Opinion Magazine
Number of visits: 9449326
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે શાસિત કોમ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? આઝાદી પહેલાંનો યક્ષપ્રશ્ન

રમેશ ઓઝા|Opinion - Opinion|3 May 2020

ભારતમાં જ્યાં સુધી મુસલમાનોનું રાજ હતું ત્યાં સુધી વટલાઈને મુસલાન થયેલા ભારતીય મુસલમાનો કેટલા પ્રમાણમાં અને કેવા મુસલમાનો છે તેની ભદ્રવર્ગીય મુસલમાનોને ચિંતા નહોતી. તેમને તેઓ ગણતરીમાં જ નહોતા લેતા. ભારતમાં જ્યાં સુધી મુસલમાનોનું રાજ હતું ત્યાં સુધી શાસકો હરામ અને હલાલ(ત્યાજ્ય અને ગ્રાહ્ય)નો વિવેક કેવો કરે છે અને કેવાં સામાધાનો કરે છે તેની પણ ઝાઝી ચિંતા કરવામાં નહોતી આવતી. શાસકોની ઐયાશી ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ હોવા છતાં પણ સ્વીકારી લેવામાં આવતી હતી, કારણ કે ઉલેમાઓ શાસકોના આશ્રિત હતા. ભારતમાં જ્યાં સુધી મુસ્લિમ શાસકોનું રાજ હતું ત્યાં સુધી ભારતમાં કાફિરો (કુફ્ર. ઇસ્લામમાં નહીં માનનારાઓ – વિધર્મીઓ) બહુમતીમાં હોવા છતાં મુસલમાનોને એ વાતની ચિંતા નહોતી કે ભારત દારુલ હર્બ (ગેર ઇસ્લામિક ભૂમિ) છે કે દારુલ ઇસ્લામ (ઇસ્લામિક ભૂમિ). શાસન મુસલમાનોનું છે એટલે ભારત દારુલ ઇસ્લામ છે અને સંખ્યાની દૃષ્ટિએ નથી તો ભવિષ્યમાં થઈ જશે એમ ઉલેમાઓ માનીને ચાલતા હતા. ભારતમાં જ્યાં સુધી મુસલમાનોનું રાજ હતું ત્યાં સુધી ભારતની બહાર મુસ્લિમ બંધુત્વ (પેન-ઇસ્લામિઝમ) શોધવા જવાની જરૂર નહોતી પડી. ઊલટું મુસ્લિમ આક્રમણકારોનાં એક પછી એક ધાડાં આવતાં હતાં અને સલ્તનતો સ્થપાતી હતી અને ઉથાપાતી હતી. ભારતમાં જ્યાં સુધી મુસલમાનોનું રાજ હતું ત્યાં સુધી હિંદુઓની સંખ્યા, તેમનો સાંસ્કૃતિક પ્રભાવ, તેમની પ્રાચીન પરંપરાની ચિંતા કરવામાં આવતી નહોતી. હિંદુઓ શાસિત હતા એટલું પૂરતું હતું.

આ બધું શરૂ થયું મુસલમાનોના હાથમાંથી શાસન જવાના કારણે અને ખાસ કરીને અંગ્રેજોનો પગ મજબૂત થવાને કારણે. માત્ર ભારતમાં નહીં, સમગ્ર મુસ્લિમ વિશ્વ યુરોપ સામે પરાજીત હોવાનો અનુભવ કરતું હતું.

એ યુગમાં મુસલમાનો મુસલમાન હોવાની ઉર્જા ઇસ્લામ ધર્મમાં શોધવા લાગ્યા જે રીતે આજે હિંદુઓ હિંદુ હોવાપણામાં ઉર્જા શોધી રહ્યા છે. મુસલમાનોએ વગ એટલા માટે ગુમાવી દીધી છે કે તેઓ પેગંબરે ઉપદેશેલા શુદ્ધ ઇસ્લામથી દૂર જતા રહ્યા છે, માટે જાગ્યા ત્યાંથી સવાર અથવા ભૂલ્યા ત્યાંથી પાછા ગણોના ન્યાયે સાતમી સદીમાં કહેવામાં આવેલા ઉપદેશોને ચુસ્તપણે પાછા પકડો. આ એક નિદાન કરવામાં આવ્યું હતું.

જગતમાં અનેક મુસલમાનો એવા છે જે મુસલમાન તો છે, પણ મુસલમાન હોવું એટલે શું એ સમજતા નથી એટલે તેમને ઇસ્લામની અને એ પણ શુદ્ધ ઇસ્લામની સમજ આપવામાં આવે. મુસલમાન માટે મુસલમાન હોવાની ઓળખ એ જ પ્રધાન ઓળખ છે અને બાકીની તમામ રાષ્ટ્રીય-પ્રાદેશિક-વાંશિક ઓળખ ગૌણ છે. ટૂંકમાં મુસલમાન પહેલો મુસલમાન છે અને બાકીનું બધું ગૌણ છે, માટે મુસલમાનો વચ્ચે વૈશ્વિક બંધુત્વ હોવું જોઈએ. અંગ્રેજીમાં એને પેન- ઇસ્લામિઝમ કહે છે. આ બીજો ઉપાય સૂચવવામાં આવ્યો હતો.

ભારતમાં મુસલમાનોએ પગ મૂક્યો એ પછી પહેલીવાર મુસલમાનોમાં ચર્ચા શરૂ થઈ કે ભારતની ભૂમિને દારુલ હર્બ ગણવી કે દારુલ ઇસ્લામ? અંગ્રેજોના શાસન પછી એ ચર્ચા શરૂ થઈ, કારણ કે હવે ભારત પર મુસલમાનોનું રાજ પણ નહોતું અને મુસલમાનો બહુમતીમાં તો ક્યારે ય નહોતા. આ સ્થિતિમાં ભારતની ભૂમિને દારુલ ઇસ્લામ કઈ રીતે કહી શકાય? અને જો તે દારુલ ઇસ્લામ ન હોય તો ઇસ્લામ એમ કહે છે કે સાચા મુસલમાને દારુલ હર્બને દારુલ ઇસ્લામ કરવા જેહાદ કરવી જોઈએ અથવા હિજરત કરી જવી જોઈએ. મૌલાના આઝાદના દાદા સહિત ભારતમાંથી હજારો લોકો હિજરત કરી ગયા હતા. આ અંગ્રેજોના રાજ સામેની મુસલમાનોની પ્રતિક્રિયાનું ત્રીજું સ્વરૂપ હતું.

અને છેલ્લો સવાલ હતો હિંદુ વિશેનો. સંખ્યામાં હિંદુઓ મુસલમાનો કરતાં ચાર ગણા હતા. ભારતમાં હિંદુઓ ભલે સૈકાઓથી રાજ નહોતા કરતા, પરતું તેમનો સાંસ્કૃતિક પ્રભાવ ઘણો ઊંડો હતો. સૈકા-બે સૈકા પહેલાં વટલાયેલા મુસલમાનો ઉપર હિંદુ પ્રભાવ ઘણો મોટો હતો. ભારતમાં જ્યારે ત્રીજો પક્ષકાર રાજ કરી રહ્યો છે અને જ્યારે હિંદુ અને મુસલમાન બંને શાસિત છે ત્યારે બે શાસિત કોમ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? જો જેહાદનો માર્ગ અપનાવવામાં આવે તો અંગ્રેજો સામેની લડાઈમાં હિંદુઓનો ટેકો મળે અને જો મુસલમાનો પરનો હિંદુ પ્રભાવ ભૂંસવાની શુદ્ધિકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો હિંદુથી દૂર જવાનું બને.

ભારતનાં મુસલમાનોએ આ બધા ઉપાય એક સાથે અજમાવ્યા હતા અને ત્યારે તેમણે તેનાં પરિણામો વિશે વિચાર્યું નહોતું અને જો વિચાર્યું હતું તો તેની ચિંતા કરી નહોતી. ગયા વખતના લેખમાં કહ્યું હતું એમ બહુ દૂરનું વિચારવું એ બધા માટે શક્ય હોતું નથી. શાસકો, સમાજના આગેવાનો અને શાસકો સ્થળ અને કાળની મર્યાદામાં વિચારતા અને વર્તતા હોય છે. આ બધા ઉપાયો એક સાથે અજમાવવાના કારણે તેના ત્રણ પરિણામો આવ્યાં :

૧. ભારતીય ઉલેમાઓએ ભારતને દારુલ હર્બ જાહેર કર્યું એટલે અનેક ધર્મભીરુ મુસલમાન હિજરત કરીને ત્રાહિમામ્‌ થઈ ગયા. તેઓ પોતાના માદરે વતનને અને પોતાની માટીની સ્વાભાવિક સાંસ્કૃતિક સુગંધને નકારવા લાગ્યા અને પરાયા વતનને ઈસ્લામને નામે પોતાનું કરવા ગયા, પણ તેમાં ફાવ્યા નહીં. બીજું ત્યાંના શાસકોએ અને ત્યાંની પ્રજાએ ભારતીય હિજરતી મુસલમાનોને આવકાર્યા પણ નહોતા. ભારતને દારુલ હર્બ જાહેર કરવા છતાં પણ જે મઝહબપરસ્ત મુસલમાન મજબૂરીને કારણે ભારતમાં રહ્યા તેમના મનમાં હંમેશાં એક પ્રકારનો કચવાટ કે અપરાધભાવ પેદા થયો. તેમની પાસે પગ મૂકવા જમીન તો હતી, વતન નહોતું. વતન સાથે જે એક ભાવવિશ્વ હોય છે એ હોવા છતાં જતું રહ્યું. દારુલ હર્બની ભારતીય મુસલમાનોએ ચૂકવેલી કિંમત ઘણી મોટી હતી. એ કિંમતને વિદ્વાનોએ જેટલી આંકવી જોઈએ એટલી આંકી નથી એમ મને લાગે છે.

૨. ભારત દારુલ હર્બ છે એટલે કાં તો હિજરત કરો અને જો હિજરત ન કરવી હોય તો જેહાદ કરો અથવા શત્રુને પરાસ્ત કરવા જગતના કોઈ પણ મુસ્લિમ બંધુની સહાય માગો. આ જેહાદ અને મુસ્લિમ વિશ્વબંધુત્વવાદ(પેન-ઇસ્લામિઝમ)ને કારણે મુસલમાનો અંગ્રેજોની ચાંપતી નજર તળે આવ્યા હતા. શાહ વલીઉલ્લાહે અફઘાનિસ્તાનના દુર્રાનીને ભારત પર ચડાઈ કરવા આમંત્રણ આપ્યું હતું અને તેમની અને વહાબી વિચારધારાથી પ્રેરાઈને સૈયદ અહમદ બરેલવીએ ૧૮૩૧માં નિષ્ફળ જેહાદ કરી હતી. જેહાદ અને મુસ્લિમ વિશ્વબંધુત્વવાદને કારણે અંગ્રેજોને મુસલમાનો બિનભરોસાપાત્ર લાગ્યા હતા અને તેમણે હિંદુઓના મનમાં પણ ઠસાવ્યું હતું કે મુસલમાનો ભરોસાપાત્ર નથી. તેમની શ્રદ્ધા, નિષ્ઠા અને વફાદારી અન્યત્ર છે. ૧૮૫૭ના વિદ્રોહમાં સંખ્યાના પ્રમાણમાં હિંદુ કરતાં મુસલમાનોએ વધુ ભાગ લીધો હતો એ હકીકતે અંગ્રેજોની શંકાને દ્રઢ કરી હતી.

૩. મૂળ તરફ પાછા ફરો અને મુસલમાનને આચાર-વિચારમાં સાચા અને પાકા મુસલમાન બનાવવાના આંદોલને મારી સમજ મુજબ ભારતીય મુસલમાનોને ઘણું મોટું નુકસાન પહોંચાડ્યું છે. આધુનિક યુગનો મુસલમાન ગમે તેટલો પ્રયત્ન કરે, તે સાતમી સદીના યુગમાં અને એ યુગના અરબી સમાજિક-રાજકીય-સાંસ્કૃતિક સંદર્ભોમાં જીવી જ ન શકે. એ શક્ય જ નથી. જ્યાં ઇસ્લામનો પ્રાદુર્ભાવ થયો છે એ અરબસ્તાનના આરબો સાતમી સદીના ઇસ્લામિક મૂલ્યો અને રસમો સાથે જીવી નથી શકતા તો જગતના મુસલમાનો માટે તો સવાલ જ નથી.

આમાં આ તો ભારત! મુસલમાનોની વસ્તીની દૃષ્ટિએ જગતનો બીજા ક્રમનો દેશ. એમાં પાછા ભારતીય મુસલમાનો જે હજાર-બે હજાર વર્ષ જૂના હિંદુ ધર્મને છોડીને મુસલમાન તો થયા હતા, પરંતુ પૂર્વાશ્રમના સંસ્કાર પ્રબળ હતા. ભારતીય મુસલમાનોએ હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક મિશ્રણમાંથી એક વિલક્ષણ અસ્મિતા વિકસાવી હતી જે કળા અને સંસ્કૃતિમાં પ્રગટ થાય છે. અને ત્રીજું, મુસલમાનો ભારતમાં આવ્યા અને વહાબીઆંદોલન શરૂ થયું એની વચ્ચેના પાંચસો વર્ષ દરમિયાન ભારતીય ઇસ્લામનો એક અનોખો ચહેરો કંડારાયો હતો. આખા જગતે ભારતીય ઇસ્લામના એક અલાયદા ચહેરાને સ્વીકાર્યો પણ હતો.

વહાબી મૂળભૂતવાદે આને નકારવાનું શરૂ કર્યું હતું. ભારતીય ઇસ્લામ પર (અને મુસલમાનો પર)નો સૂફી પ્રભાવ દૂર કરો, ભારતીય ઈસ્લામને પર્શિયન સાંસ્કૃતિક પ્રભાવથી મુક્ત કરો, તેને સાતમી સદીના અરબસ્તાનની નજીક લઈ જાઓ, ભારતીય મુસલમાનો પરના હિંદુ પ્રભાવને હટાવો. ભાષા, પહેરવેશ, રીતિરિવાજ એમ દરેક રીતે ભારતીય મુસલમાન સાચો મુસલમાન બનવો જોઈએ. ટૂંકમાં ઇસ્લામ માટે અને મુસલમાન માટે જે ભારતીય વિશેષણ વાપરવામાં આવે છે એ ઓળખવાચક ન રહેવું જોઈએ, માત્ર વસ્તુવાચક જ રહેવું જોઈએ. એ મુસલમાન છે જે ભારતમાં રહે છે અને મૂળ સ્વરૂપના શુદ્ધ ઈસ્લામને અનુસરે છે. બસ, આટલું જ! આમાં બીદ્દ્ત (ગેર ઇસ્લામિક રીવાજ, રસ્તો ચૂકવો) અને શિર્ક(ખુદાની બરાબરી કરવી)ની ઇસ્લામિક વિભાવનાનો મુસલમાનો સામે જ દુરુપયોગ કરવામાં આવે છે.

મારા નમ્ર મત મુજબ આ સાવ અવ્યવહારુ અને આત્મઘાતક માર્ગ છે જેના વિશે જેટલો ઊહાપોહ ભારતીય મુસલમાનોમાં થવો જોઈએ એટલો થતો નથી. આને માટે કોમવાદી હિંદુત્વવાદીઓ પણ જવાબદાર છે. હિન્દુત્વવાદીઓ ભોળાભલા સામાન્ય મુસલમાનોને હાંસિયામાં ધકેલીને તેમને પાકા મુસલમાન બનવા મજબૂર કરે છે. ડરેલા મુસલમાનને ત્યાં આશ્રય મળે છે, હૂંફ મળે છે, સલામતીનો અહેસાસ થાય છે. આ ખોટનો સોદો છે એ નથી મૂળભૂતવાદી મુસલમાનોને સમજાતું કે નથી હિન્દુત્વવાદીઓને સમજાતું.

૧૭૦૭માં થયેલા ઔરંગઝેબના મૃત્યુ અને ૧૮૫૭માં ભારતમાં થયેલા વિદ્રોહની વચ્ચેના ૧૫૦ વર્ષમાં ભારતીય મુસલમાનો વહાબીપ્રભાવ હેઠળ જે માર્ગ અપનાવતા થયા હતા તેને કારણે એવી છાપ પડી હતી કે ઇસ્લામ અપરિવર્તેય છે. લોર્ડ ક્રોમરે ‘મોડર્ન ઈજીપ્ત’ નામના ગ્રંથમાં લખ્યું છે કે ઇસ્લામમાં પરિવર્તન શક્ય નથી અને જો પરિવર્તન કરવામાં આવે તો ઇસ્લામ બચે નહીં. (Islam cannot be reformed; that is to say reformed Islam is no longer Islam, it is something else.) અને બીજું હિંદુના મનમાં એવી છાપ પડી કે મુસલમાન મુસલમાન છે, ભારતીય નથી. આવી છાપ અંગ્રેજોએ દ્રઢ કરી આપી હતી. હિંદુ-મુસ્લિમ સહિયારાપણું ઘટતું ગયું અને આજે પણ ઘટી રહ્યું છે.

એક વાત નોંધી લો; ૧૭૫૭થી ૧૮૮૫ સુધી અંગ્રેજોને માત્ર મુસલમાનોનો જ ડર હતો, હિંદુઓનો નહોતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 મે 2020

Loading

3 May 2020 admin
← જીવતાં વૃક્ષ અને મરતાં વૃક્ષ
કુંદનિકા કાપડિયાઃ પરમ સમીપેની યાત્રા પહેલાં અસંખ્ય જિંદગીઓને પરમનો માર્ગ દર્શાવનારાં →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved