જ્યોત ૧૪ : પાત્ર નહીં, ચરિત્ર :
કાવ્ય, કથા કે નાટકમાં પાત્રો હોય છે.
પાત્ર લેખકે સરજેલું માનવી છે, એ શબ્દાવતારે હોય છે, તેમ છતાં, જીવતાજાગતા મનુષ્યની જેમ વિચારે છે, બોલે છે, વર્તે છે.
એટલે મને તો શકુન્તલા, ગોરા, અમૃતા, ઍના કૅરેનિના, રાસ્કોલનિકોવ, “ધી ઓલ્ડ મૅન એન્ડ ધ સી’-નો ઓલ્ડ મૅન સાન્તિયાગો, “આઉટસાઈડર”-નો મ્યરસૉં, “વેઇટિન્ગ ફૉર ગોદો”-ના વ્લાદિમીર-ઍસ્ટ્રેગોન અને પોત્ઝો-લકી તેમ જ “વન હન્ડ્રડ યર્સ ઑફ સૉલિટ્યુડ”-નાં હોસે આર્કાદિયો બ્વેન્દિયા કે ઉર્સુલા મારી આસાપાસમાં હરતાંફરતાં લાગે છે – જાણે ઘરનાં સભ્યો કે સ્વજનો. ક્યારેક મ્યરસૉં સાથે મનોમન વાતો પણ થાય છે.
જો કે અંદરખાને લેખક એને પોતાના સર્જનનું પાત્ર એટલે કે ભાજન અથવા વાસણ સમજીને જ ચાલતો હોય છે. એમાં એ ભાવનાઓ વિચારો અને સર્જન પાછળના આશયને ભરતો-સંભરતો હોય છે.
આપણે સાંભળ્યું છે કે પાત્રમાં પ્રાણ ફુંકાવો જોઈએ. પણ વાસણ સમજો તો એમાં કેમ કરીને પ્રાણ પ્રગટે? આપણે સાંભળ્યું છે કે લેખકે પરચિત્તકાયાપ્રવેશ કરવો જોઇએ. પણ વાસણ ગણો તો એમાં કઈ રીતે પ્રવેશી શકાય? વિચારીએ.
આ મામલામાં લેખકની કસોટી થતી હોય છે : પાત્રનું માનવી રૂપે આલેખન કરવું કે હાથવગા વાસણ તરીકે? સામાન્ય લેખકો પાત્રને વાસણ કે કઠપૂતળી ગણીને વર્તે અને માની લે કે કસોટીમાંથી પોતે પાર ઊતરી ગયા. પરન્તુ સમર્થ લેખકો પાત્રનો મનુષ્યાવતાર સરજે છે, પાત્રો જીવન્ત લાગે છે.
જો કે એમ કરવા જતાં સમર્થોને એક ડાયલેમાનો – શૃંગાપત્તિનો – સામનો કરવો પડે છે : પાત્રોને જીવન્ત રાખવા જાય છે, તો સર્જનાત્મક આશયને અસર થાય છે. અને જો આશયને ચરિતાર્થ કરવા જાય છે, તો પાત્રોની જીવન્તતા જોખમાય છે.
પણ સમર્થો પાસે બે એવી ચીજો છે જેથી શૃંગાપત્તિનું નિવારણ આપોઆપ થઈ જાય છે :
પહેલી ચીજ એ કે સમર્થોની એક જુદા જ પ્રકારની સાહિત્યિક વ્યક્તિતા હોય છે. એમને પોતાની સર્ગશક્તિનો ગર્વ હોય છે. સ્વતન્ત્રે જીવતા હોય છે, સ્વાયત્ત હોય છે, આત્મશ્રદ્ધાળુ હોય છે. ઉપરાન્ત, તેઓ તત્સમ વૃતિને વરેલા નથી હોતા – સ્થિતસ્ય સમર્થનમ્ કદી ન કરે. જરૂર પડ્યે ધર્મ, સમાજ અને સંસ્કૃતિ સામે સર્જનાત્મક વિદ્રોહ કરતા હોય છે. પરિણામે, સંસારને તેની મૂળ ભાતમાં અને તેમાં જીવતા મનુષ્યને તેની અસલિયતમાં પામી શકે છે.
મૂળ ભાત અને અસલિયત સાથે સંકળાયેલી બીજી ચીજ એ કે મનુષ્યજીવનને તેઓ સપાટીથી તળ લગી પામવા મથતા હોય છે. દર્શાવે છે કે માણસનાં સપનાં તેની ચોપાસ વિસ્તરેલી સિસ્ટમ્સમાં કેવાં તો સપડાયાં હોય છે. ધાર્મિક, રાષ્ટ્રીય કે સામાજિક સંઘર્ષોના નિરૂપણમાં વ્યક્તિના પછડાટ કે આછેરા સુખની વાત કર્યા પછી, કે તેની સાથે, તેઓ પાત્રને એક વ્યક્તિ રૂપે સવિશેષે જુએ છે. વ્યક્તિના ભાવજગત અને જ્ઞાનજગત વચ્ચેના સંવાદ કે વિ-સંવાદને દર્શાવ્યા પછી છેલ્લે તેને એક અસ્તિત્વ રૂપે – ઍક્ઝિસ્ટન્સ રૂપે – પ્રમાણે છે. તેને તેના સત્ત્વની – ઇસૅન્સની – પ્રામાણિક શોધમાં જોતરે છે.
તાત્પર્ય, તેઓ પાત્રને નથી ભરતા, ચરિત્ર ગૂંથે છે. અંગ્રેજીમાં એક જ શબ્દ છે, ‘કૅરેક્ટર’ – ‘ચરિત્ર’. પાત્ર જીવતું-જાગતું મનુષ્ય એ કારણે અનુભવાય છે કે તે એક ચરિત્ર હોય છે. એટલે, પ્રાણ ફૂંકવા જવાની કે એના ચિત્તમાં કે કાયામાં પ્રવેશ કરવાની જરૂરત નથી રહેતી.
સર્જક વ્યક્તિ પોતાનું પાત્ર સ્વાયત્ત રહી શકે તે માટે એનાથી રીસ્પૅક્ટેબલ ડિસ્ટન્સ જાળવે છે; પોતાનો આશય ચરિત્ર પર થોપતો નથી; આશયને ચરિત્રમાં મૂકીને કળાએ કળાએ મૉડિફાય કરતો રહે છે. નહિતર એ “સરસ્વતીચન્દ્ર”-ના ત્રીજા-ચૉથા ભાગનો ચિન્તક બની જાય. ચરિત્ર પણ સ્વાયત્ત હોવાથી સર્જનાત્મક આશયને આત્મસાત્ કરી શકે છે, અને તેથી, પોતાના સત્ત્વને ડૅવલપ કરતો રહે છે. “સરસ્વતીચન્દ્ર”-ના પહેલા-બીજા ભાગનાં ચરિત્રો એ મુજબ જીવે છે.
સમર્થો જરૂર પડ્યે પેલું ડિસ્ટન્સ ઘટાડી શકે છે, વધારી શકે છે. કહેવું જોઈએ કે એ ડિસ્ટન્સ રીસ્પૅક્ટેબલ છે એટલું જ ઇલાસ્ટિક પણ છે.
યાદ રહે કે ચરિત્રોને ‘મુખ્ય’ / ‘ગૌણ’ ગણીએ છીએ એ કોટિકરણ ઉચ્ચાવચતાના ધોરણે થયું છે. એથી એમ સૂચવાય છે જાણે સર્જકે અમુક પાત્રો વિશે ગૌણ ભાવ કેળવેલો છે અને તેમનાં સર્જન અંગે ખાસ ધ્યાન નથી આપ્યું. આ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે. સમજી શકાય છે કે મોટાં અને વધારે કામ સૉંપાયાં હોય એટલે ચરિત્ર ‘મુખ્ય’, નાનાં અને ઓછાં સૉંપાયાં હોય એટલે ‘ગૌણ’.
પણ ચરિત્રો સર્જકનાં સન્તાન હોય છે. એને મન ચરિત્ર ચરિત્ર વચ્ચે કે તેમનાં કામો વચ્ચે મુખ્ય-ગૌણના ભેદ નથી હોતા. આખ્યાનકારે કૃષ્ણ અને સુદામાને સરજ્યા પછી સુદામાની પત્નીને પણ એટલી જ કાળજીથી સરજી હોય છે. અને એને જે કામ સૉંપ્યું હોય છે તેનું કળાપરક મૂલ્ય જરા પણ ઓછું નથી હોતું. મુનશીએ કાક કે મંજરીને તેમ જ તેમનાં કામોને જેટલું મહત્ત્વ આપ્યું હોય છે એટલું ઉદો મહેતાને કે રાણકને અને તેમનાં કામોને આપ્યું જ હોય છે.
હા, કોઇ કોઇ નવલકથાકારો પક્ષપાત કરીને નાયિકાને ‘અતિ મુખ્ય’ ચીતરતા હોય છે; એના લાલનપાલનમાંથી ઊંચા જ નથી આવતા; જાણે એ એમની પ્રિયતમા હોય … ભલે …
= = =
(June 16, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


૧૯૮૪નું વરસ આંતરરાષ્ટ્રીય યુવા વરસ તરીકે મનાવાયું હતું. તેના અનુસંધાને ૧૯૮૮માં દેશની પહેલી રાષ્ટ્રીય યુવા નીતિ ઘડાઈ હતી. તે પછી ૨૦૦૩ અને ૨૦૧૪માં પણ યુવા નીતિ આવી હતી. હાલમાં રાષ્ટ્રીય યુવા નીતિ ૨૦૨૧નો મુસદ્દો જાહેર વિમર્શ માટે દેશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોને જોડવા અને તેમના વ્યક્તિત્વ અને નેતૃત્વને નિખારવાના હેતુસર ઘડાતી રાષ્ટ્રીય યુવા નીતિથી યુવાનોને કેટલો લાભ થાય છે તે સવાલ તો રહે જ છે.
‘નિરીક્ષક’ તા. ૧૬.૫.૨૦૨૨ના અંકમાં નિલય ભાવસારનો પંડિત શિવકુમાર શર્માર્ને ભાવસભર સ્વરાંજલિ આપતો લેખ વાંચી આનંદ થયો. એમાં ‘ઝનક ઝનક પાયલ બાજે’ની વાત વાંચતા પંડિતજીની સ્મરણકથા ‘सन्तूर मेरा जीवन संगीत’ (મૂળ અંગ્રેજી ‘જર્ની વિથ એ હન્ડ્રેડ સ્ટ્રિંગ્સ – માય લાઈફ ઇન મ્યુઝિક’નો શૈલેન્દ્ર શૈલ દ્વારા હિન્દી અનુવાદ) વાંચતાં એ ચલચિત્ર સંદર્ભે થોડી રસપ્રદ વાતો વાંચેલી તે મનમાં તાજી થઈ. ‘નિરીક્ષક’ના વાચકો સાથે એ વાતો વહેંચવાનું મન થયું. તો એ પુસ્તકના આધારે જ થોડી વાતો મૂકું.