Opinion Magazine
Number of visits: 9447564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગની ભલાઈ પર અને શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓની મલાઈ પર નભે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 July 2021

એક વિદ્યાર્થીએ શિક્ષકને ફોન કર્યો : સાહેબ, મારે પરીક્ષા આપવી છે.

શિક્ષકે કહ્યું : શેની પરીક્ષા આપવી છે?

વિદ્યાર્થી : ગણિતની.

શિક્ષક : ક્યારે આવું?

વિદ્યાર્થી : તમે આવશો?

શિક્ષક : જી. પરીક્ષા લેવા તો મારે જ આવવાનું હોયને !

વિદ્યાર્થી : ક્યારે આવશો?

શિક્ષક : તમને ક્યારે સમય છે?

વિદ્યાર્થી : અત્યારે તો સમય નથી.

શિક્ષક : એક કામ કરો. હું આવી જ જાઉં છું. તમને મૂડ હોય ત્યારે કહેજો.

વિદ્યાર્થી : પેપર અઘરું ના કાઢતા, સાહેબ !

શિક્ષક : એ શું બોલ્યા, સાહેબ ! પેપર તમે જ કાઢજો ને જવાબ પણ તમે જ લખજો.

વિદ્યાર્થી : પણ મેં કૈં વાંચ્યું નથી.

શિક્ષક : વાંચ્યું હોત તો, તો પરીક્ષાની જરૂર જ શી હતી? તમારે તો ન વાંચ્યું હોય તેની પરીક્ષા આપવાની છે.

વિદ્યાર્થી : ન આવડ્યું તો?

શિક્ષક : ચોપડીમાં જોઈને જ લખવાનું છે.

વિદ્યાર્થી : ચોપડીમાં ક્યાં શું છે એની ખબર પણ હોવી જોઈએને !

શિક્ષક : તમારા મમ્મી – પપ્પાને તો હશેને?

વિદ્યાર્થી : એમને તો છે, પણ એ તો નોકરીએ હોય ! તમે ચોપડીમાંથી જોઈને ના લખાવી શકો?

શિક્ષક : જવાબો તો લખી આપું, પણ મેં પણ ચોપડી જોઈ નથી. આખું વર્ષ ભણાવવાનું જ ન થયું, તો ચોપડી જોઈને પણ શું કરું? સોરી.

વિદ્યાર્થી : સારું, મેં થોડું જોયું છે. હું લખાવીશ એમ તો લખાશેને?

શિક્ષક : જરૂર.

વિદ્યાર્થી : પછી તમે માર્કસ ક્યારે આપશો?

શિક્ષક : માર્ક્સ પણ તમારે જ આપવાના છે, હું તો ખાલી સુપરવિઝન કરીશ.

આ કાલ્પનિક સંવાદ છે, પણ આવનારા દિવસોમાં આવું ન જ થાય એવું નથી. ગુજરાતનો શિક્ષણ વિભાગ જે રીતે અત્યારે વિદ્યાર્થીઓ સાથે રમી રહ્યો છે એમાં વિદ્યાર્થી, શિક્ષણ વિભાગની ભલમનસાઈ પર ને શિક્ષણ વિભાગ વિદ્યાર્થિની (ફી) મલાઈ પર નભી રહ્યો છે. ગુજરાતનાં શિક્ષણ વિભાગને પોતીકું અસ્તિત્વ છે કે કેમ તે નથી ખબર, પણ એ સી.બી.એસ.ઈ. પર નભે છે એ ખરું. સી.બી.એસ.ઈ. પરીક્ષા રદ્દ કરે તો ગુજરાતમાં પણ પરીક્ષા રદ્દ થઈ જાય. સી.બી.એસ.ઈ. 10માં ધોરણમાં ગણિતના વિષયના બે પેપર વિકલ્પ તરીકે આપે તો ગુજરાતનો શિક્ષણ વિભાગ પણ બે વિકલ્પ આપે. એ જેટલું પાણી પાય એટલું ગુજરાત વિભાગ પીએ છે. વિદ્યાર્થી નકલ કરે તો તેને પકડાય, પણ અહીં તો બોર્ડ જ નકલ કરે છે તો ફરિયાદ પણ શું કરવાની?

વાલીઓને ફીમાં રાહત મળે એ સિવાય બીજો રસ નથી. સંચાલકો ફી કેવી રીતે વસૂલવી એની ચિંતામાં સુકાઈ રહ્યા છે. શિક્ષકો પગાર કતરાય તો નહીંને એના દાખલા ગણે છે ને વિદ્યાર્થીઓ તો દીકરી ને ગાય દોરે ત્યાં જાય-ની જેમ ઓનલાઈન ભણવાની ટેવ ફરી પડશે કે કેમ એના મેસેજ ફેરવી રહ્યા છે. બધાં જ આવાં છે એવું નથી. શિક્ષણ મંત્રીશ્રી, બીજા અધિકારીઓ, સંચાલકો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ શિક્ષણને લઈને ગંભીર પણ છે જ, પણ ખૂટે છે તે ચિંતન. સરકાર લાગુ કરી દેવાની અને સ્કૂલો લાગુ કરી લેવાની ઉતાવળમાં છબરડા કરે છે ને એને લીધે બધું સરળ થવાને બદલે અઘરું થાય છે. નવી શિક્ષાનીતિમાં કેટલીક વાતો ખરેખર મહત્ત્વની છે, પણ એને આડેધડ લાગુ કરવાની ઉતાવળ શિક્ષાનો બીજો અર્થ ફેલાવે એમ બને.

2021-2022માં ધોરણ 10માં એક પ્રયોગ આવી રહ્યો છે. એવું જોવા મળ્યું છે કે 10માંની ગણિતની પરીક્ષામાં 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આમ નાપાસ થવાને કારણે એ એક વિષયની પરીક્ષા આપ્યા કરવી પડે છે અથવા તો અભ્યાસ છોડવો પડે છે. વારુ, સાયન્સમાં ન જવું હોય તો પણ ગણિતમાં પાસ ન થવાને કારણે બીજી વિદ્યાશાખામાં વિદ્યાર્થી જઈ શકતો નથી. એના ઉપાય તરીકે શિક્ષણ વિભાગે 14 જુલાઈએ એવું ઠરાવ્યું કે માત્ર 10માંના વિદ્યાર્થીને, ગણિતમાં જ સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બે પેપર વિકલ્પ તરીકે આપવાં. જે વિદ્યાર્થી સાયન્સમાં ન જવા માંગતો હોય તે બેઝિક ગણિતનુ પેપર આપે ને પાસ થઈ જાય તો સામાન્ય પ્રવાહમાં આગળ જઈ શકે. એને નડે એટલું કે એ સાયન્સમાં જવા માંગતો હોય તો બેઝિક ગણિતમાં પાસ થવાનું એને કામ નહીં લાગે. સાયન્સમાં જવું હોય તો તેણે પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર ક્લિયર કરવું જ પડે. જો વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર ક્લિયર કરે ને એનો વિચાર સામાન્ય પ્રવાહમાં જવાનો થાય તો તેણે બેઝિકનું પેપર ક્લિયર કરવાનું રહેતું નથી.

આમ આ સારી વ્યવસ્થા છે એવું લાગે, પણ એમાં ઘણી ગરબડો છે. બેઝિક ગણિતના પેપરનો ઉદ્દેશ, ગણિતને કારણે વિદ્યાર્થી આગળ જતો અટકે નહીં ને કમ સે કમ સામાન્ય પ્રવાહમાં તો પ્રવેશ લઈ જ શકે એ છે, પણ એણે જે ગણિતનો વિષય ભણવાનો છે તેનું પાઠ્યપુસ્તક તો એ જ ભણવાનું છે જે સ્ટાન્ડર્ડના પેપર માટે નક્કી થયેલું છે. વર્ગ, શિક્ષક, ભણાવવાની પદ્ધતિ કે ભણવાના દાખલામાં કોઈ કન્સેશન નથી. જે પ્રશ્નો પૂછાશે તેમાં પ્રકરણ, પ્રકાર અને હેતુઓ મુજબ ગુણભારમાં ફરક હશે. જો પુસ્તક અને પદ્ધતિમાં ફેર ન પડવાનો હોય તો જેને ગણિતનો જ કંટાળો છે તે કેટલા રસથી એ વિષય ભણશે એ વિચારવાનું રહે. ગણિત ફાવતું ન હોવાને લીધે જ તો બેઝિકનો વિકલ્પ પસંદ કર્યો હોય તો આખું વર્ષ એણે સ્ટાન્ડર્ડ સાથે શું કામ ભણવાનું? એ વાતનો ખુલાસો થયો નથી કે જાહેર પરીક્ષામાં અપાનાર વિકલ્પો, વર્ષ દરમિયાનની પરીક્ષાઓમાં અપાવાના છે કે કેમ? જો પ્રશ્નપત્રનું પરિરૂપ પરીક્ષામાં જ ખબર પડવાની હોય તો બેઝિકનું પેપર પોતે આપવાનો છે એનો લાભ વિદ્યાર્થીને ક્યારે મળે? કહેવાયું છે તો એવું કે પોતે જે વિકલ્પ પસંદ કર્યો છે એની જાણ વિદ્યાર્થીએ માત્ર વાર્ષિકનું ફોર્મ ભરતી વખતે જ બોર્ડને કરવાની છે. એટલે છેવટ સુધી સ્ટાન્ડર્ડ ને બેઝિક વચ્ચે પદ્ધતિમાં ફેર નથી તો બેઝિકની ખરેખરી હળવાશ વિદ્યાર્થી ક્યારે અનુભવે એ સ્પષ્ટ નથી. આ તો અઘરું ભણવાનું છે ને સહેલી પરીક્ષા આપવાની એવું છે. આ યોગ્ય છે? કોઈ પણ પ્રકારનો નમૂનો આપ્યા વગર ને ભણવાનું શરૂ થયાને દોઢ મહિનો વીતી ગયા પછી, બે વિકલ્પોની જાહેરાત મૂંઝવણો વધારે એમ બને.

આ વિકલ્પોથી ગણિતમાં નાપાસ થનારની સંખ્યા ને ટકાવારી ઘટશે ને એવું થતાં સ્કૂલોનું પરિણામ પણ ઊંચું આવશે, પણ એ ઊંચાઈ ખીણ કરતાં બદતર હશે. આ વર્ષે, બધાંને વાર્ષિક પરીક્ષા લીધાં વગર પાસ કર્યાં ને 100 ટકા પરિણામ આપ્યું, પણ આપણે નથી જાણતા કે એમાં કેવું ખાતર પર દિવેલ થયું છે? ઊંચી ટકાવારીનો આનંદ લેવાય એવું ખરેખર કૈં છે? એવું તો નથીને કે પરિણામો ઊંચાં લાવવા કોઈએ વિકલ્પનો વિકલ્પ આપ્યો હોય? એવું હોય તો એ ગંભીર બાબત છે.

જો બેઝિક ગણિતની પરીક્ષા આપવાથી સાયન્સમાં જઈ જ ન શકાવાનું હોય ને આગળ ઉપર પણ વિદ્યાર્થી ગણિતમાં આગળ જવાનો જ ન હોય તો એને ગણિતના બોજથી મુક્ત કરવામાં વધારે ડહાપણ છે એવું નહીં? ધોરણ નવ સુધી એ ગણિત ભણ્યો છે એટલું પૂરતું છે ને આગળ ઉપર એ ગણિત ભણવાનો જ નથી તો 10માંથી જ એ ગણિત છોડે તો શું વાંધો? દયા જ કરવી છે તો પૂરી કરાયને ! દયા તો એવી પણ કરાય કે અંગ્રેજી પણ ઘણાંને નથી ફાવતું, ગુજરાતીમાં જ લાખ દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ દર વર્ષે નાપાસ થાય છે, તો તેને માટે પણ સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બે પેપર કઢાય ને ! વળી સાયન્સમાં જવાનો છે તેને 10ની ભૂગોળ કે ઇતિહાસ નહીં ફાવે એમ પણ બને ને ! તો તેણે તે વિષયનો બોજ શું કામ વેંઢારવાનો? કેટલા ય એવા હશે જેમને ભણવાનું ગમતું નથી ને ડોક્ટર, વકીલ કે એંજિનિયર થવું છે, તે પણ એટલે કે એમાંથી કમાણી થાય છે, તો તેને સર્ટિફિકેટ આપી દઈએ તો ના ચાલે? એવું જતે દિવસે થાય તો નવાઈ નહીં કે અમુક કરોડ રૂપિયા શિક્ષણ વિભાગમાં જમા કરાવી દે તેને અમુક ઉંમરે સ્કૂલ કે કોલેજમાં ગયા વગર જ, ભરેલી રકમ પ્રમાણે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનનું ફર્સ્ટ ક્લાસ કે ગોલ્ડ મેડલનું પ્રમાણપત્ર ઘેરબેઠા જ મળી જાય. એંજિનિયર થઈને પુલો કે સ્ટ્રક્ચર્સ જ તોડવાના હોય કે ઓપરેશન થિયેટરમાં દરદીઓ જ મારવાના હોય તો ભણીને શું કામ છે? ને બીજું કૈં ન આવડે ને એકલા પૈસા જ હોય તો મંત્રી થતાં કોણ રોકે છે?

વિદ્યાર્થીઓને ગણિત નથી ફાવતું તો બે પેપર. એક અઘરું ને એક સહેલું. અઘરું પાસ કરે તો સાયન્સ અને સહેલું પાસ કરે તો આર્ટ્સ કે કોમર્સ. કોઈને પ્રશ્ન નથી થતો કે આ શું ચાલી રહ્યું છે? કોલેજ કક્ષાએ સ્પેશિયલાઈઝેશનમાં ચોક્કસ વિષય પર કોન્સન્ટ્રેટ કરવા અમુક વિષય ઘટે કે પેપર ઘટે તે સમજાય, તેનો પણ હેતુ તો ચોક્કસ વિષય પર વધુ ગંભીરતાથી ધ્યાન અપાય તે છે. જ્યારે અહીં તો 10માંથી જ બધું અઘરું લાગવા માંડે છે ને સરકાર પણ દયા ખાઈને તેના વિકલ્પો આપે છે. કેમ, 10માં સુધી બધા વિષયો ફરજિયાત હોય તો કયું આભ તૂટે? ગણિત, વિજ્ઞાન બધું અઘરું લાગે છે તો તે ભણાવવાનું વધુ સઘન નથી કરાતું, પણ વિદ્યાર્થીઓને સહેલા વિકલ્પો અપાય છે. ખરેખર તો શિક્ષણ વિભાગે કબૂલ કરવું જોઈએ કે અમારાથી સરખું ભણાવી શકાતું નથી ને માત્ર પરીક્ષાઓ જ લઈ શકીએ છીએ તેનો સંકોચ થાય છે. કૈં પણ ભણાવ્યા વગર વિદ્યાર્થીને આગળ કેમ વધારી શકાય એનો પ્રયોગ ચાલી રહ્યો છે તે યોગ્ય નથી.

જો ગણિતનું પુસ્તક એક હોય, ભણાવનાર એક હોય, વિદ્યાર્થીઓ ય બદલાતા ન હોય તો બે પેપર શું કામ એ સવાલ નથી થતો. જેને ગણિતનો જ કંટાળો છે તે તો બેઝિક પણ સરખું નહીં ભણે તો એને માટે બીજી કઈ જીવદયા સરકાર કરવાની છે? વિદ્યાર્થીઓને ઘડવાને બદલે, તેમને સામનો કરવાનું શીખવવાને બદલે, વધુ સુશિક્ષિત કરવાને બદલે, તેમને વિકલ્પો આપીને પાંગળા કરવાનો આ ઉદ્યમ વિદ્યાર્થીઓના જરા પણ હિતમાં નથી. આવા પાંગળા ને કાચા વિદ્યાર્થીઓ દેશના વિકાસમાં જોડાવાના હોય તો તે કેવો હશે તે કલ્પવાનું અઘરું નથી.

સરકારને બે હાથ જોડીને વિનંતી કે વિકલ્પોની ટેવ પાડીને વિદ્યાર્થીઓને શોર્ટકટિયા જિંદગી જીવવાની ભેટ ન આપે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 જુલાઈ 2021

Loading

16 July 2021 admin
← ‘તને બક્ષવામાં નહીં આવે, મંજુલ!’
– ત્યાં સુધી ગંગા ‘શબવાહિની’ રહેશે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved