ભારતમાં ૧૯૯૧માં ઉદારીકરણની નીતિ અપનવવામાં આવી એ પછી આર્થિક વૃદ્ધિ (જી.ડી.પી.ની વૃદ્ધિ) આર્થિક નીતિનો સર્વોચ્ચ ઉદ્દેશ બની છે. બજારવાદી અર્થશાસ્ત્રીઓના મત પ્રમાણે દેશની મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ આર્થિક વૃદ્ધિમાં રહેલો છે, ખાસ કરીને ગરીબી અને બેકારીના પ્રશ્નનો ઉકેલ તો આર્થિક વૃદ્ધિમાં જ રહેલો છે. ભારતમાં બે દાયકા સુધી જી.ડી.પી.નો વૃદ્ધિદર આઠ ટકાથી વધુ રહે, તો દેશની બેકારીની અને ગરીબીની સમસ્યા ઊકલી જાય અને દેશ મધ્યમસ્તરના વિકસિત દેશોની હરોળમાં આવી જાય એવો એક અંદાજ મૂકવામાં આવ્યો છે. નીતિઆયોગના પૂર્વઉપાધ્યક્ષ પાનસરિયાએ આવો એક દાખલો ગયા એપ્રિલમાં તેમના ‘વિઝન’ના એક ભાગરૂપે ગણ્યો હતોઃ ૨૦૧૫-૧૬માં ભારતની કુલ જી.ડી.પી. રૂ. ૧૩૭ લાખ કરોડ હતી અને માથાદીઠ આવક રૂ. ૧૦,૬૫૮૯ હતી. ૨૦૩૧-૩૨માં કુલ જી.ડી.પી. વધીને રૂ. ૪૬૯ લાખ કરોડ અને માથા દીઠ આવક વધીને રૂ, ૩,૧૪,૭૭૬ થશે. આ દાખલામાં તેઓ એવી ધારણા પર ચાલ્યા છે કે ઉપર્યુક્ત ૧૫ વર્ષ દરમિયાન દેશની જી.ડી.પી. એકંદરે વાર્ષિક આઠ ટકાના દરે વધતી રહેશે. આ વિચારણાના આધાર પર આઠ ટકાનો અને બને તો દસ ટકાનો આર્થિક વૃદ્ધિનો દર બે દસકા સુધી ટકાવી રાખવાનું ધ્યેય સરકાર અને દેશ સમક્ષ મૂકવામાં આવ્યું છે. આ ઊંચા વૃદ્ધિદરની ચર્ચા અહીં ગરીબી અને બેકારીના સંદર્ભમાં કરી છે.
આર્થિક વૃદ્ધિના સહજ પરિણામ રૂપે રોજગારી વધે અને ગરીબી ઘટે તે એક નિર્વિવાદ મુદ્દો છે. પરંતુ આર્થિક વૃદ્ધિની રોજગારી સર્જવાની અને ગરીબી ઘટાડવાની ક્ષમતા વિવિધ દેશોમાં નોખી નોખી માલૂમ પડી છે. દા.ત., જી.ડી.પી.માં થતો એક ટકાનો વધારો ચીનમાં ગરીબીના પ્રમાણમાં ૦.૨૮ ટકાનો ઘટાડો (૧૯૯૦-૨૦૧૩ દરમિયાન) નિપજાવી શક્યો હતો. એની તુલનામાં બ્રાઝિલમાં જી.ડી.પી.નો એક ટકાનો વધારો, ૧.૧૪ ટકાનો ઘટાડો નિપજાવી શક્યો હતો. આના આધારે ગણતાં ચીનમાં ૧૦ ટકાના દરે વધતી આર્થિક વૃદ્ધિ ૨.૮ ટકાના દરે ગરીબી ઘટાડી શકે ગરીબીમાં એટલો જ ઘટાડો કરવા માટે બ્રાઝિલમાં અઢી ટકાનો આર્થિક વૃદ્ધિદર પૂરતો થઈ પડે. આમ, ગરીબી ઘટાડવાની દૃષ્ટિએ આર્થિક વૃદ્ધિના દર જેટલું જ મહત્ત્વ આર્થિક વૃદ્ધિના સ્વરૂપનું કે આર્થિક વૃદ્ધિની ગુણવત્તાનું છે. આર્થિક વૃદ્ધિની ગરીબી ઘટાડવાની ક્ષમતા આર્થિક વૃદ્ધિ દ્વારા સર્જાતી આવકની વહેંચણી પર અવલંબે છે. સમાજના વિવિધ વર્ગો વચ્ચે આવકની વહેંચણી કેટલી અસમાન થાય છે, તે ગરીબી ઘટાડવાની દૃષ્ટિએ જી.ડી.પી.ના વૃદ્ધિદર જેટલું જ મહત્ત્વનું પરિબળ છે.
આ ભૂમિકા સાથે ભારતમાં આર્થિક વૃદ્ધિ અને ગરીબીના ઘટાડાનો સંબંધ તપાસીએ. ભારતમાં ૧૯૯૩-’૯૪થી ૨૦૦૪-૨૦૦૫ દરમિયાન એક ટકાની આર્થિક વૃદ્ધિ ગરીબીમાં ફક્ત ૦.૧૦ ટકાનો ઘટાડો નિપજાવી શકી હતી. એની સરખામણીમાં ૨૦૦૪-’૦૫થી ૨૦૧૧-’૧૨નાં વર્ષોમાં એક ટકાનો આર્થિક વૃદ્ધિદર ગરીબીમાં ૦.૨૪ ટકાનો ઘટાડો નિપજાવી શક્યો હતો. એ જોઈ શકાય છ કે ભારતમાં થઈ રહેલી આર્થિક વૃદ્ધિની ગરીબી ઘટાડવાની ક્ષમતા ચીન અને બ્રાઝિલની તુલનામાં ઓછી છે. મૅક્સિકો, થાઇલૅન્ડ, ઇકવાડોર જેવા અન્ય કેટલાક દેશોમાં પણ આર્થિક વૃદ્ધિનો દર ભારતની તુલનામાં ઓછો હોવા છતાં ગરીબી ઘટવાનો દર ભારતની તુલનામાં વધારે છે.
ભારતમાં આર્થિક વૃદ્ધિનો ઊંચો દર ગરીબી ઓછા પ્રમાણમાં ઘટાડી શકે છે. એનો ખુલાસો, સર્જાતી આવકની અત્યંત અસમાન રીતે થતી વહેંચણીમાં શોધવાનો છે. ભારતમાં આવકની વહેંચણી અંગેનો એક સંશોધન-લેખ તાજેતરમાં પ્રગટ થયો છે. (‘ભારતમાં આવકની અસમાનતા, ૧૯૨૨-૨૦૧૪ઃ બ્રિટિશરાજથી અબજપતિઓના રાજ ભણી?’) એના એક લેખક પિકેટી૧ આવકની અસમાનતા અંગેના એમના અભ્યાસથી વિશ્વસ્તરે પ્રસિદ્ધિ પામ્યા છે. ભારતમાં ૧૯૮૦થી ૨૦૧૪ વચ્ચે આર્થિક વૃદ્ધિના ઊંચા દરથી સર્જાયેલી આવકની જે અસમાન વહેંચણી થઈ છે તેનું ચિત્ર આ અભ્યાસમાંથી સાંપડે છે. તળિયાના ૫૦ ટકાના ભાગે વધેલી આવકનો ૧૧ ટકા હિસ્સો ગયો હતો; બીજે છેડે ટોચના ૧૦ ટકાના ભાગે ૬૬ ટકા જેટલો મોટો ભાગ ગયો હતો અને ટોચના એક ટકાના દસમા ભાગમાં લોકો પાસે ૧૨ (બાર) ટકા જેટલી આવક ગઈ હતી, તેનાથી વધારે આવક ટોચના એક ટકાના દસમા ભાગના લોકો પાસે ગઈ હતી.
આ ચિત્રને નક્કર સ્વરૂપે મૂકવા માટે આપણે એક ધારણા કરીએ. ૧૯૮૦થી ૨૦૧૪ના સાડા ત્રણ દસકા દરમિયાન દેશની સરેરાશ વસ્તી ૧૦૦ કરોડ ધારીએ. આ ધારણા પ્રમાણે તળિયાના ૫૦ કરોડ લોકોના ભાગે વધેલી આવકનો ૧૧ ટકા ભાગ ગયો. બીજી બાજુ ટોચના ૧૦ કરોડ લોકોના ભાગે ૬૬ ટકા આવક ગઈ અને સર્વોચ્ચ આવક ધરાવતા ૧૦ લાખ લોકોના ભાગે ૧૨ ટકા આવક ગઈ. આમ, ટોચના દસ લાખ લોકોને તળિયાના પચાસ કરોડ લોકો કરતાં વધારે આવક મળી હતી. ભારતમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર ઊંચો હોવા છતાં ગરીબી પ્રમાણમાં કેમ ઓછી ઘટી છે તેનો એક મોટો ખુલાસો આ અત્યંત અસમાન રીતે થતી આવકની વહેંચણીમાં રહેલો છે. આનો અર્થ એવો થાય છે કે દેશમાં થયેલા વિકાસમાં તળિયાના પચાસ ટકા લોકો અલ્પ પ્રમાણમાં જ સહભાગી થયા છે. પ્રચલિત શબ્દોમાં કહીએ તો દેશમાં થઈ રહેલો વિકાસ સર્વસમાવેશક (ઇન્ક્લુઝિવ) નથી.
પિકેટીએ સરખામણી માટે ચીનમાં વધેલી આવકની વહેંચણીનું ચિત્ર પણ આપ્યું છે. ચીનમાં પણ આર્થિક વૃદ્ધિ આવકની અસમાન વહેંચણી સાથે જ સંકળાયેલી છે, પણ ભારતની તુલનામાં ચીનમાં આવકની અસમાનતા ઓછી માલૂમ પડે છે. ચીનમાં તળિયાના ૫૦ ટકાના ભાગે વધેલી આવકનો ૧૩ ટકા ભાગ ગયો હતો (ભારતમાં ૧૧ ટકા) બીજે છેડે ચીનમાં ટોચના ૧૦ ટકા લોકોના ભાગે વધેલી આવકનો ૪૪ ટકા હિસ્સો ગયો હતો. (ભારતમાં ૬૬ ટકા). આવો જ મોટો તફાવત તળિયાના ૫૦ ટકા અને ટોચના ૧૦ ટકાની વચ્ચેના ૪૦ ટકાની બાબતમાં જોવા મળે છે. ચીનમાં એ મધ્યસ્થ ૪૦ ટકાના ભાગે ૪૩ ટકા આવક ગઈ હતી, જ્યારે ભારતમાં એ વર્ગના ભાગે ૨૩ ટકા આવક ગઈ હતી. આમ, ચીનની તુલનામાં ભારતમાં આવકની વધુ અસમાન રીતે વહેંચણી થઈ છે, વિશેષ કરીને ભારતમાં ટોચના દસ ટકા પાસે ઘણા મોટા પ્રમાણમાં આવક કેન્દ્રિત થઈ છે. આનો એક ખુલાસો ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની શાસકો સાથની સાંઠગાંઠમાં રહેલો છે.
પિકેટીએ એમના સંશોધન લેખને આપેલા શીર્ષકનો ઉત્તરાર્ધ માર્મિક છે : ‘બ્રિટિશરાજથી અબજપતિઓના રાજ ભણી?’ એના મર્મને પામવા માટે ભારત અને ચીનમાં અબજપતિઓની તુલના કરવા જેવી છે. આ તુલનાત્મક ચિત્ર રુચિર શર્માએ રજૂ કર્યું હતું. ૨૦૧૨માં ભારતમાં ૫૫ અબજપતિઓ હતા; તેમની કુલ સંપત્તિ ૨૪૬ અબજ ડૉલર હતી, જે ભારતની જી.ડી.પી.ના ૧૭ ટકા જેટલી હતી. ભારતના ટોચના ૧૦ અબજપતિઓની સરેરાશ સંપત્તિ ૧૫ અબજ ડૉલર હતી. આની તુલનામાં ચીનમાં ૧૧૫ અબજપતિઓ હતા, પણ તેમની સંપત્તિ ૨૩૦ અબજ ડૉલર હતી, જે ચીનની જી.ડી.પી.ના ચાર ટકા જેટલી હતી. ચીનમાં ટોચના ૧૦ અબજપતિઓની સરેરાશ સંપત્તિ છ અબજ ડૉલર હતી. માથા દીઠ આવકની રીતે ભારત જ નહીં, ચીન કરતાં ઘણા આગળ દક્ષિણ કોરિયામાં ટોચના ૧૦ અબજપતિઓની સરેરાશ સંપત્તિ ત્રણ અબજ ડૉલર હતી. પિકેટીએ ભારત અબજપતિઓનું રાજ બની રહ્યું છે એવો ઇશારો કર્યો છે તેમાં અભિપ્રેત મુદ્દો સમજીએ. ભારતમાં આર્થિક વૃદ્ધિ જાણે કે કરોડપતિઓ અને અબજપતિઓ સર્જવા અને પોષવા માટે થતી હોય, એવું ચિત્ર ઊપસી આવે છે.’
ભારતમાં આર્થિક વૃદ્ધિ દ્વારા ઉકેલવાનો મોટો પ્રશ્ન યુવાનો માટે સારી રોજગારીની તકો સર્જવાનો છે. દેશમાં દર વર્ષે અંદાજે એક કરોડથી અધિક યુવાનો માટે રોજગારીની તકો ખેતીની બહાર સર્જવાની છે. કેમ કે ખેતીના ક્ષેત્રે હવે રોજગારીની નવી તકો સર્જી શકાય તેમ નથી, પરંતુ દેશમાં કૃષિતર ક્ષેત્રોમાં છેલ્લા દોઢ દસકામાં જે આર્થિક વૃદ્ધિ થઈ છે, તેનાથી આપણી જરૂરિયાતની તુલનામાં ઘણી ઓછી રોજગારી સર્જાઈ છે. એક અંદાજ પ્રમાણે ૨૦૦૦ પછીના છથી આઠ ટકા જેવા ઊંચા વૃદ્ધિદરનાં વર્ષોમાં ખેતીની બહાર બે ટકાના દરે રોજગારી વધી છે. એ પ્રમાણે ગણતાં ૨૦૧૨ સુધી દર વર્ષે લગભગ ૫૦ લાખ જેટલી રોજગારીની તકો સર્જાઈ હતી, એ પછીનાં વર્ષોમાં એનાથી પણ ઓછી રોજગારી સર્જાઈ છે. એની સામે, ઉપર નોંધ્યું છે તેમ, દર વર્ષે એક કરોડથી અધિક યુવાનો માટે આપણે રોજગારીની તકો સર્જવાની છે. જરૂરિયાતની તુલનામાં રોજગારીની ઘણી ઓછી તકો સર્જાતી હોવાથી દેશમાં થઈ રહેલી આર્થિક વૃદ્ધિને રોજગારીવિહીન વૃદ્ધિ (જૉબલેસ ગ્રોથ) કહેવામાં આવે છે.
જેને સારી રોજગારી ગણવામાં આવે છે, તે અર્થતંત્રના સંગઠિત ક્ષેત્રમાં સર્જાય છે. સાદી ભાષામાં કહીએ તો જ્યાં મજૂરકાયદાઓ લાગુ પડે છે, એવા એકમોમાં સારી રોજગારીની તકો સર્જાય છે. તેમાં તમામ સરકારી તંત્રો, જાહેરક્ષેત્રની કંપનીઓ તથા ખાનગીક્ષેત્રની કંપનીઓનો સમાવેશ થાય છે. ૨૦૦૬થી ૨૦૧૨ના ગાળામાં સરકારી તંત્રો અને જાહેરક્ષેત્રની કંપનીઓમાં રોજગારીમાં બાર લાખનો ઘટાડો થયો હતો, જ્યારે ખાનગી ક્ષેત્રમાં રોજગારીમાં ૩૨ લાખનો વધારો થયો હતો. સરકારી ક્ષેત્રની ઘટેલી રોજગારીને બાજુ પર રાખીએ તો પણ સંગઠિત ક્ષેત્રે વર્ષે માત્ર પાંચ લાખ જેટલી રોજગારી સર્જાઈ હતી. આમ સારી રોજગારીનો દેશમાં દુકાળ પ્રવર્તે છે. આ સ્થિતિ કેટલી ગંભીર છે, તેનો ખ્યાલ નીચે વર્ણવેલી વાસ્તવિકતામાંથી આવે છે.
મધ્યપ્રદેશમાં ચોથા ગ્રેડની સરકારી નોકરી માટે શૈક્ષણિક લાયકાત દસમા ધોરણની હતી, પણ તેના માટે ૧૨,૦૦૦ એન્જિનિયરોએ અને ૩૪ પીએચ.ડી.એ અરજી કરી હતી. ઉત્તરપ્રદેશમાં પટાવાળાની ૩૬૮ જગાઓ માટે ૨૩ લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. અમરોહામાં ૧૧૪ સફાઈ-કામદારો માટે ૧૯,૦૦૦ અરજીઓ મળી હતી. તેમાં એમ.બી.એ. અને એન્જિનિયરોનો પણ સમાવેશ થતો હતો. જુદાં જુદાં રાજ્યોમાં પ્રમાણમાં સારી સ્થિતિમાં રહેલી જ્ઞાતિઓ પણ અનામતની માગણી કરી રહી છે, તેનું કારણ સારી રોજગારીના દેશમાં પ્રવર્તતા દુકાળમાં રહેલું છે.
દેશ આઝાદ થયો તે પહેલાંથી બેકારીની ગંભીર સમસ્યા માટે દેશનો મોટા પાયે ઔદ્યોગિક વિકાસ કરવો પડશે, એ વિશે આપણે સ્પષ્ટ હતા. એ માર્ગે ૧૯૫૦ પછીનાં વર્ષોમાં સિંગાપુર, તાઇવાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો મોટા પ્રમાણમાં રોજગારી સર્જી પણ શક્યા છે, પણ ભારતમાં ઉદ્યોગોનો જે વિકાસ થવો જોઈએ તે થઈ શક્યો નથી. (અહીં ઉદ્યોગો એટલે મૅન્યુફૅક્ચરિંગ સમજવાનું છે.) તેથી ઉદ્યોગોએ આપણને રોજગારી સર્જવાની બાબતમાં નિરાશ કર્યા છે. ૧૯૭૭-’૭૮માં ઉદ્યોગોના ક્ષેત્રે ૧૦.૪ ટકા કામદારો રોકાયેલા હતા. એ પ્રમાણ ૨૦૧૧-૧૨માં વધીને માત્ર ૧૨.૬ ટકા થયું હતું. જે દેશો સફળતાપૂર્વક ઔદ્યોગિક વિકાસ સાધી શક્યા છે, તેમાં ઉદ્યોગોના ક્ષેત્રે ૨૦ ટકા કે તેથી વધારે કામદારો રોજગારી મેળવે છે. અહીં આપણે વિકાસશીલ દેશોની વાત કરીએ છીએ. જી.ડી.પી.માં ફાળાની રીતે પણ દેશમાં ઉદ્યોગોનો દેખાવ નિરાશાજનક રહ્યો છે : ૧૯૭૭-’૭૮માં જી.ડી.પી.માં ઉદ્યોગોનો હિસ્સો ૧૩.૭ ટકા હતો, તે વધીને ૨૦૧૩-’૧૪માં ૧૪.૯ ટકા થયો હતો. દક્ષિણ કોરિયા આદિ દેશોમાં ઉદ્યોગોનો જી.ડી.પી.માં હિસ્સો ૨૫થી ૩૦ ટકા જેટલો હોય છે.
ભારતમાં ઔદ્યોગિક વિકાસ અપેક્ષા કરતાં ઓછો થયો છે; એટલું જ નહીં, જે ઉદ્યોગો વિકસ્યા છે તેમાં ઓછા રોજગારપ્રચુર ઉદ્યોગોનું પ્રાધાન્ય છે. ઓટોમોબાઇલ, ઓટોપાટ્ર્સ, ઈજનેરી સામાન, પેટ્રોલિયમ રિફાઈનરી, ફાર્માસ્યુિટકલ્સ, માહિતી ટેક્નોલૉજી વગેરે તેનાં ઉદાહરણો છે. ઓટોમોબાઈલમાં રૂ. એક લાખના રોકાણથી ૦.૩ રોજગારી સર્જાય છે, તેની તુલનામાં વસ્ત્રઉદ્યોગમાં ૨૪ જેટલી રોજગારી સર્જાય છે. દેશમાં શ્રમપ્રચુર ઉદ્યોગોના સાપેક્ષમાં મૂડીપ્રચુર ઉદ્યોગોનો વિકાસ મોટા પ્રમાણમાં કેમ થયો એ એક મોટા મતભેદનો મુદ્દો છે. પણ એ ચર્ચામાં અહીં આપણે નહીં જઈએ. એક બાબત સ્પષ્ટ છે : દેશમાં થતી આર્થિક વૃદ્ધિને વધુ રોજગારીપ્રચુર બનાવવા માટે દેશમાં શ્રમપ્રચુર ઉદ્યોગોનો વિકાસ મોટા પ્રમાણમાં થાય તે જરૂરી છે, કેમ કે દેશમાં જી.ડી.પી.ના એક ટકાના વધારાથી રોજગારીનું પ્રમાણ ઘટતું માલૂમ પડ્યું છે. ૧૯૭૦થી ૧૯૮૫ દરમિયાન જી.ડી.પી.માં એક ટકાનો વધારો રોજગારીમાં ૦.૪૩ ટકાની વૃદ્ધિ નિપજાવતો હતો. ૧૯૯૪-’૯૫થી ૨૦૦૯-’૧૦ દરમિયાન રોજગારીની વૃદ્ધિનું એ પ્રમાણ ઘટીને ૦.૩૩ ટકા થયું હતું.
આ નાના દેખાતા આંકડાનું મહત્ત્વ સમજીએ. ૧૯૭૦થી ૧૯૮૫ના ગાળામાં સાત ટકાનો જી.ડી.પી.નો વૃદ્ધિદર રોજગારીમાં ત્રણ ટકાનો વધારો નિપજાવી શકે. રોજગારીમાં એટલો જ વધારો નિપજાવવા માટે આજે આર્થિક વૃદ્ધિ નવ ટકાથી ઊંચા દરે થાય તે જરૂરી બન્યું છે. કેમ કે આર્થિક વૃદ્ધિની રોજગારી સર્જવાની ક્ષમતામાં ૨૦૧૦ પછી વિશેષ ઘટાડો થયો છે.
દેશમાં સરકારી રાહે આઠ ટકાથી અધિક દરે, બને તો ૧૦ ટકાના દરે દોઢથી બે દસકા સાતત્યપૂર્ણ રીતે આર્થિક વૃદ્ધિ સાધવાનું જે લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તેનો આ ખુલાસો છે. પણ ચીનના એકમાત્ર અપવાદને બાદ કરતાં દુનિયાનો કોઈ દેશ આવા ઊંચા દરે બે-અઢી દસકા જેવા લાંબા સમય માટે આર્થિક વૃદ્ધિ સાધી શક્યો નથી. ચીનની અદ્વિતીય સિદ્ધિ માટે ત્રણ પરિબળો કારણભૂત હતાં, જે ભારતમાં મોજૂદ નથી. એક, ચીનમાં બચતદર ૫૦ ટકાની ઊંચી સપાટી પર રહ્યો હતો. ભારતમાં બચતદર ૩૦ ટકાની આસપાસ રહે છે. બીજું, ચીનમાં સરકાર સતત મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરતી રહી હતી, ભારતમાં સરકાર એવા મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાતત્યપૂર્ણ રીતે મૂડીરોકાણ કરી શકે તેમ નથી. ત્રીજું, ચીનને વૈશ્વિકીકરણનો લાભ મળ્યો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ઊંચા દરે વધારો થયો હતો, તેથી ચીન તેની નિકાસોમાં ગંજાવર વધારો કરી શક્યું હતું. આજે દુનિયાનાં બજારો ચીનની પેદાશોથી ઊભરાય છે. દુનિયાના વિવિધ દેશોમાં બજારોનો લાભ લેવાની ચીનના ઉદ્યોગપતિઓની આવડત પણ તેમાં કામ કરી ગઈ છે. પણ હવે વૈશ્વિકીકરણનાં વળતાં પાણી થયાં છે અને રાષ્ટ્રવાદનો પ્રવાહ શરૂ થયો છે, તેથી આંતરરાષ્ટ્રીય વેપારની વૃદ્ધિમાં ઓટ આવી છે. આ સંજોગોમાં ભારત તેની નિકાસોમાં ચીનના જેવા ઊંચા દરે લાંબા સમય સુધી વધારો થયા કરવાની આશા રાખી શકે નહીં.
આ સ્થિતિમાં આઠ-નવ ટકાના વૃદ્ધિદર માટેના પ્રયત્નો ભલે ચાલુ રાખીએ પણ તે સમયે થઈ રહેલી આર્થિક વૃદ્ધિની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ; એક, સર્જાતી આવકની વહેંચણીની અસમાનતા ઘટાડવાની દિશામાં પગલાં ભરીએ. બીજું, થઈ રહેલી આર્થિક વૃદ્ધિની ગરીબી ઘટાડવાની ક્ષમતા વધારવાના માર્ગો વિચારીએ. અન્ય દેશોનો અનુભવ તેમાં માર્ગદર્શક નીવડી શકે. ત્રીજું, થઈ રહેલી આર્થિક વૃદ્ધિની સારી રોજગારી સર્જવાની ક્ષમતામાં મોટો વધારો કરવાની દિશામાં ગંભીરભાવે વિચારણા કરવાની તાતી જરૂરિયાત છે. કમનસીબે, આર્થિક સુધારાની મોટા ભાગની દરખાસ્તો આર્થિક વૃદ્ધિના દરને વધારવા માટે હોય છે, પણ આર્થિક વૃદ્ધિની અભિમુખતા બદલવા માટે નથી હોતી.
પાલડી, અમદાવાદ
1 પિકેટીના સંશોધન લેખ માટે જુઓ : Lucas Chancel, Thomas Piketty, Indian Income Inequality, 1922-2014: From British Raj to Billionaire Raj ? July 2017.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2017; પૃ. 03-05