e.mail : umlomjs@gmail.com
![]()
![]()

રવીન્દ્ર પારેખ
કુદરતને જ્યારે પણ જાણવા-માણવાનું થાય છે, ત્યારે તેનું વૈવિધ્ય પહેલાં ધ્યાન ખેંચે છે. સૂર્ય એક જ છે, પણ સવારનો ને સાંજનો જુદો છે. એ જ રીતે ચંદ્ર એક જ છે, પણ પૂનમનો ને આઠમનો જુદો છે. તારાઓ અગણિત છે, સરખું જ ટમટમે છે, પણ સપ્તર્ષિનું ઝૂમખું અલગ જ તરી આવે છે. શુક્રની હીરા જેવી ચમક, બીજા તારાઓમાં નથી. સમુદ્ર બધા જ ખારા, પણ તેનાં રંગો, તેની ગહેરાઈ-પહોળાઇનો ગુણાકાર, તેને એકબીજાથી નોખા પાડે છે. કહેવાય તો બધી નદી જ, પણ તેનું જળ, તેની ચમક, તેનો વિસ્તાર તેનું પૌરાણિક મહત્ત્વ, તેને અન્ય નદીઓથી અલગ તારવે છે. આ પહાડોને જ જુઓને ! એક હિમાલય છે, તો એક ગિરનાર, એક સહ્યાદ્રિ છે, તો એક આબુ. એક પર બરફ છે, તો એક ધગધગે છે. ક્યાંક વૃક્ષો છે, તો ક્યાંક શિખરો બોડકાં છે. એક ઊંચો, તો બીજો નીચો. એ નીચો પણ, અનેક શિખરોથી શોભે છે. સમાનતાને નામે આ શિખરોને કાપીકૂપીને સરખાં કરવાં જેવાં ખરાં?
– ને વૃક્ષો? કેટલું વૈવિધ્ય ! કેટલાંક તો આકાશ ટોચવાનાં હોય તેમ સીધાં ઊંચે ધસે, તો કેટલાંક જમીન પર જ એટલી શાખાઓ પ્રસારે કે એક જ વૃક્ષથી જંગલ રચાતું લાગે. આમ ત્યારે કહેવાય બધાં વૃક્ષો, પણ કોઈનાં પાન લાંબાં, તો કોઈનાં સાવ ટૂંકાં. જાણે ફૂટવાં જ ન માંગતાં હોય ! કોઈ કોઈ તો લીલી હથેળીઓ જેવાં ! પાન લીલાં, પણ લીલાશની પણ કેવી નોખનોખી રંગછટાઓ ! કેટલાંક પાન, ઘેરાં લીલાં તો કેટલાંક પોપટી લીલાં. એમાં જો તડકો ઉમેરાય તો એ લીલાશનો તેજવૈભવ અભિભૂત કર્યા વિના ન રહે. વૃક્ષો ય કેટલાંક તો એવાં ઘટાદાર ને ઘેરદાર કે સૂર્યનું કિરણ પણ, તેને ભેદીને ઊંડે ન ઊતરી શકે. કોઈ કોઈ પર્વતો પરની વનરાજિ જોઈએ તો લાગે કે વૃક્ષો પર્વતારોહકોની જેમ, નીચાં ઝાડનો ટેકો લઈને ટોચે પહોંચ્યાં હશે ! વૃક્ષો સાથે કુહાડાઓ ભલે સ્પર્ધામાં હોય, પણ આંખને લીલાશનો વિરહ નથી થતો એટલો ઉપરવાળાનો ઉપકાર ! સાચું તો એ છે કે આપણને હરિયાળી અને વરિયાળી વગર ચાલતું નથી, એટલે વરિયાળી મુખવાસમાં ને બોન્સાઈ આવાસમાં રાખીએ છીએ. કાપીકૂપીને વૃક્ષોને આપણે, આપણી સાઇઝનાં કર્યાં છે. તે એટલે કે કોઈ વરદ કે મરદ હસ્તને વૃક્ષારોપણનો પ્રસંગ પડે. બગીચાઓ આપણે મેટ્રોમાને વધેર્યાં ને મહિમા ટેરેસ ગાર્ડનનો કર્યો. શહેરનાં વૃક્ષો ડામરથી ડરીને, ક્યાંક આડું અવળું ન ઊગી જવાય એની કાળજી રાખીને, વગર ટાઢે થરથરતાં ઊભાં રહે છે- જાણે સંત્રીઓ કોઈ મંત્રીને પસાર કરવા લાઇનમાં ઊભાં છે ! આમ તો ફૂલો જુદાં. એક ડાળ પર પાસપાસે ઊગે તો ગુલાબ જ, પણ બંનેની ગુલાબી પાંદડીઓ વત્તીઓછી.
આ તો પ્રકૃતિની વાત થઈ. એ એક સમાન નથી. એમ જ માણસને પણ સમાનતા બહુ ફાવતી નથી. તમને ખબર છે, બાળક જન્મે ત્યારે રડે છે કેમ? એને માબાપ પસંદ કરવાનો અધિકાર નથી એટલે એ રડે છે. ગમે એટલી કોશિશ કરે, પણ માણસ જન્મ આપનારી માતાને બદલી નથી શકતો કે જન્મનું બીજ નકારી નથી શકતો. બીજું, જન્મતાં જ તેને ધર્મ વળગી પડે છે. તેણે હિન્દુ થવું કે મુસ્લિમ કે શીખ કે ઈસાઈ, તે તેના હાથમાં નથી. એ પાછળથી ધર્મપરિવર્તન કરી શકે, પણ જન્મ સાથે મળેલા ધર્મની ગંધ તો એને વળગેલી જ રહે છે.
કહેવાય તો બધાં જ બાળકો, પણ કોઈ ગોરું છે, તો કોઈ કાળું, કોઈ હિન્દુ છે, તો કોઈ મુસ્લિમ. કોઈ શીખ છે, તો કોઈ પારસી. બધાંનાં વિધિવિધાન, રીતરિવાજો જુદાં. જુદાઇ કોઈને કોઈ રીતે વળગેલી જ રહે છે, એટલે સ્કૂલો એને એક કરવા મથે છે. એ ભલે ગણવેશથી એક દેખાડવા મથે, પણ ક્યાંક પાણીનાં માટલાં જુદાં છે. પાણી એક છે, પણ માટલામાં પડતાં જ તે હિન્દુ કે મુસ્લિમ થઈ ઊઠે છે, સવર્ણ કે દલિત થઈ ઊઠે છે. નાનેથી એને એકતા, સમાનતાના પાઠ શીખવાય છે, પણ બાળક ઘરે પહોંચે છે તો ભિન્નતા ને ભેદનો જ મહિમા થતો જુએ છે. એક જ ઘરમાં એ જુદી નીતિ, જુદા નિયમો જુએ છે. મોટો થતાં જાણે છે કે એક જ દેશના એક રાજ્યમાં દારૂબંધી છે, તો બીજા રાજ્યોમાં દારૂની દુકાનો છે.
આમ તો ધર્મ, ઈશ્વર એક છે એવું શીખવે છે, પણ એક જ ધર્મમાં એકતા નથી. મુસ્લિમમાં જ શિયા-સુન્ની છે. ખ્રિસ્તીમાં રોમન કેથલિક છે, તો પ્રૉટેસ્ટન્ટ ક્યાં નથી? જૈનમાં એક શ્વેતાંબર છે, તો બીજો દિગંબર છે. બૌદ્ધમાં પણ હીનયાન, મહાયાનના ફાંટા છે જ. આમ કહેવાય છે બધાં જ હિન્દુ, પણ કોઈ સ્વામીનારાયણી છે, તો કોઈ કબીરપંથી છે. કોઈ શૈવ છે, તો કોઈ વૈષ્ણવ. ઈશ્વર એક છે, પણ દેવીદેવતાઓ કરોડો છે. એનો સંદેશ તો શુદ્ધ જ છે, વિવિધતામાં એકતાનો, પણ એ એકતા ખરેખર છે ખરી? આમ તો એ છે હિન્દુ જ, પણ દલિત ને સવર્ણો એક નથી. આદિવાસીના પોતાના કાયદા છે. એને હિન્દુ મેરેજ એક્ટની ખબર નથી. કેટલી જ્ઞાતિ, કેટલી જાતિ, કેટલા સમાજ હિન્દુઓમાં જ છે. હવે થોડું સુધર્યું છે, પણ અમુક જાતિ કે જ્ઞાતિની બહાર થયેલાં લગ્નો આજે પણ જીવ પર આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભિન્નતા જ અનેક રીતે લોહીમાં ઓગળેલી છે. જરા વિચારીએ કે મંદિરોમાં બધાં હિન્દુઓને પ્રવેશ છે? કેટલાંક મંદિરોમાં તો સવર્ણ સ્ત્રીઓને પણ પ્રવેશ નથી, તેનો કોઈને સંકોચ નથી.
– તો, આ સ્થિતિ છે. આટલાં વૈવિધ્યવાળી પ્રજાને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર જઇ રહી છે. ચાળીસ કરોડ અન્ય પ્રજાને સરકાર ધારો કે લેખામાં ન લે, તો પણ ખાલી 100 કરોડ હિન્દુઓને કોમન સિવિલ કોડ લાગુ કરવામાં ય જોખમી સાહસ છે. સિવિલ કોડનો હેતુ દેશના નાગરિકોના જુદા જુદા કાયદાઓને એક કરવાનો છે. નાગરિકોના ધર્મ, આસ્થા અને માન્યતાઓને આધારે લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, દત્તક જેવી બાબતોના અલગ અલગ કાયદા છે. એ કાયદાઓને અલગ ન રાખતા તેને કોમન સિવિલ કોડ હેઠળ લાવવાની વાત છે. કોમન સિવિલ કોડ લાગુ થતાં હિન્દુઓ કે મુસ્લિમોને ને કાયદાથી મળતા કેટલાક લાભો ગુમાવવાના થશે. મુસ્લિમોને બહુપત્નીત્વથી કાનૂની રીતે રક્ષણ મળે છે એ જ રીતે આદિવાસીઓને પણ પરંપરાને નામે એ લાભ મળે છે. એ બધાંને કોમન સિવિલ કોડ લાગુ થાય તો તેમને એ માફક ન આવે એમ બને. એટલે જ કદાચ ઝારખંડના 30થી વધુ સંગઠનોએ યુનિફોર્મ સિવિલ કોડનો વિચાર જ પાછો ખેંચવાની વાત કરી છે, તો મુસ્લિમો તો યુનિફોર્મ સિવિલ કોડ કોઈ પણ સંજોગોમાં સ્વીકારવાના મૂડમાં નથી. જૈનો હજી આ કાયદા બાબતે સ્પષ્ટ નથી. ઘણાંને આ કહેવાતો યુનિફોર્મ સિવિલ કોડ, હિન્દુ સિવિલ કોડ જ લાગે છે, એટલે એ પણ આ કાયદાનો વિરોધ કરશે જ ! હિન્દુઓમાં પણ દલિતો કે આદિવાસીઓ કહેવાતી સવર્ણ પ્રજા સાથે મેળ નથી જ પાડી શકતા, એટલે એ પણ કોમન સિવિલ કોડને મામલે હકાર ભણે એ વિષે શંકા છે. મુસ્લિમો સિવાયની અને હિન્દુ નહીં એવી બીજી પ્રજા પણ કોમન સિવિલ કોડના પક્ષમાં ભાગ્યે જ હકાર ભણે એવું બને. આપ પાર્ટીનું શરતી સમર્થન બાદ કરતાં, વિપક્ષો તો આઉટ એન્ડ આઉટ કોમન સિવિલ કોડની સામે જ પડ્યા છે. એમને એમ પણ લાગે છે કે કોમન સિવિલ કોડ ચૂંટણીનો સ્ટન્ટ છે. એ ખરું કે દર વખતે ભા.જ.પ. સરકાર ચૂંટણી જીતવા કોઈ એક પાનું ઊતરે છે. એક વખત રામ મંદિરનું પાનું નાખ્યું, તો બીજી વખત 370 નાબૂદીની વાત કરી, પણ તે સ્ટન્ટ નથી. તેણે એ કરી પણ બતાવ્યું છે. એ જ વિશ્વાસ તેને કોમન સિવિલ કોડ બાબતે પણ હોય એમ બને. એ જો ચૂંટણી જીતવાનું પત્તું હોય તો પણ ને એ જીત અપાવે એવું હોય તો પણ, તે સરળ એટલે નથી, કારણ પ્રજા કેટલી સાથે રહેશે એ પ્રશ્ન જ છે. રામ મંદિરમાં સફળતા મળી, કારણ તે હિન્દુઓને સ્પર્શતી વાત હતી, 370 નાબૂદીમાં સફળતા મળી, કારણ તે મુદ્દો ઘણું ખરું કાશ્મીરી મુસ્લિમો પૂરતો સીમિત હતો, જ્યારે કોમન સિવિલ કોડ એક સાથે સમગ્ર ભારતીય પ્રજાને સ્પર્શતો મુદ્દો છે એટલે એમાં સરકાર કેટલી સફળ થાય એ વિચારવાનું રહે. સરકાર ચોમાસું સત્રમાં કોમન સિવિલ કોડ મંજૂર કરાવવાની બધી પેરવીઓ કરે તો પણ, તેને મંજૂરી મળવાનું મુશ્કેલ છે. મળે તો એ ચમત્કાર જ હશે, તે એટલે કે અનેક જાતિ, જ્ઞાતિ, ધર્મોમાં વહેંચાયેલી ભારતીય પ્રજા ગુલામી વખતે તો એક ન હતી, પણ સ્વાતંત્રતાનાં 75 વર્ષો પછી પણ નથી. આવી સ્થિતિમાં કોમન સિવિલ કોડ, ઘણાના કોડ પર પાણી ફેરવે એમ બને. કોમન સિવિલ કોડ પસાર થવા ન થવા પર 2024ની ચૂંટણીનાં પરિણામો પણ નિર્ભર હશે. ટૂંકમાં, કોમન સિવિલ કોડ, ‘કોમન’ નહીં હોય એમ લાગે છે …
000
![]()
પુસ્તક પરિચય
ભેખધારી સમાજસેવક ભીખુભાઈ વ્યાસ (1930-2022) અને તેમના પત્ની કોકિલાબહેને ત્રીસેક વર્ષની અવિરત કર્મશીલતાથી દક્ષિણ ગુજરાતના ખૂબ અવિકસિત ધરમપુર વિસ્તારની કાયાપલટ કરી.
ભીખુભાઈના પ્રથમ સ્મૃતિદિન, પાંચમી જૂનને અનુલક્ષીને ‘નિ:શેષ સમર્પણની યાત્રા : ભીખુભાઈ વ્યાસ સ્મરણગ્રંથ’ પુસ્તક પ્રસિદ્ધ થયું છે. તેનું પ્રકાશન વલસાડ જિલ્લાના બિલપુડી મુકામે આવેલી સંસ્થા ‘વનપથ ટ્રસ્ટે’ કર્યું છે.
શિક્ષણના અભ્યાસી અને લેખક મનસુખ સલ્લાના સંપાદનમાં અર્થપૂર્ણ મુખપૃષ્ઠ અને અનેક તસવીરો સાથેનું દોઢસો પાનાંનું આ પુસ્તક સુઘડ અને સુરુચિપૂર્ણ બન્યું છે.
અંજલિ આપનાર સાડત્રીસ વ્યક્તિઓમાં કોકિલાબહેન ,‘વનપથ’ના કાર્યકરો, ભીખુભાઈની તાલીમમાં તૈયાર થઈને અનેક સંસ્થાઓમાં સક્રિય કાર્યકર્તાઓ અને શિક્ષકો; ઉપરાંત સમાજશાસ્ત્ર, માધ્યમો, જાહેરજીવનના અગ્રણીઓ તેમ જ પરિવારજનોનો સમાવેશ થાય છે. ‘હૃદયભાવ’ વિભાગના તેર પાનાંમાં ભીખુભાઈના અવસાન પછીના દિવસોના આવેલા પત્રો છે.
લેખોમાં દેખાતાં કેટલાંક પુનરાવર્તનનો ઉલ્લેખ કરીને સંપાદક લખે છે : ‘ભીખુભાઈની પારદર્શકતા, સમતા, સમર્પણ અને વ્યવહારની સરળતા અને નિર્મળતાએ લગભગ તમામ લખનારની કલમને આકર્ષી છે. વળી ભીખુભાઈ અને કોકિલાબહેનની સાથેના સંબંધને સૌએ પોતપોતાની રીતે વ્યક્ત કર્યો છે તે પણ રસપ્રદ છે.’
કોકિલાબહેન, મનસુખભાઈ અને સમાજશાસ્ત્રી સત્યકામ જોષી ઉપરાંત મોહન મઢીકર અને ઉર્વીન શાહના લેખોમાંથી ભીખુભાઈના જીવનકાર્યનો આલેખ મળે છે, જ્યારે તામછડીના કાર્યકર્તા જમસુ બોચલનો લેખ ધરમપુરના કામની વિગતો માટે નોંધપાત્ર છે.
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વાલોડ ગામમાં ગોરપદું કરનાર પિતાને ત્યાં જન્મેલા ભીખુભાઈએ પચાસ કિલોમીટર પર આવેલા સુરતથી બી.એસ.સી. થયા બાદ સારા પગારની નોકરી જતી કરીને ગરીબોના ઉત્થાન અને ગ્રામવિકાસના કામોમાં ઝંપલાવ્યું.
પ્રગતિશીલ ક્રાંતિકારી વિચારધારા ધરાવતા સમવિચારી યુવાસાથીઓએ મળીને સમાજવાદી સમાજરચનાના ધ્યેય સાથે ‘જુગાન્તર જૂથ’ની સ્થાપના કરી. ગામના સ્થાપિત વર્ગ સાથે સંઘર્ષ પણ થયો.
નવરચનાનો સાચો રાહ મળ્યો તે પડોશના જ ગામ વેડછીના જુગતરામ દાદા થકી. ભીખુભાઈ વેડછી આશ્રમમાં જોડાયા અને આશ્રમની ગાંધીવિચાર પર આધારિત રચનાત્મક પ્રવૃત્તિમાં ઓતપ્રોત થયા.
અધ્યાપન મંદિરમાંથી પી.ટી.સી.ની તાલીમ લઈને ત્યાં જ શિક્ષક બન્યા. તેમાં કર્મનિષ્ઠ શિક્ષકો તૈયાર કરવા ઉપરાંત 1955ના અરસામાં આજુબાજુના વિસ્તારમાં શોષિત-વંચિત આદિવાસીઓ માટે ગ્રામસેવાના કાર્યક્રમોનો આરંભ કર્યો.
ત્રીસેક વર્ષ દરમિયાન ભીખુભાઈએ અલ્લુભાઈ અને બાબુભાઈ શાહ તેમ જ અન્ય કર્મશીલો સાથે સઘન ક્ષેત્ર વિકાસ યોજના હેઠળ વિવિધ કાર્યક્રમો દ્વારા ચાળીસ ગામોને બેઠાં કર્યાં. તેમાં હળપતિઓના આવાસો, શિક્ષણ સંસ્થાઓ, બાયોગૅસ પ્લાન્ટ તેમ જ ગ્રામોદ્યોગો માટેના તાલીમકેન્દ્રોનો સમાવેશ થાય છે.
ભીખુભાઈ-કોકિલાબહેનનાં કામનો અન્ય તબક્કો તે ગરીબ બાળકો માટેનો. દક્ષિણ ગુજરાતમાં ખાંડના કારખાનામાં ‘કોયતા’ તરીકે ઓળખાતા શેરડી કાપનારા સ્થળાંતરિત મજૂરોને કારખાનાના માલિકો દોજખભરી દશામાં રાખતા. એમનાં બાળકોની હાલત ‘ભૂંડનાં બચ્ચાં કરતાં બદતર’.
કોકિલાબહેન – ભીખુભાઈએ તેમનાં માટે વીસ-પચીસ યુવા કાર્યકર્તાઓને તાલીમ આપીને માટે 40-50 બાળવાડીઓમાં શિક્ષણ અને પોષક નાસ્તો મળે તેવી વ્યવસ્થા કરી.
સ્વીડનની ‘ટફ’ સંસ્થાની સહાયથી બારેક વર્ષ સુધી ચલાવેલા આ કામનો સંતોષ ભીખુભાઈના શબ્દોમાં ‘સ્માઇલ ફૉર અ વ્હાઇલ’ એટલે બાળકોના ચહેરા પર – ભલે કાયમ માટેનો નહીં – પણ પળવારનો ય મલકાટ લાવવાનો હતો.
આઈ.આઈ.એમ. સંસ્થાના 1985ના અરસાના એક અહેવાલ મુજબ ધરમપુર દેશનો સહુથી ગરીબ તાલુકો સાબિત થયો હતો. એટલે 1986-87ની આસપાસ વ્યાસ દંપતી ધરમપુરમાં ધૂણી ધખાવીને બેઠાં, ઝીણાભાઈ દરજીનો વર્ષોનો સંગાથ પણ ચાલુ રહ્યો.
ધરમપુરની સંઘર્ષ અને નવરચનાની યાત્રા ભીખુભાઈ પાસે તૈયાર થયેલા ચોખરપાડાના કર્મશીલ સંતુભાઈ વર્ણવે છે :
‘ભીખુભાઈ આજથી 40 વર્ષ પહેલાં ધરમપુરમાં આવ્યા ત્યારે અમારા લોકોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી. અઠવાડિયામાં એકાદ દિવસ અમને ભાત ખાવાનો મળતો. બાકીના દિવસો જંગલમાંથી ભાજી-પાન-કંદમૂળ વગેરે પર જીવતાં.
‘કેરીની સિઝનમાં કુટુંબના દસ-બાર જણના વચ્ચે એકાદ આખી રાજપુરી કેરી ખાવા મળતી. ચોમાસા બાદ પાણી અદૃશ્ય થઈ જતું. પીવાનું પાણી મેળવવા ઓછામાં ઓછું ચાર-પાંચ કિલોમીટર ચાલવું પડતું.
‘ઘરોનાં છાપરાં ઘાસથી ઢાંકતાં. ચોમાસામાં ઘરમાં સર્વત્ર પાણી રહેતું. રસ્તા તો હતા જ નહીં. એક ગામથી બીજા ગામે જવું હોય તો 20-30 કિલોમીટર ચાલીને જવું પડતું.
‘ભીખુભાઈ-કોકિલાબહેન આવ્યાં બાદ આજે ચાલીસ વર્ષ પછી અમારાં ખેતરમાં ભાત અને કેરીઓ પકવીએ છીએ અને ભરપૂર ખાઈને વેચીએ છીએ. ઘરે ઘરે પાણી આવ્યું છે. કૂવા અને ચેકડૅમોને કારણે ધરમપુર હરિયાળું બન્યું છે. પાકા રસ્તાઓને કારણે ઊંડાણના ગામોમાં પહોંચી શકાય છે.
‘દરેક ગામમાં મોટરસાઇકલો આવી છે. અમારું ધરમપુર આજે રળિયાતું બન્યું છે એનો શ્રેય કોકિલાબહેન અને ભીખુભાઈને આપવો જ રહ્યો.’
કર્મશીલના આ શબ્દો ટાંકીને સત્યકામ જોશી ભીખુભાઈના પ્રચંડ કામની આંકડા સહિત માહિતી આપે છે, જેમાં પહેલાં ક્રમે શિક્ષણ છે.
અંજલિ વત્તા દસ્તાવેજ તરીકે તૈયાર થયેલાં આ પ્રકારના પુસ્તકમાં સંપાદક પાસે, પરિશિષ્ટ તરીકે નાયકના પદ્ધતિસર આલેખાયેલા જીવનક્રમની અનિવાર્યતા રહે. ભીખુભાઈ જેવા કાર્યક્ષમ સંસ્થાસંચાલકના કિસ્સામાં મોટે ભાગે સુલભ જ હોય ,અન્યથા તે તૈયાર કરવી ઘટે.
જો કે અહીં ભીખુભાઈના વ્યક્તિત્વનાં અનેક પાસાં ઉજાગર થાય છે. સાઠેક વર્ષની ઉંમરે ધરમપુરનું મિશન શરૂ કર્યું. તેના પછી જાતે કામ્પ્યુટર શીખીને તેનો સંસ્થાના કામ માટે ભરપૂર ઉપયોગ કરતા.
હિંચકા પર બેસીને મીઠા કંઠે ભજન ગાતા, કિસ્સા અને ટૂચકા સંભળાવતા. અઠ્યાશીમાં વર્ષ સુધી બસમાં પ્રવાસ કરતા. ક્યારે ય ગુસ્સે ન થતા, ધીરજ ન ગુમાવતા.
વિદ્યાર્થીઓ-કાર્યકર્તાના પરિવારના સ્વજન બનતા. પત્નીનાં સપનાં વ્યક્તિગત જીવનમાં જ નહીં પણ જાહેર જીવનમાં પણ પૂરાં કરવા લાગી જતા.
ભીખુભાઈને મળેલા સન્માનોનો ઉલ્લેખ કરીને સંપાદક લખે છે : ‘પણ એવૉર્ડની બાબતમાં એ નિ:સ્પૃહ. નહીં તો એમનું કામ જે કક્ષાનું હતું તેમાં ઘણી મોટી કદર થવી જોઈતી હતી.’
પુસ્તકનું પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન : વનપથ ટ્રસ્ટ, બિલપુડી, તા. ધરમપુર, જિ. વલસાડ. કિંમત : જણાવેલ નથી
![]()

