Opinion Magazine
Number of visits: 9452493
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાન્ય બુદ્ધિ સામાન્ય રીતે બધાંમાં સામાન્ય નથી હોતી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 July 2020

એક તરફ ચીન અને ભારત મંત્રણાઓ કરે છે ને બીજી તરફ ચીન ૨૦ હજાર સૈનિકો એલ.એ.સી. પર ગોઠવે છે. પાકિસ્તાન પણ આ તકનો લાભ ઉઠાવીને એલ.ઓ.સી. પર ૨૦.૦૦૦ સૈનિકો ગોઠવીને ભારતની વધુ કસોટી કરવાનો ખેલ પાડી રહ્યું છે. તે જન્મ્યું ત્યારથી મેન્ટલી રિટાર્ડેડ છે. ચીનની એકાએક ૫૯ એપ્લિકેશન્સ બંધ કરીને ભારત, અમેરિકા સહિત ઘણાં રાષ્ટ્રોને ચીનનો વિરોધ કરવાની પ્રેરણા આપે છે તો બીજી તરફ ભારતીય ચેનલો ચીની રેસિપી બનાવવાની જાહેરાત લગભગ દરેક બ્રેકમાં બતાવે છે. તે પાપી પેટને માટે જ હશે એમ મન મનાવવું પડે.

ગુજરાતમાં કોરોના ૩૩ હજારને પાર કરી ગયો છે ને મૃત્યુ આંક ૧૯૦૦ને સ્પર્શવા જઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ સૂરતમાં માર્ચમાં નોંધાયો હતો ને અત્યારે પણ કોરોનામાં સૂરત રાજ્યમાં ટોપ પર છે. ગુજરાત અનલોક થતાં બીજા ઉદ્યોગની જેમ સૂરતમાં હીરા ઉદ્યોગ પણ શરૂ થયો ને સંક્રમણ વધતાં તેને બંધ કરવો પડ્યો. જો સાચવવામાં નહીં આવે તો ટેક્સટાઈલ ઉદ્યોગની હાલત પણ એવી જ થશે તેવી ચેતવણી તંત્રોએ આપી છે. સરકારને ઊંડે ઊંડે પણ એમ છે કે લોકો સુધરશે ને બધું પાળશે. સરકાર પણ સુધરે એવું લોકો પણ ઈચ્છે છે. રેલવેએ ટ્રેન ચાલુ કરવાનો પ્રયોગ કરી જોયો, પણ રોગ વકરી રહ્યો છે એવું લાગતાં સ્પેશિઅલ ટ્રેનો જ ચાલુ રાખવી તેવું નક્કી થયું. એ ખબર નથી પડતી કે સ્પેશિયલ ટ્રેનો રોગ નથી ફેલાવતી એટલે ચાલુ છે કે કમાણી એમાં જ વધારે છે એટલે ચાલુ છે? અનલોક-૨માં રાતના ૧૦થી સવારે ૫ સુધી બંધી રખાઈ છે, જે અગાઉ ૯થી શરૂ થતી હતી. રોગ એટલો ભલો છે કે એ રાતના જ ફેલાય છે એટલે રાતના બધું બંધ રાખીએ તો ચાલે, ખરુંને?

એક વાત સમજી લેવાની રહે કે સરકાર પ્રાયોગિક ધોરણે બધું ચાલુ કરી જુએ છે ને એમ લાગે કે એનાથી સ્થિતિ વધારે બગડે એમ છે તો ફરી બંધ કરે છે. ૧ જુલાઈએ ડોક્ટર્સ ડે ગયો. એ દિવસે ગુજરાતમાં કોરોનાને કારણે બે ડોક્ટરોના મૃત્યુ થયા. આ રોગે આ ઉપરાંત પણ ઘણા ડોક્ટરોના જીવ લીધા છે. બધી કાળજી લેવા છતાં ડોકટરો પોતે સલામત ન હોય તો સામાન્ય માણસ પર જોખમ વધુ રહે તે સૌને સમજાવું જોઈએ. આખી દુનિયામાં કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે એ આપણે જાણીએ છીએ. ભારતમાં, રાજ્યોમાં, શહેરોમાં રોગ વકરી રહ્યો છે તે પણ આપણે જાણીએ છીએ. એમાં સરકારો થઈ શકે એટલું કરે છે. એને કોરોનાની એક જ જવાબદારી નથી, બીજા અનેક મોરચે તે ટકવાના અને ટકાવવાના પ્રયત્નો કરે છે. આ બધામાં પાછું પેટા ચૂંટણીનું બખડજંતર તો ખરું જ. આવામાં તે સામાન્ય બુદ્ધિ પણ વાપરે એવી અપેક્ષા વધારે પડતી છે. એ આપણી ભૂલ છે કે આપણે એવું માનીએ છીએ કે સામાન્ય બુદ્ધિ બધામાં સામાન્ય હોય છે.

સરકારે આર્થિક બાજુનો વિચાર કરવાનો હોય જ છે. એ બધું ફરી બંધ કરે તો આર્થિક માર એટલો પડે કે ફરી ઊભા થવાનું ને ટકવાનું એકદમ મુશ્કેલ થઈ પડે. બધી જ બાજુએ સરકાર દોડે ને આપણે ફરિયાદ જ કર્યા કરીએ એ પણ રોગની જ નિશાની છે. સરકારની ટીકા જરૂર કરીએ, પણ આપણી જવાબદારીમાંથી છટકીને એ કામ કરવાનો આપણને અધિકાર નથી. એ સ્થિતિમાં પ્રજા તરીકે રોગ પર કાબૂ મેળવવા આપણે જ પ્રયત્ન કરવાનો રહે. રોગ સરકારને નહીં, આપણને થાય એમ છે. હવે આપણે જ જો રોગને આમંત્રણ આપીશું તો એનાથી નુકસાન આપણને જ છે. આપણે જ આપણને પૂછવા જેવું છે કે કામ અને કારણ વગર આપણે ખરેખર કેટલું બહાર રહીએ છીએ? એમાં બહાદુરી છે કે પછી આપણે પોતાને અને બીજાને માટે જોખમ વધારવા આવું કરી રહ્યાં છીએ?

આપણે જાણીએ છીએ કે તઘલખી ન હોય તો એ સરકાર નહીં. ગરબડો કરવી એ સરકારની કામગીરીનો જ એક ભાગ છે. એક સમાચાર જરા વિગતે જોઈએ. શિક્ષણમંત્રીએ ૧ જુલાઈની બુધવારે સવારે જાહેર કર્યું કે ૨ જુલાઈથી ગુજરાતની બધી યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ લેવાશે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપી દેવામાં આવી ને એ જ બુધવારે એ જ શિક્ષણમંત્રીએ ચાર વાગ્યે જાહેર કર્યું કે કોરોનાને કારણે અને કેન્દ્ર સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે જી.ટી.યુ.ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. છેને કમાલ, કોરોનાની ખબર બુધવાર સવાર સુધી નો’તી પડી. તે છેક ચાર વાગે જ પડી એટલે પરીક્ષાઓ મોકૂફ રહી. એ તો સારું છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધા પછી રદ્દ ન કરી. બાકી, તો એવું ય થઈ શકે. કમાલમાં ય મોટી કમાલ તો એ છે કે યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ રહી એ જ દિવસે સરકારે ૧થી ૧૨ (કેટલાંક છાપાં પ્રમાણે ૩થી૧૨) ધોરણ સુધીની જુલાઈ ૨૯ અને ૩૦ને રોજ ૨૫ માર્કની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. બને કે એ દિવસો સુધીમાં કોરોના હેરાન કરવાની સ્થિતિમાં નહીં હોય, નહિતર પરીક્ષાનો વિચાર એકાએક તો ન આવે.

આ પરીક્ષાઓ સરકારી કે સ્વનિર્ભર તમામ શાળાઓએ લેવાની છે એવું ફરમાન છે. ૧થી ૮ ધોરણમાં જે કંઈ ઓનલાઈન ભણાવાયું તેની ગુજરાતી અને ગણિતની પરીક્ષાઓ લેવાશે. ૫, ૫ માર્કના પાંચ પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીઓએ વાલીઓની દેખરેખમાં આપવાના રહેશે. આ પરીક્ષાનો સમય એક કલાકનો રહેશે. વર્ગખંડમાં ૧૦૦ માર્કની પરીક્ષા માટે ૩ કલાક સાધારણ રીતે અપાય છે, પણ ૨૫ માર્કની પરીક્ષા માટે ૧ કલાક અપાશે. આને કહેવાય ઉધાર, સોરી, ઉદાર શિક્ષણનીતિ. આમ તો ઓનલાઈન ભણાવાય તો પ્રશ્નપત્ર પણ ઓનલાઈન મૂકી શકાય, પણ એવું નથી. શિક્ષણ વિભાગ પ્રશ્નપત્ર જિલ્લા શિક્ષણાધિકારીને ઈ મેઈલ કરશે. તે સ્કૂલોને મોકલશે. સ્કૂલનો શિક્ષક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે ૨૭ જુલાઈ સુધીમાં પ્રશ્નપત્ર ઘરે પહોંચાડશે. અહીં અક્કલવાળો પ્રશ્ન ન પૂછવો કે ઓનલાઈન ભણાવો જ છો તો ત્રણ તબક્કે પ્રશ્નપત્ર શિક્ષકને દોડાવીને વિદ્યાર્થી સુધી પહોંચાડવાની કસરત શું કામ કરાવો છો? એનો સાદો જવાબ એટલો જ કે સામાન્ય બુદ્ધિ બધાંમાં સામાન્ય નથી હોતી. વેલ, એ જ રીતે ૯થી ૧૨ની જુદા જુદા વિષયોની પરીક્ષાઓ ૨૯ અને ૩૦ દરમિયાન અનુકૂળતા પ્રમાણે વિદ્યાર્થી આપી શકશે. આમાં જવાબદારીઓ વહેંચી દેવામાં આવી છે. પ્રશ્નપત્રો શિક્ષક પહોંચાડે તો ઉત્તરવહી સ્કૂલ સુધી વાલીઓએ પહોંચાડવાની રહેશે. એ ઉત્તરવહીઓ જે તે વિષયના શિક્ષકો તપાસશે ને પરિણામ જાહેર કરશે. ક્યારે? તેની કોઈ જાહેરાત નથી.

આમાં કેટલુંક કરમુક્ત મનોરંજન પણ છે. જેમ કે વિદ્યાર્થીએ બે દિવસમાં પરીક્ષા આપવાની છે અને એ એક કલાકમાં આપવાની છે. એનો અર્થ એવો થાય કે બે દિવસ બરાબર એક કલાક. હવે જે એક કલાક પાળે તે એવો અર્થ કરી શકે કે બે દિવસની કુલ ૨,૮૮૦ મિનિટમાંથી કોઈ પણ ૬૦ મિનિટમાં વિદ્યાર્થી પરીક્ષા આપી શકે. ૨૭મીએ પેપર હાથમાં આવી જવાનું હોય તો વિદ્યાર્થી ૨૮મીએ પરીક્ષા આપી દે તો તેની ખાતરી કરવાનું અઘરું છે કે તેણે ૨૯ અને ૩૦ જુલાઈ દરમિયાન જ પરીક્ષા આપી છે. અહીં વર્ગખંડ નથી, સુપરવાઈઝર નથી. વિદ્યાર્થીએ વાલીની દેખરેખમાં પરીક્ષા આપવાનું અપેક્ષિત છે, એ પણ ફરજિયાત નથી. તો, વાલીએ સુપરવિઝન કરવાનું રહે. એણે જોવાનું રહે કે તેનું સંતાન નક્કી કરેલી સમય મર્યાદામાં પરીક્ષા આપે. વારુ, વિદ્યાર્થી પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે પણ વાલીએ જોવાનું રહે. જો કે એવું બન્યું છે કે મોટે ભાગે તો વાલીઓ જ ગેરરીતિ આચરવામાં વિદ્યાર્થીને મદદ કરતા હોય છે. એથી ઊલટું સંતાન ગેરરીતિ આચરે તો વાલી આંખ આડા કાન કરે છે કે કાન આડી આંખ કરે છે તે નક્કી કરવાનું પણ મુશ્કેલ છે.

આ બધું છતાં અંદરનાં ગામડાંઓમાં કે આદિવાસી વિસ્તારોમાં સાધનોને અભાવે શિક્ષણ જ થયું નથી, ત્યાં આવી પરીક્ષાઓ કયા આધારે લેવાશે તેનો ફોડ પડાયો નથી. અત્યાર સુધી તો જે સાધનસંપન્ન છે એવા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ શિક્ષણતંત્ર વિચારી રહ્યું હોવાનું લાગે છે. એને કારણે જે અસમાનતા ને લઘુતા વિદ્યાર્થીઓ ને વાલીઓ અનુભવી રહ્યા છે એનો જરા જેટલો પણ અંદાજ સરકારને હશે કે કેમ તે પ્રશ્ન જ છે. આગળ ઉપર કોઈ ગાઈડલાઈન સરકાર આપે ને કોઈ ચમત્કાર થાય તો વાત જુદી છે, બાકી, આવી પરીક્ષા લેવી અને આપવી એ મશ્કરીથી વિશેષ કંઈ નથી.

એનાં કરતાં તો બધી સ્કૂલો, કોલેજો શરૂ કરી દેવામાં ઓછું જોખમ છે. બધું જ બધાંના ખર્ચે ને જોખમે શરૂ કરી જ દીધું છે તો છો વિદ્યાર્થીઓ ભણી ખાતા. સ્કૂલો, કોલેજો બંધ છે એટલે વિદ્યાર્થીઓ બહાર જતા જ નથી એવું ક્યાં છે? જો એમ બહાર જવાનું થતું હોય તો સ્કૂલો, કોલેજો સુધી જવામાં શું આભ તૂટી પડવાનું હતું? ટૂંકમાં, ટૂચકા જેવી પરીક્ષાઓ લેવા કરતાં રેગ્યુલર શિક્ષણ શરૂ કરવામાં ઓછું જોખમ છે, એવું ખરું કે કેમ?

૦

પ્રગટ : ’આજકાલ’ નામે લેખકની કટાર, “ધબકાર”, 03 જુલાઈ 2020

e.mail : ravindra21111946@gmail.com

Loading

3 July 2020 admin
← સાહેબ, તમે એકવાર અબી અહમદને મળો અને સાંભળજો પણ ખરા !!!
ચલ મન મુંબઈ નગરી—51 →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved