહેવા ચાલી ગઈ હોય એવું સંભળાયું નથી. એવું બન્યું હોય કે એક સિંહે, બીજા સિંહને હરાવીને સિંહણનો કબજો લીધો હોય કે એવું જ એક ચકલાએ કર્યું હોય એમ બને, પણ એ પછી પણ નરમાદા સાથે રહ્યાં છે. એમાં સિંહણે કે ચકલીએ કે કોઈ પણ પશુપંખીએ સ્વતંત્ર થવાની ચળવળ ઉપાડવી પડી નથી.

પણ, નારીની મુક્તિની વાતો વારંવાર ચર્ચાતી રહે છે. નારીમુક્તિ દિવસ પણ ઉજવાય છે. કમ સે કમ એ એક દિવસ પૂરતી તો નારી, મુક્તિ અનુભવતી હશે. આદમની પાંસળીમાંથી ઈવ જન્મી એવું કહેવાય છે, પણ આમ પણ સ્ત્રી કે પુરુષ જ્યારથી આ પૃથ્વી પર અવતર્યાં, એકબીજાને, એકબીજા વગર કલ્પી શક્યાં નથી. એ ખરું કે નારી અબળા ગણાઈ છે ને તેના પર પુરુષનું આધિપત્ય આજ પર્યંત કોઈને કોઈ રૂપે છવાયેલું રહ્યું છે. પુરુષનું સામર્થ્ય અને સ્ત્રીનું સૌંદર્ય એકબીજાની ઓળખ છે. એમાં સામર્થ્યવાન પુરુષ બીજા પુરુષને હરાવીને તેનો કબજો લે તે સાથે તેની સાથેની સ્ત્રી કે સ્ત્રીઓ પર તેનો હક થઈ ગયો હોય એવું બન્યું છે. આવું યુદ્ધમાં પણ થયું છે. એક રાજા, બીજા રાજાને હરાવતો તો તેનું રાજ્ય કે તેની સંપત્તિ વિજેતા રાજાની થઈ જતી. એ સંપત્તિમાં સ્ત્રીઓ પણ આવી જતી. એવી સ્થિતિ હતી કે મહારાણી હોય તો પણ, તેના પર વર્ચસ્વ તો મહારાજાનું જ રહેતું. રાજા, રાણી સાથે વચને બંધાતો ત્યારે વાત જુદી બનતી. દશરથ પાસેથી બે વચન માંગીને કૈકેયીએ પોતાનો કક્કો ખરો તો કર્યો, પણ તેની ગણના પછી સારી સ્ત્રીમાં થતી બંધ થઈ ને એવું તારવવામાં આવ્યું કે પોતાનો કક્કો ખરો કરવા જતાં સ્ત્રી સંતાન અને પતિ ગુમાવી દેતી હોય છે ને તે કદી કોઇની માનીતી રહેતી નથી. વાત તો છેવટે પુરુષના આધિપત્યના સ્વીકારની જ આવે છે. જે પતિને પરમેશ્વર માને છે તે જ સ્વર્ગની અધિકારિણી બને છે. એવું પત્ની માટે નથી કે જે પત્નીને સ્વીકારે છે તે સ્વર્ગનો અધિકારી બને છે. આમ પણ નારીને નરકની ખાણ કહી હોય ત્યાં નર, સ્વર્ગ પામે એવી શક્યતા કેટલી? ટૂંકમાં, સ્ત્રી-પુરુષ વિષેની માન્યતાઓ પહેલેથી જ બહુ સંતુલિત રહી નથી.

આજે પણ સ્વર્ગ-નરકના ખ્યાલો ભૂંસાયા નથી. એ જ કારણ છે કે સ્ત્રી જ બધાં વ્રત-જપ-તપ કરે છે અને પતિનાં સ્વાસ્થ્યની કામના કરે છે. એવું પુરુષ માટે ખાસ નથી. વ્રત સ્ત્રીઓ માટે જ છે. પુરુષે તો તેની પ્રાર્થનાઓ ને ભક્તિ પર જ દીર્ઘાયુષ્ય ભોગવવાનું છે. આમ છતાં આજે પણ મોટાભાગનાં સ્ત્રી-પુરુષો સાથે રહેવાનું વલણ ધરાવે છે. લગ્ન એ આજે પણ ઘણાંને સબળ વિકલ્પ લાગે છે. લગ્ન સિવાયના સાથે રહેવાનાં સ્ત્રી-પુરુષના પ્રયત્નો પ્રયોગ લેખે સ્વીકારાય છે, પણ તેનું અંતિમ લક્ષ્ય તો લગ્ન જ હોય છે.

એ ખરું કે લગ્ન અનેક પ્રકારનાં શોષણનું નિમિત્ત પૂરું પાડે છે, પણ અન્ય વિકલ્પોમાં પણ શોષણ નથી, એવું નથી. શોષણની આ સભાનતા વધતાં આવતાં શિક્ષણને આભારી છે. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું ને એણે સ્ત્રીને આર્થિક રીતે પગભર પણ કરી. એવું ન હતું ત્યાં સુધી તે પુરુષ પર જ નિર્ભર હતી. આર્થિક ક્ષમતા વધતાં સ્ત્રી શોષણ બાબતે વધુ સભાન થઈ ને સ્વાભાવિક રીતે જ તેમાંથી મુક્ત થવાની દિશામાં તે પ્રવૃત્ત થઈ. આ ન થવું જોઈતું હતું, એમ તો કોઈ નહીં કહે, પણ એમાં આત્યંતિક વલણો ઉમેરાતાં આવ્યાં છે તે પુનર્વિચારણા માંગે છે.

જ્યાં સુધી કુદરતનો સવાલ છે, તે નથી ઇચ્છતી કે સ્ત્રી કે પુરુષ અલગ અલગ ચોકા કરીને રહે. પશુ કે પંખીમાં નર-માદા અલગ રહે એવી કોઈ વાત જ નથી. એ લડી ઝઘડીને પણ રહે છે તો સાથે જ ! મનુષ્યમાં બુદ્ધિ વધારે છે ને તેને વાણી અને વિચારની વિશિષ્ટ શક્તિ મળી છે એટલે તે પશુપંખી જેવું રહે તો કદાચ નીચો ગણાઈ જાય. એવું ન બને એટલે તે જુદી રીતે વર્તે એ શક્ય છે. મનુષ્યને સમાજ છે. સગાંસંબંધી છે. શિક્ષણ છે. આર્થિક, નૈતિક વ્યવસ્થાઓ છે, વ્યવહારો છે. હાસ્ય, કરુણા છે. સાસરું છે, પિયર છે ને એમ મોટો વિસ્તાર છે. શિક્ષણે મનુષ્યમાં સમજ ઊભી કરી છે તેને લીધે પોતાનું સારું ખરાબ વિચારવા જેટલી તેની ક્ષમતા છે એવું મનાય છે. આ વિશિષ્ટ પરિસ્થિતિએ સ્ત્રી-પુરુષમાં મતમતાંતરો પણ જન્માવ્યા છે. એક સમય હતો જ્યારે સ્ત્રી ઘરમાં જ પોતાની જિંદગી પૂરી કરતી. કુંવારી હતી ત્યાં સુધી પિતાને ઘરે રહી, પરણ્યા પછી પતિને ઘરે રહી. ગમ્યું કે ના ગમ્યું, તેણે આ બે ઘરોમાં જ જિંદગી પૂરી કરી. આમ થવાનું મુખ્ય કારણ હતું, સ્ત્રીનું પરાવલંબીપણું. એ પછી શિક્ષણ અને સમજ વિકસ્યાં, આર્થિક ક્ષમતા વધી, એટલે તેનામાં નિર્ણયો લેવાની મોકળાશ વધી. તે પતિને પસંદ કરતી થઈ. આ સ્વતંત્રતા તેને સ્વયંવરોમાં મળી હતી, પછી એ ઘટી ને હવે ફરી તેની મોકળાશ વધી છે. પતિ સાથે કે પિતા સાથે નથી ફાવતું તો તે સ્વતંત્ર રીતે રહેતી થઈ છે. પતિને કે પત્નીને એકથી વધુ સંબંધોમાં પણ રસ પડ્યો છે. નોકરી-ધંધા નિમિત્તે વધુ સમય ઘરની બહાર રહેવાનું બન્યું, તેમાંથી લગ્નેતર સંબંધો વિકસ્યા ને તેને લીધે અલગ થવાનું, ઝઘડાનું પ્રમાણ પણ વધ્યું. એને લીધે સંતાનોનાં ઉછેરના પ્રશ્નો વધ્યા. સંતાનો માનસિક સમસ્યાઓનો ભોગ થઈ પડ્યાં. આ સારું કે ખરાબ, ગમે તે હોય પણ બન્યું.

પરિણામ એ આવ્યું કે લગ્નો ભાંગ્યાં. સંતાનો પર એની માઠી અસર પડી. માતા-પિતા વચ્ચેના અણબનાવોનું પરિણામ એ આવ્યું કે પુત્રી, પિતાના અન્ય સ્ત્રી સાથેના સંબંધોમાં માતાને થતો અન્યાય જોઈ શકી, એવું જ પુત્ર, માતાના અન્ય પુરુષ સાથેના સંબંધને કારણે પિતાને થતો અન્યાય પ્રમાણી શકયો. આ ઉપરાંત પણ અન્ય કારણોએ છૂટાછેડાને જન્મ આપ્યો. એમાં જ્યાં માતાપિતાને અલગ થવાનું  આવ્યું ત્યાં સંતાનોનો લગ્ન પરનો વિશ્વાસ ઘટ્યો. આવું ઘણા કિસ્સાઓમાં સંતાનોએ જોવા-વેઠવાનું થયું. એનું પરિણામ એ આવ્યું કે સંતાનો પોતે લગ્ન કરવાથી દૂર રહેવાં લાગ્યાં. પુત્રીને લાગ્યું કે પોતે કોઈની આશ્રિત નથી, પોતે કમાઈને એકલી રહી શકે છે તો લગ્નની ઝંઝટમાં પડીને પતિનું આધિપત્ય શું કામ સ્વીકારવું? એવું જ પુત્રને પણ લાગ્યું કે પૈસા ખરચતા બધું મળી રહે એમ છે તો લગ્નમાં શું કામ પડવું? એટલે સ્ત્રી-પુરુષ લગ્નમાં પડવાને બદલે બીજા વિકલ્પોમાં પડ્યાં. સ્ત્રી-સ્ત્રીના ને પુરુષ-પુરુષના સંબંધો વિકસ્યા. જરૂર પૂરતાં સાથે રહેવું અને કોઈ, કોઇની જવાબદારી ન બને એની કાળજી રખાઈ. જે સ્ત્રી-પુરુષને એકબીજામાં રસ પડ્યો તેમણે લગ્નને બદલે લીવ ઇન રિલેશનથી કામ કાઢ્યું. એમાં બાળકની જવાબદારી અનિવાર્ય ન રહે એવા રસ્તા પણ અપનાવાયા અને સ્ત્રી-સ્ત્રી કે પુરુષ-પુરુષ સંબંધોમાં તો સંતાનનો જ છેદ ઊડી જતો હતો એટલે એ ચિંતા ન હતી.

આ આખો પ્રકાર લગ્નમાં પ્રવેશેલી કડવાશનું પરિણામ હતો.

આજે મોટા ભાગની સ્ત્રીઓ ઉચ્ચ હોદ્દા ભોગવે છે અને લગ્નથી દૂર રહે છે એટલું જ નહીં, પુરુષ સાથે સંબંધમાં જ ન અવાય એની પેરવીમાં રહે છે. એવું જ પુરુષોની બાબતે પણ હશે. પણ, આ કેટલું યોગ્ય છે એ વિચારવાનું રહે. હવે સંતાનો જ ન જન્મે તો વાત જુદી છે, પણ આજે પણ જો દીકરી કે દીકરો અવતરતાં હોય તો એટલું તો છે કે કુદરતે તો તેનો ક્રમ જાળવી રાખ્યો છે. જો દીકરો જ જરૂરી હોત, તો એકલા દીકરા જન્મ્યા હોત કે દીકરી જરૂરી હોત તો એકલી દીકરી જન્મી હોત, પણ એવું થયું નથી. તે તો ઠીક, પણ દીકરાના જન્મ માટે પણ જોઈએ તો મા જ ! બાપ દીકરાના જન્મ માટે જવાબદાર હોય તો પણ, તે દીકરાને જન્મ આપી શકતો નથી. એને માટે સ્ત્રી જ જોઈએ.

એનો સાદો અર્થ એ થયો કે આજે પણ સંસારમાં સ્ત્રી અને પુરુષ જરૂરી છે. એ બંને એકબીજાના વિરોધી હોય તો પણ, તે એકબીજાના પૂરક છે એ ભૂલવા જેવું નથી. એને બદલે એકબીજા માટે શત્રુભાવ કે સ્પર્ધાભાવ કેળવવાનો અર્થ નથી. વિજ્ઞાન આગળ વધ્યું હોય તો પણ તેણે એકલી સ્ત્રી કે એકલા પુરુષનું જગત કલ્પ્યું નથી. આ સ્થિતિ હોય તો સ્ત્રી, પુરુષથી કે પુરુષ, સ્ત્રીથી મુક્ત થાય તે ઇચ્છવા જેવુ ખરું? સ્ત્રી એકલી રહીને કે પુરુષ એકલો રહીને એ નહીં પામી શકે જે એકબીજાની સાથે રહેવાથી પામી શકે એમ છે. કુદરત પોતે નથી ઇચ્છતી કે નર કે નારી એકબીજા વગર રહે. એ જ જરૂરી હોત તો આ દુનિયામાં એકલી સ્ત્રીઓ હોત કે પછી એકલા પુરુષો હોત, પણ એવું નથી, એનો અર્થ જ એ કે સ્ત્રી અને પુરુષ બંને અનિવાર્ય છે ને એ અનિવાર્યતા એકબીજાથી અલગ રહેવાં માટે નહીં, પણ એકબીજાના પૂરક રહેવામાં છે. આટલું સમજાશે તો બંનેને એકબીજાની અનિવાર્યતા પણ સમજાશે, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

22 July 2021 admin
← મજબૂતીનું નામ મહાત્મા ગાંધી
સરકારને સત્ય સાથે ભાગ્યે જ બને છે … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved