Opinion Magazine
Number of visits: 9448927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અચ્છે દિન’ના હિસ્સેદાર બનવા માગતા દલિતોને શું મળ્યું?

મનીષા પાંડેય|Opinion - Opinion|27 October 2020

ચાર વરસ પહેલાંની વાત છે. મેં સોશિયલ મીડિયા પર લખ્યું, ‘બ્રાહ્મણોએ પોતાની સ્ત્રીઓને બરાબરીનો હક નથી આપ્યો. બ્રાહ્મણ પુરુષો ભલે ઊંચી જાતિના હોવાનો બિલ્લો લગાવીને ફરે, તેમની સ્ત્રીઓ માટે તો તે કોઈ ગૌરવની વાત નથી”. આ વાંચીને એક માણસે મને ઇન બૉક્સમાં આવીને ભૂંડી ગાળો દીધી. એનો પ્રોફાઇલ તપાસતાં હું એક એવા પેજ પર પહોંચી, જેમાં દેશના તમામ બ્રાહ્મણોને એક થવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય બ્રાહ્મણ એકતાનું આહ્વવાન એટલા માટે અપાયું હતું, કારણ કે તેમના પર કોઈ અદૃશ્ય આફત આવવાની હતી. જે ૪૦ લાખ લોકોએ આ પેજને લાઇક કર્યું હતું, તેમાં મારા પરિચિત ઘણા લોકો હતા.

આ પેજના કવર પર રામની તસવીર હતી. તેમના હાથમાં ધનુષ્ય હતું, બાણ ચઢાવેલું હતું, પ્રત્યંચા ખેંચેલી હતી અને આંખો ગુસ્સાથી લાલઘૂમ હતી. રામનું આ રૌદ્ર રૂપ ૧૯૯૨ પહેલાં આપણી ચેતન-અચેતન સ્મૃતિમાં ક્યાં ય ન હતું. રામની આંખોમાં મને એ જ લોહી ધસી આવેલું દેખાતું હતું, જે મૅસેજમાં મારા પર ગેંગરેપનું આહ્વવાન કરનારમાં હતું.

વિકાસથી હિંદુ રાષ્ટ્ર સુધી

૨૦૧૬માં રામમંદિર આંદોલનથી જાણીતા થયેલા પક્ષને સત્તામાં આવ્યે બે વરસ થઈ ગયાં હતાં. સત્તામાં આવવું હતું ત્યારે તે વિકાસનો વાયદો કરતા હતા, પણ તે જોતજોતામાં ક્યારે હિંદુ રાષ્ટ્રના એજેન્ડામાં ફેરવાઈ ગયો તેની ખબર જ ન પડી. વર્ષ ૨૦૧૪ પહેલાં બ્રાહ્મણવાદનો વિરોધ કરવા બદલ કોઈ આવી ગંદી ગાળોથી નવાજતું ન હતું. મોં મચકોડનારા ત્યારે પણ હતા. છતાં, સાચું લખી શકાતું હતું. ખોટું થતું હોય તો સવાલ કરી શકાતા હતા. કમ સે કમ, આપણે બ્રાહ્મણવાદને કેટલો નજદીકથી નિહાળ્યો છે તેના અનુભવ કહી શકતા હતા. કોઈ એમ તો નહોતું જ કહેતું કે તારા પર બળાત્કાર કરીશું.

૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના રાપરમાં ફેસબુક પર બ્રાહ્મણવાદનો વિરોધ કરનાર એડવોકેટ દેવજી મહેશ્વરીની હત્યા કરી નાંખવામાં આવી. હત્યારો તેમના જ ગામનો બ્રાહ્મણ, ભરત રાવલ છે. દેવજીભાઈ ફેસબુક પર ‘બ્રાહ્મણોની વિરુદ્ધ’ લખે, તે વાતે તેને વાંકુ પડતું હતું. જો કે તેઓ લખતા તો હતા બ્રાહ્મણવાદના વિરોધમાં, પણ ભરત રાવલને લાગતું હતું કે તેઓ બ્રાહ્મણોની વિરુદ્ધ લખે છે. હત્યા પૂર્વેની મહેશ્વરીની છેલ્લે ફેસબુક પોસ્ટ ‘દલિતો હિંદુ નથી’ તેમ જણાવતી વામન મેશ્રામની એક વીડિયો હતી.

ભરત રાવલે ઘણી વાર દેવજીભાઈને બ્રાહ્મણો વિરુદ્ધ ન લખવા ચેતવ્યા હતા. પણ દેવજીભાઈએ તેની ચેતવણી ગણકારી નહીં અને કહેતા રહ્યા કે “તારાથી જે થાય તે કરજે.” એટલે રાવલે તેનું ધાર્યું કર્યું. તે મુંબઈના મલાડથી રાપર ગયો, દેવજીભાઈની ઓફિસમાં ઘૂસીને ચાકુના ઘા પર ઘા કરીને તેમને મારી નાખ્યા. પોલીસે રાવલની ધરપકડ કરીને તેના પર કાયદેસરની કડક કલમો પણ લગાવી છે. પરંતુ તેનાથી આ સરકારના રાજમાં રોજેરોજ જે સવાલો ઊઠે છે તેનો જવાબ ક્યાં છે ?

હાથરસમાં એક દલિત યુવતી પર બળાત્કાર અને હત્યા પછી જાતિનો સવાલ એક વખત મુખ્ય ધારાની ચર્ચામાં આવ્યો છે. હાથરસની આસપાસનાં બાર ગામોના કથિત ઊંચી જાતિના લોકોએ પંચાયત બોલાવીને બળાત્કારના અરોપીઓને સાથ આપવાનું અને તેમના સમર્થનમાં આંદોલન કરવાનું એલાન કર્યું છે. આરોપીઓના ઘરવાળાઓનું કહેવું છે કે, “તેઓ નીચી જાતિના લોકો છે. અમે તેમનું પાણી પણ ના પીએ, તો પછી તેમની છોકરીઓને કઈ રીતે અડકીએ.”

દલિત સમાજમાં સૌથી કમજોર અને શોષિત વર્ગ પહેલાં પણ હતો, અત્યાચારો પહેલાં પણ થતાં હતાં. પરંતુ આ વખતે જે આત્મવિશ્વાસ સાથે સવર્ણ સમાજ એકત્ર થયેલો જોવા મળે છે, એવું પહેલાં થતું નહોતું.

દલિતો પરના અત્યાચારોમાં વધારો

બે વરસ પહેલાંના, ૨૦૧૮ના, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ગયાં દસ વરસમાં દલિતો પરની હિંસામાં ૬૬ ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં જ્યાં ભા.જ.પ.ની કે ભા.જ.પ.-સમર્થિત પક્ષોની સરકારો છે, તે રાજ્યોમાં દલિત અત્યાચારોના સૌથી વધુ બનાવો નોંધાયા છે. ચૂંટણીના આંકડા જોઈએ તો લાગે છે કે જ્યારે દલિતો ભા.જ.પ. ભણી ખેંચાયા ત્યારે તેમનો વિશ્વાસ અને આશા કંઈક જુદાં જ હતાં.

આઝાદ ભારતના ઇતિહાસમાં ૨૦૧૪ની ચૂંટણીઓ એવો પહેલો અવસર હતી, જ્યારે દલિતોએ સૌથી વધુ સંખ્યામાં કમળનું બટન દબાવ્યું હતું. લોકસભાની કુલ ૫૪૩માંથી દલિતો માટે ૮૪ અનામત બેઠકો હતી. તેમાંથી ૪૦ બેઠકો ભા.જ.પે. જીતી લીધી. આટલી મોટી સંખ્યામાં ભા.જ.પ.ના દલિત સાંસદો બન્યા, તે લોકતંત્રમાં પહેલીવાર બન્યું હતું. વિકાસ અને ‘અચ્છે દિન’નું સપનું એટલું તો સોનેરી હતું કે વિકાસમાં સૌથી તળિયે રહેલા દલિતો પણ તેમાં પોતાની હિસ્સેદારી માગવા માટે જોડાઈ ગયા.

પરંતુ તેમના હાથમાં આખરે શું આવ્યું ? જ્ઞાતિની શ્રેષ્ઠતાના અહંકારમાં ગળાડૂબ પાર્ટીની રાજનૈતિક વિચારધારા દિનબદિન મજબૂત થતી ગઈ. સમાજનો એક વર્ગ જે પહેલાં કાયદાના ડરથી દલિતો વિરુદ્ધ ખુલ્લેઆમ બોલતાં ડરતો હતો, તે ખુલીને બોલતો થયો. ખૂબ જ ઝનૂનથી ગૌરી લંકેશ, ગોવિંદ પાનસરે અને કલબુર્ગી જેવાં લોકોની હત્યા કરવામાં આવી. મુંબઈમાં દલિત મહિલા ડોંક્ટરને કશા ડર કે ખચકાટ વિના કહેવામાં આવ્યું કે તે અનામતથી બનેલાં ડૉક્ટર છે, મૅરિટવાળાં નથી.” ગુજરાતના ઉનામાં ગૌહત્યાના ખોટા આળથી દલિતોની બર્બર મારઝૂડ જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. યુનિવર્સિટી કેમ્પસમાં રોહિત વેમુલાને આત્મહત્યા કરવા મજબૂર કરાયા હતા.

આ જે કંઈ બન્યું તે અંગે મારી  આસપાસના કોઈ  ભાગ્યે જ ચિંતા કરતા કે દુ:ખી થતાં જોવા મળે છે. મારા પરિવારના પંડિતજીઓ આજે પણ કાન પર જનોઈ ચઢાવી, પોતાની જાંઘો ખંજવાળતા ખંજવાળતા એમ જ કહેતા સંભળાય છે કે મોદીજી આવી ગયા છે. હવે અનામત પણ ગઈ સમજો. મારા નાતીલા બ્રાહ્મણોના મતે આ દેશમાં બે જ સમસ્યાઓ છે : અયોધ્યામાં રામમંદિર બની જાય અને કાયદાની કિતાબોમાંથી અનામતનું નામોનિશાન મિટાવી દેવાય.

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં આવેલું છે મારું ગામ. લગભગ ૩૦ વરસો પહેલાં ઘરથી પાંચસો ડગલાં દૂર, ખેતરની પેલે પાર એક વસ્તી હતી. મારી દાદી એને જે નામે ઓળખતાં, તે શબ્દ હવે ગેરકાયદે ગણાય છે. પણ દલિત કવિ નીરવ પટેલે તેમની એક કવિતામાં તેને ‘ફૂલવાડો’ કહ્યો છે. અમને ત્યાં જવાની સખત મનાઈ હતી. એમ તો ઘરનું આગણું છોડવાની પણ મનાઈ હતી જ ને? પણ ખેતરની પેલી મેર જવાની તો જરા ય મંજૂરી નહોતી.

ક્યારેક દલિતોની વસ્તીમાંથી કોઈ અમારે ત્યાં આવે તો હાથ જોડીને, શરીર સંકોરીને એક બાજુ જમીન પર બેસે. પંડિતજી ખાટલે બેસી હુક્કો ગગડાવે ને બાપડો દલિત ગભરાતો-ગભરાતો કંઈક બોલે. એક વાર કાકા ક્યાંક જતા હતા. એટલે હું એમની ભેળી ગઈ. જેવા અમે દલિત વસ્તીમાં ગયાં કે જે દલિતો ખાટલા પર  બેઠા હતા, તે ફટાફટ ઊભા થઈ ગયા. હું અને કાકા ખાટલે બેઠા અને બુઢ્ઢા દલિત જમીન પર. પંડિતજી માટે દલિત વસ્તીમાં પણ ખાટલો અનામત હતો. હું નાની બાળકી હતી, પણ શક્તિ અને અહંકારનું જે રૂપ મેં એ સમયે (ત્રણ દાયકા પહેલાં ) જોયું તે મને સારું નહોતું લાગ્યું.

અઢાર વરસ પછી ફરી એક વાર ગામ જવાનું થયું. ત્યાં સુધીમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. મંડલ કમિશનનો અમલ થઈ ચૂક્યો હતો. ઉત્તર પ્રદેશના રાજકારણમાં બ્રાહ્મણોનો દબદબો પહેલા જેવો નહોતો રહ્યો. ગામથી શહેર ભણવા ગયેલો દલિત યુવાન સરકારી નોકરી મેળવી ‘સાહેબ’ બનીને ગામમાં આવ્યો હતો. આ વખતે હું ચહીને દલિત વસ્તીમાં ગઈ. દલિત વસ્તીની સૂરત બદલાઈ ગઈ હતી. ઘર પાકાં ઈંટેરી બન્યાં હતાં. પરસાળમાં મોટરસાઇકલ પડી હતી. દસ ઘરની એ દલિત વસ્તીની વચ્ચોવચ્ચ એક છાપરા નીચે સૂટ પહેરેલા અને હાથમાં બંધારણ સાથેના ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હતી. આ જ એ બદલાવ હતો, જે ગામના બ્રાહ્મણોને ખૂંચતો હતો. હવે બુઢા દલિત એમના માટે ખાટલા પરથી ઊભા થતા નહોતા. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા, એ વખતે વરસોથી અમેરિકામાં રહેતા મારા એક ઇન્ડિયન દોસ્તને એક ગોરા અમેરિકને પેટ્રોલ પંપ પર ખીજાઈને સંભળાવેલું, “ગેટ રેડી ટુ ગો બૅક” (બિસ્તરાપોટલાં બાંધવા માંડો અને તમારા દેશમાં જવાની તૈયારી કરો.)

ગામના બ્રાહ્મણો ત્યારથી એવા મોકાની રાહમાં છે કે ક્યારે તેઓ દલિતોને ‘ગો બેક’ કહી શકે. પણ શું ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી શકાય?

(સૌજન્યઃ ‘ધ પ્રિન્ટ’-હિંદી, અનુવાદઃ ચંદુ મહેરિયા)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 11-13

Loading

27 October 2020 admin
← સમાજ અને રાષ્ટ્રહિત-ચિંતક, સર્જક મોહનભાઈની વિદાય ….
કૉલેજને વિદ્યાર્થિનીઓ સુધી લઈ જવાનો સફળ પ્રયાસ →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved