Opinion Magazine
Number of visits: 9446552
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકાર સામે સામાન્ય માણસનો સંતાપ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 February 2021

હે જગત જનની ઉર્ફે સરકાર માઈબાપ,

સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ … !

જેમ માને અને ભગવાનને તું કહું છું, એમ તને પણ હું તુંકારે જ બોલાવું છું. હું એક સામાન્ય માણસ છું. મારામાં અક્કલ નથી એવું તું તો માને જ છે, એટલે હું પણ માનતો થઈ ગયો છું કે મારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે. મને ઘણું નથી સમજાતું ને જે સમજાય છે એમાં છેવટે તો સંતાપ કરવાનો જ રહે છે. એ ખરું કે આખું વર્ષ કોરોનાને નામે ચડ્યું. એણે આવતાંવેંત જ આખા જગતની પથારી ફેરવી કાઢી. લાખો માણસો મર્યાં, એમાં ભારત પણ બાકાત ના રહ્યું. એમાં વળી મહિનાઓ સુધી લોકડાઉન રહેતાં કામધંધો ઠપ્પ થઈ ગયો. નોકરીઓ ગઈ. આવક, ઝેર ખાવા જેટલી પણ ન રહી. ઘણાં પંખે લટકી ગયાં તો ઘણાં અટકી પણ પડ્યાં. સરકાર તરીકે તેં લાખોકરોડોના પેકેજ જાહેર કર્યાં. એ પેકેજ ક્યાંના પેકેટ બન્યા તે તો નથી ખબર, એમાં વળી ખાતર પર દિવેલની જેમ ચીન – પાકિસ્તાનનો ઉપદ્રવ પણ ચાલુ જ રહ્યો. એના ન ઘૂસેલા સૈનિકોને આપણે મારી હટાવ્યા તો આપણા ન ઘૂસેલા સૈનિકોનો ધુમાડો પણ થયો. એની વે, અનેક ઉપાધિઓ વચ્ચે તેં ને મેં ટકી બતાવ્યું તે માટે હું તને અભિનંદન આપું છું ને તારે મને આપવાં હોય તો તું પણ આપી શકે, આફ્ટર ઓલ, ઈટ ઈઝ અપ ટુ યુ –

બાકી હતું તેમાં કિસાન આંદોલન ચાલ્યું ને હજી ચક્કાજામ તાજું જ છે. કિસાન શબ્દમાં “સાન” છે ને સરકારમાં “સર” છે એટલે તમે બંને અડી ગયાં છો. કિસાનને કિસાન કાનૂનો નથી જોઈતા ને તારે પરાણે આપવા જ છે. તારી પણ કમાલ જ છે, તો ! એ લાગુ ન કરવામાં તારાં કયાં વહાણ લૂંટાય છે એ મને નથી સમજાતું ને તને એ નથી સમજાતું કે આંદોલન લંબાવાને કારણે રાજકીય પક્ષો ખેડૂતોના તવા પર પોતાના રોટલા શેકી રહ્યા છે, એ પણ જવા દે, એમાં વિદેશી તાકતોને રસ પડ્યો છે ને એ આ દેશની બાબતોમાં માથું મારી રહી છે એ બધું તને ઠીક લાગે છે? આંદોલન લંબાય તો વિપક્ષોને અને વિદેશી તાકાતોને વધારે ટાંટિયાં ફેલાવવાની તક મળે એવું નથી લાગતું? એ ચાલવા દેવાનું છે? હું તો ખેડૂતોને પણ બે હાથ જોડીને કહું છું કે સરકાર સામે તમને જે વાંધો હોય તે ભલે, પણ તમારે નામે કોઈ આ દેશમાં ચરી જાય ને દેશને નુકસાન કરે એવું ન જ થવું જોઈએ. એવું કૈં થયું તો આવનારો સમય તમને માફ નહીં કરે એટલું નક્કી !

હે સરકાર, મને તારે માટે એ માન જરૂર થયું કે આ બજેટમાં ખેતીના માળખાને ઠેકાણે કરવા ખેડૂતોનું આંદોલન તેં ધ્યાને લીધું ને પેટ્રોલ પર અઢી રૂપિયા અને ડીઝલ પર ચાર રૂપિયા સેસ લાગુ કરવાની દરખાસ્ત કરી. તેં ધાર્યું હોત તો ખેડૂતોને રવડાવ્યા હોત, પણ તેને બદલે તેં મારા જેવા સામાન્ય માણસોને રડાવ્યા. ગુડ ! જો કે તેં બજેટમાં કહ્યું ખરું કે ગ્રાહકો પર વધારાનો બોજ નહીં પડે એની કાળજી રખાઈ છે, પણ મારી મા, એવું મને તો દેખાતું નથી. અમે સ્કૂટરમાં પેટ્રોલ નખાવી જ ન શકીએ એ હદે પેટ્રોલ મોઘું થયું છે તે નથી દેખાતું? તેં કહ્યું કે બોજ ગ્રાહકો પર નહીં પડે, તો પણ રોજ ઓઈલ મોંઘું થાય છે તે ખરું કે કેમ? એક જ વર્ષમાં પેટ્રોલનો ભાવ 20 રૂપિયા વધ્યો તે સાચું હોય તો એ બોજો કોના પર પડ્યો, તે કહીશ? તું કહીશ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવ વધ્યા એટલે અત્યારે ભાવ વધે છે, તો જ્યારે એના ભાવ માઈનસમાં ગયા ત્યારે પણ આપણે ત્યાં ભાવ વધ્યા તે કઈ ખુશીમાં? એટલે તું માન કે ન માન, પણ ક્યાંક તો રમત છે જ !

હે મારી ચાલાક, સોરી, ચાલક સરકાર, કેટલાં ય વર્ષોથી જે વસ્તુ સસ્તી થવી જોઈએ એ મોંઘી થાય છે ને જે મોંઘી થવી જોઈએ એ સસ્તી થાય છે. મારું એટલું જ્ઞાન નથી અને તું સમજીને જ બધું કરતી હોઈશ તે પણ ખરું, પણ મારું સાદું જ્ઞાન તો એમ જ કહે છે કે જે અમીર છે તે બોજ વેઠી શકે તેમ છે તો તેના પર ટેક્સ વધુ નાખવો ને જે સાધારણ વર્ગ છે તે આમ પણ મરેલો જ છે તો તેને વધારે ન મારવો. પણ, અહીં તો ઊલટું જ ચાલે છે. બજેટ પછી સોનું સસ્તું થાય છે ને પેટ્રોલ મોંઘું થાય છે. વેલ, અમીરોના દરિયામાંથી ડોલ લઈ લઈશ તો એને ફરક નહીં પડે, પણ અમારે તો ડોલ જ દરિયો છે ને તું ડોલ જ આંચકે તો અમારે જીવવું કેમ તે કહીશ?

હું માનું છું કે બજેટમાં આરોગ્યને આ વખતે વધારે મહત્ત્વ આપીને તેં સારું જ કર્યું છે. માત્ર રસી માટે જ 35,000 કરોડ ફાળવ્યા તે પણ ઠીક થયું. જો આંકડા સાચા હોય તો કોરોનાનું જોર ઘટ્યું છે એવું પણ લાગે છે ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે તે જોઈને દેશસેવા કરવા આટલા બધા લોકો આગળ આવ્યા છે તેનો આનંદ છે, પણ હકીકત જુદી છે. ટિકિટ ન મળવાને કારણે જે અસંતોષ દેખાય છે તેમાં સેવા કરવાને બદલે, મેવા મેળવવામાં રહી ગયા, એનો અફસોસ વધારે છે ને જે ટિકિટ મેળવીને ઊછળે છે તે કેટલી સેવા કરવાના છે તે પણ કોઇથી અજાણ્યું નથી. એમ લાગે છે કે રાજકારણ એક નફાકારક રોકાણ છે ને પેઢીઓ તારવી હોય તો રાજકારણ જેવો બીજો સરળ ઉદ્યોગ નથી. જવા દે, એમાં આપણું કામ નહીં ! એમાં હોય તેના હાથ ચોખ્ખા ન હોય તે આમ પણ સમજી શકાય તેમ છે.

આમ તો અર્થશાસ્ત્રીઓ અને અનર્થશાસ્ત્રીઓએ પણ બજેટને વખાણ્યું છે. સરકારના મંત્રીઓને ને પક્ષકારોને તો બેકાર બજેટ પણ સારું જ દેખાવાનું. એકલું સારું જ દેખાય એ પણ એક પ્રકારનો અંધાપો જ છે, કારણ એમાં નબળું જોવાની દૃષ્ટિ નથી, તો વિપક્ષોને એમાં કૈં સારું નહીં દેખાય એ પણ ખરું, કારણ એને સારું જોવાની દૃષ્ટિ નથી. ટૂંકમાં બંને પાસે તટસ્થતાનો અભાવ છે, પણ હું સામાન્ય માણસ છું, મારામાં અક્કલ ઓછી હશે, પણ અંધાપો નથી. એટલું ખરું કે બજેટમાં કોરોના સેસ લાગુ થવાનું જોખમ હતું જ, પણ શૂળીનું વિઘન કિસાન સેસથી ગયું. એ પણ ખરું કે ગયા બજેટના ટેક્સ જ આવકવેરામાં ચાલુ રહ્યા. નવા ટેક્સ ન નાખ્યા તે માટે થેંક્સ, પણ માઇબાપ, આ અઢી લાખનો સ્લેબ આ સરકારમાં કે મારા આ જનમારામાં બદલાય એમ જ નથી? એ ખરું કે આ વખતે કોરોના હતો, પણ એના આગલા વર્ષે ને એના આગલા ને એના પણ આગલા વર્ષે તો કોરોના ન હતો ને? યે તો આગુસે ચલી આ રહી હૈ, ઉસ કા કુછ કરો, પ્લીઝ ! મોંઘવારી અઢી ગણી વધી હોય ને ઇન્કમટેક્સનો સ્લેબ અઢી લાખથી આગળ ચસે જ નહીં, એમાં મારા જેવા ડફોળને દાનત ખોરી હોવાનું દેખાય તો માફ કરી દેવાનો, બીજું શું?

બાય ગોડ, આ વખતે સૌથી વધુ આનંદ તો પંચોતેર+(પ્લસ)ને રિટર્ન ફાઇલ ન કરવાનું કહ્યું ત્યારે થયો. આવતું વર્ષ સ્વતંત્રતાનું પણ 75મું છે તો 75+ને રિટર્ન ફાઇલ કરવામાંથી માનભેર મુક્તિ આપવી. વાહ, ક્યા બાત હૈ ! આપણે બાપુ તો ખુશ કે ચાલો, વર્ષો પછી ધ્યાનમાં તો આવ્યું કે સિનિયર્સની દયા ખાવા જેવી છે ! જો જીવી જાય તો સિનિયર્સને રિટર્ન ફાઇલમાંથી મુક્તિ ! એની કળ વળે ત્યાં તો એવો ખુલાસો આવ્યો કે જેનું પેન્શન અને વ્યાજ એક જ ખાતામાં છે એને જ એ લાભ મળશે. એટલે કે એક્ચ્યુઅલી શું મળશે? મને અક્કલમઠ્ઠાને તો એવું હતું કે પંચોતેરિયાને રિટર્ન ફાઇલમાંથી મુક્તિ એટલે કે ટેક્સ ભરવામાંથી મુક્તિ, પણ પછી મગમાંથી પગ નીકળ્યા ત્યારે ખબર પડી કે એવું નથી. વાત એમ હતી કે રિટર્ન ફાઇલમાંથી મુક્તિ એટલે રિટર્ન ન ભરવાનું એટલું જ ! બાકી, ટેક્સ લાગતો હોય તો ટેક્સ કે ટી.ડી.એસ. તો કપાશે જ. એ જે તે બેન્ક કાપશે. એટલે પંચોતેરિયાએ હવે ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટને ત્યાં ન જતાં બેન્કનાં પગથિયાં ઘસવાનાં ! આમાં કાંદા શું કાઢ્યાં તે તો નથી ખબર, પણ કન્સલ્ટન્ટની ફી બચે એમ બને. એ પણ બચશે કે બેન્ક તેની ફી ઉમેરશે તે નથી ખબર. ટૂંકમાં, પહેલી ફેબ્રુઆરી, બધાં પંચોતેરિયા માટે પહેલી એપ્રિલ પુરવાર થઈ.

બધા પંચોતેરિયાને હોલસેલમાં એપ્રિલફૂલ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર.

બોલ્યું ચાલ્યું માફ.

— એક સાવ સામાન્ય માણસના જયભારત !

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ફેબ્રુઆરી 2021

Loading

8 February 2021 admin
← ઘા ….
આ મુશ્કેલ સમયમાં (50) →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved