પ્રત્યાયનના — ગુજરાતીમાં કહીએ તો, કમ્યુનિકેશનના — મામલે પંકાયેલા વર્તમાન શાસનમાં મહત્ત્વની જાહેરાતોની પાછળ પાછળ અચૂકપણે સ્પષ્ટીકરણો જારી કરવાં પડે છે અને તે પણ પ્રેસ કૉન્ફરન્સ જેવા ખુલ્લા મંચ પર, સવાલોની ઝડી વચ્ચે નહીં, વન વે ટ્રાફિક પ્રકારના, જ્યાં કેવળ મનકી બીન મતવાલી બજતી હોય એવા એકપક્ષી સંવાદમાં. તે સૂચવે છે કે કમ્યુનિકેશનની આવડત માપવાની આપણી ક્ષમતાનું કેવું હૅકિંગ (અપહરણ) થયેલું છે.
નકરી સભારંજનીને ઉત્તમ કમ્યુનિકેશન તરીકે જાહેર કરી દેવાની આપણી ફીદાગીરી ઉપરાંત શબ્દાળુ વાણીવિલાસ અને અર્થપૂર્ણ સંવાદ વચ્ચેનો તફાવત અવગણવાની આપણી તત્પરતા ક્યારની ભયજનક સપાટી વટાવી ચૂકેલી છે. (આ રીતે ફીદા થનારાને પણ ‘ફીદા’ઈન કહી શકાય?) કમ્યુનિકેશનના એ રાબેતા મુજબ, આજથી વધુ છૂટછાટોની જાહેરાત થઈ અને તેમાં ખુલાસા પણ આવ્યા. કોરોનાનો પ્રકોપ, ખાસ કરીને અમદાવાદ જેવાં હૉટ સ્પૉટમાં કાબૂમાં આવતો જણાતો નથી. ત્યાંના કમિશનરે વધુ સંખ્યામાં ટેસ્ટ કરીને વધુ કેસ શોધવાની તત્પરતા બતાવી છે, ત્યારે ઓછા ટેસ્ટ કરીને કેસની સંખ્યા ઘટાડવાનું જણાવાતું હોય, એવી પણ વાત છે. ઉપરાંત ટેસ્ટિંગ માટેની કીટનો અને લોહીનાં સૅમ્પલથી ટેસ્ટ કરવાની પદ્ધતિમાં તો ટેસ્ટની વિશ્વસનીયતાનો મોટો સવાલ છે.
બીજી તરફ ગળે આવી ગયેલા નાનામોટા વ્યાવસાયિકોથી માંડીને દેશવિદેશની સરકારોને અર્થતંત્ર ફરી પાટે ચડાવવાની તાલાવેલી હોય તે પણ સમજાય એવું છે. આવા સંજોગોમાં સરકાર તરફથી છૂટછાટ મળે તો પણ, ચુસ્ત રીતે પહેરેલા માસ્ક વિના બહાર ન નીકળવું, માસ્કના મુખ્ય ભાગને ભૂલેચૂકે હાથ ન અડાડતાં, તેને દોરીથી જ વાપરવો અને રોજ સાબુનાં પાણીથી ધોઈને, બરાબર સૂકવીને જ ફરી વાપરવો — એ નિયમો ચુસ્તીથી પાળવાની સૌ નાગરિકોની પોતાના પ્રત્યેની, પરિવાર પ્રત્યેની અને સમાજ-દેશ માટેની પણ ફરજ છે.
રમજાન માસ શરૂ થયો છે ત્યારે મુસલમાનોએ નમાઝ માટે ભેગા થવાનું કે બીજા કોઈ પણ ખાનગી મેળાવડા યોજવાનું ટાળવું. એ આરોગ્ય-વિષયક ફરજ તો છે જ. સાથોસાથ, આવાં ધાર્મિક ઉત્સાહથી ભરેલાં અવિચારી પગલાં કોમવાદી રાજકારણ માટે બહુ આશીર્વાદરૂપ બની રહે છે, તે પણ ભૂલાવું ન જોઈએ. સાર એટલો કે સરકારી છૂટછાટો કોઈ જાદુઈ મંત્ર કે બિનધાસ્ત હરવાફરવાનો પરવાનો નથી. સરકારનો એવો દાવો પણ નથી. માટે દબાયેલી સ્પ્રિંગને છૂટછાટના સમયમાં છટકવા દેવાને બદલે તેની પર કાબૂ રાખવા જેવો છે. નાગરિક તરીકે તે આપણી ફરજ ગણો તો ફરજ અને પ્રદાન ગણો તો પ્રદાન છે.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020
![]()


ઘણી બાળકથાઓ ને બોધકથાઓ એવી હોય છે કે વિવિધ પરિસ્થિતિઓમાં તે નવાં નવાં અર્થઘટન સાથે પ્રસ્તુત બની રહે. આવી જ એક કથા છે બાદશાહ અને તેના દીવાનની. એક વાર બાદશાહના દરબારમાં આવતાં દીવાનને મોડું થાય છે. બાદશાહ તેનું કારણ પૂછે છે. દીવાન હોઠે ચડ્યું એ કારણ જણાવતાં કહે છે, ‘સંધ્યા કરવા રોકાયો એટલે આવતાં મોડું થઈ ગયું.’ બાદશાહ વિધર્મી હોવાથી તેને માટે આ શબ્દ નવો હોય છે. એટલે તે પૂછે છે, ‘સંધ્યા કરવી એટલે શું?’ દીવાન માંડીને આખી વિધિ બાદશાહને સમજાવે છે. એ સાંભળીને બાદશાહને ધૂન ઉપડે છે, ‘મારેય સંધ્યા કરતાં શીખવું છે.’ દીવાનની સ્થિતિ કફોડી બની જાય છે. વિધર્મી બાદશાહથી કંઈ સનાતન ધર્મની વિધિ થાય? સાથે એ પણ મૂંઝવણ કે બાદશાહને સીધી ના શી રીતે પડાય? થોડું વિચારીને તે બાદશાહને બીજા દિવસે નદીએ આવવા જણાવે છે. નક્કી કરેલા સમયે બાદશાહ નદીએ પહોંચે છે. દીવાન અને બાદશાહ નદીનાં પાણીમાં ઊતરે છે. દીવાન સંધ્યાની શરૂઆત કરતાં પોતાના વાળની ચોટલી બાંધે છે અને બોલે છે : ‘શિખા બંધનમ્.’ બાદશાહ આશ્ચર્યથી પૂછે છે, ‘આ શું?’ દીવાન કહે, ‘શિખા બાંધો.’ મૂંઝાયેલો બાદશાહ કહે છે, ‘પણ મારે માથે શિખા નથી.’ દીવાન કહે છે, ‘તો કરાવો. માથાના વાળ ઉતારાવડાવો.’ બસ, પછી શું! માથું બોડાવવાના ખ્યાલે બાદશાહ ભડકી ઊઠે છે અને કહી દે છે, ‘નથી શીખવી મારે સંધ્યા.’ બાદશાહને સંધ્યા કરતાં શિખવવાનો મામલો સીધેસીધી ના પાડવાને બદલે દીવાન સિફતપૂર્વક ટાળી દે છે.
બંધારણના ઘડવૈયાઓએ ‘વી ધ પીપલ’ને બંધારણમાં મૂળભૂત અધિકારો આપ્યા હતા. પરંતુ ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદીને લોકશાહી અને નાગરિક અધિકારો અભરાઈ પર ચઢાવી દીધા હતા. ૧૯૭૬માં કટોકટી દરમિયાન થયેલા બેતાળીસમા બંધારણ સુધારા દ્વારા, જેમ આમુખમાં ધર્મનિરપેક્ષતા અને સમાજવાદી શબ્દ ઉમેરાયા હતા તેમ નાગરિકની મૂળભૂત ફરજો પણ ઉમેરાઈ હતી. ૨૦૧૫માં બંધારણના પ્રમુખ ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સવાસોમા જન્મ જયંતી વરસથી વર્તમાન વડાપ્રધાને ૨૬મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે રાષ્ટ્રીય ધોરણે મનાવવાનું શરૂ કર્યું છે.
કમિશનરસાહેબને પોતાના કર્મચારી એવા એક મૅડિકલ ઓફિસર બહેનને સારવારમાં રહેલી ઢીલ અને કચાશના વીડિયો અંગે પણ દુ:ખ વ્યક્ત છે. તે કહે છે કે સમગ્ર તંત્ર જ્યારે કોરોના સામે યુદ્ધ લડે છે ત્યારે આવા વીડિયો યુદ્ધ લડતા સૈનિકના બૂટને પોલીશ નથી કરી કે શર્ટનું એકાદ બટન ખુલ્લું છે — તેવા છે. આમ જણાવી તે આવા કૃત્યને ‘નકારાત્મક’ ગણાવે છે. આ જ વીડિયો મેસેજમાં કમિશનર એમ પણ કહે છે કે આ વીડિયોને કારણે આખો દિવસ મારું તંત્ર દોડતું રહ્યું છે. જો નાગરિકોની ફરિયાદો સૈનિકોના બૂટની પોલીશ કે શર્ટનાં બટન જેવી ક્ષુલ્લક હતી કે તેમાં કોઈ દમ ન હતો કે માત્ર નકારાત્મકતા જ હતી, તો તંત્ર આખો દિવસ દોડતું શા માટે રહ્યું? સરકારની કે તંત્રની ટીકા એ નકારાત્મકતા નથી. એ તો લોકતંત્રની પાયાની બાબત છે, લોકશાહીનો પ્રાણ છે. મિસ્ટર નહેરાને કોણ સમજાવે કે કટોકટી વખતે નગર અમદાવાદના લોકસભા સભ્ય પુરુષોત્તમ માવળંકરે લોકસભામાં કટોકટી વિરોધી જે પ્રવચનો આપેલાં, તેના પુસ્તકનું નામ જ “નો, સર“ છે !