Opinion Magazine
Number of visits: 9448067
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુ રાષ્ટૃવાદે દેશ અને દેશની વિદેશનીતિને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|30 July 2020

૧૯૯૧માં શીતયુદ્ધનો અંત આવ્યો ત્યારે ઠરેલ અને બાહોશ તરીકેની ખ્યાતિ ધરાવતા પી.વી. નરસિંહ રાવ ભારતના વડા પ્રધાન હતા. તેઓ વડા પ્રધાન બન્યા એ પહેલા તેઓ રાજીવ ગાંધીની સરકારમાં વિદેશ પ્રધાન હતા. એ સમયે પૂર્વ યુરોપમાં સામ્યવાદનું પતન શરૂ થઈ ગયું હતું અને સોવિયેત રશિયાના મહામંત્રી ગોર્બાચોવ સામ્યવાદી રશિયામાં જરૂરિયાત મુજબ પરિવર્તનો કરવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. આખા જગતને ત્યારે સમજાઈ ગયું હતું કે સામ્યવાદી રશિયા એના એ સ્વરૂપમાં અને રશિયાનો સામ્યવાદ એના એ સ્વરૂપમાં ટકી શકે એમ નથી. બેમાંથી એકનું અને કદાચ બન્નેનું પતન થશે.

ચીનની વાત જુદી હતી. ચીને તેની આર્થિક નીતિમાં સુધારા કરીને મૂડીવાદી ઢાંચો દાયકા પહેલા અપનાવીને સામ્યવાદી અર્થતંત્રને કારણે ચીનનું રાજકીય પતન ન થાય એનો ઈલાજ શોધી કાઢ્યો હતો. એ ઈલાજ કેટલો અક્સીર નીવડશે એ ત્યારે હજુ સામ્યવાદી શાસકો પણ નહોતા જાણતા. ચીનનો રાજકીય ઢાંચો સામ્યવાદી હતો. ચીનના નવા વર્ણસંકર ઢાંચામાં ધંધો કરવાની સ્વતંત્રતા હતી, બોલવાની કે વર્તવાની નહોતી. આજે ત્રણ દાયકા પછી અનુભવ એમ કહે છે કે ચીનને હજુ સુધી તો એનો ફાયદો થઈ રહ્યો છે.

દક્ષિણ એશિયાના દેશોની વાત કરીએ તો આ બાજુ અફઘાનિસ્તાનમાંથી રશિયાએ પોતાનાં સૈનિકો પાછા ખેંચતા નવરા પડેલા જેહાદીઓ ભારત તરફ વળ્યા હતા. પાકિસ્તાન ત્રાસવાદના ઉછેરનું કેન્દ્ર બની ગયું હતું અને તેણે ત્રાસવાદને ભારત સામેની વિદેશનીતિ તરીકે અપનાવ્યો હતો. પાકિસ્તાને અને પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદે નવા પડકારો પેદા કર્યા હતા. શ્રીલંકામાં પણ તમિલો અને સરકાર વચ્ચેનો સંઘર્ષ તેની ચરમસીમાએ હતો. બંગલાદેશમાં ખાલેદા ઝીયાની ભારત વિરોધી સરકાર આવી હતી. બર્માનો લશ્કરે કબજો કર્યો હતો અને બર્માના શાસકો ભારતવિરોધી હતા. બર્માના લોકપ્રિય નેતા સુ કીને તેમણે નજરકેદ કર્યાં હતાં. આ બધી જ લગભગ એક જ અરસાની ઘટનાઓ છે.

દેખીતી રીતે નવી સ્થિતિમાં ભારતની વિદેશનીતિને નિર્ણાયક વળાંક આપવો પડે એમ હતો. હવે રશિયા નામનું સંતુલન સમાપ્ત થઈ રહ્યું હતું, દુનિયા એક ધ્રુવીય બની ગઈ હતી.

નવી સ્થિતિમાં ભારતે કયો માર્ગ અપનાવવો જોઈએ? કાળના પ્રવાહમાં આવા પ્રસંગો આવતા હોય છે જ્યારે નવા યુગને ઓળખીને નવો માર્ગ અપનાવવો પડતો હોય છે. ભારત પાસે બે વિકલ્પો હતા અને એ બન્નેના લાભાલાભ હતા. કોઈ વિકલ્પ સો ટકા ફાયદાકારક નહોતો. એક વિકલ્પ એવો હતો કે એક તો આફતગ્રસ્ત અને ઉપરથી ભારત માટે ચાહી કરીને આફત પેદા કરનારા તેમ જ પોતાની આફતની નિકાસ કરનારા પાડોશી દેશોને પડતા મૂકીને પાકિસ્તાનની આગળના પશ્ચિમના દેશો અને બર્માની આગળના પૂર્વના દેશો તરફ નજર દોડાવવામાં આવે. દુનિયા બહુ મોટી છે અને નવી સ્થિતિમાં ભારતે નવા સંબંધો બાંધીને, જૂનાને સુધારીને પોતાના માટે તક શોધવી જોઈએ. બીજો વિકલ્પ એવો હતો કે ભારતે પાડોશી દેશો સાથે ઉદારતાપૂર્વક થોડું સહન કરી લઈને પણ સંબંધો સુધારવા જોઈએ. આની પાછળનો દૃષ્ટિકોણ એવો હતો કે પાડોશી દેશો ભારતને તેની વિકાસયાત્રામાં અવરોધતા રહેશે અને જગતના દેશો તેનો લાભ લેશે. શરીર ઉપર વળગેલી બગાઈને કારણે રેસમાં ઘોડો હારી જાય એ તો મૂર્ખાઈ કહેવાય. દરેક દેશની પોતપોતાની બગાઈ હોય છે અને તેનો ઈલાજ કરવો પડતો હોય છે. સંબંધોમાં ઉદારતા અથવા ખમી ખાવું એ બગાઈનો ઈલાજ હતો. આખરે નવમૂડીવાદી જગતમાં નવી તકો થવા લાગી હતી એ ગુમાવવાની ન હોય!

પહેલા અભિગમના પુરસ્કર્તા રાજીવ ગાંધીની સરકારમાં વિદેશ પ્રધાન રહેલા અને પછી વડા પ્રધાન બનેલા પી.વી. નરસિંહ રાવ હતા જે નરસિંહ રાવ ડોક્ટ્રીન તરીકે ઓળખાય છે અને બીજા અભિગમના પુરસ્કર્તા વી.પી. સિંહની સરકારમાં વિદેશ પ્રધાન રહેલા અને પાછળથી વડા પ્રધાન બનેલા ઇન્દર કુમાર ગુજરાલનો હતો જે ગુજરાલ ડોક્ટ્રીન તરીકે ઓળખાય છે. ૧૯૮૭-૮૮થી આ બે અભિગમ જરૂરિયાત મુજબ વારાફરતી અને ક્યારેક એક સાથે અપનાવવામાં આવતા રહ્યા છે. સરકાર કૉન્ગ્રેસની હોય, ત્રીજા મોરચાની હોય કે બી.જે.પી.ની હોય; આ બે અભિગમ ભારતની વિદેશનીતિના છેલ્લા બે દાયકા દરમ્યાન દિશાદર્શન (નેવિગેશન) તરીકેનું કામ કરે છે. 

સાધારણપણે સરકાર બદલાય એમ વિદેશનીતિ બદલાતી નથી. શીતયુદ્ધ પછીની આ નવી વિદેશનીતિને દરેક સરકારે અપનાવી હતી અને કેન્દ્ર સરકારમાં કોઈને કોઈ સમયે ભા.જ.પ.થી લઈને સામ્યવાદીઓ સુધી કોણે સત્તા નથી ભોગવી? સામ્યવાદીઓ સહિત ભારતમાં ભાગ્યે જ એવો પક્ષ હશે જેણે સત્તા ન ભોગવી હોય, પણ વિદેશનીતિ એ જ ચાલતી આવતી હતી. પ્રસંગોપાત ક્યારેક નરસિંહ રાવનો માર્ગ તો ક્યારેક ગુજરાલનો અને ક્યારેક બન્ને!

હવે આપણે નરેન્દ્ર મોદીની સરકારની વાત કરીએ. તેઓ ૨૦૧૪માં દેશના વડા પ્રધાન બન્યા ત્યારે ઉપર કહ્યા એ બે પ્રકારના અભિગમમાંથી કયો અભિગમ અપનાવવો કે પછી બન્ને એક સાથે અપનાવવા કે પછી સાવ નવો જ અભિગમ અપનાવવો એ નક્કી કરવાનું હતું. તેમનો એ અધિકાર હતો અને તેમનું એ કર્તવ્ય પણ હતું. આ ઉપરાંત જેમ ૧૯૮૭-૧૯૯૧નાં વર્ષોમાં જગતના રાજકારણમાં નિર્ણાયક પરિવર્તન આવ્યું હતું એમ ૨૦૦૮-૨૦૧૪નાં વર્ષોમાં જગતના રાજકારણમાં અને રાજકારણને પ્રભાવિત કરનારા અર્થકારણમાં નિર્ણાયક પરિવર્તન થયું હતું. એ દૃષ્ટિએ પણ ભારત સરકારે તેની વિદેશનીતિનું પુનરાવલોકન કરવું પડે એમ હતું.

એ વરસોમાં બે ઘટના બની. એક. અમેરિકાએ તેની રાજકીય અને આર્થિક સરસાઈ ગુમાવી દીધી અને કોરોના પછી જે છે એ પણ ગુમાવી દેશે. બે. યુરોપના દેશોનો આર્થિક વિકાસ અટકી પડ્યો, કેટલાક દેશોમાં નેગેટીવ ગ્રોથ જોવા મળ્યો, એ દેશો મંદીનો શિકાર બની ગયા. આ બાજુ ચીન પશ્ચિમના દેશોના માર્કેટ ઉપર નિર્ભર હોવા છતાં અને ચીનનું અર્થતંત્ર નિકાસકેન્દ્રી હોવા છતાં ચીન ઝડપભેર સરસાઈ મેળવી રહ્યું હતું. આ ઉપરાંત ચીનની આર્થિક સફળતા તેની રાજકીય મહત્ત્વાકાંક્ષામાં પરિવર્તિત થવા લાગી હતી. આમ ભારતને તેની વિદેશનીતિનું પુનરાવલોકન કરવા માટે કારણો હતાં.

થયું શું? ભારતમાં પચીસ વરસ પછી સંપૂર્ણ બહુમતી સાથે અને પ્રજાની લોકચાહના સાથે અર્થાત્ પ્રજાનો વિશ્વાસ ધરાવનારી મજબૂત સરકાર આવી. હવે એમ લાગ્યું કે સંસદીય રાજકારણમાં સંખ્યાના અવરોધના કારણે જે કેટલાક અઘરા નિર્ણયો લેવામાં નહોતા આવતા એ હવે લેવામાં આવશે. ૧૯૯૦ સુધી ભારત અને ચીનના આર્થિક વિકાસમાં બહુ ખાસ અંતર નહોતું. એ અંતર પડ્યું ૧૯૯૦ પછી અને તેનું કારણ શાસકો પાસે બહુમતીનો અભાવ હતું. દરેક મહત્ત્વપૂર્ણ નિર્ણયોને અવરોધવામાં આવતા હતા. જો સરકાર યુ.પી.એ.ની હોય તો એન.ડી.એ. સંસદ ચાલવા ન દે અને સરકાર જો એન.ડી.એ.ની હોય તો યુ.પી.એ. સંસદ ચાલવા ન દે. દેશને આર્થિક દિશામાં હરણફાળ ભરવામાં કેટલાક સુધારા કરવા પડે એમ હતા જે થવા દેવામાં નહોતા આવતા. દેશ ભલે પાછળ રહી જાય, વર્તમાન શાસકોને સફળતાનો યશ ન મળવો જોઈએ. આવા ટૂંકા રાજકીય સ્વાર્થના કારણે ભારતે મૂલ્યવાન વરસો ગુમાવી દીધાં અને ચીન આંબી ન શકાય એટલી હદે આગળ નીકળી ગયું.

આ સ્થિતિમાં ૨૦૧૪માં સંસદમાં બહુમતી અને પ્રજાનો વિશ્વાસ એમ બન્ને વસ્તુ ધરાવનારી સરકાર કેન્દ્રમાં આવી. આનાથી વધારે મોટો સુવર્ણ અવસર બીજો કયો હોઈ શકે અને એ પણ એ સમયે જ્યારે જગતનું રાજકારણ ફરી એકવાર કરવત બદલતું હોય. ત્યારે એમ લાગતું હતું કે નવી સરકાર નવા સમયને અનુરૂપ વિદેશનીતિ અપનાવશે. પણ ગાડી પાટે ચડી જ નહીં અને તેનું કારણ હતું સોનાની થાળીમાં લોઢાની મેખ. એ લોઢાની મેખ હતી હિંદુ રાષ્ટ્રવાદ. હિંદુ રાષ્ટ્રવાદે રાષ્ટ્રને જ નુકસાન પહોંચાડ્યું એ કઈ રીતે એની વાત હવે પછી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30  જુલાઈ 2020

Loading

30 July 2020 admin
← ખાનગીકરણ અને સરકારીકરણની વાર્તા
Rate Race — →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved