Opinion Magazine
Number of visits: 9449073
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય શાસ્ત્રીય સંગીત અને દમદાર સફળતાઃ “બહુત કઠિન હૈ ડગર પનઘટ કી …”

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 June 2021

કળાના સત્ય સુધી પહોંચવાનો સંઘર્ષ આજના સમયે વધુ અઘરો બન્યો છે કારણ કે ઇન્ફર્મેશન ઓવરલોડના જમાનામાં લગ્નમાં ગોવિંદાનાં ગીત પર નાચી લેતાં અંકલ પણ પ્રસિદ્ધ થઇ જાય છે અને રળવા માંડે છે

૨૧મી જૂન વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણી પાસે સંગીતનો વારસો એટલો સમૃદ્ધ છે કે તેને જાણવા કે નાણવા સાત જન્મ પણ ઓછા પડે. પાંચમા વેદ ગણાતા નાટ્યશાસ્ત્રમાં જેમ કળા વિશે લખ્યું છે તેમ સંગીત પણ દેશી અને માર્ગી એમ બે ફાંટામાં વહેંચાયેલું છે, એક હિસ્સો છે તે બધાં માટે છે, તેને માણવા બહુ ઊંડી સમજની જરૂર નથી, બસ સંગીતમાં રસ હોવો જોઇએ. તો બીજો હિસ્સો છે તેમાં શાસ્ત્રોક્ત અભ્યાસ, રાગ, તાન, તાલ, લય, સ્વરોની બારીકીઓ અને તેમાં તમે માત્ર કાનસેન હશો તો નહીં ચાલે, તાનસેનની કલાના પ્રભાવને તમે પારખી શકતા હોય તે જરૂરી છે.

વિશ્વ સંગીત દિવસ ઢુકડો છે ત્યારે થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મ ‘ધી ડિસાઇપલ’નો સંદર્ભ લઇએ અને ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં લાંબા સમયથી ચાલી આવતી ચર્ચાને ફરી એક વાર મમળાવીએ. ચૈતન્ય તામ્હાનેની આ ફિલ્મમાં શાસ્ત્રીય સંગીતની વિદ્યા, શિક્ષા, તાલીમ અને તેના સિદ્ધાંતોને આધારે આગળ વધવા માગતા શરદ નેરુળકરની વાત છે. જેમ દરેક શાસ્ત્રીય સંગીત તાલીમાર્થીના જીવનમાં એક ગુરુ હોય છે તેમ શરદની જિંદગીમાં પણ છે. જેમ પોપ્યુલિસ્ટ કલ્ચરનાં આકર્ષણોમાં કલાકારો ખેંચાઇ જાય છે અને જે તે વમળમાં નથી ખેંચાતા તેમનો આંતરિક સંઘર્ષ સતત ચાલુ રહે છે તેવું જ શરદ સાથે પણ થાય છે. શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ એક સમાધિ, એક પ્રકારનું ધ્યાન છે તેમાં કશું ય ઉપરછલ્લું ન હોઇ શકે, દુન્યવી ઇચ્છાઓ તેમાં બાધ ન બની શકે એવી વિચારધારા સાથે આગળ વધતા શરદની અકળામણ તમને સમજાય જ્યારે કોઇ નાનાં શહેરના જુવાનિયાઓને રિયાલીટી શોના ધતિંગને કારણે પ્રસિદ્ધિ મળી જાય. બીજી તરફ શરદની અણિશુદ્ધ કળા જે રીતે લોકો સુધી પહોંચવી જોઇએ તે રીતે નથી પહોંચતી અને ક્યાંક કોઇ ખૂણે શરદ પણ પોતાની નબળાઇઓથી વાકેફ છે.

આ ફિલ્મની ચર્ચા કરવી જરૂરી હતી કારણ કે ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયાની આ વાસ્તિવકતાઓ છે. તેના સંઘર્ષ ઘણા સમયથી આ જ પ્રકારના રહ્યા છે. જે તે સમયે સંગીતની દુનિયામાં બહુ જ મોટું નામ ધરાવનારાઓ આજે ઘરડે ઘડપણ ગરીબીમાં વલખાં મારે છે તેવા સમાચાર પણ આપણે સાંભળીએ જ છીએ. વળી ગુરુ શિષ્યની પરંપરાનાં દૂષણો પણ ઓછાં નથી. અહીં પણ ‘મી ટૂ’ના સૂર તાલ આપણે કાને પડ્યા છે. ગુરુઓની પરવાનગી ન મળે ત્યાં સુધી જાહેરમાં ન ગાવું જેવા નિયમો પણ શાસ્ત્રીય સંગીતકારો માટે અવરોધ બને છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનાં મોટાંમસ ફેસ્ટિવલ્સ પણ થાય છે અને તેમાં હાજરી આપનારાઓ પોતાની જાતને સંસ્કૃતિના આશ્રયદાતા માની બેસે છે. તેમાં સંગીતનું મૂલ્ય કરનારા તો હોય છે જ તેની ના નહીં પણ પોતે જે-તે મહોત્સવમાં અચૂક જાય છે એમ કહી કૉલર ચઢાવનારાઓની સંખ્યા વધારે હોય છે.

સંગીત મહોત્સવ અંગે ૧૯૪૫માં ‘ઇન્ડિયન મ્યૂઝિક ટૂડે’ નામના એક પુસ્તકમાં લેખક એસ.કે .ચૌબેએ લખ્યું હતું કે, ‘આ મહોત્સવો વ્યવ્સ્થાપક તરીકે મોટાં માથાઓનો દેખાડો બનીને રહી જાય છે. બેઠકમાં આગળનાં ‘મુખ્ય અતિથિ’ પ્રકારના લોકો કાં તો બગાસાં ખાતાં હોય છે કાં તો ઇન્ટરવલમાં વાતોના તડાકા મારવા મળે તેની રાહ જોતા હોય છે.’ જો ચાળીસના દાયકામાં આ માન્યતા હતી તો તે આજે બદલાઇ હશે, પરિસ્થિતિ બહેતર થઇ હશે તેમ માનવાનું કોઇ કારણ નથી.

ભારતીય શાસ્ત્રીય સંગીતની મશાલ પ્રજ્વલ્લીત રાખવા મથનારા દરેક દિગ્ગજનો આગવો સંઘર્ષ રહ્યો છે. પરંપરાને માર્ગી રીતે – શાસ્ત્રોક્ત પદ્ધતિમાં આગળ વધારવાની જવાબદારી લેનારા નવી પેઢીમાં ઘટે છે. તે ગેરહાજર છે એમ વાત નથી પણ ઓછા છે તે હકીકત છે કારણ કે દરેકને ઝડપી સફળતા જોઇએ છે. વળી નિયમો, સિદ્ધાંતો અને શુદ્ધતાની આ દુનિયામાં સત્તાનો ખેલ પણ નાનો સૂનો નથી. સંગીતની દુનિયાના રહસ્યો, કળાની મુઠ્ઠી ત્યાં સુધી બંધ રાખતા ગુરુઓ જ્યાં સુધી તેમને પોતાને શિષ્ય પર વિશ્વાસ ન બેસે જેવું કેટલું ય આ અનુભવને વધુ સંકુલ બનાવે છે. જેમને પ્રસિદ્ધિ મળી ચૂકી છે તેમને સતત કામ મળતું રહે, પેટ્રોનેજ મળતું રહે પણ જેઓ હજી પોતાના કરિયરની મધ્યે છે તેમને માટે બધું જ કપરું છે. પોપ્યુલિસ્ટ અને ક્લાસિક – માસી અને ક્લાસી – દેશી અને માર્ગી – ટોળાં અને ગણતરીના લોકોને બેઠક વચ્ચેની દોરડાખેંચમાં આ કલાકારનું મનોમંથન અટકતું નથી. આ મંથનને અંતે અમૃત મળશે જ તેવી કોઇ ખાતરી નથી હોતી એમાં પાછા ગુરુઓની અપેક્ષાને પહોંચી વળવાનું અને વ્યાસ પીઠ પર બેઠેલી વ્યક્તિ એક વાર કહી દે કે, ‘આમાં હજી કંઇ દમ નથી, તારા સંગીતમાં જીવ નથી’ તો જાત સાથેની બીજી લડાઇ શરૂ થઇ જાય.

કળાના સત્ય સુધી પહોંચવાનો સંઘર્ષ આજના સમયે વધુ અઘરો બન્યો છે કારણ કે ઇન્ફર્મેશન ઓવરલોડના જમાનામાં લગ્નમાં ગોવિંદાનાં ગીત પર નાચી લેતાં અંકલ પણ પ્રસિદ્ધ થઇ જાય છે અને રળવા માંડે છે. આવામાં ગુરુની બેઠકમાં પંદર વર્ષથી પાછળ બેસીની તાનપુરાના ચાર તારના સૂર સાચવીને પોતાના સંગીતની કેડી કંડારવાની મહેનત કરનારાઓને જે માનસિક દબાણ અનુભવવું પડે છે તેને વિષે તાર સપ્તકના સા સુધી ગાઇ શકનારાઓ પણ શબ્દોમાં વર્ણવી શકે તેમ નથી.

બાય ધી વેઃ

આપણો શાસ્ત્રીય સંગીતનો વારસો બહુ જ સમૃદ્ધ છે. આ સમૃદ્ધિ જળવાય, આગામી પેઢીઓ સુધી પહોંચે તે માટે માત્ર દિગ્ગજો નહીં પણ પોતાની સંગીતમય કારકિર્દીમાં મધ્યે પહોંચેલા, અન્યોની સરખામણીએ નવોદિત ગણાતા કલાકારોને દાદ અને માન અકરામ મળતા રહે તેની જવાબદારી શ્રોતા તરીકે આપણા ખભે છે. શુદ્ધ કળાના માર્ગે સત્ત્વ અને સત્ય મેળવવા આસાન નથી અને માટે જ પ્રવાસ માટે આ માર્ગ પસંદ કરનારાઓનો ઉત્સાહ જળવાઇ રહે, તે નાસીપાસ ન થાય તેટલી શુદ્ધ પ્રશસ્તિ અને કદર આપણા તરફથી થાય તે જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  20 જૂન 2021

Loading

20 June 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—100
કોઈ કૈં ખરાબ કરતું નથી અને સારું કૈં થતું નથી … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved