Opinion Magazine
Number of visits: 9451794
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મરકી, મોહનદાસ અને સાવિત્રીબાઈ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 May 2020

ભારતનાં પહેલાં મહિલા શિક્ષિકા અને અનન્ય સમાજસુધારક મહાત્મા ફુલેનાં જીવનસાથી સાવિત્રીબાઈ ફુલે ૧૮૯૭ના મરકીના રોગચાળામાં લોકોની સેવા કરતાં ખુદ ચેપગ્રસ્ત બની મૃત્યુ પામ્યાં હતાં તે હાલના વૈશ્વિક કોરોનાકાળમાં યાદ આવે તેવી ઘટના છે. જે જમાનામાં શૂદ્રો અને સ્ત્રીઓનાં શિક્ષણ પર સામાજિક તાળાબંધી હતી, ત્યારે ફુલે દંપતીએ તેના વિરોધમાં ઝીંક ઝીલી મહિલાઓ અને દલિતો માટે શિક્ષણનાં દ્વાર ખોલી સમાજસુધારણાની દિશામાં જુદાં કદમ માંડ્યાં હતાં. યુવાન હિંદુ વિધવા સ્ત્રીઓ, કુટુંબના પુરુષોના યૌન શોષણનો ભોગ બની ગર્ભવતી થતાં કુવોહવાડો કરતી હતી. તેને અટકાવવા તેમણે બાળહત્યાપ્રતિબંધક ગૃહ શરૂ કરી આવી સ્ત્રીઓની પ્રસૂતિ કરાવી તેમનાં અનૌરસ સંતાનોને ઉછેરવાની જવાબદારી લીધી હતી. નિ:સંતાન ફુલે દંપતીએ ૧૮૭૩માં પોતાના બાળહત્યાપ્રતિબંધક ગૃહમાં જન્મેલા, કાશીબાઈ નામક વિધવાના પુત્રને દત્તક લીધો હતો. તેનું નામ યશવંત રાખેલું. તેને ભણાવી ગણાવી ડોકટર બનાવ્યો હતો.

જડ સમાજવ્યવસ્થા અને તેની રુઢિઓ સામે બંડખોર ફુલે દંપતી ભારોભાર કરુણા અને માનવીય સંવેદનાથી સભર હતું. ૧૮૯૦માં મહાત્મા ફુલેના અવસાન પછી તેમણે સ્થાપેલ “સત્યશોધક સમાજ” મારફત સાવિત્રી ફુલેએ તેમના સમાજસુધારણાના કાર્યોને આગળ વધાર્યા હતા. ૧૮૯૭માં મુંબઈ અને પુણેમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. અનેક લોકો તેમાં ટપોટપ મરવા માંડયાં હતાં. સાવિત્રીબાઈ ફુલેએ પ્લેગગ્રસ્તોની સારવાર અને સેવાનું કામ આરંભ્યું. તેમના ડોકટર દીકરા યશવંતે પુણેમાં દવાખાનું શરૂ કરી મરકીના ચેપગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા છતાં પ્લેગગ્રસ્તોને શોધી શોધીને સાવિત્રીબાઈ તેમને પુત્રના દવાખાને લઈ આવતાં હતાં. તેમની સેવાશુશ્રૂષાથી દરદી સાજા પણ થતાં હતાં. પુણેની સડક પર પડેલા એક પ્લેગગ્રસ્ત અસ્પૃશ્ય બાળકનો ઈલાજ કરવો તો દૂર, કોઈ તેની નજીક પણ ફરકતું નહોતું. સાવિત્રીબાઈને તેની ભાળ મળતાં તેઓ તે બાળકને ખભે ઊંચકી દવાખાને લાવ્યા. ઘણા વખતથી મરકીગ્રસ્તોની સેવા કરતાં સાવિત્રીબાઈને આખરે ચેપ લાગ્યો અને ૧૦મી માર્ચ ૧૮૯૭ના રોજ પ્લેગને કારણે તેમનું અવસાન થયું હતું. તે પછી સેનામાં ડોકટર તરીકે જોડાયેલા યશવંત ફુલેએ ૧૯૦૫ના પ્લેગ વખતે પુણે આવી ફરી પ્લેગગ્રસ્તોની સારવાર કરી હતી. એક દિવસ તેમને પણ ચેપ લાગ્યો અને મૃત્યુ પામ્યા. આજના કોરોના વોરિયર્સના સમયમાં ફુલે માતા-પુત્રનું આ બલિદાન પણ સંભારવાની જરૂર છે.

ગાંધીજીના જીવનમાં આવેલા મરકીના મુકાબલાના એકાધિક પ્રસંગો પણ આજે પ્રાસંગિક છે. વિલાયતમાં બેરિસ્ટર થઈ સ્વદેશ આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીનું પ્રામાણિકતાથી સત્યની વકીલાત કરવાનું વલણ રોટલા રળી આપે તેવું નહોતું. એ દરમિયાન દક્ષિણ આફ્રિકાથી દાદા અબ્દુલાનું કહેણ આવ્યું એટલે તે દક્ષિણ આફિકા ગયા. ત્યાં કુલીપણાનો અનુભવ થયો, તો ગિરમીટિયાની સમસ્યા સમજાઈ, તેની વિરુદ્ધમાં સત્યાગ્રહ કર્યો અને સફળતા મેળવી. મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં ન માત્ર વકીલ રહ્યા, જાહેર કામ કરતા પણ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં ગરીબ ગિરમીટમુક્ત હિંદીઓને ત્યાંના લોકો ‘કુલી’ તરીકે ઓળખતા અને તેમને શહેરોમાં નોખા રાખવામાં આવતા હતા. આવી જગ્યા “કુલી લોકેશન” કહેવાતી હતી. જોહાનિસબર્ગના હિદીઓ નવ્વાણું વરસના જમીનના ભાડાપટ્ટે ગંદકી અને ગીચતાથી ભરેલા કુલી લોકેશનમાં રહેતા હતા. એ વસાહતમાં ન સડક હતી, ન વીજળી હતી અને ગંદકીથી ભરેલાં પાયખાનાં હતાં. આ વસાહતમાં ગંદકી અને ખરાબી વધી તો સ્થાનિક મ્યુનિસિપાલિટીએ તેનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી. બેરિસ્ટર મોહનદાસ ગાંધી તેમાં વસતા હિંદીઓનો માલિકી હક અને વળતરનો કેસ “હાર થાય કે જીત, પટ્ટાદીઠ દસ પાઉન્ડ”ના હિસાબે લડ્યા અને જીત્યા.

એ પછી તરત, ઈ.સ. ૧૯૦૪માં, જોહાનિસબર્ગના કુલી લોકેશનમાં એકાએક જીવલેણ કાળી મરકી ફાળી નીકળી. એ સમયે ગાંધીજીએ મરકીનો ભોગ બનેલા લોકોની જે સારવાર કરી તેનું વર્ણન તેમની આત્મકથા “સત્યના પ્રયોગો”ના બે પ્રકરણો(મરકી-૧, મરકી-૨)માં વાંચવા મળે છે. શહેરની આસપાસની સોનાની ખાણોમાં મરકીનું ઉપદ્રવ કેન્દ્ર હતું. તેમાં કામ કરતા અને કુલી લોકેશનમાં રહેતા ત્રેવીસ હિંદીઓ મરકીનો ભોગ બન્યા હોવાના સમાચાર મળતાં ગાંધીજી સ્થળ પર પહોંચ્યા અને તેમની સારવારમાં લાગી ગયા. આત્મકથામાં તેનું વર્ણન કરતાં તેમણે લખ્યું છે, “શુશ્રૂષાની રાત્રિ ભયાનક હતી. મેં ઘણાં દરદીઓની સારવાર કરી હતી, પણ મરકીના દરદીની સારવાર કરવાનો અવસર મને કદી પ્રાપ્ત નહોતો થયો. દરદીઓની સેવા ઝાઝી થઈ શકે તેવું નહોતું. તેમને દવા આપવી, આશ્વાસન આપવું, પાણીછાણી આપવાં તથા તેમનું મેલું સાફ કરવું એ ઉપરાંત વિશેષ કરવાપણું નહોતું. જ.”

મરકી ન ફેલાય તે હેતુસર સ્થાનિક તંત્ર પણ મદદે આવ્યું. અહીં પણ ગાંધીજીએ કેટલાક પ્રયોગો કર્યા હતા. દરદીઓને દવા સાથે દારુ તરીકે બ્રાન્ડી આપવામાં આવતી હતી. ડોકટરની પરવાનગીથી જે ત્રણ દરદીઓ દારૂ વિના ચલાવવા  તૈયાર થયા તેમના પર ગાંધીજીએ માટીના પ્રયોગો કર્યા હતા. ગાંધીજી લખે છે, “આ ત્રણ દરદીઓમાંથી બે બચ્યા. બાકીના બધા દરદીઓનો દેહાંત થયો.” (પૃષ્ઠ-૨૮૫) સારવાર માટે મૂકાયેલા નર્સને ગાંધીજી દરદીઓને અડકવા દેતા નહોતા. છતાં તે નર્સ પણ  આ દરમિયાન ચેપથી મૃત્યુ પામ્યાં. ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યું છે, ”પેલા દરદીઓનું બચવું ને અમારું મુક્ત રહેવું શા કારણથી થયું તે કોઈ કહી ન શકે. પણ માટીના ઉપચાર ઉપરની મારી શ્રદ્ધા અને દવા તરીકે પણ દારૂના ઉપયોગ વિશે મારી અશ્રદ્ધા વધ્યાં”.

વર્તમાન સમયમાં સરકારની ટીકા કરવાથી દૂર રહી સરકારને મદદ કરવાની સલાહ અપાય છે, પણ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં પરદેશી હોવા છતાં મરકી અંગે સરકાર અને તંત્રની બેદરકારી અંગે ચૂપ નહોતા રહ્યા. તેમણે સરકારને સખત કાગળ લખેલો અને છાપાંમાં લેખ પણ લખેલો. ગાંધીજી સ્થાનિક વસાહતીઓની પડખે રહી તેમને સમજાવતા રહ્યા. એટલે તેમના સહકારથી સરકાર શહેરથી દૂર વસાહતનું સ્થળાંતર કરાવી શકી અને કુલી લોકેશનની હોળી કરવામાં સફળ રહી. આ રીતે મરકીમાંથી મુક્તિ મળી હતી. આ ઘટનાની ફલશ્રુતિ અંગે ગાંધીજીનું કહેવું હતું કે, “આ મરકીએ ગરીબ હિંદીઓ પરનો મારો કાબૂ, મારો ધંધો ને જવાબદારી વધાર્યાં.”

ફુલે માતા-પુત્રે મરકીનો ભોગ બનેલાની સારવાર કરતાં જાતનો ભોગ આપ્યો હતો. ગાંધીજી જીવનમાં પહેલીવાર પ્લેગના દરદીઓની સારવાર કરતાં પણ પોતાના પ્રયોગો કરતાં ન ખચકાયા. મરકીએ તેમનો ધંધો અને લોકો પરનો કાબૂ વધાર્યા એમ પ્રામાણિકપણે જણાવીને તેણે જવાબદારી પણ વધાર્યાનું લખ્યું હતું. આ બે ઘટનાઓનો આજના સમયનો આ સૌથી મોટો બોધપાઠ છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020

Loading

2 May 2020 admin
← ભારતમાં કોરોનાકાળની દલિત દુનિયા
દેશમાં કોરોના વાઇરસ સામે યુદ્ધ લડાઈ રહ્યું છે તો એ કોણ લડી રહ્યું છે ? →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved