Opinion Magazine
Number of visits: 9506093
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દુનિયાની નજર ભારતનાં ન્યાયતંત્ર પર

રમેશ ઓઝા|Opinion - Opinion|23 August 2020

અહીં તો ન્યાય ન્યાયાધીશોનો તોળાવાનો છે

ઘટનાક્રમ રસપ્રદ છે. ૧૯૧૭ના એપ્રિલ મહિનાની ૧૮મી તારીખના એ ઐતિહાસિક દિવસની આજે યાદ આવે છે. બિહારના ચંપારણ જિલ્લાના વડામથક મોતીહારીમાં ગાંધીજી સામે મુકદ્દમો ચાલવાનો હતો. તેમની સામે આરોપ હતા શાંતિભંગ કરવાના ઈરાદાથી ચંપારણમાં પ્રવેશવાનો અને ગળીનું વાવેતર કરતા ખેડૂતોને ઉશ્કેરવાનો. ટૂંકમાં ઉશ્કેરાટ અને હિંસા ફેલાવવાના ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા. અદાલતના જજસાહેબે એમ માન્યું હતું કે ગાંધીજી બેરિસ્ટર છે એટલે પોતાના બચાવમાં લાંબી લાંબી દલીલોનો મારો ચલાવશે. સરકારની ધારણા પણ એવી જ હતી એટલે રાંચીથી (ત્યારે અવિભક્ત બિહારની રાજધાની રાંચી હતી) મોટા અંગ્રેજ વકીલો કાયદાના મોટા થોથાં લઈને અદાલતમાં હાજર થયા હતા.

બરાબર અગિયારના ટકોરે અદાલતમાં સુનાવણી શરૂ થઈ. ગાંધીજી સામેનું આરોપનામું વાંચી સંભળાવવામાં આવ્યું. એ પછી ગાંધીજીએ પોતાનું નિવેદન વાંચવાની રજા માગી જે તેમને આપવામાં આવી. ગાંધીજીએ તેમના નિવેદનમાં કહ્યું કે, ‘હું ગળી ઉગાડનારા ખેડૂતોની સાચી હાલત જાણવા માટે ચંપારણ આવ્યો છું. સત્ય જાણવું અને સત્ય દુનિયાને કહેવું એ દરેક વ્યક્તિનો માનવીય અધિકાર છે અને તે જો ગુનો હોય તો એ ગુનો હું વારંવાર કરવાનો છું. હું સ્વેચ્છાએ ચંપારણ છોડીને જવાનો નથી. તમે મને બળજબરી ચંપારણની બહાર મોકલશો તો હું પાછો આવીશ. ત્યાં સુધી આવીશ જ્યાં સુધી મારી અંદર પ્રાણ છે. હા, સત્ય જાણવા માટે ચંપારણમાં પ્રવેશવું અને લોકોને મળવું એ જો અદાલતની દૃષ્ટિએ ગુનો બનતો હોય તો તમે મને સજા કરીને જેલમાં મોકલી શકો છો. આનાથી વધારે મારે મારા બચાવમાં કાંઈ કહેવું નથી એટલે અદાલતે દલીલો દ્વારા તેનો કિંમતી સમય બગાડવાની જરૂર નથી. હું અત્યારે જ જેલ જવા તૈયાર છું.’ — ગાંધીજીની પાસે એક બેગ પડી હતી જેમાં જેલમાં લઈ જવા માટેનાં કપડાં અને પુસ્તકો હતાં.

જજ શું બોલે! ગણીને ૧૫ મિનિટમાં ખટલો પૂરો. હવે? જજે અસમંજસની સ્થિતિમાં અત્યંત વિનય સાથે કહ્યું : મિ. ગાંધી, ચુકાદો પછી આપું તો ચાલે? બપોર પછી વળી જજસાહેબે ગાંધીજીને પૂછ્યું કે ચુકાદો બે દિવસ પછી આપું તો ચાલે?

અત્યારે સર્વોચ્ચ અદાલતમાં ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. અદાલતના તિરસ્કારના કેસમાં સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોની બેન્ચે પ્રશાંત ભૂષણને ગુનેગાર ઠરાવ્યા, પણ પછી કહ્યું હતું કે ચુકાદો હમણાં નહીં ૨૦મી ઑગસ્ટે આપવામાં આવશે. મેં મારી ગુરુવારની કૉલમમાં લખ્યું હતું એમ ૨૦મી તારીખે જજોએ અને અદાલતે પોતે જ પોતાના વિષે ચુકાદો આપવાનો હતો અને એ સાથે આખું જગત ભારતનાં ન્યાયતંત્ર અને સર્વોચ્ચ અદાલત વિષે ચુકાદો આપવાનું હતું.  આમ તો ભારતનાં ન્યાયતંત્રનો ન્યાય થઈ જ ગયો છે, હવે સજા સંભળાવીને કેટલી હદે તે નીચે જાય છે એ જ દુનિયાને બતાવવાનું હતું. આખી સભ્ય દુનિયાની નજર ગુરુવારે જગતના સૌથી મોટા લોકશાહી દેશની સર્વોચ્ચ અદાલત પર હતી.

મોતોહારીના મેજિસ્ટ્રેટની માફક સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયમૂર્તિઓએ હજુ વધુ બે દિવસ સજા સંભળાવવાનું માંડી વાળ્યું છે. તેમણે પ્રશાંત ભૂષણને કહ્યું હતું કે, ‘તમે તમારા કથન માટે થોડો પણ ખેદ પ્રગટ ન કરો!’ સામે પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, ‘હું દયાની યાચના કરવા માટે અહીં ઊભો નથી. મેં કશું ખોટું કર્યું નથી, પણ અદાલતને એમ લાગે છે કે મેં ગુનો કર્યો છે તો સજા ભોગવવા હું આ ક્ષણે જ તૈયાર છું. મેં જ્યારે ખોટું કર્યું જ નથી ત્યાં ખેદની ક્યાં વાત આવી?’

અદાલતે પ્રશાંત ભૂષણને ગુનેગાર તો ઠરાવ્યા પણ હવે સજા કરતા સંકોચ અનુભવે છે, કારણ કે આખી દુનિયામાં સર્વોચ્ચ અદાલતની થૂ થૂ થઈ રહી છે. આખું જગત ભારતના ન્યાયતંત્રને  ન્યાયના ત્રાજવે તોળી રહ્યું છે. અદાલતને અને જજોને અત્યારે લખાઈ રહેલા લોકતંત્રના કાળા ઇતિહાસના પ્રકરણમાં અમર થવામાં ડર લાગે છે. તેમને ખબર છે કે ઇતિહાસ તેમને બંધારણદ્રોહના ગુના માટે ગુનેગાર ઠેરવવાનો છે.

ના, પ્રશાંત ભૂષણ કોઈ ગાંધીજી નથી. વીર બે પ્રકારના હોય છે. એક વીર જે પોતે વીરતા બતાવીને જાય અને બીજા મહાવીર જે વીરત્વનો ચેપ લગાડીને જાય. ગાંધીજી આવા મહાવીર હતા. દુનિયાને તેમણે નિર્ભય થઈને અવાજ પ્રગટ કરતા શીખવ્યું. આજે દુનિયામાં કરોડો લોકો સત્યને વાચા આપી રહ્યા છે. ઘણા લોકોને એવો ભ્રમ છે કે ગોળી, ગાળ કે દંડવાથી અવાજ બંધ થઈ જતા હોય છે. જેનું કોઈ પરિણામ આવતું નથી એ વાંઝિયો માર્ગ તેઓ વારંવાર અપનાવે છે. દુનિયાના બીજા અનેક લોકોની જેમ પ્રશાંત ભૂષણ અવાજ કરવાની નિર્ભીકતા ધરાવે છે. માટે તો ૧૦૩ વરસ પછી સર્વોચ્ચ અદાલતમાં મોતીહારીનું પુનરાવર્તન થઈ રહ્યું છે. માત્ર એક તસુ પાછીપાની ન કરો! નહીં? ઠીક, તો ચુકાદો પછી સંભળાવું તો ચાલે?

એટલું કબૂલ કરવું રહ્યું કે મોતીહારીના અંગ્રજ જજ સર્વોચ્ચ અદાલતના ત્રણ જજો કરતાં વધારે પ્રમાણિક, પારદર્શક અને બાહોશ પણ હતા. ગુનેગાર ઠેરવો તો સજા કરવી પડે અને દરેક વખતે સજા કરવી સહેલી નથી હોતી. મોતીહારીના જજે ગાંધીજીને ગુનેગાર જ નહોતા ઠેરવ્યા એટલે સજા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો. કોઈ એવો ગુનેગાર પણ હોય જે ગુનેગાર નથી હોતો, એવો ગુનેગાર ગુનાનો બચાવ નથી કરતો અને એવો ગુનેગાર સજાથી બચવા યાચના નથી કરતો. આવું જ્યારે બને અને ન્યાયાધીશોને તેની જાણ હોય ત્યારે ન્યાય ન્યાયાધીશનો તોળાતો હોય છે.

આજે સર્વોચ્ચ અદાલત અને તેના જજો કઠઘરામાં ઊભા છે. કસોટી રોજ નથી થતી, પણ જ્યારે થાય છે ત્યારે પસીનો છોડાવી દેતી હોય છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ઑગસ્ટ 2020

Loading

23 August 2020 admin
← ગુજરાતમાં ૭૦ માળની ઇમારતો સંદર્ભે ચિંતન અને ચિંતા …
વિકાસનામાની સફરમાં સામાન્ય માણસ ક્યાં ? →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved