Opinion Magazine
Number of visits: 9449213
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રોગચાળાની પકડ મજબૂત બની ત્યારે એક માત્ર ચીને સરહદની તંગદીલીનું તાપણું ગરમ રાખ્યું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 April 2021

વાઇરસના વૈશ્વિક આંકડાઓની રમત ચાલ્યા કરે છે પણ આ બધાંની વચ્ચે આખી દુનિયાની સરહદો પર, ખાસ કરીને કોનફ્લિક્ટ ઝોન્સ પર રોગચાળાનો આગવો પ્રભાવ પડ્યો છે.

વાઇરસનાં પધરામણાંને એક વર્ષથી ઉપર થઇ ગયું છે. વૈશ્વિક સ્વાસ્થ્ય, અર્થતંત્ર અને રાજકારણ પર વાઇરસના ભરડાએ હજી ઢીલું મૂક્યું નથી. વેક્સિન લેતી તસવીરો પણ હવે તો સોશ્યલ મીડિયા પર જોઇને કંટાળો આવે છે પણ માસ્ક, સેનિટાઇઝર, લૉકડાઉન, નાઇટ કર્ફ્યુ તો, માળા, હજી જિંદગીમાંથી જલદી જાય એવું કંઇ લાગતું નથી. વાઇરસના વૈશ્વિક આંકડાઓની રમત ચાલ્યા કરે છે પણ આ બધાંની વચ્ચે આખી દુનિયાની સરહદો પર, ખાસ કરીને કોનફ્લિક્ટ ઝોન્સ પર રોગચાળાનો આગવો પ્રભાવ પડ્યો છે. આમ તો બધાં જ અગત્યના રાષ્ટ્રોએ વાઇરસ સામે લડવામાં જરૂર પડ્યે એકબીજાને ટેકો આપ્યો. વેક્સિન ડિપ્લોમસી ભલેને શક્તિ પ્રદર્શન હોય પણ અંતે તેનાથી પણ રાષ્ટ્રોને પરસ્પર મદદ મળી.

પરંતુ જ્યારે વાઇરસ સિરિયા, લેબાનોન, લિબિયા, યમન અને કાશ્મીર ખીણ પ્રદેશમાં પ્રવેશે ત્યારની નાજુક સ્થિતિની ચર્ચા જાણે હાંસિયામાં ધકેલાઇ ગઇ. આ બધાં કોન્ફ્લિક્ટ ઝોન્સ ઇરાન, ઇજિપ્ત, તુર્કસ્તાન, ભારત જેવા દેશોની નજીક છે અને આ તમામ દેશોમાં વાઇરસની અસરો આકરી રહી છે. જો કે વાઇરસને કારણે અહીં જે થયું તેની એટલી ચર્ચા ન થઇ જેટલી મુખ્ય અને મોટા રાષ્ટ્રોમાં વાઇરસના કેરની ચર્ચા થઇ. રોગચાળાએ તો તેનું કામ કર્યું જ પણ વાઇરસને કારણે સરહદો બંધ કરી દેવાઇ અને વિશ્વ આખામાં સરહદ પરનો તણાવ જુદી દિશામાં ફંટાયો. પરંતુ એમ માનવાની જરૂર નથી કે વાઇરસને કારણે રાષ્ટ્રો વચ્ચેની તંગદિલી ઘટી. સૌથી પહેલાં તો સ્વાભાવિક રીતે ચીન સપાટામાં આવ્યું. ચીનના વુહાનમાંથી પ્રસરેલા આ વાઇરસને કારણે ચીનની છબી તો સખત ખરડાઇ. યુ.એસ.એ.એ તો ચીનની આબરુ ધૂળધાણી કરવામાં કંઇ કરતા કંઇ બાકી ન રાખ્યું. ચીનમાં આંતરિક સ્તરે પણ ખળભળાટ વધ્યો, લોકોને સરકાર સામે ફરિયાદો વધી. આવા સંજોગોમાં પોતાની છાપ સુધારવા માટે ચીનને એક માત્ર રસ્તો દેખાયો. ચીને સરહદે સળી કરવાની શરૂઆત કરી. કમનસીબે ચીન આપણો પાડોશી દેશ પણ છે અને આખી દુનિયા જ્યારે ચીનને માથે માછલાં ધોઇ રહી હતી, ત્યારે વાઇરસના વાંકમાં આવવાને બદલે કંઇ જુદું કરી કમ સે કમ પોતાના દેશના લોકોની નજરમાં ફરી મજબૂત થવાની લ્હાઇમાં ચીને ભારતની સરહદે સંજોગો તંગ કર્યા. દુનિયા આખીમાં ચીનનો વાંક કાઢવામાં આવી રહ્યો હતો અને આ તરફ ચીન શક્તિ પ્રદર્શનની માથાકૂટમાં વ્યસ્ત થઇ ગયું.

પરંતુ ભારત એક માત્ર દેશ નહોતો જેની સરહદે ચીને તંગદિલી ખડી કરી. ચીનની સરહદે આવેલા અલગ અલગ ૧૮ દેશો સાથે ચીને શિંગડા ભેરવ્યાં. ભારતથી માંડીને જાપાન, ફિલીપાઇન્સ તમામને ચીન સાથે માથાકૂટ થઇ છે. ચીનના આ વિસ્તરણવાદી – એક્સપેન્શનિસ્ટ રાજકારણની વૈશ્વિક સ્તરે ટીકા થઇ. આ તરફ વૈશ્વિક સ્તરે વાઇરસે જે પોત પ્રકાશ્યું એ પછી મોટાભાગના દેશોએ બોર્ડર્સ સીલ કરી દીધી. અંગત યુદ્ધ નહીં પણ વાઇરસ સામેનું યુદ્ધ જ અગત્યનું બન્યું. જેમ આગળ ઉપર કહ્યું તેમ વાઇરસને નાથવા વેક્સિન એકવાર શોધાવા માંડી અને તેને મંજૂરી મળવા માંડી પછી વેક્સિન ડિપ્લોમસી પણ ચાલી અને તે પણ યુદ્ધનાં કાવાદાવામાં કોઇની નબળાઇ અને કોઇની મજબૂતાઈ સાબિત કરવા માટે વપરાઇ પરંતુ યુદ્ધનું જે મૂળ સ્વરૂપ છે તેની પર આ સંજોગોમાં તો રોક લાગી ગઇ.

હા, ચીનના ચેનચાળા ન અટક્યા. જાપાન સાથે ચીનની દક્ષિણે સમુદ્રમાં આવેલા સેન્કાકુ અને રયુક્યુ ટાપુને લઇને ચીનની ભાંજગડ ચાલ્યા કરે છે તો વિએટનામના મોટા હિસ્સા પર પણ ચીન દાવો માંડીને બેઠો છે. ભારતના અક્સાઇ ચીનના વિવાદથી તો આપણે વાકેફ છીએ જ, તો વળી લદાખ અને અરુણાચલ પ્રદેશના અમુક હિસ્સાઓ પોતાને નામે કરવાનો ચીનનો ચંચુપાત પણ નવો નથી. નેપાળ અને તિબેટના અમુક હિસ્સાઓ પર પણ ચીનને દાવો માંડવામાં રસ છે અને તેની બબાલ પણ ચાલતી આવી છે. આ રીતે તો રશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા, ફિલિપાઇન્સ, નોર્થ કોરિયા, ભૂતાન, તાઇવાન, લાઓ, બ્રુનેઇ, તજાકિસ્તાન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને મંગોલિયા એમ કૂલ અઢાર દેશોની સરહદે ચીને પોતાની અવળચંડાઇ ચાલુ રાખી. વૈશ્વિક છાપ બગડી હોય ત્યારે ઘરમાં ય સત્તાનું માન ન રહે તે તો કેવી રીતે ચાલે અને માટે જ આ દેશો સાથે ચીને શક્તિપ્રદર્શનની તકો જતી ન કરી.

આ ઉપરાંત રોગચાળાની આડ લઇને સિરિયા જેવા દેશોએ અમેરિકાને કવખોડ્યો અને રશિયા, ઇરાન અને ચીને વાઇરસને નાથવા જે કર્યું તેની પ્રસંશા કરી. આ યુદ્ધ નથી કારણ કે યુદ્ધ કરવાનું પોસાય તેમ નથી પણ આ રાજકીય મુત્સદ્દીપણું છે. શસ્ત્રથી નહીં પણ શબ્દોથી યુદ્ધ કરવામાં શત્રુ દેશોએ જેટલો ખેલ ખેલી શકાયો તે ચોક્કસ ખેલ્યો. વળી કોન્ફ્લિક્ટ ઝોનમાં એક બીજી સમસ્યા એ પણ થઇ કે વાઇરસની સાચી સ્થિતિ બહાર ન આવી.

વાઇરસને કારણે કોઇ રાજકીય સમજૂતિઓ અટકી કે એવું તો કંઇ ન થયું પણ ક્યાંક એકની નજર નહોતી તો બીજાઓએ પોતાનું ધાર્યું કરી લીધું તેમ બન્યું. જેમ કે યમન અને નાગોર્ની કારાબખમાં કોમ્બેટ કરનારાઓ આંતરારાષ્ટ્રીય સત્તાઓની નજર નહોતી તો કોઇપણ રાજદ્વારી મર્યાદાઓને ગણકાર્યા વિના સૈન્યની કામગીરી કરી. બીજી તરફ જ્યોર્જિયામાં રોગચાળા પ્રત્યેના પ્રતિભાવને પગલે અબખાઝિયાના છૂટા પડેલા પ્રદેશ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાના સંબંધો બહેતર થયા. સાઉથ કોરિયાને રોગચાળાને પગલે નોર્થ કોરિયા સાથે સંબંધ સુધરવાની આશા હતી પણ પ્યોનગ્યાંગે તો પોતાની જાતને વૈશ્વિક તખ્તેથી વધુ દૂર કરવાનું પસંદ કર્યું. વળી રોગચાળામાં મોટાભાગના રાષ્ટ્રોમાં આંતરિક વિરોધો, દેખાવો અને રમખાણો સુદ્ધાં થયા. સ્વાભાવિક છે કે ઘર ભડકે બળતું હોય ત્યારે ત્યાં વધુ ધ્યાન આપવું પડે.

રોગચાળાને લીધે અમુક રાષ્ટ્રો વચ્ચે સંબંધોમાં તંગદિલી ઘટી, પણ ચીનને ગુનો ઢાંકવા બીજી ઘણી બાબતો ડિસ્ટર્બ કરી નાખી. બાકી યુ.એસ.એ. તથા યુરોપ સહિતના રાષ્ટ્રોના ડિપ્લોમેટ્સે જે રીતે લૉકડાઉન, મુસાફરી પર પ્રતિબંધ વગેરેની સાથે જેટલું પણ સંભાળ્યું તેને દાદ આપવી જ પડે. આપણી વાત કરીએ તો આપણે તો સમસ્યાઓ અને રાજકારણનો ખેલ ખેલાતો રહ્યો, કંઇક સારું થયું તો ક્યાંક કાચું કપાયું. વિશ્વના રાજકારણમાં વેક્સિન ડિપ્લોમસીમાં આપણે સારો દેખાવ કરી શક્યા બાકી સરહદના સંજોગોમાં સરકારને જે રુચ્યું તે પ્રમાણે મામલો સંભાળ્યો.

બાય ધી વેઃ

રોગચાળાની પકડ ધીમી પડે અથવા તો વિશ્વ તેની સાથે ડીલ કરતાં શીખે, વેક્સિન વધુ લોકો સુધી પહોંચે એ બધાંની સાથે દરેક રાષ્ટ્રએ એમ વિચારવું રહ્યું કે સત્તાધિશો વેક્સિનની આપ-લેની તકનો ઉપયોગ કરી પરસ્પર હિંસા અન યુદ્ધની શક્યતાઓ ઘટાડીને રાજકીય પ્રગતિ પર કામ કરી શકશે ખરા? જો એમ થાય તો તે એક સુયોગ્ય સત્તાકીય વિચાર સિદ્ધ થાય નહીંતર તો કોન્ફ્લિક્ટ ઝોન્સ અને નબળા રાષ્ટ્રો વધુ લાચારી અનુભવે અને પહેલાં કરતાં બદતર વહીવટ વેઠે, તે પણ વાઇરસના ફટકાના ઉમેરામાં.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  04 ઍપ્રિલ 2021 

Loading

4 April 2021 admin
← સુરેશ જોષીકૃત અપૂર્વ કાવ્યાસ્વાદો
પીળું પત્રકારત્વ હવે લાલ પણ થયું છે… →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved