ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત
હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત
(પૃથ્વી પર જો સ્વર્ગ હોય, તો તે અહીં છે, અહીં છે, અહીં છે)
શ્રીનગરના શાલીમાર બાગમાં શ્યામ રંગનું જે પેવેલિયન છે, તેની દિવાલ પર આ પ્રસિદ્ધ ફારસી પંક્તિ લખેલી છે, તેવી પ્રચલિત માન્યતા છે. મુઘલ સમ્રાટ શાહજહાં(અથવા પિતા જહાંગીર)ના સમયમાં આ પેવેલિયન બાંધવામાં આવ્યું હતું, દિલ્હીમાં લાલ કિલ્લામાં પણ એ અંકિત છે, જે શાહજહાંએ બનાવ્યો હતો. એટલે આ પંક્તિની બે કહાની છે. એક કહાની પ્રમાણે શાહજહાં (૧૫૯૨-૧૬૬૬) જ્યારે પહેલીવાર કાશ્મીર ગયો, ત્યારે તેની સુંદરતા જોઇને આ બોલ્યો હતો. બીજી કહાની એ છે કે દિલ્હીમાં દીવાન-એ-ખાસ (લાલ કિલ્લો) તૈયાર થયો અને તે પહેલીવાર અંદર ગયો, તો આ પંક્તિ અંકિત કરવા સૂચના આપી હતી. ગમે તેમ તો ય, લાલ કિલ્લો બાગ-બગીચાઓથી સુશોભિત સ્વર્ગ જ હતો! એમ તો એવું પણ કહેવાય છે કે શાહજહાં નહીં, પણ તેના પિતા જહાંગીરે (સલીમે) આ પંક્તિ કોતરાવી હતી.
આ પંક્તિ ફારસી કવિ અમીર ખુસરો(૧૨૫૩-૧૩૨૫)ના નામે બોલે છે. ખુસરો સૂફી કવિ હતો. તે ઉત્તર પ્રદેશમાં જન્મ્યો હતો, અને નાની ઉંમરમાં દિલ્હી આવ્યો હતો, જ્યાં તે નિઝામુદ્દીન ઓલિયાનો શાગિર્દ થઇ ગયો હતો. ખુસરો અરબી, ફારસી અને હિન્દુસ્તાની (ઉર્દૂ-હિન્દી) મિશ્રિત ભાષામાં લખતો હતો, જે ‘હિન્દવી’ તરીકે જાણીતી થઇ. ખુસરો ‘ભારતના પોપટ’ (તુતી-એ-હિન્દ) તરીકે પણ ઓળખાય છે અને ઉર્દૂ સાહિત્યનો એ જન્મદાતા છે. એ આજીવન દિલ્હી સલ્તનતમાં રહ્યો હતો, અને એણે કાશ્મીરની મુલાકાત લીધી હોવાના કોઈ સંદર્ભ નથી. તેના પરથી અમુક અભ્યાસુઓ ‘ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત’નો લેખક ખુસરો હોવા અંગે શંકા કરે છે.
એમાં લેટેસ્ટ રાના સફ્વી છે. રાના ઇતિહાસકાર તથા લેખક છે અને દિલ્હીની સંસ્કૃતિ પર લોકપ્રિય બ્લોગ ‘હજરત-એ-દિલ્લી’ ચલાવે છે. તેમનું એક તાજું પુસ્તક ‘શાહજહાંનાબાદ’ આ પંક્તિના ઈતિહાસને ઉખેડે છે. અમીર ખુસરો પર અભ્યાસ કરનારા અને બોસ્ટન યુનિવર્સિટીમાં ફારસી સાહિત્યના પ્રોફેસર સુનિલ શર્મા કહે છે કે ખુસરોના કોઈ સંગ્રહ કે કવિતામાં આ પંક્તિ નથી.
રાના સફ્વીએ જાતે શ્રીનગર જઈને શાલીમાર બાગમાં ઉપર-નીચે આ પંક્તિ શોધી હતી. ના મળી. શાલીમાર બાગ પરનાં પુસ્તકોમાં પણ એનો સદર્ભ ન હતો. તો આ જગપ્રચલિત પંક્તિનું ‘જીવનચરિત્ર’ શું છે? રાના સફ્વીએ નીચે પ્રમાણેના થોડાક સંકેતો આપ્યા છે.
ઉર્દૂ ઇતિહાસકાર બશીરુદ્દીન અહમદ દેહલવીના ‘વાકીઆત-એ-દારુલ હુમુમત દેહલી’ પુસ્તકમાં લખેલું છે કે આ પંક્તિ સદુલ્લાહ ખાને કોતરેલી છે. સદુલ્લાહ ખાને સમ્રાટ શાહજહાંનો વડાપ્રધાન હતો અને પોતે કવિ અને લેખક હતો. ફારસીના નિષ્ણાત અને દિલ્હીનાં સ્મારકો પર પહેલીવાર લખનારા પ્રોફેસર એસ.એચ. કાસેમીએ દાવો કર્યો હતો કે તેમણે કાશ્મીરના હાકેમ (ગવર્નર) ઝફર ખાનના શાયર પુત્ર મિર્ઝા મુહમ્મદ તાહિર ‘આશના’(૧૬૨૮-૭૧)ના કવિતા સંગ્રહમાં આ પંક્તિ વાંચી હતી.
‘આશના’એ અબ્દુલ હમીદ લાહોરીના ત્રણ ભાગના ‘પાદશાહનામા’ ઇતિહાસની ટૂંકી આવૃત્તિ ‘શાહજહાંનામા’ લખી હતી. ‘પાદશાહનામા’ સમ્રાટ શાહજહાંએ લખાવ્યું હતું. મિર્ઝા મુહમ્મદ તાહિર ‘આશના’એ તેના પિતાની ગેરહાજરીમાં એકવાર કાશ્મીરનો કારભાર પણ સંભાળ્યો હતો. ‘આશના’નો આ કવિતા સંગ્રહ દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં મોજુદ છે.
ઝાકીર હુસેન દિલ્હી કોલેજના ફારસી વિભાગના વડા પ્રોફેસર જમીલ-ઉર રહેમાને સૂચન કર્યું કે રાષ્ટ્રીય સંગ્રહાલયમાં હસ્તપ્રત જોયા વગર નિષ્કર્ષ પર ન અવાય.
રાના સફ્વી લખે છે કે ૧૮ અપ્રિલ ૧૯૬૪ના રોજ લાલ કિલ્લાના ઉદ્દઘાટનમાં ઘણા બધા શાયરો ભેગા થયા હતા અને તેની ભવ્યતાના ગુણગાન ગાતી શાયરીઓ લખી હતી. એટલે એ શક્ય છે કે કિલ્લાના દિવાન-એ-ખાસમાં અંકિત આ પંક્તિ આમાંથી જ કોઈ એક એવા શાયરની હોય, જે શાહજહાંનો દોસ્ત હોય.
રાના સફ્વીએ દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયના આસિસ્ટન્ટ ક્યુરેટર ખતિબુર રહેમાનની મદદથી ‘આશના’ના જરીપુરાણા સંગ્રહ ‘દિવાન-એ-આશના’માં કાશ્મીરનો ઉલ્લેખ હોય, તેવી પંક્તિઓ શોધી. તેમણે વધુ વિગતવાર પાનાં જોયાં, તો ‘મસાનવી-યે સાકી નામા’ વિભાગમાં ૮૮ નંબરના પાના પર પંક્તિ લખેલી હતી:
ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત
હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત
એ પંક્તિ પછી લખેલું હતું, “ખુસરોએ સૂચક પદ્ય લખ્યાં હતાં, એટલે તમે કહી શકો કે તેણે આ (પંક્તિ) આ જગ્યા માટે લખી હશે.”
રાના લખે છે, “રાષ્ટ્રીય સંગ્રહાલયની એ નાનકડી ઓફીસમાં અમે શાહી પંડિતોની બેશકીમતી હસ્તપ્રતો જોઈ રહ્યા હતા, ત્યારે અમને લાગ્યું કે એ ક્ષણે પૃથ્વી પર સ્વર્ગ હતું.”
ઝાકીર હુસેન દિલ્હી કોલેજના પ્રોફેસર જમીલ-ઉર રહેમાને સમ્રાટ શાહજહાંના અધિકૃત જીવનચરિત્ર ‘શાહજહાંનામા’ના ત્રીજા ભાગમાં જોયું કે પુસ્તકના લેખક મોહમ્મદ સલીહ કમ્બોહે કિલ્લા-એ-મુબારક(ભાગ્યના કિલ્લા)ની ખૂબસુરતીનાં બહુ વખાણ કર્યા હતાં. તેણે લખ્યું હતું કે, “તેની સુંદરતા એવી છે કે ડાહ્યા લોકો ગાંડા થઇ જાય, તેની સુંદરતા સ્વર્ગ સમાન છે અથવા સાત સ્વર્ગોના બગીચાઓ કરતાં પણ એ વધુ સ્વર્ગીય છે.” અમીર ખુસરોએ જે લખ્યું હતું, તે આ વર્ણન સાથે મળતું આવતું હતું:
ગર ફિરદૌસ બર રુએ જમીં અસ્ત
હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત
અમીર ખુસરો દિલ્હીનો સૌથી લોકપ્રિય કવિ હતો અને તેણે દિલ્હીના વખાણમાં ખૂબ લખ્યું હતું. એ સંપૂર્ણપણે શક્ય છે કે આ પંક્તિ દિલ્હીની ખૂબસુરતી માટે લખાઈ હોય અને શાહજહાંએ તેને દિવાન-એ-ખાસમાં કોતરાવી હોય. રાના સફ્વી લખે છે, “આ પંક્તિ અમીર ખુસરોની કવિતાઓમાં કેમ નથી અને તેને ક્યા સદર્ભમાં લખવામાં આવી હતી, તેનો કોઈ જવાબ નથી, પણ એક વાત નક્કી છે કે એ કાશ્મીર માટે લખાઈ ન હતી, કારણ કે હજરત અમીર ખુસરોએ ક્યારે ય કાશ્મીરની યાત્રા કરી ન હતી. તો તેણે દિલ્હી માટે લખી હતી?”
પ્રગટ : ‘ફાયરવોલ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાતમિત્ર”, 10 નવેમ્બર 2019