Opinion Magazine
Number of visits: 9449590
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મજૂરવિરોધી માનસિકતાનું બેશરમ પ્રદર્શન

ભરત મહેતા|Opinion - Opinion|22 May 2020

વિશ્વભરમાં જે જે  દેશોમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે ત્યાં સરકારોએ કેવળ અને કેવળ ધ્યાન કોરોના પર કેન્દ્રિત કર્યું છે. કઈ રીતે સંક્રમણને અટકાવવું, કઈ રીતે આરોગ્યની સુવિધાઓ ઊભી કરવી વગેરે વગેરે. અહીં પણ હજુ અમદાવાદના આંકડા ચોંકાવનારા છે. છતાં સરકાર જાણે કોરોનાકેન્દ્રિત નથી. લૉકડાઉન સિવાય ઉપાય સૂઝતો નથી.

એકાએક સરકારે પોતાની નિષ્ફળતાને ઢાંકવા રૂ. ૨૦ લાખ કરોડનો શોરગુલ શરૂ કર્યો છે. હજુ આ ઓછું હોય તેમ ભાજપે જાણે શું ધાડ મારી છે તેમ 'છ સાલ બેમિસાલ'નો કાર્યક્રમ કરવાની છે ! એમને પ્રચાર વગર ચાલતું નથી. તે એમનો પ્રાણવાયુ છે. આ રૂ. ૨૦ લાખ કરોડના શોરબકોર વચાળે જ કેન્દ્ર સરકારે મહત્ત્વનાં નવ ક્ષેત્રોનું ખાનગીકરણ જાહેર કર્યું ! ‘દેશને વેચવા નહીં દઉં’ની ગુલબાંગો કરનાર વડાપ્રધાને છ સાલમાં એવાં બેમિસાલ કાર્યો કર્યાં છે કે દેશ ખરેખર વેચાઈ ચૂક્યો છે. બાકી, GDP.ની આ હાલત ન હોત કે બેરોજગારીની ચરમસીમા ન હોત, જો તેમણે ખરેખર 'ભાઈઓ-બહેનો' માટે કામ કર્યું હોત તો. તેમનાં ભાઈઓ-બહેનો જુદાં છે. ભા.જ.પ.નાં સાથી સંગઠનો નાનાં-મોટાં ઘણાં છે. નવાં નવાં ઊભાં પણ થાય છે. જેમ કે, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ABVP (વિદ્યાર્થી સંગઠન). RSSની આંખો – ભા.જ.પ. અને ભારતીય મજદૂર સંઘ (BMS).

BMSના મહાસચિવ બ્રિજેશ ઉપાધ્યાયે નવ ક્ષેત્રોના ખાનગીકરણને 'હિન્દુસ્તાનના ઇતિહાસનો સૌથી કાળો દિવસ' ગણાવ્યો છે. આ ક્ષેત્રો મહત્ત્વનાં છે. જેમ કે કોલસો, વીજળી. વડાપ્રધાનનું વશીકરણ આપણા મધ્યમ વર્ગ પર એટલું છે કે કોલસાની દલાલીમાં ય એમના હાથ કાળા નથી થયા! બીજી વાત, કંપનીઓએ કહ્યું કે આ ક્ષેત્રો અમે લઈએ, પણ અમારી પાસે પૂરતા પૈસા નથી, સરકાર મદદ કરે ! સરકાર પેલા રૂ.૨૦ લાખ કરોડમાંથી ૯૦ હજાર કરોડ ખાનગી કંપનીઓને આ ક્ષેત્રો સંભાળવા માટે સહાય તરીકે આપશે! જે સરકાર પાસે આરોગ્યકર્મીઓ માટે PPE કીટ નથી, માસ્ક નથી, મજૂરોને વતન પહોંચાડવાની સુવિધા નથી, એ ખાનગી કંપનીને રૂ. ૯૦ હજાર કરોડ આપતાં અચકાતી નથી. આને કહેવાય, મોદી હૈ તો મુમકિન હૈ. હંમેશાં રાષ્ટ્રવાદ અને વંદે માતરમ્ બોલ્યા કરતા RSSના કાર્યકરોની તાકાત છે કે મોદીના આ દેશ વેચવાના કામને પડકારે? એમણે એવું ક્યારે ય નથી કર્યું. તેથી એમનો રાષ્ટ્રવાદ રામમંદિર, ગૌહત્યા કે 370 પૂરતો છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારીથી વંચિત સમુદાય માટે એમણે પણ કંઈ કરવું નથી.

ભારતીય મજદૂર સંઘે મોદીને જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવેલી. મહેનતનું ફળ આજે એ મળ્યું કે મોદી સરકારના આ નિર્ણયને બ્રિજેશ ઉપાધ્યાયે હિન્દુસ્તાનના ઇતિહાસનો કાળો દિવસ કહેવો પડ્યો. આ નવ ક્ષેત્રોનું ખાનગીકરણ મજૂરોની સ્થિતિ વિકટ બનાવશે.

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીએ કહ્યું કે પ્રત્યેક નાગરિકને રૂ. સાત હજાર આપો. રઘુરામ રાજન કે કૉંગ્રેસ રૂ. ૭,૫૦૦ આપવા કહે છે. આ રૂપિયા આપે તો પણ કુલ રૂ. ૬૫ હજાર કરોડ થાય. પણ એની તૈયારી નથી. મુઠ્ઠીભર કંપનીઓને ૯૦ હજાર કરોડ આપી શકાય છે. તેથી સમજી ભા.જ.પ.ના મજદૂર સંગઠને પણ સમજી લેવું જોઈએ કે વડાપ્રધાનની પ્રતિબદ્ધતા અને અગ્રીમતામાં મજૂર નથી. આમ પણ, મોદી સરકારના છ વર્ષના ગાળામાં મજૂરોની ચિંતા ક્યારે ય કરવામાં આવી નથી. જેની પરાકાષ્ઠા આપણને કોરોનામાં જોવા મળી. એક તરફ મધ્યમ વર્ગ થાળી-તાળી વગાડતો, દીવા પેટાવતો સરકાર સાથે સૂર મિલાવતો હતો ત્યારે મજૂરો ઠેર ઠેર લૉક ડાઉનનો છડેચોક વિરોધ કરતા હતા. સ્વયંભૂ ટોળેટોળાં નીકળ્યાં હતાં. તેમણે સૂત્રોચ્ચાર નથી કર્યા, દેખાવો નથી કર્યા કોઈની નેતાગીરી વગર, એ લોકો બસ નીકળી પડ્યા હતા. સરકારની હૃદયહીન નીતિને આ ચેતવણી છે. પોલીસ સાથે સંઘર્ષ થયો. કયાંક આ દૃશ્યો જોતાં કાશ્મીર યાદ આવી જાય. પોલીસની અડચણ કે લાઠીઓ ખાવા છતાં મજૂરો નીકળી પડ્યા. મૃત્યુની ખબરો, કંપાવી દેતી વણઝારો, માર્ગ અકસ્માતમાં માતા-પિતા મૃત્યુ પામે અને બાજુમાં બાળકો ટળવળે. ટ્રેનો બંધ હોવાને કારણે ચાલતાં ચાલતાં થાકીપાકીને પાટા પર સૂતેલાં હોય અને ગુડ્ઝ ટ્રેન ફરી વળે! એમના માટે એક હરફ સરખો ય નહીં અને પેલી પા રૂ. ૯૦ હજાર! મોદી સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થવા માટે હજુ વધારે શું થવું જોઈએ?

દેશમાં 60 લાખ અસંગઠિત મજૂરો છે. આ વીસ લાખ કરોડની માફક જ મોદી સરકારના છ બજેટમાં આ અસંગઠિત મજૂરો માટે એક રૂપિયો પણ ફાળવવામાં નથી આવ્યો. રામની વાતો કરનારાને 'તુલસી હાય ગરીબકી કબહુ ખાલી ન જાય' એ યાદ નથી આવતું. અરે! આટલી પીડાથી ટોળેટોળાં નીકળી પડયાં ત્યારે એમની સાથે વડાપ્રધાન, કેબિનેટ મંત્રી, સાંસદ કે ધારાસભ્ય વાત કરવા સુદ્ધાં નથી ગયા! એમની સહાનુભૂતિમાં ટ્વીટરપ્રેમી વડાપ્રધાને ટ્વીટ પણ નથી કર્યું.

આ ભાગદોડમાં આશરે છસો મજૂરો મરી ગયા છે. આ કુરબાની કોરોનાએ ભરખી લીધેલાં નાગરિકો જેટલી જ થઈ જશે? આ મોત સરકારની મજૂરવિરોધી નીતિનું પરિણામ ગણાશે. મોદી સરકારની એ મહાન સિદ્ધિ છે કે એમની મોહિનીથી ગ્રસ્ત મધ્યમ વર્ગનાં ઘણાંને મજૂરોનાં દૃશ્યો ઝાઝાં વિચલિત નથી કરતા. એ હજુ મજૂરના પક્ષે નહીં, સરકારના પક્ષે  બોલે છે. શું કામ જવું છે વતન? શું કામ રેલવેના પાટા પર સુઈ ગયા? તેમના માટે મોદી સરકારના નિર્ણયો 'આખરી' ગણાય છે. શિક્ષિતો એનું વિશ્લેષણ કરવામાં માનતા નથી ! મજૂર, કિસાન, આદિવાસી, દલિત અને લઘુમતીની પીડાનું આપણને ન દેખાવું  એ નરેન્દ્ર મોદીની અસાધારણ સફળતા છે.

માસ્ક લગાવવો, અંતર જાળવો, હાથ ધુઓ, ફૂલ વરસાવો, સિવિલનાં દૃશ્યો ન જુઓ, વેચાઈ જતો દેશ ન જુઓ, રિબાતો મજૂર ન જુઓ … આશા રાખીએ કે કોરોનાના ચેપની જેમ આ મોહિનીમાંથી પણ મધ્યમ વર્ગ સવેળા બહાર નીકળે.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 મે 2020

Loading

22 May 2020 admin
← મળતર
મુશ્કેલ સમયમાં (17) →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved