Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇમ્યૂનિટી બૂસ્ટિંગઃ આધી હકીકત, આધા ફસાના

દીપક સોલિયા|Opinion - Opinion|17 April 2020

રોગપ્રતિકારક શક્તિ વધારવા વિશેનાં જે સૂચનો ચર્ચાઈ રહ્યા છે તેને વિજ્ઞાનનો કેટલો ટેકો છે?

દોરા-ધાગા-તાવીજ-માદળિયાં-તંત્ર-મંત્રની વાત જવા દો, આજે વાત કરવી છે ‘વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા’ની કૅટેગરીમાં મૂકી શકાય એવી કેટલીક બાબતોની. જેમ કે, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ એવું માને છે કે હાઈડ્રોક્સિ-ક્લોરોક્વિન વડે કોરોનાનો મુકાબલો થઈ શકે છે. પૂરતા વૈજ્ઞાનિક પુરાવા વિનાની આ દૃઢ અને જોશીલી માન્યતાના જોરે ટ્રમ્પે ભારત પર એટલું બધું દબાણ કર્યું કે ભારતે ઝૂકીને એક જ દિવસમાં હાઈડ્રોક્સિ-ક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવો પડ્યો.

વિશ્વમાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોનો ભોગ લેનાર સ્પેનિશ ફ્લૂનો રોગચાળો આજથી એક સદી પહેલાં જ્યારે જોરમાં હતો ત્યારે એક જાણીતા મલમની જાહેરાતમાં એવો દાવો કરવામાં આવતો કે આ ત્રણ બાબતો વડે તમે સ્પેનિશ ફ્લૂથી બચી શકશોઃ ૧) મૌન સેવો. ૨) કબજિયાત ન થવા દો. ૩) અમારું વેપોરબ ગળા-છાતી પર ઘસો. આ વેપોરબ ઉપરાંત સાપના તેલથી માંડીને મધ અને ફુદીનાને લગતી કેટલીક પ્રોડક્ટ્સ પણ ફ્લૂ મટાડી શકતી હોવાના દાવા કરતી જાહેરાતો એ વખતે (૧૯૧૮-૧૯નાં છાપાંઓમાં) મોટા પ્રમાણમાં જોવા મળતી.

એ વાતને સદી વીતી ગઈ. હવે માનવજાત કોરોનામાં સપડાઈ છે. અને ફરી એક વખત, અગાઉની જેમ જ, કોરોનાથી બચવાના જાતજાતના ‘ઇલાજો’ સૂચવાઈ રહ્યા છે. એ બધેબધા ઇલાજોમાં ન પડતાં, અહીં ફક્ત રોગપ્રતિકારક શક્તિમાં સીધો વધારો (ઇમ્યૂનિટી બૂસ્ટ) કરવાને લગતી કેટલીક ‘વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા’ પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ.

રોગના પ્રતિકારનું મિકેનિઝમ પહેલાં તો સમજીએ. ત્વચા, શ્વાસનળી તથા મ્યુકસ મેમ્બ્રેન જેવા પહેલી હરોળના સૈનિકોને હરાવીને જીવાણુ-વિષાણુ જો શરીરની અંદર લોહી સુધી પહોંચી જાય તો પછી શરીરનું કુદરતી, જન્મજાત રોગપ્રતિકારક મિકેનિઝમ કામે લાગે. એ મિકેનિઝમ પણ અપૂરતું લાગે તો શરીર દ્વારા વિકસાવાયેલી ઇમ્યૂન સિસ્ટમ ચોક્કસ રોગો સામે લડવા ચોક્કસ સૈનિક-કોષો પેદા કરે (એમાં થોડો સમય લાગે). જેમ કે, કોરોનાના વાઇરસ સામે લડવા માટે શરીરમાં જે ટી-સેલ્સ બને, તે અન્ય બેક્ટેરિયા કે વાઇરસ સામે ન લડે. એ કહી દે કે અમારું કામ ફક્ત કોરોના સામે લડવાનું જ છે.

આ બધા ઉપરાંત, રોગના પ્રતિકારનું એક અત્યંત મહત્ત્વનું બાહ્ય સાધન છે રસી. રસી જીવતાં કે મરેલાં રોગજંતુ કે તેના કેટલાક હિસ્સાની બનેલી હોય છે. રસી એટલે ‘ડમી દુશ્મન’. શરીર આ ડમી દુશ્મન સામે લડવાની પ્રેક્ટિસ બાદ અસલી દુશ્મન સામે સારી રીતે લડી શકે છે. રોગપ્રતિકારક શક્તિને વધારવાનો-ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવાનો સૌથી સચોટ, નક્કર અને વૈજ્ઞાનિક રસ્તો આ જ છેઃ રસી. ઇમ્યૂનિટી મુખ્યત્વે રસીથી જ બૂસ્ટ થાય.

ટેક્નિકલી, ઇમ્યૂનિટી બૂસ્ટ થાય ત્યારે રોગ વખતે શરીર જે પ્રતિક્રિયા આપે તે પ્રતિક્રિયાઓ ઉત્તેજિત થાય. જો કે એ પ્રતિક્રિયાઓ સુખદ નથી હોતી. સાદો દાખલો લઈએ. શરદી થાય ત્યારે નાકમાંથી પ્રવાહી વહે, શરીરમાં કળતર થાય અને તાવ આવે. આ ત્રણેય ત્રાસમાં વાઇરસનો પોતાનો સીધો કોઈ હાથ નથી હોતો. આ લક્ષણો શરીર પોતે જ, પોતાના લાભ ખાતર પેદા કરે છે. શરદી વખતે શરીર જે પ્રવાહી પેદા કરે છે તે રોગજંતુને શરીરમાંથી બહાર ફગાવવામાં મદદ કરે છે. એ જ રીતે તાવને લીધે શરીરની ગરમી વધી જવાથી રોગજંતુને પોતાની વસતિ વધારવામાં મુશ્કેલી પડે છે. અને પેલું કળતર. એ કળતર અમુક રસાયણોને લીધે અનુભવાય છે. એ રસાયણો ત્રાસજનક હોવા છતાં ઉપયોગી એ રીતે છે કે રોગપ્રતિકારક કોષોએ શરીરના ક્યા ભાગમાં જઈને શું કરવાનું છે તે વિશેની દોરવણી આપવાનું એટલે કે માર્ગદર્શકનું કામ આ કળતર પેદા કરનારા રસાયણો કરે છે. અને હા, કળતર પેદા કરતાં રસાયણો આપણને એમ પણ કહે છે કે ભઈલા, ચૂપચાપ છાનોમાનો પડ્યો રહે, આરામ કર.

ટૂંકમાં, બે ઘડી માની લો કે ગ્રીન ટી પીવાથી જો ઇમ્યૂનિટી બૂસ્ટ થતી હોત તો ગ્રીન ટીના સેવનથી ચહેરા પર ચમક ન આવતી હોત, બલકે નાક રેલાવા લાગતું હોત, કારણ કે અસલી ઇમ્યૂનિટી બૂસ્ટિંગ આ છે, જેમાં શરીરનું પ્રતિકારતંત્ર જાગી ઊઠે, સક્રિય બને અને કદાચ તાવ-બાવ લાવી દે.

માન્યું કે મોટા ભાગના લોકો જ્યારે રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટ કરવાની વાતો કરતાં હોય છે ત્યારે તે ઉપર નોંધી છે તેવી ટેક્નિકલ પ્રક્રિયાઓને સીધેસીધી એક્ટિવેટ કરવાની વાત નથી કરતા હોતા. તેઓ ‘ઇન જનરલ’ પ્રતિકારક શક્તિ અને આરોગ્ય વધારવાની વાત કરતાં હોય છે. આવાં જે સૂચનો-કીમિયા-નુસખા-સલાહો માર્કેટમાં આજકાલ બહુ જોવા મળી રહ્યાં છે તેના પર નજર કરી જોઈએ. ૧) વિટામિન સી. ૨) લીમડો. ૩) આદુ. ૪) પ્રોબાયોટિક્સ (શરીરને ઉપયોગી એવા જીવાણુ ધરાવતા પદાર્થો-દવાઓ). ૫) હળદર. ૬) આ માન્યતા ભારતમાં ઓછી છે, પણ પશ્ચિમના દેશોમાં એવું તૂત ચાલ્યું છે કે માસ્ટરબેશનનું પ્રમાણ વધારવાથી ઇમ્યૂનિટી બૂસ્ટ થાય. ના, આમાં વાત ફક્ત એટલી જ છે કે અન્ય શરીરના સંપર્કને ટાળીને જાતે જાતીય સુખ મેળવવાથી અન્યના ચેપથી બચી શકાય છે. ૭) લીલી ચા. ૮) ગરમ પાણી પીવું. ૯) એન્ટિઑક્સિડન્ટ્સની ટીકડીઓ. આ યાદી તમે લંબાવી શકો છો …

અલબત્ત, આ બધા ‘ઉપચારો’ કંઈ વિલન નથી. ઇન ફેક્ટ, જો તેમનો અતિરેક ન કરવામાં આવે તો આમાંના ઘણા ‘નિર્દોષ ઉપચારો’ આરોગ્ય માટે લાભદાયી નીવડી જ શકે, પરંતુ સમજવા જેવું એ છે કે આ નિર્દોષ નુસખાને લીધે જો માણસમાં એવો આત્મવિશ્વાસ પ્રગટે કે બૉસ, હું તો વિટામિન સીની ટીકડી લઉં છું અને આદુ-અજમો-હળદર લઉં છું, એટલે કોરોના મારું કશું બગાડી શકશે નહીં, તો લોચો. આવો ખોટો આત્મવિશ્વાસ માણસને સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવા બાબતે બેદરકાર બનાવીને પાર્ટીઓ કરવા પ્રેરી શકે. આ જોખમ મોટું ખરું.

બાકી, કોરાના સામે લડવાની શક્તિ ખરેખર વધારે એવી જે બાબતોને વિજ્ઞાનનો પૂરેપૂરો ટેકો છે, જેની નક્કર-સજ્જડ સાબિતીઓ છે તેટલી બાબતો તો આ જ છેઃ

1. સૌથી બાહ્ય રોગપ્રતિકારક સૈનિક એટલે કે ત્વચાને જ કોરોના-મુક્ત રાખવા માટે ઘરમાં રહેવું, ચહેરાને બહુ ન અડવું અને હાથ ધોવા.

2. ઉજાગરા ન કરવા. અપૂરતી ઊંઘ પ્રતિકારક તંત્ર પર ઘણી ખરાબ અસર પાડે છે.

3. માપસરનો વ્યાયામ. એ શરીરને કાર્યક્ષમ બનાવે છે.

4. વિશ્વના અંદાજે એક અબજ લોકો વિટામિન ડીની ઉણપથી પીડાતા હોવાનું તારણ કેટલાક અભ્યાસો પરથી તારવવામાં આવ્યું છે અને આ વિટામિન ડી રોગપ્રતિકારક તંત્રનો એક મહત્ત્વનો હિસ્સો છે. એટલે જો વિટામિન ડીની ઉણપ હોય તો (તો જ) તે માટેની દવા લેવી.

5. સ્ટ્રેસ-તણાવ-ચિંતાથી બચવું. મગજ પરનો ભાર ઇમ્યૂનિટીની વાટ લગાડે છે તેવું સ્પષ્ટપણે પૂરવાર થઈ ચૂક્યું છે.

6. એ પ્રકારનો વૈવિધ્યપૂર્ણ ખોરાક લેવો જેથી શરીરને જરૂરી એવાં તમામ પોષક તત્ત્વો મળી રહે.

7. સૌથી છેલ્લો, સૌથી મહત્ત્વનો અને સૌથી સ્પષ્ટપણે સાબિત થઈ ચૂકેલો રોગપ્રતિકારક ઇલાજ છે, રસી. પણ અફસોસ, કોરોનાની રસી હજુ સુધી શોધી શકાઈ નથી.

એટલે અત્યારે તો આ સાતમા ઇલાજને બાદ કરતાં બાકીની છ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ છ બાબતો ઇમ્યૂનિટીના મિકેનિઝમમાં સ્પષ્ટપણે મદદરૂપ થતી હોવા વિશે વિજ્ઞાનને સહેજ પણ શંકા નથી.

e.mail : dipaksoliya@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 ઍપ્રિલ 2020

Loading

17 April 2020 admin
← આ મુશ્કેલ સમયમાં ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’
Coronavirus – what will it teach us? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved