વતન જવા નીકળી પડેલા શ્રમિકોની તસવીરો ઘણા લોકોને અતિશયોક્તિપૂર્ણ લાગી શકે છે. પ્રકૃતિના પ્રેમમાં ગળાડૂબ મધ્યમ વર્ગ કોરોનાકાળનો સકારાત્મક પક્ષ જોઈ રહ્યો છે. પક્ષીઓનો કલરવ, સ્વચ્છ હવા, આકાશમાં સ્પષ્ટ દેખાતા તારા અને શુદ્વ નદીઓ એ વાતની સાબિતી છે કે પ્રકૃતિ તેના અસલી મિજાજમાં પાછી ફરી રહી છે. ગુવાહાટીના માર્ગો પર ટહેલાતાં હાથીઓનાં ઝુંડ માણસ અને પ્રાણીઓની બરાબરીના સંકેત આપે છે.
જો તમને પણ આ બધુ રોમાંચિત કરી રહ્યું હોય તો જરા આ ઘટના વિશે પણ જાણી લો. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી 191 પ્રોજેક્ટને પર્યાવરણીય પરવાનગી આપી દીધી છેઃ ન કોઈ સુનાવણી, ન કોઈ વકીલ, ન કોઈ દલીલ. ત્રીજા પક્ષને સાંભળવાની તો તસદી પણ ન લેવાઈ. કારણ એવું અપાયું કે ઝડપી વિકાસ માટે ઝડપી નિર્ણય જરૂરી છે.
એક ઉદાહરણ જોઈએ. ગત વર્ષે દેશની સર્વોચ્ચ અદાલતે આસામની નૂમાલીગઢ રિફાઈનરીને જંગલની જમીન પર બનેલી તેની દીવાલનો કેટલોક હિસ્સો તોડી નાખવાનો આદેશ આપ્યો હતો. જંગલની જમીનનો પહેલો હક જાનવરોનો છે. પરંતુ હાથીઓની અવરજવરને રોકવા રિફાઈનરીએ એક મોટી દીવાલ ઊભી કરી દીધી હતી. તેના એક હિસ્સાને હાથીઓની અવરજવર માટે ખુલ્લો કરવા દેશની સર્વોચ્ચ અદાલતને આદેશ કરવો પડ્યો હતો ! પરંતુ હવે પર્યાવરણ મંત્રાલયે જ આ રિફાઈનરીને ત્રણ ગણી જમીન આપી દીધી છે. પહેલાં તો રિફાઈનરીએ હાથીઓનો રસ્તો જ બંધ કર્યો હતો. હવે તેમનું ત્યાં ટકવું જ મુશ્કેલ થઈ જશે !
આ હાથીઓએ તો રાષ્ટ્રીય વન્યજીવોને લગતા બોર્ડથી ચેતવાની જરૂર છે, જેણે આસામમાં જ આવેલા દેહિંગ પટકઈ હાથી અભયારણ્યમાં કોલસાની ખાણને મંજૂરી આપી દીધી. આ મૂંગાં પ્રાણીઓની ચિંતા કરતા પર્યાવરણ કાર્યકર્તાઓ ત્યારે લૉક ડાઉનને કારણે ઘરમાં બંધ હતા. લૉક ડાઉનનો ફાયદો ઉઠાવીને પર્યાવરણ મંત્રાલય એ સાબિત કરવા માગે છે કે વિકાસ ન અટકવો જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ પ્રોજેકટને પર્યાવરણીય મંજૂરી અપાય તે પહેલાં નિષ્ણતોનું જૂથ તેની તપાસ કરે છે. આ સમિતિમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ ક્લીઅરન્સ (NBDC), ફોરેસ્ટ એડવાઇઝરી કમિટી (AFC) અને એક્સપર્ટ અપ્રેઝલ કમિટીના સભ્યો હોય છે. પર્યાવરણીય મંજૂરી આપતાં પહેલાં આ તજ્જ્ઞ સમિતિ સંબંધિત લોકોના મંતવ્યો માંગે છે અને સ્થળતપાસ કરે છે. સમગ્ર યોજનાનો પર્યાવરણીય અભ્યાસ કરાય છે. પરંતુ હવે આ પ્રક્રિયાને અભરાઈએ ચઢાવીને મંજૂરીઓ અપાઈ રહી છે.
કોરોનાકાળમાં પર્યાવરણ મંત્રાલયની વિવિધ સ્થાયી સમિતિઓ વિભાગની પ્રસ્થાપિત નીતિ અનુસરવાને બદલે આર્થિક લાભની દૃષ્ટિએ જ યોજનાઓને જુએ છે. બ્રહ્મપુત્રા નદી પર સી-પ્લેન એરપોર્ટ બનાવવાની વાત હોય કે, ઉત્તરાખંડમાં યમુના નદી પર લખવાડ-વ્યાસી બંધ પરિયોજના માટે બિનોગ વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીની સાથેની 768 હેક્ટર જમીન પર પથરાયેલા જંગલનો સફાયો કરવાની મંજૂરીનો નિર્ણય, સરકાર વન અને પર્યાવરણ પ્રત્યે અસંવેદનશીલ હોવાના પુરાવા સતત આપી રહી છે. તાલાબીરામાં કોલસાથી વીજળી ઉત્પાદન અને ખાણકામ વિરુદ્ધ સ્થાનિક આદિવાસીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યાં છે. હવે તેમને અંધારામાં રાખી પ્લાન્ટને મંજૂરી આપી દેવાઈ છે. પર્યાવરણ વિભાગે અભયારણ્ય અને વાઘ માટે અનામત રાખેલા તમામ વિસ્તારમાંથી નીકળતા હાઇવે, ટ્રાન્સમિશન લાઇન, રેલવે લાઇનના પ્રોજેક્ટને પણ પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે. કેટલી પરિયોજના માત્ર કાગળ પર જ રહે છે. મંત્રાલયની વન સલાહકાર સમિતિએ અરુણાચલ પ્રદેશમાં દિબાંગ નદી પરના એટાલિન જળવિદ્યુત પ્રોજેકટને મંજૂરી આપવા ભલામણ કરી છે. આ વિસ્તાર જૈવ વિવિધતાથી ભરપૂર છે. અહીંયા એક ખાસ પ્રજાતિના ચિત્તા અને વાઘ રહે છે. ભારતમાં જોવાં મળતાં પક્ષીઓની અડધા ભાગની પ્રજાતિઓનું આ આશ્રયસ્થાન છે. 2010માં કેન્દ્ર સરકારે જ આ વિસ્તારને સત્તાવાર રીતે જંગલ તરીકે જાહેર કર્યો હતો. પરંતુ હવે ત્યાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મજૂરી આપવા માટે સરકાર વિચારી રહી છે.
મંત્રાલયે પ્લાસ્ટર ઓફ પૅરિસની મૂર્તિઓ પરનો પ્રતિબંધ એક વર્ષ માટે દૂર કર્યો છે. તેનો મતલબ એમ થયો કે એક વર્ષ માટે નદી, તળાવ, નાળાં અને નહેરોમાં પ્લાસ્ટર ઓફ પૅરિસની મૂર્તિઓ ડુબાડવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને કહ્યું કે (કોરોનાકાળમાં આર્થિક ભીંસમાં મુકાયેલા) મૂર્તિકારોને તેનાથી ફાયદો થશે અને રોજી મળશે, પરંતુ નદી, તળાવોની જે દશા થશે તેનું શું?
એવું નથી કે માત્ર પર્યાવરણ મંત્રાલય જ વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે રઘવાયું થયું છે. લૉક ડાઉન 3 પૂરું થયું, ત્યારે કેન્દ્ર અને રાજ્યની વીડિયો કોન્ફરન્સમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું હતું કે આગામી કુંભમેળાના કારણે ઋષિકેશ અને હરિદ્વારમાં ખાણકામની મંજૂરીની મુદત જલદીથી લંબાવવી પડશે, જેથી વિકાસ કામો થઇ શકે. રાવત હંમેશાં ઉત્તરાખંડમાં ખાણકામ માટે બહુ ઉત્સાહી અને અધીરા હોય છે. તેમની ઇચ્છા એ પણ છે કે હરિદ્વાર કુંભમેળા દરમિયાન રાજાજી નેશનલ પાર્કનો અમુક ભાગ મેળા માટે ઉપયોગમાં લેવામાં આવે. તેઓ ખુલ્લેઆમ જળવિદ્યુત યોજનાઓની તરફદારી કરે છે. તેમના આશીર્વાદથી જ ન્યૂનતમ પર્યાવરણીય પ્રવાહના વિરોધમાં હાઇડ્રો પાવર કંપનીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
લૉક ડાઉન દરમિયાન પર્યાવરણ મંત્રાલય તકસાધુ અને લાલચુ વેપારીની જેમ વર્ત્યું છે. જે મૂંગા જીવ બોલી નથી શકતા, તેમના વતી પ્રકૃતિ જવાબ આપે છે. આ ધરતી પર બધાનો હક છે એવા સંકેત સતત મળતા રહે છે, પણ આ વાત કેટલાક લોકોના દિમાગમાં કેમેય કરીને ઊતરતી નથી.
અનુવાદઃ ગૌતમ ડોડિયા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020