Opinion Magazine
Number of visits: 9446893
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદી નહેરુને મિટાવીને તેમની કલ્પનાના નવા નેહરુ બનવા માગે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|25 June 2020

નરેન્દ્ર મોદી સરદાર પટેલ માટે કેટલો ભક્તિભાવ ધરાવે છે એની તો ખબર નથી, પણ જવાહરલાલ નેહરુ માટે છૂપું આકર્ષણ ધરાવે છે એની મને ખાતરી છે. મને શું, જે લોકો વડા પ્રધાનના રાજકીય અભિગમને સમજે છે એ બધા આ વાત જાણે છે. નેહરુ માટેની નફરત પાછળ નેહરુ માટેનું આકર્ષણ છે. શું એ વ્યક્તિત્વ હતું! ગરીબ દેશના વડા પ્રધાન હોવા છતાં આખા જગતમાં પાંચમાં પૂછાતા હતા. એ યુગમાં જગતના પાંચ મહાન મુત્સદીઓમાં નેહરુની ગણના થતી હતી.

માત્ર મોદી નહીં, નેહરુના દરેક અનુગામી વડા પ્રધાન નેહરુને રેફરન્સ પોઈન્ટ કે ગોલપોસ્ટ તરીકે માનતા આવ્યા છે. બી.જે.પી.ની સરકારના પહેલા વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તો લોકસભામાં ઓન રેકર્ડ કહ્યું પણ હતું કે ‘યહાં પંડિતજી બૈઠા કરતે થે ઔર વહાં (સામે છેડે વિરોધ પક્ષની બેઠક તરફ ઈશારો કરીને) સે યહાં તક પહુંચનેમેં પચાસ સાલ લગે.’ ફરક એ છે કે બીજા વડા પ્રધાનો નેહરુ જેવા બનવા માગતા હતા જ્યારે, નરેન્દ્ર મોદી નેહરુને મિટાવીને તેમની કલ્પનાના નવા નેહરુ બનવા માગે છે. અંગ્રેજીમાં કહીએ તો તેઓ નેહરુને રિપ્લેસ કરવા માગે છે. ઇતિહાસ આજે જે રીતે જવાહરલાલ નેહરુને યાદ કરે છે એ રીતે ઇતિહાસ નરેન્દ્ર મોદીને યાદ કરે.

૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને તેમણે સાર્ક દેશોના શાસકોને પોતાની સોગંદવિધિમાં બોલાવ્યા અને એ પછી તેમણે જાગતિક રાજકારણમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ આદર્યો ત્યારે મેં લખ્યું હતું કે નરેન્દ્ર મોદી નવા અભિગમ સાથે નેહરુની જગ્યા લેવા માગે કે તેમની સમકક્ષ પહોંચવા માંગે તો એ તેમનો અધિકાર છે. આ દેશને સમયાંતરે સવાયા નેહરુ મળતા રહે એમાં દેશનું હિત છે અને તેમાં નેહરુ પણ અવશ્ય રાજી થાય.

જવાહરલાલ નેહરુએ કુલ ૧૭ વરસ રાજ કર્યું હતું અને તેમની લાંબી ગૌરવશાળી શાસકીય કારકિર્દીમાં જો કોઈ શરમાવા જેવી ઘટના હોય તો એ ૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધમાં ભારતનો પરાજય. નેહરુ માટે એ ઘટના કલંકરૂપ હતી અને તેનો તેમને ઊંડો આઘાત પણ લાગ્યો હતો. એ ઘટના પછી માત્ર દોઢ વરસમાં નેહરુનું અવસાન થયું હતું. ચીન સામેના પરાજયનો નેહરુને ઊંડો અંગત આઘાત લાગ્યો એનું કારણ એ હતું કે એ પરાજય માટે મહદ્ અંશે નેહરુ પોતે જવાબદાર હતા. ચીન ઉપર તેમણે ભરોસો રાખ્યો હતો. એ વખતે ભારત કરતાં પણ વધુ ગરીબ ચીનના નેહરુ રાહબર હતા. ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ ત્રણે ય હતા. ચીનને યુનોમાં પ્રવેશ મળે અને અમેરિકા સામ્યવાદી ચીનને માન્યતા આપે એ માટે નેહરુએ ખૂબ પ્રયત્નો કર્યા હતા. ભારત અને ચીન મળીને જાગતિક રાજકારણમાં એન્કર બને એવા નેહરુ મનોરથ સેવતા હતા. બે પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચેનો સંબંધ સહોદર જેવો હોય એ નિયતિનો કોલ છે એવી નેહરુની માન્યતા હતી. અનેક લોકોએ નેહરુને ચેતવ્યા હતા, પણ નેહરુની પોતાના પરની અને ચીન પરની શ્રદ્ધા અચલ હતી.

વિધિનો ખેલ જુઓ; જે અનુભવ નેહરુને થયો એ જ અનુભવ નેહરુને મિટાવીને નેહરુ બનવા માગતા નરેન્દ્ર મોદીને થયો. ભારત-ચીન સંબંધને લાગેવળગે છે ત્યાં સુધી ગાલ્વાન ખીણની ઘટના ૧૯૬૨ની ઘટના પછીની બીજી મોટી અથડામણની ઘટના છે અને ભારત માટે બીજી વખત શરમાવું પડે એવી નાલેશીભરી ઘટના છે. એક રીતે કહીએ તો વર્તુળ પૂરું થયું અથવા એમ પણ કહેવાય કે બે પ્રતિસ્પર્ધી ધ્રુવો ચીનના ચોકમાં એક જગ્યાએ જઈ પહોંચ્યા.

પણ એક ફરક છે. ચીન પરત્વેની નીતિમાં નેહરુ છેતરાયા એનું કારણ તેમનો ચીન પરનો અતૂટ ભરોસો હતો. પતિવ્રતા વફાદાર પતિની માફક તેઓ બીજી તરફ જોતા જ નહોતા. ચીનને નેહરુનું આવું વડીલજોગું વલણ ગમતું નહોતું. નરેન્દ્ર મોદી છેતરાયા એનું કારણ તેઓ અમેરિકા-જપાન એમ ચારે બાજુ જોતા હતા અને પાછું ચીનને બાથમાં પકડી રાખવા માગતા હતા. ૨૦૧૪માં મોદીની જપાન મુલાકાતથી આની શરૂઆત થઈ હતી અને હમણાં ફેબ્રુઆરી મહિનામાં નમસ્તે ટ્રમ્પથી પૂરી થઈ હતી. નરેન્દ્ર મોદી અને ચીનના નેતા શી ઝિંગપીંગ છ વરસમાં ૧૮ વખત મળ્યા હતા. આટલી બધી વાર તો નેહરુ અને ચીની નેતાઓ ૧૭ વરસમાં પણ નહોતા મળ્યા.

વડા પ્રધાનને એમ કે રેપો જાળવી રાખીશું તો ચીન રાજી રહશે અને એ દરમ્યાન પાકિસ્તાનને ખોખરું કરી શકાશે, જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરીને ભારતનો નકશો બદલી શકાશે, નાગરિક ધારો લાગુ કરીને ઇશાન ભારતમાં રાજકીય સમીકરણો બદલી શકાશે અને પાડોશી દેશોને તેની જગ્યા બતાવી શકાશે. આ ઉપરાંત ચીન સામે રચાઈ રહેલી ધરીમાં પણ રહેવા મળશે. આપણે માત્ર ચીનના નેતાને મળતા રહેવાનું અને આલિંગન આપતા રહેવાનું. આ ગણતરી મૂળમાં જ ખોટી હતી અને ખોટી સાબિત થઈ. ચીન રાજી રહેશે એવા ભરોસે ભારતે પાકિસ્તાન સહિત પાડોશી દેશો સાથેના સંબંધો બગાડ્યા એનો ચીને લાભ લીધો તે ત્યાં સુધી કે ચીનના ઇશારે નેપાળ પણ ભારત સામે ઘુરકિયાં કરે છે. છ વરસનું ભારતનું ચીન સાથેની ગુડવિલ માટેનું રોકાણ પાણીમાં ગયું. ખાસ કરીને ડોકલામ પછી પણ મોદીસાહેબે ચીન પરત્વેની નીતિ બદલી નહીં એ તો આશ્ચર્ય છે.

૧૯૬૨ના યુદ્ધમાં ચીન સામેનો પરાજય નેહરુને જે રીતે મુક્તિ આપતો નથી અને આપવાનો નથી એમ જ નરેન્દ્ર મોદીને ૨૦૨૦ મુક્તિ આપવાનો નથી. જે નાલેશી માટે નેહરુને ખતમ કરવાના હતા એ નાલેશી લમણે લખાઈ! આને કવિન્યાય કહેવાય?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25  જૂન 2020

Loading

25 June 2020 admin
← रंगभेदी गांधी ?
કડવીબેનનું ગીત →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved